જ્યારે પણ ચૂંટણીનાં પરિણામ આવે, ત્યારે બે ચીજ અવશ્ય જોવા મળતી હોય છે. એક તો એ કે લોકો કહે છે કે લોકશાહીમાં જનાદેશને માથે ચડાવવો જોઈએ, પછી આપણને ગમે એવો હોય કે ન હોય. વાત બિલકુલ સાચી, પણ એક શરત પળાવી જોઈએ કે ચૂંટણી ફ્રી એન્ડ ફૅર હોય, અર્થાત્ મુક્ત અને ન્યાયી હોય. આ વખતની ચૂંટણી ફ્રી હતી ફૅર નહોતી. ચૂંટણી પંચે બી.જે.પી.ની બી ટીમ તરીકે પક્ષપાત કર્યો હતો. આ ઊંડી ચિંતાનો વિષય છે.
ચિંતાનો બીજો વિષય એ છે કે બી.જે.પી.ની નાણાંકીય તાકાત પ્રતિસ્પર્ધી પક્ષો કરતાં અનેકગણી વધુ હતી. અસમાન અને અમર્યાદ નાણાંકીય તાકાત હાંસલ કરવા માટે ઈલેક્ટોરલ બૉન્ડની સ્કીમ લાવવામાં આવી હતી. આને કારણે કોર્પોરેટ કંપનીઓ પાસેથી જેટલું ચૂંટણીફંડ આવ્યું છે એનો ૯૦ ટકા હિસ્સો બી.જે.પી.ને ગયો હતો અને બાકીના ૧૦ ટકામાં સોએક જેટલા પક્ષો હતા. આને કારણે ટી.વી. ન્યુઝ ચેનલો બી.જે.પી. અને નરેન્દ્ર મોદીને જેટલો સમય ફાળવતા હતા એટલો સમય બીજા રાજકીય પક્ષોને નહોતા ફાળવતા. આ હકીકત પણ એ વાત સાબિત કરે છે કે આ વખતની ચૂંટણી ફ્રી હતી, પણ ફૅર નહોતી.
તમે ભલે બી.જે.પી.ના સમર્થક હો, પરંતુ જો તમે લોકતંત્રમાં વિશ્વાસ ધરાવતા હોય તો આ વિષે ઊહાપોહ થવો જોઈએ. જો આવી સ્થિતિ આપણે ચલાવતા રહીશું, તો એક દિવસ લોકતંત્રનું કલેવર બચશે, તેમાં આત્મા નહીં હોય. અત્યારે જ આનાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે. બીજી વારના વધારે મોટા વિજય પછી સરકાર લોકશાહી સંસ્થાઓને દબાવે ત્યારે આપણે સરકારના સમર્થક હોવા છતાં પણ મોઢું ખોલવું જોઈએ. વ્યક્તિ અને પક્ષ કરતાં દેશ અને મૂલ્યો વધારે અદકેરાં છે. સમય એવો આવ્યો છે જ્યારે બી.જે.પી.ના સમર્થકોએ પણ મૂળભૂત મૂલ્યોના પક્ષે ઊભા રહેવું જોઈએ.
આનો અર્થ એવો નથી કે નરેન્દ્ર મોદીને જે વિજય મળ્યો છે એ ચૂંટણીપંચના પક્ષપાતનું અને પ્રચંડ નાણાંકીય તાકાતનું પરિણામ છે. તેણે અવશ્ય ભાગ ભજવ્યો છે, પરંતુ તેને કારણે બી.જે.પી.ને વિજય મળ્યો છે એવું નથી. બી.જે.પી.ને જે વિજય મળ્યો છે એ નરેન્દ્ર મોદીના કારણે મળ્યો છે. ૨૦૧૪ કરતાં પણ આ વખતની ચૂંટણી એક જ વ્યક્તિ કેન્દ્રમાં હતી અને એ નરેન્દ્ર મોદી. સંસદીય લોકશાહી માટે આ પણ કોઈ શુભ સંકેત નથી. ભારતમાં પ્રમુખશાહી નથી, સંસદીય લોકશાહી છે. તો આ કેટલીક બુનિયાદી નિસ્બત છે અને બુનિયાદી નિસ્બતની બાબતમાં પક્ષાપક્ષી કરવાની ન હોય.
પ્રારંભમાં જે બે ચીજ કહી એમાંથી બીજી ચીજ રાજકીય સમીક્ષા છે. સાધારણપણે એવું બનતું હોય છે કે પરિણામો આવ્યાં પછી રાજકીય સમીક્ષકો પરિણામો જોઈને દલીલો કરતા હોય છે. તેઓ આવેલાં પરિણામો જોઇને વિવેચનનો સૂર બદલી નાખે છે. જે ગઠબંધનમાં શક્તિ દેખાતી હતી, એ ગઠબંધનમાં મર્યદાઓ શોધવામાં આવે છે. જો બી.જે.પી.નો પરાજય થયો હોત તો વળી દલીલો જુદી હોત. આમ બનવું સ્વાભાવિક છે. આનો અર્થ એવો નથી કે રાજકીય સમીક્ષકો આવડત વિનાના છે કે પક્ષપાતી હોય છે, પરંતુ સમાજને ઓળખવો એ હંમેશાં શક્ય હોતું નથી. સમાજ એકદમ સંકુલ પદાર્થ છે એટલે ચૂંટણીનાં કેવાં પરિણામ આવશે એ કહેવું મુશ્કેલ હોય છે. જે લોકોએ બી.જે.પી.ને બસોની અંદર બેઠકો મળશે એવું કહ્યું હતું તેઓ હવે બીજી રીતે દલીલો કરશે.
