૧૯મી તારીખે દેશભરમાં નાગરિક નોંધણી અને નાગરિક સુધારા ધારા સામે પ્રદર્શનો થયાં હતાં. વિરોધ પ્રદર્શનો ધારવામાં આવતાં હતાં એ કરતાં પણ વધારે વ્યાપક હતાં. ઈન્ટરનેટને બંધ કરી દેવાની, ૧૪૪ની કલમ લાગુ કરવાની, સોશ્યલ મીડિયા પર ડરાવવાની કોઈ અસર નહોતી થઈ અને લોકો વિરોધ કરવા બહાર આવ્યા હતા. મેં મુંબઈમાં ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં થયેલા દેખાવો જોયા હતા. આયોજકોની અપેક્ષા દસેક હજાર લોકો આવશે એવી હતી. વાસ્તવમાં લોકો ત્રીસેક હજાર કરતાં વધુ હતા. મેદાન ભરાઈ ગયું હતું અને અંદર જવાની જગ્યા નહોતી એટલે લોકો છેક નાનાચોક સુધી ઊભા હતા.
સૌથી મહત્ત્વની વાત એ હતી કે દેખાવો કરવા ઉપસ્થિત રહેલા લોકોમાં અરધો અરધ વિદ્યાર્થીઓ તેમ જ યુવાનો હતા અને મોટી સંખ્યામાં યુવતીઓ હતી. દેખાવો શાંતિપૂર્વકના હતા. બીજી મહત્ત્વની વાત એ જોવા મળી કે મુસ્લિમ દેખાવકારોએ મુસ્લિમ તરીકે દેખાવો નહોતા કર્યા. દેખાવોમાં પચાસ ટકા મુસલમાનો હોવા છતાં એ સેક્યુલર ભારતીય નાગરિકોનો દેખાવ હતો. હજુ એક વાત નોંધવી જોઈએ કે ભારતભરમાં દરેક જગ્યાએ દેખાવોનું સ્વરૂપ આવું જ હતું. મુસ્લિમ બહુમતીવાળા શહેરોમાં પણ દેખાવોનું સ્વરૂપ સેક્યુલર નાગરિક સમાજના દેખાવો જેવું હતું. આ અત્યંત રાહત આપનારી વાત છે.
તેઓ સેક્યુલર-લિબરલ-ડેમોક્રેટિક-ઇન્ડિયા જેને ‘આઈડિયા ઓફ ઇન્ડિયા’ તરીકે ઓળખાવવામાં આવે છે તેને બચાવવા બહાર પડ્યા હતા. આઝાદી પછી ભારતમાં આવું પહેલીવાર બની રહ્યું છે. કૉન્ગ્રેસના યુગમાં લોકશાહી બચાવવા માટે અનેક આંદોલનો થયાં હતા, પરંતુ એકંદરે આઈડિયા ઓફ ઇન્ડિયાને બચાવવા માટે આટલું વ્યાપક આંદોલન દેશભરમાં પહેલીવાર થઈ રહ્યું છે.
બીજા તો ઠીક, ભક્તો પણ સવાલ કરતા થઈ ગયા છે કે સરકાર આ રીતનાં પગલાં આટલી ઝડપથી કેમ લઈ રહી છે? ૧૩૦ દિવસ પછી કાશ્મીરમાં સ્થિતિ થાળે પડી નથી. ચીન ડોકલામમાં ભારતની ડોક (ચીકન નેક) પર બેઠું છે. આર્થિક સંકટ અભૂતપૂર્વ છે. બળાત્કાર અને બીજી ઘટનાઓને લઈને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. દેશમાં સ્થિતિ આટલી નાજુક છે ત્યારે શું તેમના લાડલા શાસકો હારાકીરી કરી રહ્યા છે કે પછી કોઈ એજન્ડા છે? આટલું વિચારવા જેટલી બુદ્ધિ તો ભગવાને તેમને પણ આપી છે. તેમને સૌથી મોટી મૂંઝવણ એ વાતની છે કે બંગલાદેશી મુસલમાનોનું નાગરિકત્વ નકારવાથી જેમને સૌથી વધુ ફાયદો થવો જોઈએ એ બંગલાદેશની સરહદે આવેલાં ઈશાન ભારતનાં રાજ્યોનાં ગેર મુસલમાનો અને પશ્ચિમ બંગાળના હિંદુઓ સરકારના નાગરિક નોંધણી અને નાગરિકત્વ નકારવાના પગલાંનો વિરોધ કેમ કરી રહ્યા છે? નાગરિક કાયદાથી તેઓ રાજી થશે અને પૂર્વ ભારતમાં પ્રવેશવા મળશે એમ જ્યાં માનવામાં આવતું હતું તેની જગ્યાએ ત્યાં જ વિરોધ સૌથી તીવ્ર છે. આવું કેમ બન્યું?
