વિદ્રોહમાં ય કોઈનો દ્રોહ ન હોય.
પ્રયોગમાં ય કેટલાક જો હિંમતથી પ્રજા વચ્ચે ખબર ન પડે તેમ રોડવી દેવાયા હોય તો આપોઆપ સ્વીકારાઈ જાય ! પણ જો ચર્ચે ચડ્યા તો ખલાસ !
પરંપરાવાદીઓ તૂટી પડશે તમારા ઉપર ! દા.ત. 1929માં ‘જોડણીકોશ’ રચાયો ત્યારે એક ક્રાંતિકારી પ્રયોગ થયો છે જેને લીધે બહુ સરળતા આવી છે પણ આના પ્રત્યે ભાગ્યે જ કોઈનું ધ્યાન ગયું છે ! કારણ કે મોટી સરળતા ચૂપચાપ મળી ગઈ છે ! સારું જ થયું છે.
‘શું’નું બહુ વચન થાય ‘શાં’ − એનો ઉચ્ચાર કરો. શાં શાં કામ થયાં ? એમ પૂછતા ‘શાં થયાં’માં ‘શ’ પર ને ‘યા’ પર ‘અનુસ્વાર’ છે. હવે ‘શું’ના બહુવચનમાં ‘શાં’ લખાય તો જે ઉચ્ચાર થાય તે જ ઉચ્ચાર કરીને પછી ‘તિ’ મૂકો જોઈ ! કયો ઉચ્ચાર થશે ? ‘શાન્તિ’ માટે જ્યારે ‘શા’ને માથે મીંડું મૂકીએ છીએ ત્યારે ખ્યાલ નથી રહેતો કે અડધો ન્ (હલન્ત ‘ન્’ કે ખોડો ન્) તો ‘તિ’ સાથે જ જોડાય છે, એને ‘શા’ સાથે કોઈ લેવા-દેવા નથી !
પણ હવે ‘શાન્તિ’ બે રીતે લખાય : ‘શાંતિ’ કે ‘શાન્તિ’. ચંદ્ર – ચન્દ્ર આમ આપણે જે વ્યંજનો પાંચ (અનુનાસિક વ્યંજનો : ઙ, ઞ, ણ, ન, મ) એ પાંચે જો જોડાક્ષર બને તો એને અનુસ્વારમાં ફેરવી દીધાં ! મોટો ફેર. હું તો આમાંથી કમ-સે-કમ ‘ન’ ને ‘મ’ને ઉગારવા ચાહું !
જ્યાં અડધા ‘ન’ કે ‘મ’ સંભળાય ત્યાં જોડણીમાં અડધા જ્યાં લાગતા હોય ત્યાં જ લગાડવાં. દા.ત. ‘કાન્ત’ − ‘કાંત’ નહિ. એમાં કાંતવાનું આવતું નથી. ‘શાન્ત’ − ‘શાંત’ નહિ. મહમ્મદ, મહંમદ નહિ. મુમ્બઈ, મુંબઈ નહિ … તમને જેમ કરવું હોય તેમ કરવાની છૂટ છે !
પણ શબ્દકોશે વિકલ્પ આપ્યો છે તો સંભળાય તેનો દ્રોહ ન કરવો. વિદ્રોહમાં ય કોઈનો દ્રોહ ન હોય.
(સૌજન્ય : “બિરાદર”, 15 મે 2015, પૃ. 09)