શતાબ્દી વંદના
ન સેવાશ્રમ, ન તપોવન, સત્યાગ્રહ આશ્રમ
ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડી ભારત સ્થાયી થવા પાછા ફર્યા એ આપણા જાહેરજીવનને સારુ અક્ષરશઃ નવસંવત શી ઘટના હતી, અને કોચરબ આશ્રમની સ્થાપના એ સંદર્ભમાં નિઃશંક એક સીમાચિહ્ન છે, બિલકુલ શેષનાગને માથે ખીલો ખોડાયા જેવું. દક્ષિણ આફ્રિકાનાં સંઘર્ષવર્ષોમાં પોતે શરૂ કરેલી આશ્રમ-પરંપરામાં ભારત પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકાના સાથીઓની જે ટુકડી શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથની નિશ્રામાં હતી, એને મળવા ગાંધીજી ગયા ત્યારે એ પંથકમાંયે સૂચિત એક આશ્રમઠેકાણું તો હતું જ.
બીજાં પણ એકાધિક સ્થળો સામેથી સૂચવાયાં હતાં, પણ અમદાવાદની પસંદગીનું ગાંધીલૉજિક સમજવા જેવું છે. કૃષિસંસ્કૃિત અને ઔદ્યોગિક ક્રાંતિ વચાળે ક્યાંક ઊભા રહીને એમણે જે નવસંતુલન ઇચ્છ્યું હશે (કહો કે પોસ્ટ-ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી માટે) એમાં ચરખાનું એક અગત્યનું સ્થાન, અલબત્ત અભિગમ રૂપે હતું. અમદાવાદ એક કાળે હાથવણાટનું મથક અને બીજરૂપ પ્રતિભાએ કરીને રણછોડલાલ રેંટિયાવાળાની સાહસપહેલે માન્ચેસ્ટરની ગુંજાશ દાખવી શકેલું. ત્યાં કેમ થાણું ન નાખવું? અને ગુજરાતી ભાષા, સ્વભાષા, જેવું ઉત્તમ સેવાવાહન પણ બીજું કિયું હોઈ શકે. બેશક, જાહેર કામ માટે નાણાસ્રોતની રીતે લક્ષ્મીનંદન મહાજનોની સુલભતા પણ લક્ષમાં લીધી હશે.
જો કે, સો વરસના ઉજાસમાં આ બધી બાબતોની તપસીલ તપાસને અવકાશ હોઈ શકે છે; પણ જોવાનું એ છે કે હરદ્વાર અને વૈદ્યનાથધામનાં સહયોગસુવિધાપૂર્વકનાં નિમંત્રણો હતાં છતાં ગાંધીજીએ આવા કોઈ સ્થાપિત તીરથ પર કળશ ન ઢોળ્યો. પાછળ નજર કરતાં આ સંદર્ભમાં એમ માનવાનું મન થાય છે કે આપણા સમયના કદાચ સૌથી મોટા ધર્મપુરુષને અભીષ્ટ ઓળખ પરંપરાગત ધર્મતીર્થો કરતાં ગુણાત્મકપણે જુદી હતી. ચોક્કસ, એ એક પાયાની સમજ હતી, જે એમને પરમતદ્વેષી, રૂઢિચુસ્ત, સંપ્રદાયગ્રસ્ત, અન્યથા પણ આ લોક કરતાં પરલોકપરસ્ત માહોલથી દૂર લઈ ગઈ હશે. ઇતિહાસદૃષ્ટિએ જોતાં એમના આ સભાન/અભાન પણ વિવેક પર વારી ગયા વિના રહેવાતું નથી. બાકી, આશ્રમના ઉદ્દેશપત્ર કહેતાં પ્રૉસ્પેક્ટસમાં એમણે જે યમનિયમો અને વ્રતતપની ભાષામાં વાત કરી હતી એમાં ચીલાચાલુ ધર્મમંડળી પ્રકારના અર્થઘટનને અવકાશ નહોતો એવું તો નથી. શાંતિનિકેતનની રૂબરૂ મુલાકાતે પ્રભાવિત પ્રોફેસર કૃપાલાનીને મુઝફ્ફરપુરમાં આ ઉદ્દેશપત્ર મળ્યું ત્યારે એમણે અકળાઈને એ ટેબલ પર ફેંક્યું હતું. એમને થયું કે આ માણસ, અગાઉના મહાત્માઓની પેઠે, ‘સ્વર્ગનું રાજ્ય’ શોધતો હોય તો ભલે હિમાલયભેગો થઈ જતો. બીજે છેડે, વિનોબા જેવા તો કદાચ આ ઉદ્દેશપત્ર માંહેલી વિશેષતાથી જ આશ્રમવાસી બનવાના નિર્ણય પર પહોંચ્યા હશે. ‘મેં તો ઇતિહાસનાં ઘણાં થોથાં વાંચી કાઢેલાં’, વિનોબાએ સંભાર્યું છે અને ઉમેર્યું છે : ‘એકે થોથામાં ક્યાં ય દેશસેવા માટે આ બધાં વ્રતોનું પાલન જરૂરી હોવાનું વાંચ્યું નહોતું. યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથોમાં, ભક્તિમાર્ગમાં આવતી વાતો અહીં જોઈ મને સમજાયું કે આ માણસ દેશની રાજકીય સ્વતંત્રતાની તેમ જ આધ્યાત્મિક વિકાસની એમ બેઉ વાતો એકસાથે સાધવા ચાહે છે.’
