એક જમાનામાં આપણે ત્યાં લેખકો અને વિવેચકોમાં નીતિ અને કલાના સંબંધ વિષે જોરશોરથી ચર્ચા ચાલતી હતી. ‘નીતિ એ તો કલાની વિષકન્યા છે’ એવા કનૈયાલાલ મુનશીના વિધાનથી ચોખલિયા લેખકો અને વિવેચકો ચોંકી ઊઠ્યા હતા. મુનશીના વિધાનની વિરુદ્ધમાં અને તરફેણમાં ઘણું લખાયું અને બોલાયું હતું. પણ થોડાં વર્ષો પછી વાત વિસરાઈ ગઈ. છેલ્લા થોડાક દાયકાથી આપણે ત્યાં એક બીજી ચર્ચા વખતોવખત થતી રહે છે : જે કોઈ સાહિત્યકૃતિ, સાહિત્યપ્રકાર, કે સાહિત્યકાર લોકપ્રિય હોય તેમાં સાહિત્યિક ગુણવત્તા ઓછી હોય કે ન જ હોય એમ કેટલાક ગાઈબજાવીને કહે છે – ખરેખર માને છે કે કેમ એ જુદો સવાલ છે. કેટલાક તો વળી ‘લોકપ્રિય’ શબ્દનો ઉપયોગ લગભગ સાહિત્યિક ગાળની જેમ કરે છે. વીસમી સદીના પાછલા ભાગમાં આપણા સાહિત્યમાં આધુનિકતાનો વાયરો વાયો ત્યારે મુનશી, રમણલાલ, મેઘાણી, ધૂમકેતુ, ચુનીલાલ મડિયા જેવા કેટલા ય લેખકોને ‘લોકપ્રિય’ કહીને લેખકની પંગતમાંથી ઉઠાડી મૂકવાનો પ્રયત્ન થયો હતો. એવો પ્રયત્ન કરનારા થોડાં વર્ષોમાં ઊઠી ગયા પણ એ લેખકોને ઊની આંચ ન આવી. લોકોમાં વંચાતા રહ્યા, આજ સુધી.
લોકપ્રિયતાનો વિરોધ કરવા પાછળ કદાચ આપણું સામંતશાહી માનસ કામ કરી રહ્યું હોય. જે રાજાને ગમે તે રાણી, જેને રાજા વખાણે તે ઉત્તમ, જે શેઠનું તે સારું. બાપડાં લોકડિયાંનુ તે તેમની સામે શું ગજું? જે એમને ગમે તે તો પાણી, જેને લોક વખાણે તે તો અધમ, જે લોકનું તે તો નઠારું. કારણ લોકોને સાહિત્યની, કલાની વાતોમાં શી ગમ પડે? એમને તો મનોરંજન મળે એટલે હાંઉ! એમને નહીં ધોરણોનો આગ્રહ, નહીં કલાનાં મૂલ્યોની પરખ. અને હા, લોકોને જે ઝટ સમજાઈ જાય, ગમી જાય, તે તો સાહિત્ય હોય જ નહિ. સાહિત્યના પાંચ-પંદર જાણતલ જોશીને કે પારખુ પારેખને જ સમજાય, બીજાને તો ગતાગમ પણ ના પડે, એ સાહિત્યકૃતિ ઉત્તમ, અને જે કોઈને જ ન સમજાય તે તો વળી ઉત્તમોત્તમ! છેલ્લા થોડા વખતથી આ વિરોધે એક નવું નિશાન તાક્યું છે : અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો. કહેવાય છે કે એ બધા લખે છે તો કચરા જેવું, પણ માર્કેટિંગને જોરે તેમની લાખો નકલ વેચાય છે અને તેઓ કરોડો રૂપિયા કમાય છે. પણ નથી એ લેખકો કહેતા, નથી એમને વેચવાવાળા કે વાંચવાવાળા કહેતા કે અલાણો ફલાણો ભગત તો ટોલ્સટોય કે હેમિંગ્વે છે. કોઈના પુસ્તકની જાહેર ખબર માટે એનો પ્રકાશક કરોડ રૂપિયા ખર્ચે તો તેમાં બીજા કોઈના પેટમાં શા માટે તેલ રેડાવું જોઈએ? પ્રકાશકને માટે તો પુસ્તક એક પ્રોડક્ટ છે. એનું પ્રમોશન કરવું એ તો એનું કામ છે. આપણી ભાષાના પ્રકાશકો બધો મદાર સરકારના આશ્રય પર જ રાખે અને તેથી લોકોનો આશ્રય મેળવવા પુસ્તકોની જાહેરાત ન કરે, એટલે બીજા બધાએ પણ એમ કરવું એવું કોણે કહ્યું? પાંચ સો નકલ વેચીને બેસી રહેવાનું અંગ્રેજીના પ્રકાશકોને ન પોસાય.
લોકપ્રિયતાની આવી સૂગ આપણે ત્યાં પ્રમાણમાં નવી છે. જયારે મુદ્રણનું સાધન નહોતું ત્યારે પણ નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના અનેક કવિઓ લોકજીભે રમતા રહ્યા અને તેથી જીવતા રહ્યા. સાહિત્યનાં વિવેચન, ચર્ચા, વિવાદમાં જેમનાં નામ સતત આવતાં રહે છે તે નર્મદ કે દલપતરામ, ગોવર્ધનરામ કે મુનશી, મેઘાણી કે રમણલાલ, એમના જમાનાના લોકપ્રિય લેખકો તો હતા જ, પણ સાથોસાથ વિવેચકપ્રિય લેખકો પણ હતા. એમની ટીકા કરનારા ત્યારે પણ હતા, આજે પણ છે, પણ આ લેખકોને લોકો વાંચે છે માટે એમનામાં દમ નથી એમ કોઈ એ વખતે કહેતું નહીં.
આજે તો કોઈ લેખક લોકપ્રિય બની જાય એટલે એ ગુનેગાર બની જાય એમ કેટલાક માને છે. જો કે તેમનો મુખ્ય વિરોધ કદાચ બીજાને મળતી લોકપ્રિયતા સામે હોય છે. છાપામાં કોલમ લખવી, પુસ્તકોનાં વિમોચન સમારંભ કરવા-કરાવવા, મિત્રોને વખાણવા અન્યોને વખોડવા, સંસ્થાઓમાં મોટાભા થઈને મહાલવું અને બીજાને કોઈ કામ કરવા ન દેવું, લોકપ્રિયતા મેળવવાના આવા નુસખા તેઓ પણ અપનાવતા હોય છે. પણ તેમનું માનવું હોય છે કે પોતે કરે તે તો લીલા, બીજા કરે તે છિનાળું! ખરેખર તો તેમનો વિરોધ લોકપ્રિયતા સામે નથી હોતો, પણ પોતાના કરતાં બીજા વધુ લોકપ્રિયતા ખાટી જાય તેની સામે હોય છે. એમને દુખતું હોય છે પેટમાં, પણ તેઓ કૂટે છે માથું, અને તે ય પોતાનું નહિ, પારકાનું, લોકોનું!
સૌજન્ય : ‘ડાયરી’, દીપક મહેતા સંપાદિત ‘અક્ષરની આરાધના’, “ગુજરાતમિત્ર”, 22 સપ્ટેમ્બર 2014