મારો મૂળભૂત સવાલ બીજો છે. બી.જે.પી. જે પરિવારનો અંગ છે એનાથી આપણે પરિચિત છીએ. તેમને હિંદુ રાષ્ટ્રની સ્થાપના કરવી છે અને એ સારુ તેઓ ધીરે ધીરે ક્યારેક મીઠું બોલીને, ક્યારેક ખોટું બોલીને, ક્યારે મારફાડ અને દાદાગીરી કરીને જગ્યા બનાવે છે. આ ઊઘાડું રહસ્ય છે. આના માટે તેઓ સંસદીય લોકતંત્રનો ઉપયોગ કરે છે. ૧૯૫૧થી આખો દેશ આ જાણે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહની કાર્યશૈલી તેઓ બંન્ને ગુજરાતમાં હતા ત્યારથી જાણીએ છીએ. આ ઉપરાંત કેન્દ્રમાં પાંચ વરસના શાસનનો અનુભવ આપણી સામે છે.
બીજું, એ ન ભૂલવું જોઈએ કે બી.જે.પી. એક વિચારધારા છે. તે જે વિચારધારામાં માને છે તેને સાકર કરવાનો તેને લોકતાંત્રિક અધિકાર છે. એટલા માટે તો ૧૯૫૧માં ભારતીય જન સંઘ અને એ પછી ભારતીય જનતા પાર્ટીની રચના કરવામાં આવી હતી. તેમણે સર્વસમાવેશક સેક્યુલર ભારત સ્વીકાર્ય નથી. તેઓ ખુલ્લું બોલતા નથી, પરંતુ વચ્ચે વચ્ચે બોલે પણ છે અને વધુ તો તેને નિરસ્ત કરવા માટે જે પ્રવૃત્તિ કરે છે એ આપણી સામે છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર બી.જે.પી.ને બહુમતી સાથે શાસન કરવાનો મોકો મળ્યો ત્યાર પછી તો આ વધુ પ્રમાણમાં જોવા મળ્યું છે.
સવાલ એ છે કે બી.જે.પી.ની ભારત વિષેની એક કલ્પના છે, તેને સાકર કરવાનો તેને અધિકાર છે અને તે માટે તે સંસદીય રાજકારણનો ઉપયોગ કરે છે ત્યારે વિરોધ પક્ષો આમાંથી શું શીખ્યા? રાજા રામમોહન રાયથી લઈને જવાહરલાલ નેહરુ સુધીના લોકોએ જે ભારતની કલ્પના કરી છે અને જે ભારત બંધારણમાં લેખિત સ્વરૂપ પામ્યું છે તેને મૂર્તિમંત કરવા અને વખત આવ્યે બચાવવા તેમણે શું કર્યું? ખાસ કરીને કૉન્ગ્રેસ આમાંથી શું શીખી? રાજકીય સમીક્ષકો આમાંથી શું શીખ્યા? દેશનો નાગરિક સમાજ આમાંથી શું શીખ્યો? મારું નિરીક્ષણ એવું છે કે છેલ્લા પાંચ વરસ દરમિયાન કૉન્ગ્રેસ, અન્ય વિરોધ પક્ષો, રાજકીય સમીક્ષકો અને નાગરિક સમાજ સહિત વિચારનારો આખો દેશ લોકતાંત્રિક-સર્વસમાવેશક-સેક્યુલર ભારતીય રાષ્ટ્રને લોકો સુધી પહોંચાડવાની બાબતે ઉદાસીન રહ્યા છે અને તેની જગ્યાએ ચૂંટણીકીય ગણિતને વધારે મહત્ત્વ આપ્યું છે. આ બે પક્ષો ભેગા મળશે તો આટલી કોમનો સરવાળો થશે, વગેરે. ભારતમાં મોટાભાગના રાજકીય પક્ષો જે તે કોમનું પ્રતિનિધિત્વ કરે છે, ભારતનું નથી કરતા.
સંકટ ભારતીય રાષ્ટ્ર સામે છે અને તેઓ કોમનો સરવાળો અને બાદબાકી કરી રહ્યા છે. પરિણામોએ એમ બતાવી આપ્યું છે કે આવાં ચૂંટણીકીય ગણિત ઊણાં ઊતરી રહ્યાં છે. વિરોધ પક્ષો માત્ર સરવાળા અને બાદબાકીની ગણતરી પર મદાર માંડીને બેસી રહ્યા અને તેમાં પણ તેઓ ઈમાનદાર નહોતા. જે જોડાણો થયાં એ પણ અધૂરાં અને ક-મનનાં હતાં. પ્રત્યેક કોમની અંદરથી કોમ તારવીને તેનું હિંદુકરણ કરવામાં આવી રહ્યું છે એ વિરોધ પક્ષોને અને રાજકીય સમીક્ષકો સહિત વિચારનારા લોકોને નજરે નથી પડતું.
