મતદાતાઓએ સ્પષ્ટ બહુમતી આપીને કોઈ પક્ષને રાજ્યમાં સરકાર રચવાનો આદેશ આપ્યો હોય એવી સરકારને હકની સરકાર કહી શકાય. એવી સરકાર જે ચોખ્ખી હોય. કેટલીકવાર મતદાતાઓ કોઈ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી નથી આપતા, પણ ત્યારે જો ચૂંટણી પૂર્વે રચાયેલો મોરચો બહુમતી ધરાવતો હોય તો એવી સરકારને પણ હકની તેમ જ ચોખ્ખી સરકાર કહી શકાય. જો કોઈ પક્ષને અથવા મોરચાને જનતાએ સ્પષ્ટ બહુમતી ન આપી હોય, અથવા ચૂંટણી પૂર્વે મોરચા રચાયા જ ન હોય, તો એવા સંજોગોમાં ચૂંટણી પછી ગઠબંધન રચાતાં હોય છે. આવી ગઠબંધનની સરકાર રચવાની પ્રક્રિયા કેટલી પારદર્શક છે એના પરથી કહી શકાય કે સરકાર હકની, ચોખ્ખી છે કે નહીં. એવી સરકાર કદાચ માત્ર ટેકનિકલી બંધારણીય હોય શકે છે, નૈતિક નહીં હોય.
અને પૈસાના જોરે અન્ય પક્ષોની હકની સરકાર તોડીને, વિરોધી પક્ષમાં વિભાજન કરાવીને, વિધાનસભ્યોને ડરાવીને કે ખરીદીને, ગવર્નર અને સ્પીકરની ઓફિસનો દુરુપયોગ કરીને, ચૂંટણીપંચનું મોઢું દબાવીને, ન્યાયતંત્રમાં કેસ મહિનાઓ સુધી રખડાવીને અને મીડિયાને ખરીદીને જે સરકાર રચાય એને હકની સરકાર ન કહેવાય. ચોખ્ખીનો તો સવાલ જ નથી. એને મેલું અને હરામનું શાસન કહી શકાય. પ્રજાએ પ્રગટ કરેલી ઈચ્છાની વિરુદ્ધનું શાસન. પ્રજાને અમાન્ય શાસન. તમે આ વાત સાથે સંમંત છો? પવિત્ર હિંદુઓ જો કોઈના હરામના રૂપિયાને ગાયમાટી સમાન ગણતા હોય તો આવું શાસન ગાયમાટી સમાન ગણાવું જોઈએ કે નહીં? પણ થોભો.
ભારતમાં ૩૧ રાજ્યો છે. આ ૩૧ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષને માત્ર ત્રણ જ રાજ્યોમાં મતદાતાઓએ ચોખ્ખી બહુમતી આપી હતી અને માટે આ ત્રણ રાજ્યોની સરકારો જેને અણીશુદ્ધ ચોખ્ખી કહી શકાય એવી છે. એ ત્રણ રાજ્ય છે; ગુજરાત, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ. કર્ણાટકનાં પરિણામ શનિવારે આવી જશે. નવ રાજ્ય એવાં છે જ્યાં બી.જે.પી.ની ભાગીદારીમાં સરકાર છે અથવા સરકારમાં બી.જે.પી. ભાગીદાર છે. એ રાજ્યોમાં હરિયાણા, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેંડ, પુદ્દુચેરી, સિક્કિમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં આસામમાં બી.જે.પી.ને ૧૨૬ બેઠકોમાંથી બરાબર અડધી ૬૩ બેઠકો મળી હતી અને સ્પષ્ટ બહુમતીથી માત્ર એક બેઠક દૂર હતી. બાકીનાં રાજ્યોમાં બી.જે.પી.ને બહુમતી મળી નહોતી. કેટલાંક રાજ્યોમાં ચૂંટણીપૂર્વે મોરચા રચાયા હતા અને કેટલાકમાં પાછળથી.
એ પછી આવે છે ગોવા, અત્યાર સુધી કર્ણાટક, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જ્યાં બી.જે.પી.નો પરાજય થયો હતો. બી.જે.પી.એ પ્રતિપક્ષોના વિધાનસભ્યોને ખરીદીને, ડરાવીને અને વિભાજન કરાવીને શાસન છીનવી લીધું હતું. જેમનું હકનું શાસન હતું તેમની પાસેથી શાસન છીનવી લેવા માટે ગવર્નર અને સ્પીકરની ઓફિસનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણીપંચનું મોઢું દબાવવામાં આવ્યું હતું અને ન્યાયતંત્રમાં કેસ મહિનાઓ સુધી રખડાવવામાં આવ્યા હતા. મીડિયા તો બીકાઉ છે જ. આવી સરકારને હકની સરકાર ન કહેવાય. રાજસ્થાનમાં પણ આવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં તેને સફળતા નહોતી મળી. તો કહેવાનું તાત્પર્ય એ કે બી.જે.પી. દેશનાં ૩૧ રાજ્યોમાંથી માત્ર ત્રણ જ રાજ્યોમાં ચોખ્ખી અને લોકમાન્ય સરકાર ધરાવે છે. ચાર રાજ્યોમાં મેલી સરકાર ધરાવે છે (જેમાંથી હવે કર્ણાટકમાં નવી ચૂંટણી થઈ.) અને બાકીનાં, મુખ્યત્વે ઇશાન ભારતનાં, રાષ્ટ્રીય રાજકારણમાં ખાસ મહત્ત્વ નહીં ધરાવતા નાનાં રાજ્યોમાં ભાગીદારીવાળી સરકાર ધરાવે છે.
