
નેહા શાહ
વોટ્સેપ પર ‘અમૃત આહાર મહોત્સવ’નું પોસ્ટર જોયું જે ૧૧થી ૧૩ જાન્યુઆરીના રોજ ભાવનગર ખાતે યોજાવાનું છે. પહેલા લાગ્યું કે ઓર્ગેનિક ફૂડના નામે ઘણું બધું થઇ રહ્યુ છે એવું જ કાંઇક હશે. પણ એવું નથી. આ ફૂડ ફેસ્ટીવલ જરા નોખો છે. એના આયોજકો ખેડૂતો પોતે છે. “મારી વાડી-ખેતરને મારે ઝેર નથી આપવું, તેમ જ મારા ખેતરમાં ઉગેલાં શાક અને ધાનથી પેટ ભરતા માણસોને પણ મારે ઝેર નથી આપવું” – આ તેમનો સ્પષ્ટ ઉદ્દેશ્ય છે. તેમણે તેમનાં કામનો વ્યાપ માત્ર પ્રાકૃતિક ખેતી પૂરતો માર્યાદિત નથી રાખ્યો પણ એની આજુબાજુ એક સિસ્ટમ ઊભી કરી નાગરિકી નિસ્બતનું સુંદર ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ જૂથનો ઇતિહાસ ખૂબ રસપ્રદ છે. વાત શરૂ થઇ હતી ૨૦૦૮માં, જ્યારે યુ.એસ. –ભારત વચ્ચે થયેલા અણુ કરાર અંતર્ગત ૬,૦૦૦ મેગાવોટ્સનું એક અણુ વીજમથક બનાવવા માટે ભાવનગર જિલ્લાના મીઠીવીરડી અને આજુબાજુના ગામોની પસંદગી થઇ હતી. વર્ષમાં ત્રણ પાક લઇ શકાય અને લીલીછમ વાડીઓથી શોભતી ફળદ્રુપ જમીન પર અણુ મથક આવે તો સ્વાભાવિક રીતે એ ઉજ્જડ બને. એટલે જમીન બચાવવાના નિસ્બતથી લોક આંદોલનના પાયા નખાયાં. પર્યાવરણ સુરક્ષા સમિતિ નામક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી મીઠીવીરડી અને જસપરા ગામના લોકોએ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં આ યોજના વિરુદ્ધ અરજી દાખલ કરી. દસ વર્ષના લોક સંઘર્ષનો ૨૦૧૭માં અંત આવ્યો જ્યારે સરકારે સૂચિત અણુ ઉર્જા યોજના પડતી મુકવાનું જાહેર કર્યું.
લોક આંદોલનની જીત થઇ, અણુ યોજના ગઈ અને ખેતરો બચી ગયાં. પણ, પછી શું? જમીનને ઝેરી બનાવવા માટે માત્ર અણુ મથક એકલું તો જવાબદાર નથી. રસાયણનાં બેફામ ઉપયોગને કારણે પણ જમીનમાં ઝેર ફેલાઈ રહ્યું છે, જે જમીનની સાથે માણસ અને સમગ્ર જીવ સૃષ્ટિને વિનાશ ભણી દોરી રહ્યું છે. પાછલા ચાર દાયકાથી પર્યાવરણીય કટોકટી ઊભી થઈ છે એ આપણે જોઈ જ રહ્યા છીએ. અણુમથક વિરોધી લોક આંદોલનને કારણે આ સભાનતા લોકોમાં આવી, ધીમે ધીમે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું શરૂ કર્યું. શરૂઆતમાં રસાયણથી ટેવાયેલી જમીન ઓછી ઊપજ આપતી અને બજારમાં ભાવ પણ ઓછો મળતો કારણ કે લોકોને વિશ્વાસ બેસતો ન હતો. પણ ધીમે ધીમે બજાર વિસ્તરતું ગયું અને યોગ્ય ભાવ પણ મળવા લાગ્યો. મીઠીવીરડી અને એની આજુબાજુનાં ગામોમાં પ્રાકૃતિક ખેતીનો વિચાર ધીમે પણ મક્કમ રીતે ફેલાઈ રહ્યો છે. ૨૦૧૫માં માત્ર બે ગામના પાંચ ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી શરૂ કરી હતી. આજે બાર ગામના સિત્તેરથી વધુ ખેડૂતો આ દિશામાં વળ્યા છે. શરૂઆતમાં ભાવનગરના ફૂટપાથ પર બેસીને મહીને પચ્ચીસેક કિલો શાકભાજી વેચતાં ખેડૂતો આજે મહિનાનું સરેરાશ ૭૦૦થી ૧૨૦૦ કિલો શાક ભાવનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર સુધી વેચે છે. મોટા ભાગનું વેચાણ કોઈ વચેટિયા વિના ગ્રાહકને સીધું વેચાય છે. ખેડૂતને બજાર ભાવ સીધો મળે છે એટલે પ્રાકૃતિક ખેતી કરવું તેમને પોસાય છે. ઉત્તરોત્તર તેમના જીવન ધોરણમાં સુધારો થતો દેખાય છે એટલે પ્રાકૃતિક ખેતી માત્ર મોટા ખેડૂતોનો ઈજારો નથી એ વાતનો સ્વીકાર આ વિસ્તારના લોકોમાં આવ્યો છે.