હવે સમય આવી ગયો છે કે કોઈ રાજકીય પક્ષ હિંમતપૂર્વક કહે કે અમે લોકતાંત્રિક-સર્વસમાવેશક-સેક્યુલર ભારતીય રાષ્ટ્રને પડખે ઊભા છીએ, દેશની તમામ જનતા અમારા માટે સરખી છે અને આખા દેશનું એમાં હિત છે. ખોંખારો ખાઈને કોઈકે આ કહેવું જોઇશે જે રીતે ગાંધીજીએ ભારત આવીને કહ્યું હતું અને એ રીતે કૉન્ગ્રેસનું ઘડતર કર્યું હતું. કોઈકે ખોંખારો ખાઈને અને બહુમતી હિંદુઓથી ડર્યા વિના કહેવું પડશે કે આપણે સેક્યુલર ભારતીય છીએ પછી જન્મે ભલે ગમે તે હોય. ટૂંકમાં બી.જે.પી.ના હિંદુરાષ્ટ્ર સામે વૈકલ્પિક સર્વસમાવેશક રાષ્ટ્રની માંડણી ડર્યા વિના કરવી પડશે. અસંદિગ્ધ સ્પષ્ટ ભાષામાં અને મોટા અવાજે. એ છે જ, માત્ર વકીલાત કરવાની છે. તેના પક્ષે ઊભા રહેવાનું છે.
કૉન્ગ્રેસ આ કરી શકશે? અનુભવ તો એવો છે કે છેલ્લા પાંચ વરસ દરમિયાન રાહુલ ગાંધી આપણને હિંદુઓથી ડરેલા નજરે પડ્યા છે. દેશના સેક્યુલર વિચારકો કૉન્ગ્રેસના અને રાહુલના કહેવાતા સોફ્ટ હિંદુત્વને યોગ્ય ઠેરવતા જોવા મળ્યા છે. રાહુલ ગાંધી ટીલાંટપકાં કરતા હોય, મંદિર મંદિર ફરતા હોય, જનોઈ પહેરતા હોય, યાત્રાઓ કરતા હોય, પોતાને શિવભક્ત તરીકે ઓળખાવતા હોય, વગેરે પ્રકારના પ્રયાસ રણનીતિ નથી; ભય છે. પ્રજા પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભી છે તો ચાલો, આપણે પણ પૂરું નહીં પણ થોડું પ્રજા રાજી થાય એમ પશ્ચિમ તરફ મોઢું કરીએ. અરે ભાઈ, તમે પ્રજાને પૂર્વ તરફ જોતી કરવા માગો છો અને લઈ જવા માગો છો, તો ડર્યા વિના સ્પષ્ટ કહો કે તમારું શ્રેય પૂર્વમાં છે.
દેશને આજે એવા રાજકીય પક્ષની જરૂર છે જે હિંદુઓથી ડરતો ન હોય. જે હિંદુઓને શબ્દ ચોર્યા વિના કહી શકે કે તેમનું શ્રેય શેમાં છે. રાહુલ ગાંધીની પ્રામાણિકતા માટે મને માન છે, પરંતુ તેઓ એવું ગજું ધરાવતા હોય એવું લાગતું નથી. બીજો કોઈ આવો રાજકીય પક્ષ નથી. વિચારનારા લોકોએ પણ રણનીતિના ટૂંકા રસ્તાઓ છોડીને સતત લોકપ્રબોધન કરવું જોઈએ અને પ્રજાને, ખાસ કરીને હિંદુ અને મુસલમાનને કહેવું જોઈએ કે તેમનું શ્રેય શેમાં છે. કદાચ હવે પછીનાં પાંચ વરસમાં જરૂરિયાતમાંથી આવો કોઈ વિકલ્પ પેદા થાય. મોટાભાગે એવું બને છે કે જરૂરિયાત વિકલ્પો પેદા કરે છે.
કદાચ એવું પણ બને કે કૉન્ગ્રેસ તેના નૂતન સ્વરૂપે વિકલ્પ બનીને આવે. આ કદાચનો જવાબ આવતા છ મહિનામાં જ મળી જવાનો. કૉન્ગ્રેસ તેના અસ્તિત્વના અંતિમ નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહી છે. એ કાં ટકશે કાં મરશે. જો ટકવું હશે તો આગળ કહ્યું એમ લોકતાંત્રિક-સર્વસમાવેશક-સેક્યુલર ભારતીય રાષ્ટ્રને પક્ષે નિર્ભયતાથી ઊભા રહેવું પડશે. ધીરજ હાર્યા વિના જગ્યા બનાવવી પડશે, ટૂંકા રસ્તાઓની લાલચ ટાળવી પડશે અને જો એમ નહીં કરે તો કૉન્ગ્રેસનો અસ્ત નિશ્ચિત છે.
24 મે 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 મે 2019