આશ્રમની સ્થાપના પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં ગાંધીજીએ ‘દેશસેવા’નો પોતાના ખયાલ અને મર્યાદા બંને અસંદિગ્ધ શબ્દોમાં બાંધી બોલી બતાવ્યાં હતાં ઃ ‘જગતહિતને અવિરોધી એવી દેશસેવા કરવાની કેળવણી લેવી અને એવી દેશસેવા કરવાનો સતત પ્રયત્ન કરવો.’ તમે જુઓ કે રાષ્ટ્રીય ચળવળના એટલે કે દેશભક્તિના જોસ્સાનાં એ વરસો હતાં. દેશ કે રાષ્ટ્ર એટલે પોતે જ આદિ, મધ્ય, અંત બધું જ એવા મનોભાવ બલકે માનસિકતાને અવકાશ જ અવકાશ હોઈ શકતો હતો. એની વચ્ચે આ માણસ ‘જગતહિતને અવિરોધી’ ભૂમિકા પર ભાર મૂકે છે. રાષ્ટ્રરાજ્યવાદના મત્સર અને દ્વેષ વિશ્વયુદ્ધ રૂપે ભભૂકી ઊઠ્યાં છે તે વિશે તે સ્પષ્ટ છે. આ સંદર્ભમાં લેવા જોગ કેળવણી અને કરવા જોગ દેશ સેવાના સ્થાનક તરીકે આશ્રમ ખડો થઈ રહ્યો છે, તો એનું નામ શું પાડવું?
‘સત્યના પ્રયોગો’ વાંચતાં ‘સેવાશ્રમ’થી માંડીને ‘તપોવન’ જેવાં નામો વિચારાયાની સાહેદી મળે છે. પણ પરંપરાગત તીરથમાં જેનું ધર્મપ્રવણ ચિત્ત ન ઠર્યું, તેની સેવાની વ્યાખ્યા પણ નકરી પરંપરિણ તો ક્યાંથી હોય? ગાંધીમંથન છે કે દક્ષિણ આફ્રિકામાં અમે સૌએ સેવાની એક રીતે વિકસાવી હતી એનો પડઘો આ ‘સેવાશ્રમ’ જેવા નામમાં ઝિલાતો નથી. અને તપોવન, એમાં કદાચ પરંપરાગત તપસ્યા પર જેટલો ભાર છે, એટલો પ્રત્યક્ષ કર્મ પર ક્યાંથી લાવવો. આ બધી ઘડભાંજ અગર ભાંજઘડમાંથી સામે આવી ઊભું રહેતું નામ ‘સત્યાગ્રહ આશ્રમ’ છે. વૈશાખ સુદ અગિયારસ ને સંવત ૧૯૭૧ કહેતાં ૨૫ મે ૧૯૧૫ના દિવસે, આમ, સત્યાગ્રહ આશ્રમનું સ્થાપન અને નામકરણ થયું. રાષ્ટ્રકૈવલ્યવાદ, રાજ્ય કૈવલ્યવાદ અને બજારકૈવલ્યવાદ પોતપોતાની ગતમાં જગતહિતથી નિરપેક્ષપણે મત્ત મહાલે છે ત્યારે, કાશ, આપણે ગાંધીને એની ઇનિંગ્ઝ આપી શકીએ! સન સુડતાલીસની આઝાદી અને સન પચાસનું પ્રજાસત્તાક સ્વરાજ આંખમાથાભેર પણ બાકી ઇનિંગ્ઝ તે બાકી ઇનિંગ્ઝ, ને આપણી વકટલૅંડ ચાલે તે ચાલુ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2015, પૃ. 20