૧૭મી લોકસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે. લોકસભાની ચૂંટણી સાથે ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પણ યોજવાની છે. એ રાજ્યો છે : આંધ્રપ્રદેશ, ઓડીશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પણ યોજવી પડે એમ છે, પરંતુ ચૂંટણી પંચે સલામતીના કારણોસર લોકસભાની ચૂંટણી પછી અલગથી યોજવાનો નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણી કુલ સાત તબક્કામાં યોજવાની છે અને મતગણતરી ૨૩મી મેએ થશે.
ચૂંટણી પંચના વડા સુનીલ અરોરાએ ચૂંટણીને ‘લોકતંત્રના મહોત્સવ’ તરીકે ઓળખાવી છે. એક રીતે તેમની વાત સાચી છે, પરંતુ ચૂંટણીને લોકતંત્ર માનીને બેસી રહેવા જેવું નથી. જો કલેવરને જ ઉજવવા માંડીશું તો લોકતંત્રના આત્માની ક્યારે ય ઓળખ જ નહીં થાય. બીજું, રાજકીય પક્ષોને આટલું જ જોઈએ. કલેવરને આત્મા માની લો અને ભ્રમમાં જીવો. લોકતંત્રના આત્માની આરાધના કરવાની જવાબદારી આપણી છે અને તેમાં આપણો સ્વાર્થ પણ છે. શાસકોનો સ્વાર્થ કલેવરની આરાધના કરાવવામાં છે.
યોજાઈ રહેલી ચૂંટણીમાં ભારતમાં ૯૦ કરોડ મતદાતાઓ મત આપવાનો અધિકાર ધરાવે છે. અમેરિકામાં મત આપવાનો અધિકાર ધરાવનારા નાગરિકોની સંખ્યા ૨૩ કરોડ ૫૦ લાખ છે. બ્રિટનમાં મતદાતાઓની સંખ્યા માત્ર ચાર કરોડ ૬૦ લાખની છે. જર્મનીમાં મત આપવાનો અધિકાર ધરાવનારા નાગરિકોની સંખ્યા છ કરોડ છે. ટૂંકમાં અમેરિકા સહિત જગતના અંદાજે પંદર લોકશાહી દેશોની ચૂંટણી એક તરફ અને ભારતની ચૂંટણી એક તરફ. છેલ્લાં પાંચ વરસમાં ભારતમાં દોઢ કરોડ નવા મતદાતા ઉમેરાયા છે. આમ જો પોરસાવું જ હોય તો હજુ વધુ આંકડા આપી શકાય એમ છે અને પોરસાવા માટે કારણો પણ છે; પરંતુ એટલું પૂરતું નથી.
ભારતની લોકસભાની પહેલી સામાન્ય ચૂંટણી ૨૫મી ઑક્ટોબર ૧૯૫૧થી લઈને ૨૧મી ફેબ્રુઆરી ૧૯૫૨ વચ્ચે ૬૮ તબક્કામાં યોજવામાં આવી હતી. આનું કારણ એ હતું કે ત્યારે ગ્રામીણ ભારતમાં સરખા રસ્તાઓ નહોતા એટલે ચૂંટણી માટેની સામગ્રી (મતપેટી વગેરે) પહોંચાડવામાં મુશ્કેલી આવતી હતી અને ભારતનો સંકલ્પ હતો કે દેશનો એક પણ નાગરિક મત આપવાના અધિકારથી વંચિત ન રહેવો જોઈએ. કોઈ એમ ન કહે કે મારે મત આપવો હતો, પરંતુ મારા ગામ સુધી લોકતંત્ર નહોતું પહોંચ્યું એટલે મત નહોતો આપી શક્યો. આંતરિયાળ પહાડી વિસ્તારોમાં પણ નિર્ધારિત દિવસે ચૂંટણી યોજવામાં આવી હતી. હું એમ ખાતરીપૂર્વક કહી શકું છું કે ભાગ્યે જ ત્યારે કોઈએ ફરિયાદ કરી હશે કે તેમના ગામ સુધી લોકતંત્ર નહોતું પહોંચ્યું.