ઓડીશામાં મુસલમાનોની સંખ્યા બહુ ઓછી (માત્ર ૨.૨%) છે. એને કારણે ઓડીશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે અને તેમના પક્ષે સંસદમાં નાગરિક ધારા સુધારા ખરડાને ટેકો આપ્યો હતો. તેમને એમ હતું કે હિંદુઓ નારાજ નહીં થાય અને મુસલમાનોની ખાસ સંખ્યા નથી એટલે તેમની લાગણીની ચિંતા કરવાની જરૂર નથી. હવે ઓડીશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે સૂર બદલ્યો છે, કારણ કે ઓડીશાના હિંદુઓ આ પગલાંનો વિરોધ કરી રહ્યા છે અને વિરોધ પ્રચંડ છે. ભારતમાં કાશ્મીરને છોડીને એક પણ મુસ્લિમ બહુમતી રાજ્ય નથી અને છતાં નવ ગેર બી.જે.પી. શાસિત રાજ્યોએ નાગરિક નોંધણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. દરેક રાજ્યોમાં હિંદુઓની બહુમતી હોવા છતાં. આમ કેમ બની રહ્યું છે? કહેવાતા હિંદુહિતના કાયદાનો હિંદુઓ જ કેમ વિરોધ કરી રહ્યા છે?
આનું કારણ એ છે કે હિન્દુત્વવાદી શાસકોને અને તેના હિંદુ ભક્તોને વાસ્તવિક ભારતનું કોઈ જ્ઞાન જ નથી અને તેઓ તેમની કલ્પનાના ભારતને વાસ્તવિક ભારત સમજે છે. તેમણે તેમની કલ્પનાના ભારતને વાસ્તવિક માનવા માટે કાલ્પનિક ઇતિહાસ રચ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં આ કાલ્પનિક ભારતની કાલ્પનિક ઇતિહાસ દ્વારા કલ્પના રાખવામાં આવે છે. તેમનું ભારત મનોમન રચાયેલું (કન્સ્ટ્રક્ટેડ) છે, જમીન પરનું વાસ્તવિક નથી. વાસ્તવિક ભારત જુદું છે. ઔર તો ઔર વાસ્તવિક હિંદુ જુદો છે. વાસ્તવિક હિંદુ અનેક અસ્મિતાઓ સાથે જીવે છે અને એ દરેક અસ્મિતાઓ વારાફરતી જરૂરિયાત મુજબ પ્રબળ બનતી રહે છે. સરેરાશ હિંદુને ઝઘડતા અને સાથે જીવતા, આંચકી લેતા અને છોડતા, દયાહીન બનતા અને દયાળુ બનતા આવડે છે. એક સાથે આટલાં રંગ અને આટલું સંતુલન જગતની કોઈ પ્રજા ધરાવતી નથી. હિન્દુત્વવાદીઓ તેમને એક હિંદુ રંગમાં અને ઝઘડવાની તેમ જ આંચકી લેવાની એક જ અવસ્થામાં જીવતા શીખવાડે છે અને જીવે એમ ઈચ્છે છે.
સરેરાશ હિંદુને જાણ છે કે જો તેને એક જ રંગમાં અને એક જ અવસ્થામાં ઢાળવામાં આવે તો મુસલમાનનું તો થવાનું હોય તે થાય પણ હિંદુને પહેલાં નુકસાન થવાનું છે. ખાસ કરીને જે હિંદુ ભૌગોલિક અને સામાજિક રીતે હાંસિયામાં જીવે છે તેને વધુ નુકસાન થવાનું છે. આને કારણે ઈશાન ભારતમાં સૌથી તીવ્ર વિરોધ થઈ રહ્યો છે. તેમના કાલ્પનિક હિંદુ ભારતમાં ક્યા હિંદુનો સમાવેશ થાય છે અને ક્યા હિંદુનો નહીં એ ક્યાં તેમણે સ્પષ્ટ કર્યું છે? અને વિનાયક દામોદર સાવરકરની વ્યાખ્યા મુજબ હિંદુ કોણની સ્પષ્ટતા કરવામાં આવે તો પણ ઊંચ-નીચની નિસરણી જેવા સમાજમાં ભરોસો કેમ કરી શકાય? બીજું, ભારતમાં દરેક વર્ગવિશેષ લઘુમતીમાં છે. દરેકે દરેક. કોઈ બહુમતી ધરાવતું જ નથી. હિંદુ પણ નહીં. આને કારણે હિંદુને એક હદથી વધારે હિંદુ બહુમતીનો બોધ કરાવવામાં આવે તો તે પોતાની નાત-જાત, સંપ્રદાય, ભાષા-પ્રદેશની લઘુમતીની ઓળખ ગુમાવી દેવાનો ડર અનુભવવા લાગે છે. સરેરાશ હિંદુને તેની લઘુમતી ઓળખમાં જેટલી સુરક્ષા મળે છે એટલી બહુમતી હિંદુ હોવાપણામાં નથી મળતી.
તો વાસ્તવિક ભારત વિશેનું આજના શાસકોનું અજ્ઞાન અને કાલ્પનિક હિંદુ ભારત માટેની મુગ્ધતા એ એક ખુલાસો થયો. પણ એને માટે આટલી ઝડપ? દેશમાં લગભગ અરાજકતાની સ્થિતિ પેદા થઈ છે. આવી સ્થિતિ શા માટે પેદા કરી?
આનો એક ખુલાસો તુમાખી હોઈ શકે છે. અમારું રાજ છે, અમારી પાસે બહુમતી છે એટલે અમે અમારો એજન્ડા લાગુ કરીશું, જાવ થાય એ કરી લો. આ સિવાય ગોદી મીડિયા, સોશ્યલ મીડિયા, ટ્રોલ્સ, અનુકૂળ ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ, મબલખ રૂપિયા જેવી અન્ય અનુકૂળતાઓ પણ પેદા કરી છે એટલે વિચારવા માટે થોભવાની જરૂર જ શું છે?
બીજો ખુલાસો આર્થિક સંકટ હોઈ શકે છે. આર્થિક સંકટથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે હિંદુ-મુસ્લિમ તેમ જ સેક્યુલર અને હિંદુરાષ્ટ્ર વચ્ચે ધ્રુવીકરણ કરવાનો ઈરાદો હોય. બીજા વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીની આર્થિક સ્થિતિ આજના ભારત જેવી જ ખરાબ હતી અને તેનાથી બચવા હિટલરે કોમી ધ્રુવીકરણનો જ માર્ગ અપનાવ્યો હતો.
અને ત્રીજો ખુલાસો પણ આર્થિક સંકટ જ છે, પણ જુદા અર્થમાં. શાસક પક્ષ આર્થિક સંકટનો ભોગ બને અને સત્તા ગુમાવે એ પહેલાં હિંદુ એજન્ડા લાગુ કરી લેવો જોઈએ. કાલ કોણે ભાળી છે. શું ખબર આવી અનુકૂળતા પાછી ક્યારે આવશે.
તમને શું લાગે છે?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 22 ડિસેમ્બર 2019