મર્યાદિત ભૌતિક સુવિધા સાથે તૃપ્તિ શાહે કામને જ જીવન ગણવાનો જુસ્સો છેલ્લી ક્ષણો સુધી જાળવી રાખ્યો હતો.
વડોદરામાં 7મી મેના રોજ એક કાર્યક્રમ યોજાયો, જ્યાં શોષણ અને અસમાનતા પોષતી વ્યવસ્થાના આયામોને પડકારવાની વાત હતી. કાર્યક્રમમાં એક તરફ 70-80 વર્ષના સિનિયર સિટીઝન્સ પોતાના અનુભવો કહેતાં હતાં તો સાથે માંડ વીસીમાં પ્રવેશેલાં દુનિયા બદલવાની ખુમારીથી તરવરતાં યુવાનો પણ હતાં. દરેક પ્રકારના બંધનને નકારતી દિલ્લી શહેરની વિદ્યાર્થિનીઓ હતી અને તો સાથે મીઠી વીરડી જેવા છેવાડાના વિસ્તારમાં રહેતી, ઘરના ઉંબરાની બહાર માંડ નીકળતી બહેનો પણ હતી. સૌના મનમાં વકરતાં શોષણ અને હિંસા અંગે ચિંતા હતી, આંખોમાં ભેદભાવમુક્ત સમાજના સપનાં હતાં અને હૈયામાં તૃપ્તિ શાહની યાદો હતી. પ્રસંગ હતો ડૉ. તૃપ્તિ શાહ સ્મૃિત વ્યાખ્યાન શ્રેણીના પહેલાં મણકાનો. 2016ની 26મી મેના રોજ તૃપ્તિએ ફેફસાનાં કેન્સર સામે લડત આપીને 54 વર્ષની વયે વિદાય લીધી, એ વાતને એક વર્ષ થયું હતું.
તૃપ્તિ આમ તો બીજી પેઢીની સામાજિક કાર્યકર ગણાય. તેના પિતા ઠાકોરભઈ શાહ અને માતા સૂર્યકાન્તાબહેન બંને સામાજિક કાર્યકર હતાં. અર્થશાસ્ત્રમાં ગોલ્ડમેડલ અને પીએચ.ડી.ની ઉપાધિ પછી ઊંચા વળતરનો મોહ રાખ્યા વગર તૃપ્તિએ અને એના પતિ રોહિત પ્રજાપતિ(જે એક એન્જિનિયર છે)એ માનવ અધિકાર માટેના સંઘર્ષમાં જ જીવનનો મકસદ જોયો. મર્યાદિત ભૌતિક સુવિધા સાથે, અગવડની કોઈ ફરિયાદ વગર, કામને જ જીવન ગણવાનો જુસ્સો તૃપ્તિએ છેલ્લી ક્ષણો સુધી જાળવી રાખ્યો.
1984માં એમ.એસ. યુનિવર્સિટીની એની સહાધ્યાયી સહેલીઓ એ સાથે મળી ‘સહિયર’ સ્ત્રી સંગઠનની શરૂઆત કરી, જેનો મુખ્ય હેતુ સ્ત્રીઓને નડતી અસમાન પરિસ્થિતિ સામે સંઘર્ષ કરવાનો અને એ અંગે જનજાગૃતિ ફેલાવાનો હતો. તૃપ્તિ અને ‘સહિયર’ની નિસ્બતનો વ્યાપ સ્ત્રી-પુરુષ સમાનતા સુધી સીમિત ન હતો. એણે પર્યાવરણ, વૈશ્વિકીકરણની આર્થિક વ્યવસ્થામાંથી જન્મતી શોષણ યુક્તવ્યવસ્થા, માનવ અધિકાર, નાગરિક અધિકાર, કોમવાદ તેમ જ અન્યાય થતો હોય તેવાં સર્વે મુદ્દાઓને પોતાના કાર્યક્ષેત્રમાં સાંકળી લીધા. નારીવાદ એટલે માત્ર સ્ત્રી અને પુરુષની સમાનતા જ નહિ, પણ નાત, જાત, ધર્મ, વર્ણ, ભાષા, પ્રાંત બધાંથી ઉપર ઊઠીને દરેક માણસ વચ્ચેની સમાનતા. સ્ત્રી-પુરુષ સમાનતા હાંસલ કરવા માટે બાકીના પ્રશ્નોને પણ સંબોધવા જ રહ્યા. કારણ કે અસમાનતા કુદરતી નથી, પરંતુ માનવસર્જિત છે. માટે, તેને દૂર કરવાનું કામ પણ સ્ત્રી અને પુરુષ બંનેનું. 33 વર્ષથી ‘સહિયર’નું કામ એ જ દિશામાં ચાલી રહ્યું છે અને વિસ્તર્યું છે.