ભારત લોકતંત્ર અપનાવી શકશે, અપનાવી શકશે તો વ્યવહારમાં ઉતારી શકશે, ઉતારી શકશે તો લાંબો વખત જાળવી શકશે અને જાળવી પણ શકશે તો ખરા લોકતંત્રને મૂર્તિમંત કરી શકશે કે કેમ એ વિષે જગતના દેશોને શંકા હતી. એ શંકા વાજબી હતી. આવડો મોટો દેશ, ૩૬ કરોડની વસ્તી, ૧૭ કરોડ ૬૦ લાખ મતદાતા, એ પણ મોટી સંખ્યામાં ગરીબ અને અભણ, પાછા નાત-જાત અને બીજી અનેક પ્રકારની વિવિધતાઓમાં વહેંચાયેલા, કોઈ પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળે નહીં, પરંપરાગત જૂનવાણી માણસ, અમુક પ્રદેશોમાં સામંતી સમાજવ્યવસ્થા વગેરે જોતાં ભારતે પ્રજાને પુખ્ત મતદાનનો સાર્વત્રિક અધિકાર આપીને ભૂલ કરી છે એમ પશ્ચિમના કેટલાક વિદ્વાનો માનતા હતા. તેમને ભારત માટે કોઈ દ્વેષ નહોતો, ખૂબ ઊંડો સદ્ભાવ હતો અને માટે તેઓ એમ માનતા હતા કે ભારતે ચાવી શકવાની ક્ષમતા કરતાં વધારે પડતો મોટો કોળિયો મોંમાં નાખ્યો છે.
ભારતનું બંધારણ ઘડાતું હતું ત્યારે એવું પણ એક સૂચન આવ્યું હતું કે ભારતે મતદાનની લાયકાત ધીરે-ધીરે વધારતા જવી જોઈએ. જેમ જેમ પ્રજા શિક્ષિત થતી જાય એમ મતદાનનો અધિકાર મેળવતા જાય. એ દરમિયાન ભારતમાં વિકાસ પણ થતો જાય. મોટો ભૂસકો મારવા કરતાં ધીરે-ધીરે ચાલવામાં ભારતનું હિત છે. તેમની બીજી ખેવના એ હતી કે જો ભારતમાં લોકતંત્રનો પ્રયોગ સફળ થશે તો જગતના બીજા સ્વતંત્ર થયેલા કે થઈ રહેલા ગરીબ દેશો પણ લોકતંત્રનો માર્ગ અપનાવતા થશે. આ સારુ પણ ભારતે મોટું સાહસ ન કરવું જોઈએ. ભારતની નિષ્ફળતા લોકતંત્રના સ્વીકારને અવરોધશે.
પણ ભારતનો નિયતિ સાથેનો કરાર હતો. ભારતનો કોઈ નાગરિક લોકશાહી અધિકારથી વંચિત ન રહેવો જોઈએ અને ભારતનાં પ્રત્યેક ઝૂંપડા સુધી લોકતંત્ર પહોંચવું જોઈએ. ૧૯૫૧-૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણી ભારત માટે ખરેખર એક પ્રકારનું ગજાબહારનું સાહસ હતું. પણ નિયતિ સાથેનો કરાર હતો એટલે પાછા ફરવાનું નહોતું. બંધારણે ભારતના પ્રત્યેક નાગરિકને મૂળભૂત નાગરિક અધિકારો આપ્યા છે, અને તે સુરક્ષિત રહે એ માટેની વ્યવસ્થા પણ કરી આપી છે. ભારતે પહેલી સામાન્ય ચૂંટણીમાં – ભલે ચાર મહિના જેટલી લાંબી અવધિમાં અને ૬૮ તબક્કામાં – ચૂંટણી યોજીને લોકતંત્રને દેશના પ્રત્યેક દરવાજે પહોંચાડ્યું.
આની ગંભીરતા સમજાય છે? આની પવિત્રતા સમજાય છે? સંકલ્પ ને સંકલ્પસિદ્ધિ શું હોય એ સમજાય છે? લોકતંત્ર માટેની પ્રતિબદ્ધતા કેવી હોય એ સમજાય છે? જો એ સમયના શાસકોએ વચન ન પાળ્યું હોત તો કોણ તેમનું બગાડી શકવાનું હતું? એક માત્ર ભારતનો અપવાદ છોડીને જગતમાં દરેક દેશમાં આઝાદી અપાવનારી પહેલી પેઢીએ વચન પાળ્યાં નહોતાં. એ પછી એ દેશો લોકતંત્ર ગુમાવતા ગયા તે આજ ‘દી સુધી મેળ પડ્યો નથી. જો લોકતંત્રને ભારતના પ્રત્યેક દરવાજે અને નાગરિક અધિકાર ભારતના પ્રત્યેક નાગરિક સુધી પહોંચાડવામાં ન આવ્યા હોત તો કૉંગ્રેસ આજે પણ તેના ગમે તેટલા ભ્રષ્ટ સ્વરૂપમાં રાજ કરતી હોત. અથવા લશ્કરી રાજ હોત.
