મરાઠીના અગ્રણી સંશોધક, વિવેચક, અને પત્રકાર ડો. અરુણ ટીકેકર ‘અક્ષરની આરાધના’ના નિયમિત વાચક છે. ગયે અઠવાડિયે પ્રગટ થયેલ ગ્રાન્ટ અને પીલની સૂચિ વિશેનું લખાણ વાંચીને તેમનો ફોન આવ્યો. કહે : આ સૂચિને પરિણામે ગુજરાતી, મરાઠી અને બીજી ‘દેશી’ ભાષાઓને જે એક મોટો ગેરફાયદો થયો એની વાત પણ કરવા જેવી. તેમને કહ્યું : હા, પણ દર અઠવાડિયે મર્યાદિત જગ્યામાં લખવાનું. તમારા મનમાં જે વાત છે તે આવતે અઠવાડિયે લખવાનો છું. તો આજે માંડીએ એ વાત.
આ બે અંગ્રેજોએ બનાવેલી સૂચિઓને કારણે આપણને મોટો ફાયદો એ થયો કે ૧૮૬૭ સુધીમાં પ્રગટ થયેલાં પુસ્તકો તો સચવાયાં હોય કે નયે સચવાયાં હોય, પણ તેમને વિશેની માહિતી તો સચવાઈ ગઈ. આજે ૧૯મી સદીના સાહિત્ય અંગે સંશોધન, સંપાદન, વિવેચન કરનારાઓને આ સૂચિઓ ઘણી ઉપયોગી થાય તેમ છે – એનો ઉપયોગ કોઈ ભાગ્યે જ કરે છે એ જૂદી વાત.
પણ હવે આ સૂચિને પ્રતાપે જે મોટો ગેરફાયદો થયો તેની વાત. ૧૯૫૭માં યુનિવર્સિટી ઓફ બોમ્બેની શરૂઆત થઈ ત્યારથી તેના અભ્યાસક્રમોમાં ગુજરાતી, મરાઠી, કન્નડ વગેરે ‘દેશી’ ભાષાઓના શિક્ષણને સ્થાન આપવામાં આવેલું. તે વખતે જે પુસ્તકો સુલભ હતાં તેમાંથી પસંદ કરેલાં પુસ્તકોને અભ્યાસક્રમમાં સ્થાન અપાતું. પરીક્ષાઓ લેવાતી, પ્રશ્નપત્રો નીકળતા (મોટે ભાગે ગુજરાતી જાણનારા અંગ્રેજો એ કાઢતા), અને તેથી આ ભાષાઓને મહત્ત્વ અને પ્રોત્સાહન મળતું. પણ ડાયરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન તરીકે જેમણે પહેલી સૂચિ બનાવેલી તે સર એલેક્ઝાન્ડર ગ્રાન્ટ પછીથી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બન્યા. અને તેમણે પોતાનો અભિપ્રાય જાહેર કર્યો : યુનિવર્સિટી કક્ષાએ ક્લાસમાં ભણાવી શકાય એવાં પુસ્તકો ‘દેશી’ ભાષાઓમાં હજી છે જ નહિ. હા, આ ભાષાઓ પાસે સંત સાહિત્ય છે, પણ એ ક્લાસમાં ભણાવવાની વસ્તુ નથી, ઘરે બેસીને વાંચવાની વસ્તુ છે. એમ તો આપણી (અંગ્રેજો)ની પાસે શેક્સપિયર છે, પણ એ કાંઈ ક્લાસમાં થોડો જ ભણાવાય? અને પછી આદેશ આપ્યો : ડિગ્રી લેવલે ‘દેશી’ ભાષાઓ ભણાવવાનું બંધ કરો. ડો. જોન વિલ્સન જેવા અંગ્રેજોએ વિરોધ કર્યો, કેટલાક દેશીઓએ વિરોધ કર્યો. પણ તેમની વાત યુનિવર્સિટીએ માની નહિ, અને ૧૮૬૭થી ‘દેશી’ ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ કર્યું. એ વખતે આ યુનિવર્સિટી માત્ર મુંબઈ શહેર પૂરતી જ મર્યાદિત નહોતી. આજના મહારાષ્ટ્ર અને ગુજરાતમાંની ઘણી બધી કોલેજો આ યુનિવર્સિટી સાથે સંકળાયેલી હતી. એટલે એ બધી કોલેજોમાં ‘દેશી’ ભાષાઓ ડિગ્રી લેવલે ભણાવવાનું બંધ થયું.
એ પછી છેક ૧૮૮૧માં આ ભાષાઓ ફરી દાખલ કરવા માટેની ચળવળ શરૂ થઈ. યુનિવર્સિટીની સેનેટમાં આ ભાષાઓ ભણાવવાનું ફરી ચાલુ કરવા અંગેની દરખાસ્તો રજૂ થઈ, પણ તે પસાર થઈ નહિ. મુંબઈ યુનિવર્સિટીના પહેલવહેલા ગ્રેજ્યુએટ મહાદેવ ગોવિંદ રાનડેએ ૧૮૯૪માં આ વાત પોતાના હાથમાં લીધી. વિદ્યાર્થી તરીકે તેઓ પોતે મરાઠી ભણ્યા હતા, આ જ યુનિવર્સિટીમાં. પણ કોઈ તંત્ર ફેરફાર કરવા માટે રાતોરાત તૈયાર ન થાય એ હકીકત તેઓ જાણતા હતા. એટલે તેમણે માગણી કરી કે સંસ્કૃત, અરબી, ફારસી જેવી ક્લાસિકલ ભાષાઓ તો ભણાવાય છે જ, તો તેમની સાથે સાથે ‘દેશી’ ભાષાનું પણ એક-એક પુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવું. પણ તેમની આટલી અમથી માગણી પણ સ્વીકારાઈ નહિ.
૧૮૯૮માં તેમણે આ માગણી ફરી રજૂ કરી. પણ રસ્તો જરા જૂદો લીધો. રોયલ એશિયાટિક સોસાયટીના જર્નલમાં અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં લેખો લખીને તેમણે મરાઠી ભાષાનું સાહિત્ય કેટલું સમૃદ્ધ છે તે બતાવ્યું. અને પછી ફરી દરખાસ્ત રજૂ કરી. હવે યુનિવર્સિટીએ આ અંગે ‘અભ્યાસ’ કરવા માટે ત્રણ સભ્યોની એક સમિતિ બનાવી જેના એક સભ્ય રાનડે પોતે હતા. એ સમિતિની ભલામણને આધારે છેવટે યુનિવર્સિટીએ ‘દેશી’ ભાષાઓ શીખવવાનું નક્કી કર્યું. પણ એ નિર્ણયના સમાચાર જાણવા માટે રાનડે પોતે હયાત નહોતા. કારણ એ અંગેનો ઠરાવ પસાર થયો તે પહેલાં જ ૧૯૦૧ના જાન્યુઆરીની ૧૬મી તારીખે તેમનું અવસાન થયું હતું.
ગુજરાતી, મરાઠી વગેરેને માનભર્યું સ્થાન અપાવવાની આ ચળવળમાં એક ગુજરાતીએ રાનડેને સાથ આપ્યો હતો. એ હતા સર ચીમનલાલ સેતલવાડ.
(વધુ હવે પછી)
સૌજન્ય : ‘ફ્લેશબેક’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2014