મેલી સરકાર મેલી કઈ રીતે છે એની વિગતો સર્વોચ્ચ અદાલતે ગુરુવારે આપેલા ચુકાદામાં બતાવી દીધું છે. અદાલતે કહ્યું છે કે મહારાષ્ટ્રના રાજ્યપાલે આગલી સરકારને તોડવામાં સક્રિયતા બતાવી હતી અને બંધારણની મર્યાદાનો લોપ કર્યો હતો. એવું જ સ્પીકરનું અને સ્પીકર તેમ જ રાજ્યપાલ એક ઇશારે કામ કરતા હતા. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે જો મહારાષ્ટ્રના એ સમયના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સામે ચાલીને રાજીનામું ન આપ્યું હોત તો તેમને ફરી સત્તાના આસને બેસાડીને ન્યાય આપી શકાયો હોત, પણ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવા સુધી રાહ જોવાની જગ્યાએ તેમણે સામેથી રાજીનામું આપી દીધું એટલે ટેકનિકલી તેમને ફરી સત્તાસને ન બેસાડી શકાય. શરદ પવારે પણ હમણાં જ પ્રકાશિત થયેલી તેમની આત્મકથાની સુધારિત આવૃત્તિમાં કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળે રાજીનામું આપવાની ભૂલ કરી હતી.
હવે કહો કે જ્યારે સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયમૂર્તિઓ સર્વાનુમતે આને મેલી પ્રવૃત્તિ તરીકે ઓળખાવે એ પછી કાંઈ કહેવાનું રહે છે? ભારતીય જનતા પક્ષ દેશનાં માત્ર ત્રણ જ રાજ્યમાં પૂર્ણ બહુમતી સાથેની ચોખ્ખી સરકાર ધરાવતી હોય એને હિન્દુત્વનો દિગ્વિજય કહેવાય? આ લેખ તમારા હાથમાં આવશે ત્યાં સુધીમાં કર્ણાટકનાં પરિણામ આવી ગયાં હશે. વિવેક મર્યાદા છોડીને યેનકેન પ્રકારેણ સત્તા મેળવવા માટે જે ઉધામા અને ધમપછાડા કરવામાં આવે છે એની પાછળનું કારણ આ છે. દેશનાં માત્ર ત્રણ રાજ્યોમાં લોકમાન્યતા મળી છે. લોકસભાની અને કેન્દ્ર સરકારની વાત આપણે અહીં નથી કરતા.
અહી બે સવાલ સર્વોચ્ચ અદાલતના મહારાષ્ટ્ર વિશેના ચુકાદા વિષે પણ ઉપસ્થિત થાય છે. આટલી મહત્ત્વની બાબતે ચુકાદો આપવામાં દસ મહિના કેમ લાગ્યા? અર્ણવ ગોસ્વાનીને જેલમાંથી છોડાવવા માટે અદાલત પાસે સમય હોય અને મહારાષ્ટ્રના નાગરિકોની લોકતાંત્રિક મનીષાને કોઈ અભડાવે અને માથે મેલું શાસન થોપે એની સામેની રાવ સાંભળવામાં દસ મહિના લાગે? બીજું જે બની ગયું (રાજ્યપાલના નિર્ણયો અને ઉદ્ધવ ઠાકરેનું રાજીનામું) તેને સુધારી ન શકાય એ વાત માની, પણ બીકાઉ વિધાનસભ્યોનું સભ્યપદ તો રદ્દ થઈ શકતું હતું. સર્વોચ્ચ અદાલત મહારાષ્ટ્રના વર્તમાન શાસનને મેલું જાહેર કરે છે અને મેલા શાસનને જીવતદાન પણ આપે છે.
અયોધ્યાનો ચુકાદો યાદ છે? રામમંદિર તોડીને બાબરે કે તેના કોઈ સૈનિકે તે જગ્યાએ મસ્જીદ બંધાવી હોવાના કોઈ પૂરાવા નથી, પણ એ મસ્જીદની જગ્યાએ હવે મંદિર બનશે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 મે 2023