સત્ય એ છે કે આજે ભારતના સરેરાશ નાગરિકને તેને આંગણે લોકતંત્રને પહોંચાડવામાં આવ્યું અને તેના અધિકારો સુરક્ષિત કરી આપવામાં આવ્યા તેની ગંભીરતા સમજાતી નથી, તેની પવિત્રતા સમજાતી નથી અને સંકલ્પ તેમ જ સંકલ્પસિદ્ધિનું મૂલ્ય પણ સમજાતું નથી. ૧૯૫૧માં અભણ બાપ-દાદાઓ જેટલી સમજ ધરાવતા હતા એટલી સમજ આજનો ભણેલો ગણેલો નાગરિક નથી ધરાવતો.
આમ થવાનું કારણ? બહુ સીધું છે. એ સમયે મહાત્મા ગાંધીએ, આઝાદી માટેના આંદોલને અને પહેલી પેઢીના કૉંગ્રેસીઓએ પ્રત્યેક ભારતવાસીને શુદ્ધ અર્થમાં ભારતીય બનાવ્યો હતો. તેની બીજી ઓળખો હાંસિયામાં હતી. આજે ભારતનો સરરાશ નાગરિક હિંદુ છે, પટેલ છે, બ્રાહ્મણ છે, દલિત છે, આર્ય છે, દ્રવિડ છે, ગુજરાતી છે, મરાઠી છે, બીજું કાંઈ પણ છે; પરંતુ ભારતીય નથી. ઉપરથી તે પોતાને સમજદાર અને સવાયો દેશભક્ત સમજે છે. તેને એટલું પણ નથી સમજાતું કે તેને વિરાટ ભારતીયમાંથી હિંદુ, મુસલમાન, મરાઠા કે બીજું જે કાંઈ હોય તે ઘડીને વામન બનાવવામાં આવી રહ્યો છે. માટીનો વિરાટ પીંડ હોંશેહોંશે કદ ઘટાડીને કોડિયું બની રહ્યો છે અને પાછો સ્માર્ટ હોવા માટે પોતાની પીઠ થપથપાવે છે. હદ તો એ વાતની છે કે વિરાટ બનાવવાનું પાપ કરવા માટે ગાંધીજીને ગાળો આપવામાં આવે છે.
હવે જ્યારે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદાતાને મારી ત્રણ સલાહ છે : એક તો સોશ્યલ મીડિયા પર ગાળાગાળી કરીને હાંફી ગયા હો તો આ લોકતંત્રના પવિત્ર અવસરે શાંત થાવ. પોરો ખાવ. બીજી સલાહ એ છે કે મતદાનના દિવસે માત્ર અને માત્ર ભારતીય બનો. હિંદુ છું માટે અધિકૃત ભારતીય છું એમ નહીં, પરંતુ અધિકૃત ભારતીય છું અને સાથે હિંદુ પણ છું. વિચારી જોજો, સરવાળે દેશને અને અંગત રીતે તમને ફાયદો થશે એની ગેરંટી. અન્યથા નુકસાનની પણ ગેરંટી. બીજી સલાહ એ છે કે આપણા બાપ-દાદાઓએ નિયતિ સાથે કરેલા કોલની પવિત્રતા, તેની ગંભીરતા અને સંકલ્પસિદ્ધિની રોમાંચકતા વિષે વિચારો. જો એ વિષે વિચારશો તો કોડિયામાંથી વિરાટ પ્રકાશપુંજ બનશો એની હજી વધુ ગેરંટી. વિરાટ બની શકાય એ માટેનો પીંડ પ્રાચીન ઋષિઓ, બુદ્ધ, મહાવીર, મધ્યકાલીન સંતો, ગાંધીજી અને પશ્ચિમના દાર્શનિકો આપતા ગયા છે.
13 માર્ચ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 14 માર્ચ 2019