જાગરૂક અને વિચારશીલ વાચક ડંકેશ ઓઝાના ‘મનમાં ઘમસાણ યુદ્ધ જમાવી બેઠા હતા’ એવા જે વિચારોએ ૧ ડિસેમ્બર, ૨૦૧૪ના ‘નિરીક્ષક’નાં પૃષ્ઠો પર ‘ચહલપહલ’ મચાવી છે, એમાંના ચાર મુદ્દા પૈકીનો એક આ છે :
‘સાહિત્યને સમાજ સાથે નાભિનાળનો સંબંધ હોવાનું સ્વીકારવા છતાં બધા સાહિત્યકારોને સામાજિક નામના ખાનામાં ખતવી શકાય ખરા ? જે અર્થ અને જે સંદર્ભમાં ઈશ્વર પેટલીકર કે પન્નાલાલ કે દિલીપ રાણપુરા કે જૉસેફ મેકવાનને સામાજિક સાહિત્યકાર લેખાવી શકાય, તે અર્થમાં બીજાને ગણાવી શકાય ખરા ?’
એમ થાય કે ડંકેશભાઈએ સંભાર્યા જ તો આ સંદર્ભમાં સૌથી પહેલાં તો ગોવર્ધનરામને સંભારવા જોઈતા હતા. અને રમણલાલ ? મેઘાણી ? સુન્દરમ્ ? ઉમાશંકર ? દર્શક ? રઘુવીર ? અને – અને … પણ અહીં કહેવાની વાત આ નથી. જે છે એ વાત કરતાં પહેલાં બીજી બે વાત વિચારવા જેવી છે. ‘સરસ્વતીચંદ્ર’ની કે ‘ઝેર તો પીધાં છે -’ની કંઈ પણ ટીકા થઈ છે, તે શા કારણે થઈ છે ? અને બીજી વાત એ કે લાભશંકર ઠાકર જેવા લાભશંકર ઠાકરનો હાથ પન્નાલાલને સલામ કરવા ઊંચકાય છે તે શા કારણે ?
સમજવાની વાત એ છે કે માત્ર સાહિત્યને નહિ, મનુષ્યમાત્રને, તેના દ્વારા થતી પ્રવૃત્તિમાત્રને ‘સમાજ સાથે નાભિનાળનો સંબંધ છે,’ અરે, જન્મ પછી નાભિ સાથે મનુષ્યની નાળનો વિચ્છેદ થાય છે, જ્યારે સમાજ સાથેનો તેનો સંબંધ તો આજીવન અવિચ્છેદ્ય રહે છે. પણ મનુષ્ય દ્વારા થતી ચિત્રશિલ્પસ્થાપત્ય-સંગીતનૃત્યાદિ કલાપ્રવૃત્તિના સંદર્ભમાં આપણે આવો પ્રશ્ન ઊભો કરતા નથી, તો સાહિત્યકલાની બાબતમાં શા માટે, શા માટે વારંવાર કરીએ છીએ?
એનું દેખીતું કારણ એ છે કે સાહિત્યકૃતિનું માધ્યમ ભાષા છે. એ ભાષા એને સમાજ પાસેથી મળેલી છે. આ ભાષાનું નિર્માણ સમાજમાં અને સમાજ દ્વારા થયેલું હોઈ તેને અનેક સામાજિક વળગણો છે. એ વળગણોમાંથી એને મુક્ત કરવાની લાખ કોશિશ છતાં સર્જક એમાં સર્વથા સફળ થતો નથી. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે રચનાપ્રવૃત્ત કોઈ પણ કલાકારને જે કંઈ વિચારવાનું-સંવેદવાનું, અનુભવવાનું આવે છે, તેમાં એણે ભાષાનો આશ્રય લેવાનો થાય છે !
વધારામાં, સાહિત્યકારને – ખાસ તો કથાલેખકને સામગ્રી પણ સમાજમાંથી, બલકે વ્યવહારજગતમાંથી લેવાની આવે છે. આથી એની રચના એક ‘નવલ’લોક ઊભું કરે છે, જે એના ઉપાદાનરૂપ વ્યવહારજગતનો – સમાજનો આભાસ આપે છે.
આ બે તત્ત્વો સાહિત્યકૃતિ પાસે વાચકના મનમાં સમાજલક્ષી અપેક્ષાઓ ઊભી કરે છે; જેવી કે એની સમાજ પ્રત્યેની જવાબદારી, એનું પથપ્રદર્શન, એને આપવાનો સંદેશ, સમીક્ષા, દોરવણી ઇત્યાદિ ઇત્યાદિ. આમાં વળી પાછી સગવડ એ છે કે સાહિત્ય વિશે બોલવા માટે, અન્ય કલાઓ વિશે વાત કરવા માટે પડે છે, એવી સજ્જતા કે અધિકારની જરૂર પડતી નથી. અને વાત શરૂ થઈ ગયા પછી એમાં ગમે તે માણસ જોડાઈ જઈ શકે છે !
આ પ્રકારની અપેક્ષાઓ સાહિત્ય અને સમાજનો સંબંધ ઉપરછલ્લી દૃષ્ટિએ જોવામાંથી જન્મે છે. ખરેખર જોવાનું તો એ રહે છે કે સાહિત્યકૃતિ આ સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરે છે અને એમાંથી શું નીપજે છે : કલા નીપજે છે કે કંઈ ઇતર ? એ ભૂલવાનું નથી કે સાહિત્યકૃતિ પાસે તમે કલાની અપેક્ષાએ જતા હો, સાહિત્યકૃતિને તમે કલાકૃતિ તરીકે સ્વીકારતા હો, તો એ સો ટચની જણસ છે, એકાવન ટકાથી એને ચાલતું નથા. આ જ કારણે સાહિત્યના પ્રદેશમાં સામાજિક અને અસામાજિક, સમાજકેન્દ્રી અને વ્યક્તિકેન્દ્રી, એવા ભેદ હોતા નથી. વિદ્યાર્થીઓ સમાજલક્ષી, મનોલક્ષી, એવા-એવા અભિગમોથી પોતાના અભ્યાસ માટે સાહિત્યકૃતિઓનો સાધન લેખે ઉપયોગ કરે એ અલગ વાત.
આ પરિપ્રેક્ષ્યમાં જોવાથી સચ્ચિદાનંદ સમ્માન ચંદ્રકાન્ત શેઠ, રતિલાલ બોરીસાગર અને લાભશંકર પુરોહિતને અપાય એ બાબતે કશી વિમાસણ થવી ન જોઈએ. માત્ર એમના સાહિત્યકાર્યમાં સમાજ, અને ખાસ તો મનુષ્ય કઈ રીતે સંદર્ભ પામે છે તે પરખવાનું રહે. પરિષદ જેવી સાહિત્યસંસ્થા કોઈ પણ પ્રવૃત્તિ માટેનું દાન કે કર્તવ્ય સ્વીકારે, ત્યારે એની દૃષ્ટિ સાહિત્યને કલાપદાર્થ તરીકે જોવા પર મંડાયેલી રહે એમાં જ ઔચિત્ય છે.
‘જીવનછાયા’ હૉસ્પિટલ રોડ, પંડિત દીનદયાલ ઉપાધ્યાયમાર્ગ, ભુજ
e.mail : mehta_dhirendra@yahoo.co.in
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2014, પાન 14 – 15