૨૦મી સદીમાં ભારતમાં થયેલા મનીષીઓમાંના, એક માનવેન્દ્રનાથ રોયે તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘ધ ‘હિસ્ટોરિકલ રોલ ઑફ ઇસ્લામ’માં લખ્યું છે કે જગતની કોઈ પ્રજા ઇસ્લામથી એટલી અપરિચિત નથી જેટલી હિંદુ પ્રજા છે, અને જગતની કોઈ પ્રજા મુસલમાનોને એટલી ઘૃણાની નજરે જોતી નથી જેટલા હિંદુઓ ઘૃણાની નજરે જુએ છે.
ઘૃણા વિશેના નિરીક્ષણમાં એમ.એન. રોયની અતિશયોક્તિ હોઈ શકે છે, પણ પહેલા પરિચયના અભાવ વિષેનાં નિરીક્ષણમાં અતિશયોક્તિ નથી. આવું કેમ? પરિચય કેળવ્યા પછી તેનાં પરિણામ સ્વરૂપ ઘૃણા હોય એ તો સમજી શકાય છે, પણ પરિચય કેળવવાની તસદી પણ લીધા વિના ઘૃણા? અને શા માટે એવી કોઈ તસદી લેવામાં નથી આવતી? મુખ્ય સવાલ તો આ છે. બીજી બાજુ મુસલમાનોએ પણ ક્યાં હિંદુ ધર્મ અને હિંદુ પરંપરાને સમજવાની કોશિશ કરી છે? ભારતીય મુસલમાનોમાં ઘણા ઓછા મુસલમાન છે જે ઈસ્લામનો ખરો અને અસ્સલ ચહેરા વિશેની જાણકારી ધરાવે છે. એક માત્ર ખ્રિસ્તીઓએ હિંદુ અને મુસલમાનોના ધર્મનું સ્વરૂપ, તેમનો ઇતિહાસ, તેમની પરંપરા અને તેમનાં શક્તિ તેમ જ મર્યાદા એમ દરેક ચીજને સમજવાની કોશિશ કરી છે.
તો પછી શું આવી ઉદાસીનતા અને ઉપેક્ષા હિંદુ અને મુસલમાનોનાં સ્વભાવ લક્ષણ છે? તેમને ગળથૂથીમાં મળે છે?
નારાયણભાઈ દેસાઈએ મને એક પ્રસંગ કહ્યો હતો, એ અહીં ટાંકવો જોઈએ. ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડવામાં આવી અને દેશમાં કોમી ઉન્માદ પેદા કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે સુરતમાં યુવા-શિબિરનું આયોજન કર્યું હતું. શિબિરમાં હિંદુ અને મુસલમાન એમ બંને કોમનાં યુવાન-યુવતીઓ ભાગ લે એવો તેમણે આગ્રહ રાખ્યો હતો. બંને ધર્મના શિબિરાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તેમણે તેમના પોતાના ધર્મ વિષે દસ વાક્યો લખવાનાં અને બીજાના ધર્મ વિષે પાંચ વાક્યો લખવાનાં. નારાયણભાઈએ મને કહ્યું હતું કે એક પણ શિબિરાર્થી પોતાના ધર્મ વિષે દસ વાક્યો લખી શક્યો નહોતો અને બીજાના ધર્મ વિષે તો તેમણે બે વાક્ય માંડ લખ્યાં હતાં. પોતાના ધર્મ વિષે લખવામાં હિંદુઓ મુસલમાનો કરતાં પાછળ હતા અને બીજાના ધર્મ વિષે લખવામાં બંને એટલા જ અજ્ઞાની હતા.
બે વાક્ય જેટલી પણ જાણકારી નહીં ધરાવનારાઓ સંકોચ વિના વિધર્મીની ઘૃણા કરે છે. જિંદગીમાં ગાંધીજીનું એક પાનાનું લખાણ વાંચ્યું નથી એ ગાંધીજીની નિંદા કરે છે. દેશ વિષે સમ ખાવા જેટલી માહિતી નહીં ધરાવનારાઓ દેશપ્રેમના ઠેકેદારો થઈને ફરે છે. કાશ્મીરના ઇતિહાસ વિષે બે વાક્યો નહીં કહી શકનારા આર્ટીકલ ૩૭૦ વિષે ખોંખારો ખાઈને અભિપ્રાય આપે છે. આપણે જેના વિષે અભિપ્રાય આપતા હોઈએ એ વિષે અભિપ્રાય બાંધતા પહેલાં હકીકતો જાણવાની ફરજ ખરી કે નહીં? પણ આપણને એવી જરૂર જણાતી નથી. એટલે એક વાત તો નક્કી કે અજ્ઞાની હોવું અને અજ્ઞાન માટે સંકોચ પણ નહીં અનુભવવો અને ઉપરથી જ્ઞાનીની જેમ વિનાસંકોચ અભિપ્રાય બનાવવા અને આપવા એ ભારતીય પ્રજાનાં સ્વભાવ લક્ષણ છે.
આવું કેમ?