તૃપ્તિનાં કામનો બહોળો વ્યાપ જોતાં સ્મૃિતવ્યાખ્યાનમાં પણ અનેક પ્રશ્નોના બહુવિધ પરિમાણોને સાંકળી લેવાનો પ્રયાસ હતો. જે પ્રશ્નો અંગે એ અંતિમ દિવસો સુધી ચિંતા કરતી હતી એ સૌને સાંકળવા ચાર પ્રશ્નોથી સભાનું માળખું બંધાયું. એક દેશ અને દુનિયામાં વધી રહેલા ફાસીવાદના પડકારને કઈ રીતે ઝીલીશું? બે, દિનબદિન વકરતા જતા આજીવિકાના પ્રશ્નોને કઈ રીતે પહોંચી વળીશું? ખાસ કરીને જ્યારે કુદરતી સંસાધનો પર સ્થાનિક લોકો પોતાનો કાબૂ ગુમાવી રહ્યાં છે તેવા સમયમાં આ પડકારનો સામનો કઈ રીતે કરીશું? ત્રણ, માનવ અધિકાર માટે ચાલી રહેલી વિવિધ ઝુંબેશોને એકબીજા સાથે કઈ રીતે સાંકળીશું? અને ચાર, આંદોલનોને એના તાર્કિક અંત સુધી પહોંચે તેટલાં ટકાઉ કઈ રીતે બનાવીશું?
કાર્યક્રમના પ્રથમ સત્રમાં નારીવાદી ચળવળના ત્રણ વિભિન્ન પાસાંની રજૂઆત ખૂબ રસપ્રદ રીતે ત્રણ અલગ પેઢીની બહેનો દ્વારા થઈ. સિત્તેર અને એંશીના દાયકામાં દક્ષિણ ગુજરાતનાં જમીનદાર કુટુંબોની, અલગ અલગ વિચારધારા ધરાવતી બહેનોએ પોતાના વજુદની શોધમાં ભેગા થઈ વલસાડમાં ‘અસ્તિત્વ’ નામક સંગઠન શરૂ કર્યું. એના સંઘર્ષની વાતો પીઢ નારીવાદી બકુલાબહેન ઘાસવાલાએ કરી. દિલ્લીથી આવેલી વિદ્યાર્થિનીઓ અવંતિકા, સૌમ્યા અને અનુભાએ છેલ્લાં બે વર્ષથી શરૂ થયેલી ‘પીંજરા તોડ’ નામની ચળવળની વાત કરી. સલામતી દરેક વિદ્યાર્થીનીનો મૂળભૂત હક છે જેની રાજ્યે તેમ જ યુનિવર્સિટીએ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. તેના બદલે સલામતીના નામે વિદ્યાર્થિનીઓ પર ભેદભાવયુક્ત નિયમો લાદવામાં આવે છે. દા.ત. સાત વાગ્યા પછી બહાર જવા પર પ્રતિબંધ. વળી, હોસ્ટેલની અપૂરતી સગવડને કારણે ઘણી છોકરીઓ પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, જ્યાં વધુ સલામત સ્થળ માટે વધુ પૈસા ચૂકવવા પડે છે. આ આખી વ્યવસ્થા છોકરીઓને શારીરિક અને માનસિક રીતે પીંજરામાં બાંધે છે. તેને તોડીને બહાર આવવાની વાત જુવાન વિદ્યાર્થિનીઓએ કરી.
મુંબઈના બેબાક ક્લેકટીવમાંથી આવેલાં હસીના ખાને કહ્યું કે મુસ્લિમ સ્ત્રીઓના પ્રશ્નો સ્ત્રી તરીકે અલગ નથી, પણ મુસ્લિમ પ્રત્યેની બીબાંઢાળ સમજને કારણે પ્રશ્નોનું સ્વરૂપ બદલાઈ જાય છે. વળી, હિંદુ કટ્ટરવાદીઓ જોરશોરથી મુસલમાન સ્ત્રીઓના હકની વાત કરે છે ત્યારે મુસ્લિમ કટ્ટરવાદી તત્ત્વો તરફથી ઇસ્લામ બચાવવાનાં નામે વધુ જોર થાય છે. સરવાલે સલામતીનાં નામે સ્ત્રીને વધારે પડદા પાછળ લઈ જવાય છે. મુસ્લિમ સમાજમાં પણ એવો વર્ગ છે જે ધર્મના દાયરાની બહાર સ્ત્રીઓના પ્રશ્નોના હલ શોધે છે. તેમણે બેવડો સંઘર્ષ કરવો પડે છે.
તૃપ્તિ પર્યાવરણના મુદ્દે પણ ખૂબ સંવેદનશીલ હતી. કારણ કે પર્યાવરણના પ્રશ્નો આર્થિક વ્યવસ્થા સાથે સીધા જોડાયેલા છે અને તે સ્ત્રીની સમસ્યાને વધુ જટિલ બનાવે છે. એટલે સ્મૃિત વ્યાખ્યાનના બીજા સત્રમાં પર્યાવરણ અંગે સરકારી નીતિ, લોક આંદોલન અને કાયદાકીય માળખા અંગે વાતો થઈ. પૂનાના મંથન અધ્યયન કેન્દ્રના કર્મશીલ અને સંશોધક શ્રીપાદ ધર્માધિકારીએ પાણીની નીતિ અંગે વેધક સવાલ ઉઠાવ્યો કે પાણીને એક ચીજ ગણીને એ અંગે નીતિ તૈયાર થતી હોવાથી એનું વ્યાપારીકરણ થાય છે. પાણીની વહેંચણીની વ્યવસ્થા શ્રીમંત ખેડૂતો, ઉદ્યોગો અને શહેરીજનો માટે ગોઠવાય છે. મહારાષ્ટ્રના સંશોધક સીમા કેતકરે જેતાપુર ન્યુક્લીઅર પ્લાન્ટ સામેના સંઘર્ષમાં સ્ત્રીઓની ભાગીદારી અંગે વાત કરતાં કહ્યું કે જેતાપુરની સ્થાનિક બહેનો સંઘર્ષમાં જોડાઈ. કારણ કે ન્યુક્લીઅર પ્લાન્ટના આવવાથી તેમની જીવાદોરી સમા સમુદ્રના પ્રદૂષણથી તેમની ઓળખ અને જીવન જોખમાયા છે.
કર્મશીલ વકીલ લારા જેસાણીએ છેલ્લા બે દાયકામાં પર્યાવરણ અંગેના કાયદામાં આવેલા બદલાવ અને કઈ રીતે કાયદા પણ ઉદ્યોગોની તરફેણમાં પર્યાવરણના પ્રશ્નો અંગે ઢીલાશ છોડી રહ્યા છે તે અંગે ધ્યાન દોર્યું. ત્યાં મોજુદ ઘણાં બધાં લોકોને ઘણી બધી વાતો કરવી હતી, જે માટે સમયે પરવાનગી ના આપી. છતાં સૌને એ વાતે સંતોષ હતો કે શોષણ મુક્ત સમાજ તરફનો રસ્તો ખૂબ લાંબો અને કાંટાળો છે, પણ તૃપ્તિની યાદમાં સૌ કોઈ એક સ્થળે ભેગા થઈ એક સપને જોડાઈ શક્યાં.
સૌજન્ય : ‘મથામણનું સ્મરણ’, “દિવ્ય ભાસ્કર”, 02 જૂન 2017