પાંચમી જૂન આવી અને ગઈ. વણગાઈ, વણવજાડી, વણઊજવી. ખોટું, તમે કહેશો, ઠેકઠેકાણે પર્યાવરણ દિવસ તો મનાવાયો ને! પણ પ્રકતિના સંદર્ભમાં જે પર્યાવરણની વાત છે એની તો હું આ ક્ષણે વાત કરતો જ નથી. મારો સવાલ તો રાજકીય પર્યાવરણનો છે. સહેજે સાડા ત્રણ દાયકા થયા હશે એ હકીકતને, જયારે સ્ટોકહોમની વિશ્વ પર્યાવરણ પરિષદ વેળાએ ઇન્દિરા ગાંધીએ સચોટ એટલી જ એકદમ એકદમ ભરીબંદૂક ટિપ્પણી કરી હતી કે પ્રદૂષણ-પ્રદૂષણનો દેદો શું કૂટો છો.
ગરીબીથી મોટું પ્રદૂષણ બીજું એકે નથી. પ્રકતિ સામે કેવળ અને કેવળ શોષણની રીતે પેશ આવતી અને પોતાનો કચરો બાકી દેશોના લાભાર્થે વહાવતી મહાસત્તાઓની પ્રજાવિરોધી તેમજ જૂના સાંસ્થાનિક માનસથી દોરાતી પ્રવૃત્તિઓ તથા પેરવીઓ વિશે ત્રીજી દુનિયાના એક દેશમાંથી આવેલી આ રોકડી ટીકા હતી.
પણ ત્રીજી દુનિયા જેનું નામ, એના દેશોનો આ વર્ષોનો ઘરઆંગણાનો રેકોર્ડ રાજય પાસે કેન્દ્રિત થતી સત્તાનો એટલો જ વિકાસને નામે પર્યાવરણવિવેક ચૂકી ‘સંપોષિત વિકાસ’ની એસી કી તેસીનો રહ્યો છે. અને આમાં, કેન્દ્રિત રાજય સત્તા તથા ઉધોગશાહો અગર તો કોર્પોરેટ ગતિવિધિના સહિયારાં પણ માલૂમ પડતાં રહ્યાં છે: આ વિગત લક્ષમાં લઈએ ત્યારે
પાંચમી જૂન સાથેનો, જો ગુજરાત અને બિહારને સવિશેષ તો દેશ આખાને સુઘ્ધાં સાંભરવો જોઈતો સંબંધ સંપૂર્ણ ક્રાંતિ દિવસનો છે.
૧૯૭૪ના માર્ચમાં ગુજરાતની વિધાનસભાનું વિસર્જન થયું ન થયું ત્યારે જ બિહારનું આંદોલન પણ ઊપડયું હતું અને ત્યાંની છાત્રયુવા શકિતએ આ સંદર્ભમાં જયપ્રકાશનું માર્ગદર્શન જ નહીં પણ નેતૃત્વ માગી લીધું હતું. અહીં એ આંદોલનની કે એની વિકાસરેખા અગર તો ઇતિહાસવિગતોની ચર્ચામાં જવાનો ખયાલ નથી.
માત્ર એટલું જ કહેવું બસ થઈ પડશે કે સ્વાતંત્ર્યસંગ્રામમાં શીર્ષસ્થ લડાઈ લડી ચૂકેલા અને સ્વરાજ પછી એવાં જ પાયાનાં કામોમાં ખૂંપેલા જયપ્રકાશે જયારે દેશમાં ૧૯૪૨ જેવો ઉકળાટ જોયો અને ગુજરાતના નવનિર્માણ આંદોલનથી લાગેલા વિચારધક્કામાં ‘પ્રકાશ’ જોયો ત્યારે બિહારના છાત્રયુવા આંદોલન સાથે એમનું આમ જોડાવું એ માત્ર એકાદ વિધાનસભા વિસર્જન માટેનું આંદોલન ન બની રહેતાં જોતજોતાંમાં સમગ્ર પરિવર્તન માટેના સંઘર્ષમાં ફેરવાઈ ગયું હતું. એમણે પટણાના ગાંધી મેદાનમાં હૈયેહૈયું દળાય એવી વિશાળ મેદનીને- કહો કે જનવિરાટને- સંબોધતાં તેથી સ્તો ૧૯૭૪ના જૂનની પાંચમી તારીખે કહી નાખ્યું હતું કે આ તો સંપૂર્ણ ક્રાંતિ માટેનું આંદોલન છે, દોસ્તો, સંપૂર્ણ ક્રાંતિ માટેનું.
૧૯૭૭નું જનતા રાજયારોહણ, રાજઘાટ પર લેવાયેલ શપથ અને શબ્દોને એમનો અર્થ જાણે કે પાછો મળી રહ્યો હોય એવો થતાં થાય તેવો ભલે તાત્પૂરતો અનુભવ, આ બધું હવે કેટલી દૂરની વાત લાગે છે, નહીં? પણ ત્યારે જેમ અધિકારવાદનાં બળોને સત્તાની બહાર કરી શકાયાંથી એક આસાએશ અને આશા-અપેક્ષાનો અનુભવ થયો હતો તેમ ૨૦૦૯માં સમાજના એક હિસ્સામાંથી આવતા અધિકારવાદને સત્તામાંથી બહાર રાખી શકાય છે એવી પ્રત્યક્ષ પ્રતીતિથી પણ કંઈક આશાઅપેક્ષાને સારુ અવકાશ અવશ્ય ઊભો થયો છે. ૨૦૦૪માં પણ આમ બન્યું હતું, પણ એમાં આકસ્મિકતાનું તત્ત્વ હતું. આ વખતે પરવાનો તાજો થયો છે, અને તે પણ ધોરણસરની બહુમતી સાથે. માટે સ્તો આ આશાવાદ અકારણ નથી.
જે જોવાનું છે તે તો એ કે ચૂંટણીચુકાદા સાથે બધું ઠરીઠામ થયાની લાગણી જોડે પેલો અસલનો આતશ વળી ઠરી ન જાય. જયપ્રકાશને જે પ્રકાશ જડયો હતો અને એમણે સંપૂર્ણ કાંતિના એલાન સાથે જે આતશ અને અલખ જગવ્યો હતો તે માત્ર નાગનાથને સ્થાને સાપનાથને કે સાપનાથને સ્થાને નાગનાથને બેસાડવા માટે તો હોઈ શકે નહીં.
કોંગ્રેસ અને ભાજપ એમ બે પક્ષોમાં સીમિત સત્તાબદલીના ખેલ પૂરતી જ જો આ વાત રહેવાની હોય તો એમાં નાગરિકનો જયવારો કયાંથી હોઈ શકવાનો હતો. ત્યારે કોંગ્રેસને સત્તાથી બહાર કરી શકાઈ હતી, અત્યારે ભાજપને સત્તાથી દૂર રાખી શકાયો છે- સમયસંજોગ પ્રમાણે બેઉ ચુકાદા ઠીક જ છે. પણ જે અઠીક, રિપીટ, અઠીક છે તે તો એ કે સભાન છાત્રયુવા શકિત અને જાગ્રત નાગરિક શકિત રુટિન રાજકાજથી, ઠામુકા ‘ગવર્નન્સ’થી સંતોષ માને અને ઘીના ઠામમાં ઘી પડી રહે. પેલો ‘પ્રકાશ’ ઝાંખો ન પડે અને ‘આતશ’ બુઝાય નહીં એ જોવાની જરૂર, બલકે તક એટલી તાકીદ તો હંમેશની જેમ ઊભેલી છે. એટલે સ્તો પાંચમી જૂન કહેતાં સંપૂર્ણ ક્રાંતિ દિન વણગાયો, વણઊજવાયો ગયા વિશે કંઈક ધોખો, કંઈક ફરિયાદ.
કેવી ને કેટલી જાગૃતિ રાહ જુએ છે! નમૂના દાખલ, ગુજરાતમાં નમોએ થોડા મહિના પર જે નેનોમાં સવારી કર્યાની સોજજી છાપ ઊઠી હતી એ જ નેનોનો નકાર મમતાને કેટલી અસરકારક રીતે દિલ્હી લઈ ગયો, એનો માયનો સમજાય છે? મમતાનો મુદ્દો બિલકુલ તૃણમૂલ હતો. એમણે આખી વાતને કિસાન અને ભૂમિ છેડેથી જોઈ વિરોધ પોકાર્યોહતો. તૃણમૂલ કોંગ્રેસની સાથે એસયુસીઆઈને પણ લાંબે ગાળે પહેલી વાર લોકસભામાં પ્રવેશ મોકો મળ્યો. ડાબેરી બૌદ્ધિકોનો પણ બેઉને ટેકો મળ્યો. એમાં જેમ નાગરિક સ્વાધીનતાનો સવાલ હતો તેમ સેઝના સપાટા સામે ભૂમિ અને કિસાનનો પણ સવાલ હતો.
શું માકાર્ની વાત કરી, દિલ્હી પહોંચતા વેંત વિજયી મમતાએ, કે સંપોષિત વિકાસની દ્દષ્ટિએ કષિ અને ઉધોગ વચ્ચે મેળ બેસાડવો પડશે. શહેરી મજદૂર અને દેહાતી મહેનતકશ, સર્વહારા અને કષક, બંનેને ન્યાય તેમજ અવકાશ મળી રહે એવા નવા સમાજનું સપનું આ તો છે. સૂંડલામોઢે સેઝનો ફાલ ઊતરી રહ્યાના તાનમાં ગુલતાન ગુજરાતે પણ આજે નહીં તો કાલે આ સમજવું રહેશે. પ્રગતિનાં ઝાંઝવાથી ને મિથ્યા આત્મસંતુષ્ટિથી હટીને વિચારવાનો, ‘સંપૂર્ણ ક્રાંતિ’ના ધ્રુવતારક સામે નજર ખોડી લંગર છોડવાનો સાદ કોઈને સંભળાય છે? બાકી તો આખી રાત હલેસાં મારશો અને સવારે ખુદને ઠેરના ઠેર ભાળશો!