આનું એક કારણ છે વર્ણવ્યવસ્થા અથવા જ્ઞાતિપ્રથા. જે ઉપર હોય એણે નીચેવાળાને ઓળખવાની શી જરૂર છે? નીચેવાળાની ઓળખ કેળવવી એ પણ ઉપર હોવાપણાનું અપમાન છે. જન્મથી ચડિયાતા હોવું એટલું જ પૂરતું છે. એટલે ઉપર હોવાપણાની સભાનતા જાળવી રાખવા માટે પણ અજ્ઞાની, અસંવેદનશીલ અને ઉદાસીન રહેવું જરૂરી છે. ઉચ્ચ હોવાના આડંબર ખાતર અજ્ઞાન, અસંવેદનશીલતા અને ઉપેક્ષાની ખાસ માનસિકતા આપણે વિકસાવી છે. આ બાજુ નીચેવાળો ઉપરવાળાને ઓળખીને શું કરવાનો? કારણ કે તે ઉપરવાળા સુધી તો પહોંચી શકવાનો નથી, તેનો આદર પામવાનો નથી કે તેના સંસારમાં પ્રવેશ પામવાનો નથી. એટલે એ પણ ઉપરવાળાને ઓળખવાની તસદી લેતો નથી. એ ડરીને દૂર રહે અને ડરનો માર્યો આદર આપે છે, ઓળખીને આદર નથી આપતો. અત્યારે જો તે નથી ડરતો તો દ્વેષ કરે છે, પણ ઓળખવાનો પ્રયાસ તો તે આજે પણ નથી કરતો. આદર તો આપતો જ નથી. એને પણ ઉપરવાળાની પોઝિટીવ સાઈડ જાણવામાં રસ નથી.
બીજું કારણ છે સપાટી પરની આધ્યાત્મિકતા. દરેક હિંદુ મુમુક્ષુ છે, દરેક હિંદુ જગતને માયા તરીકે જુએ છે, દરેક હિંદુ માટે જગત ક્ષણભંગુર છે, તે જો ઊંચી જ્ઞાતિમાં જન્મ્યો છે તો એ તેના આગલા જન્મનાં પુણ્યનું ફળ છે અને જો કોઈ નીચી જ્ઞાતિમાં જન્મીને પીડાય છે તો એ તેણે કરેલાં પાપનું ફળ છે. આ ઉપરાંત દરેકનો એક પોતાનો ખાસ સંપ્રદાય છે, ખાસ માનેલો ઇષ્ટ દેવ છે અને એક ખાસ માનેલો ધર્મગુરુ છે. એક આધ્યાત્મિકતાની બાહ્ય દીવાલ અને એ ઓછી પડતી હોય એમ સંપ્રદાય, પેટા-સંપ્રદાય, અલાયદા ઇષ્ટ દેવ અને અલાયદા ધર્મગુરુની અંદરની દીવાલ આ ધાર્મિકતા અને છીછરી આધ્યાત્મિકતા દ્વારા રચી છે. એક તો આ જગત માયા છે અને ઉપરથી પાછા આપણે સુરક્ષિત છીએ. સુરક્ષિત માણસે બીજાને ઓળખવાની શી જરૂર છે?
આમ આધ્યત્મિકતાની સાંત્વન આપનારી દીવાલ અને સંપ્રદાયની, ઇષ્ટ દેવની તેમ જ ધર્મગુરુની આડંબરીય દીવાલે હિંદુ પ્રજાને સ્વયંસંપૂર્ણ ટાપુમાં ફેરવી નાખી છે. હિંદુઓનો તમામ આક્રમણકારો સામે પરાજય થયો એનાં આ બે મુખ્ય કારણ હતાં. નાનકડા ગામમાં રહેતા ઉચ્ચ કુલીન બ્રાહ્મણો સાવ છેવાડાના માણસને નામથી ઓળખવાની પણ તસદી નહોતા લેતા એ મેં મારી સગી આંખે મારા ગામમાં જોયું છે. જો પ્રજાનો પરસ્પર સંબંધ ઉદાસીનતાનો અને ભયનો હોય, વ્યવહાર જગતના ધરાતલના પ્રશ્નોને છેતરામણી આધ્યાત્મિકતાથી જોવામાં આવતા હોય, અને સંપ્રદાય-ઇષ્ટદેવ અને ગુરુદેવની છેતરામણી દીવાલ જેણે બાંધી દીધી હોય, તે જ્યારે બાહ્ય આક્રમણનો સામનો કરવાનો આવે ત્યારે તે પ્રજાનો પરાજય ન થાય તો બીજું શું થાય!
આને કારણે ઇસ્લામનું ભારતમાં આગમન થયું ત્યારે તેનો વિરોધ કે અપનાવવાનું તો બાજુએ રહ્યું તેને સમજવાનો પણ પ્રયાસ નહોતો કર્યો. આ બાજુ આક્રમણકાર મુસલમાનો અને તેમની સાથે આવેલા શાસકવર્ગના ભદ્ર મુસલમાનોએ પણ તેઓ જે ભૂમિમાં આવ્યા હતા તેને સમજવાની કોશિશ નહોતી કરી. ખરું પૂછો તો તેઓ પણ ક્યાં ઈસ્લામ ધર્મ વિષે ખાસ કાંઈ જાણતા હતા! અને ઉપરથી વિજેતા હતા. સર્વોચ્ચપણાની ગુસ્તાખી પણ શીખવા અપનાવવામાં બાધક બને છે.
આનું પરિણામ એ આવ્યું કે ઈસુના પાંચમાં સૈકા સુધી પેલી જે ખરલ સક્રિય હતી એ હિંદુઓની ઉદાસીનતાને કારણે અને આક્રમણકાર વિજેતા મુસલમાનોની ગુસ્તાખીને કારણે ધીમી પડી ગઈ.
28 ઑગસ્ટ 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 01 સપ્ટેમ્બર 2019