‘‘પ્રાકૃતિક ખેતી જૂથ(મીઠીવીરડી વિસ્તાર)”ના ખેડૂતોનું કામ માત્ર શાકભાજી ઉગાડી અને વેચવા પૂરતું મર્યાદિત નથી. તેઓ ઝેર મુકત આહાર, પ્રદૂષણ મુક્ત હવા/પાણી મેળવવાનો જન્મસિદ્ધ અધિકાર પરત મેળવવા માટે જન જાગૃતિનું કામ કરે છે. જેના ભાગ રૂપે સાત વર્ષથી ‘અમૃત આહાર મહોત્સવ’નું આયોજન થાય છે. સૌને સાત્ત્વિક ફૂડ ઉપલબ્ધ થાય એવા પ્રયાસોના ભાગરૂપે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે જરૂરી નિદર્શન અને તાલીમ આપવાનું તેમ જ લોકોમાં પણ આ બાબતે જાગૃતિ આવે એ હેતુથી મીઠીવીરડી જૂથ અભિયાન ચલાવી રહ્યું છે.
પર્યાવરણ સંરક્ષણના વિવિધ મુદ્દાઓ ‘પ્રાકૃતિક ખેતી જૂથ’ પોતાના અભિયાન સાથે વણતા ગયા છે. આ વખતે મેળામાં સુએજ ટ્રીટમેન્ટની સમસ્યાના ઉકેલના મુદ્દાને આવરી લેવામાં આવ્યો છે. દેશમાં સુએજ ટ્રીટમેન્ટની સ્થિતિ નિરાશાજનક છે. ભારતમાં પેદા થતા 63% સુએજ ટ્રીટમેન્ટ માટેની કોઈ વ્યવસ્થા જ નથી અને તેથી તેનો ટ્રીટમેન્ટ વિના જ નિકાલ કરવામાં આવે છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગનાં પ્રોફેસર ડૉ. ઉપેન્દ્રભાઈ ડી. પટેલે જી.પી.સી.બી.ના સહયોગથી બિનપરંપરાગત વિકેન્દ્રિત મલ્ટી-સ્ટેજ રિએક્ટર વાળી સુએજ ટ્રીટમેન્ટ સિસ્ટમ ઊભી કરી છે, જેના થકી ઘરમાંથી નીકળતા ગંદાં પાણીને ચોખ્ખું કરી ખેતીના ઉપયોગ યોગ્ય બનાવી શકાય છે. આ સિસ્ટમનું મોડેલ આ મેળામાં જનજાગૃતિ માટે મૂકવામાં આવશે. ‘પ્રાકૃતિક ખેતી જૂથ (મીઠીવીરડી વિસ્તાર)’ સાથે સંકળાયેલા ખેડૂતો જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની નાગરિક તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. આ જ તો ભારતના બંધારણની ૫૧ ક (જ) કલમ કહે છે. નાગરિકો થકી થતા પ્રયત્નોમાં જ આશાનું કિરણ છે.
સૌજન્ય : નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર