ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદની ઉમેદવારી સંદર્ભે મારે જે કહેવું, અનિવાર્ય ગણાય તે ટૂંકમાં કહું છું.
પરિષદના દ્વારકા ખાતેના જ્ઞાનસત્રમાં ૧૯૬૬માં ભાગ લીધો, ત્યારથી પરિષદ સાથે સતત સંકળાયેલો રહ્યો છું અને ૧૯૯૪થી ૨૦૧૭ સુધી સુધી કારોબારીમાં સક્રિય રહ્યા સાથે અનુક્રમે પ્રસારમંત્રી, વહીવટીમંત્રી અને ઉપપ્રમુખ તરીકે યોગદાન કર્યું છે પૂરી સક્રિયતા સાથે, જેથી કેટલુંક કામ જે કરવા જેવું હતું તે થયું. પરિષદના પ્રમુખપદ માટે મારું નામ સૂચવાયું તે તબક્કે એક આપદ્ ધર્મ તરીકે મેં સંમતિ આપી છે.
જે મિત્રોએ સામે ચાલીને મને સહકારનું વચન આપ્યું છે અને જેઓએ મારી સાથે જ હોવાનો અહેસાસ અને વિશ્વાસ કરાવ્યો છે, તે સહુનો હું આભારી છું. મિત્રો પોતાની રીતે સહકાર આપી શકે, પરંતુ ઉમેદવાર હું છું તેથી મતદાતાઓને અપીલ પણ મારે જ કરવી ઘટે તેવી સમજ અને વિવેકથી મને મત આપવા આપને અપીલ કરું છું. પરિષદે આજ સુધી ગુજરાત સાહિત્ય અકાદમીને પુનઃ પૂર્વવત્ સ્વાયત્ત બનાવવા જે ઉપક્રમ રચ્યો છે, તે બરકરાર રહે અને સંવાદથી આગળ વધે, તે માટે પ્રયત્નો થશે ને થતા રહેશે. શબ્દસેવીઓનો ઉત્તમ સહકાર મળતો રહેશે તેવો વિશ્વાસ છે. અલબત્ત, આ કારણે પરિષદે કરવાં ઘટે તેવાં કામોમાં ઓટ કે મંદતા ન આવે તે પણ જોવું રહ્યું. વળી, સ્વાયત્તતાનો પ્રશ્ન માત્ર પરિષદનો જ નથી, સમગ્ર સાહિત્યજગતનો છે, એને રાજકીય રૂપે જોવાનુંયે ઇષ્ટ નથી.
પરિષદ લોકશાહી ઢબે પ્રવર્તી રહેલી, શતાધિક વર્ષોની ઊજળી પરંપરા ધરાવતી પ્રજાકીય સંસ્થા છે. તેનાં ગૌરવ અને ગરિમા જળવાઈ રહે તે માટે, તેને આત્મનિર્ભર બનાવવા જરૂર પડે, તો લોકમોજાર જવાનું હું પસંદ કરું. આ સંસ્થાના પાયામાં આપણા જે આદરણીય મહાનુભાવો, સર્જકો, સમાજનિષ્ઠો અને પ્રજાપુરુષોનું તપ પડ્યું છે, તેનું પુણ્ય હજી તપે છે.
જે પ્રશ્ન છે તે પરિષદે જ કરવી પડે તેવી પ્રવૃત્તિઓનું સાતત્ય જળવાઈ રહે તે માટે ચુસ્ત-દુરસ્ત, પારદર્શી સહયોગધર્મી અને કરકસરભર્યા વહીવટનો છે. આ જવાબદારી સ્વીકારવા હું રાજી થયો છું તેના પાયામાં સચિવાલયમાં નાયબસચિવ સુધીના પદની કામગીરીના અનુભવની મૂડી પડેલી છે અને તેનો લાભ પરિષદને અગાઉ પણ મળ્યો છે.
સ્વસ્થ લોકશાહીમાં ગુપ્ત-મુક્ત મતદાન એ મતદાતાનો આગવો અધિકાર છે અને તેનો સ્વવિકાનુસાર ઉપયોગ થઈ શકે છે, થવો જોઈએ. સર્વ મતદારોના વિવેકમાં પૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે મારે કહેવાનું તો એટલું જ છે કે – Now or Never – આજે અથવા ક્યારે ય નહીં.
તા.ક. મારો પરિચય ડીસાના અખબાર ‘રખેવાળ’માંથી થોડા સંક્ષેપરૂપે આ સાથે સાભાર ઉદ્ધૃત કરુ છું.
°°°°°°°°°
સર્જક-પરિચય / શિલ્પી બુરેઠા
‘અખંડ આનંદ’ના વિભાગ કાવ્યકુંજમાં પોતાની રચનાઓ મોકલતા, સાહિત્યસર્જકોને રચના ના સ્વીકાર કે અસ્વીકારની જાણ તરત અને સરસ રીતે કરતા રહ્યા છે, એવા સંપાદક તરીકેનો અનુભવ તો કવિઓને થયો જ હશે.
હરિકૃષ્ણ પાઠકનો જન્મ તા. ૫/૮/૧૯૩૮ના રોજ થયો હતો. ૧૯૬૩થી ગુજરાત સરકારના સચિવાલયમાં જોડાયા. ૧૯૯૬માં સરકારી સેવામાંથી નાયબસચિવ(કૅબિનેટ)ના પદ પરથી નિવૃત્ત થયા. હાલ તેઓ ગાંધીનગરમાં જ રહીને અનેક રીતે પ્રવૃત્ત જીવન ગાળી રહ્યા છે. જો કે તેઓ સરકારી સેવામાં હતા, ત્યારે પણ નવોદિતો માટે શિબિરોનું સંચાલન કરીને સતત પ્રવૃત્તિશીલ રહેતા. ‘ગાંધીનગર સાહિત્યસભા’ના સ્થાપક પ્રમુખ અને ‘બુધ કવિતાસભા’ દ્વારા સતત કાર્યરત રહ્યા. તો, આ સિવાય ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે સંકળાયેલા રહ્યા. કવિતા ઉપરાંત સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં લેખન, સર્જન કર્યું. લેખકનાં પુસ્તકો નીચે મુજબ છે.
સર્જન-વિવેચન : (૧) સૂરજ કદાચ ઊગે (કાવ્યસંગ્રહ) ૧૯૭૪, (૨) ગુલાબી આરસની લગ્ગી (કિશોરકથા) ૧૯૭૯, (૩) કોઈનું કંઈ ખોવાય છે (બાળકાવ્યો) ૧૯૮૧, (૪) અડવાપચ્ચીસી (કટાક્ષકાવ્યો) ૧૯૮૪, (૫) મોરબંગલો (વાર્તાસંગ્રહ) ૧૯૮૮ (૬) દોસ્તારીની વાતો (બાળકો સાથે ગોષ્ઠિ) ૧૯૯૩, (૭) ગલીને નાકેથી (વિવેચન) ૧૯૯૩, (૮) જળના પડઘા (કાવ્યસંગ્રહ) ૧૯૯૫, (૯) હલ્લો-ફલ્લો (બાળકાવ્યો) ૨૦૦૪, (૧૦) રાઈનાં ફૂલ (હાસ્યકટાક્ષ પ્રતિભાવનાં કાવ્યો, ૨૦૦૫, (૧૧) હળવી હવાની પાંખે (પ્રવાસકથા) ૨૦૦૫, (૧૨) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ, ગાફિલ’ (પરિચયરેખા) (૧૩) નટુભાઈને તો જલસા છે (વાર્તાસંગ્રહ) ૨૦૦૮, (૧૪) અંગત અને સંગત (નિબંધસંગ્રહ) ૨૦૦૯, (૧૫) ઘટનામાટે (કાવ્યસંગ્રહ) ૨૦૦૯, (૧૬) સાક્ષર બોતેરી (કડીબદ્ધ લઘુચરિત્રકાવ્યો) ૨૦૧૧, (૧૭) સ્વૈરકથા (હાસ્યકથા) ૨૦૧૮, (૧૮) જળમાં લખવાં નામ (સમગ્ર કવિતા) ૨૦૧૧.
સંપાદન : (૧) નગર વસે છે (ગાંધીનગરના કવિઓનાં કાવ્યોનો સંગ્રહ) ૧૯૭૮, (૨) કવિતાચયન (૧૯૯૪નાં કાવ્યો) ૧૯૯૬, (૩) ગૂર્જર અદ્યતન નવલિકા (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૪) ગૂર્જર નવલિકાસંચય (રઘુવીર ચૌધરી સાથે) ૧૯૯૮, (૫) કલાપીનાં કાવ્યો – આપની યાદી ૧૯૯૯, (૬) સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય ચંદ્રકાન્ત શેઠ સાથે, ૨૦૦૨, (૭) મુકુન્દરાય પારાશર્ય સ્મૃતિગ્રંથશ્રેણી (સંપાદન : કનુભાઈ જાની તથા દિલાવરસિંહ જાડેજા સાથે) ૧. સ્મૃતિદર્શન (૨૦૧૦), ૨. છીપે પાક્યાં મોતી (૨૦૧૦), ૩. પારાશર્યનું ભાવવિશ્વ (૨૦૧૦), (૮) બાલમુકુન્દ દવેનું સમગ્ર સાહિત્ય, ૧. બૃહદ્દ પરિક્રમા – (સમગ્ર કવિતા) ૨૦૧૦, (૨) અલ્લક-દલ્લક (સમગ્ર બાલગીતો-કાવ્યો) ૨૦૧૧, (૩) પ્યાસ અને પરબ (કાવ્ય-આસ્વાદ તથા સાહિત્યિક લેખો) ૨૦૧૧, (૪) ઘટઘટમાં ગંગા (પ્રૌઢ નવશિક્ષિતો માટેના ચરિત્રાત્મક આલેખો) ૨૦૧૧.
ઍવૉડ્ર્સ/પારિતોષિક : (૧) ‘કુમારચન્દ્રક’ (૧૯૬૭ના વર્ષનાં કાવ્યો માટે, (૨) ગુજરાત સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રસ્તુત પાંચ પુસ્તકો (૧) સૂરજ કદાચ ઊગે, (૨) ગુલાબી આરસની લગ્ગી, (૩) કોઈનું કંઈ ખોવાય છે, (૪) દોસ્તારીની વાતો, (૫) ગલીના નાકેથી, (૩) નર્મદચન્દ્રક – શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ, જળના પડઘા માટે (૧૯૯૩થી ૧૯૯૭ના સમયનો), (૪) જયંત પાઠક કવિતા-પુરસ્કાર (‘જળના પડઘા’ માટે) ૧૯૯૫, (૫) ધનજી કાનજી ગાંધી સુવર્ણચન્દ્રક – (ગુજરાતી સાહિત્યસભા તરફથી) ૨૦૧૦. (૬) ક્રિટિક્સ ઍવૉર્ડ (છાંદસ કાવ્ય ‘ટાપુ’ માટે) ૧૯૮૪, (૭) ચન્દ્રશેખર ઠક્કર પારિતોષિક (‘વડ, લીમડા ને આમલી’-૧૯૭૨), અને ‘મારે તો’ – ૧૯૭૭ માટે, (૮) કવિશ્રી દલપતરામ ઍવૉર્ડ (વર્ધમાન વિકાસ ટ્રસ્ટ, વઢવાણ દ્વારા) ૨૦૧૧, (૯) નરસિંહ મહેતા ઍવૉર્ડ (સીતારામટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા) ૨૦૧૩.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2020; પૃ. 08-09