ચૂંટણી વખતે પોતાને જાગૃત નાગરિક તરીકે ઓળખાવનારાઓ નાગરિક પ્રબોધનને પોતાનું કર્તવ્ય માનીને બે સલાહ આપે છે. એક તો એ કે નાગરિકે મતદાન કરવું જ જોઈએ. એ નાગરિકનો અધિકાર છે અને મતદાન કરો તો જ લોકતંત્ર મજબૂત થાય. કેટલાક તો ત્યાં સુધી સલાહ આપે છે કે કાયદો ઘડીને મતદાન ફરજિયાત કરવું જોઈએ. પાછલાં વર્ષોમાં ઊહાપોહ કરવામાં આવતો હતો કે નાગરિક પોતાનો ધર્મ બજાવવા માગે છે પણ કોઈ ઉમેદવાર જ લાયક ન હોય ત્યાં શું કરવું? અમારે અમારો અવાજ અને અધિકાર જતાં કરવાં પડે છે. તેઓ તેમનો અવાજ અને અધિકાર વ્યક્ત કરી શકે એ માટે નોટા(નન ઑફ ધિ એબવ)ની વ્યવસ્થા કરી આપી છે. આ તો જાણે બરોબર છે. આવી શિખામણ સામે વાંધો ન હોઈ શકે.
તેઓ બીજી શિખામણ એવી આપે છે કે ઉમેદવાર જોઇને મત આપવો. તમારો ઉમેદવાર ચારિત્ર્યવાન હોવો જોઈએ, ભ્રષ્ટ ન હોવો જોઈએ, લોકોનું તત્પરતાથી કામ કરતો હોવો જોઈએ, જો આ પહેલાં તમારું તેણે પ્રતિનિધિત્વ કર્યું હોય તો તેની કામગીરી ચકાસવી જોઈએ, વગેરે. કેટલાક વળી હજુ આગળ વધીને શિખામણ આપે છે કે ઉમેદવાર જ્ઞાતિ કે ધર્મનું રાજકારણ કરનારો ન હોવો જોઈએ અને તેના નામે મત માગનારો ન હોવો જોઈએ.
લોચો અહીં છે. યક્ષપ્રશ્ન એવો છે કે મતદાતાએ ઉમેદવારને જોઇને મત આપવો જોઈએ કે પક્ષને? ૧૯૫૧-૫૨ની પહેલી ચૂંટણીથી આજ સુધીમાં લોકસભાની ૧૭ અને વિધાનસભાઓની ૪૦૦થી વધુ ચૂંટણીઓ યોજાઈ છે અને એમાં જો મતદાતાએ ઉમેદવારમાં ઉપર મુજબનાં ગુણ જોઇને મતદાન કર્યું હોત, તો ભારતની સ્થિતિ આજ જેવી ન હોત. ગામના ઉતારોને, કોમવાદીઓને, જ્ઞાતિવાદીઓને, પ્રાંતવાદીઓને, ભાષાવાદીઓને રાજકારણમાં પ્રવેશ જ ન મળ્યો હોત. આજે એ લોકો જાહેરજીવનને, રાજકીય પક્ષોને અને સમૂળગા રાજ્યને હાઇજેક કરી ગયા છે, કારણ કે આપણે ‘આપણા’ને મત આપ્યો હતો પછી ‘આપણો’ ભલે હરામખોર હોય. એનાથી કોઈ ફરક પડતો નથી. જાગૃત નાગરિકોએ તો ત્યારે પણ સલાહ આપી હતી કે ભારતની જનતાએ ભારતના નાગરિક તરીકે વોટ આપવો જોઈએ એટલે ઉમેદવાર ‘મારો’ થયો, ‘આપણો’ નહીં. એ માણસ હોવો જોઈએ માણસાઈની અખિલાઈની વાત કરતો હોવો જોઈએ. પણ ભારતના નાગરિકોએ એની ચિંતા કર્યા વિના આપણાને મત આપવાનું શરૂ કર્યું.
આપણે ખાસ છીએ, આપણી આટલી સંખ્યા છે, આપણું આટલું વર્ચસ્ છે, આપણે આપણું ચડિયાતાપણું સાબિત કરવું જ જોઈએ, આપણી સાથે અન્યાય થાય છે, આ કળિયુગમાં આપણે સંગઠિત ન થઈએ તો ફેંકાઈ જઈએ, આપણો અવાજ બુલંદ હોવો જ જોઈએ, આપણને સત્તામાં ભાગ મળવો જ જોઈએ, આપણે એકલા સત્તા ભોગવવાની લાયકાત ધરાવીએ છીએ કારણ બીજા તો બહારથી આવેલા છે, વગેરે વગેરે. આપણે, આપણે, આપણે ! આ આપણેપણાની માનસિકતામાંથી આપણા માટે આપણા પક્ષ રચાવા લાગ્યા. ભારતીય લોકતંત્ર; લોકનું, લોકો દ્વારા, લોકો માટેનું બનવાની જગ્યાએ આપણું, આપણા દ્વારા, આપણા માટેનું બની ગયું.
તમને કદાચ જાણ નહીં હોય, ૧૯૫૧-૫૨ની પહેલી સામાન્ય ચૂંટણી વખતે જ માત્ર આપણા માટે ખાસ કામ કરનારા અલાયદા બે ડઝન (કુલ પક્ષસંખ્યા ૫૩) પક્ષ રચાઈ ગયા હતા. તમને એ વાતની પણ કદાચ જાણ નહીં હોય કે ૧૯૩૦-૩૧માં અંગ્રેજ સરકારે ગોળમેજ પરિષદ બોલાવી ત્યારે ખાસ ‘આપણા’નું પ્રતિનિધિત્વ કરવા કુલ ૭૪ પ્રતિનિધિઓ ગયા હતા. એમાં એક માત્ર ગાંધીજી ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા અને બાકીના બધા ‘પોતાના’નું કે ‘આપણા’નું પ્રતિનિધિત્વ કરતા હતા. ગાંધીજી બધાનું – સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે એવા તેમના દાવાને નકારવા આપણા પ્રતિનિધિઓ આપણી વાત કરવા ખાસ પરિશ્રમ ઉઠાવીને લંડન ગયા હતા. ભવિષ્યમાં મળનારી સત્તાકીય વ્યવસ્થા અંગે ભારતમાં આપસમાં સમજૂતી થાય એ માટે લંડનમાં ત્રણ વખત ગોળમેજ પરિષદ બોલાવવામાં આવી હતી. ભવિષ્યમાં સત્તાની વહેંચણીમાં ઝઘડો ન થાય એ માટે સમજૂતી કરવા એક ટેબલ પર સાથે બેસાડવામાં આવ્યા હતા એનો અર્થ જ એ થયો કે આપસમાં સમજૂતી નહોતી.
આમ સમગ્ર ભારત અને ભારતની તમામ પ્રજા માટે નહીં, પરંતુ માત્ર આપણા લોકો માટે જ વિચારવાની અને કામ કરવાની પ્રવૃત્તિ આપણે ત્યાં યુગો જૂની છે, જેને સંસદીય રાજકારણમાં રાજકીય સ્વરૂપ મળ્યું છે. ૧૯૫૧-૫૨થી ભારતીય નાગરિકે આપણાને આપણો છે માટે ઉત્તેજન આપીને પોષ્યા છે અને તેમની રાજકીય તાકાત વિકસાવી આપી છે. આવા આપણા અને પરાયાના રાજકારણે એટલું બધું નુકસાન પહોંચાડ્યું છે જેટલું ગામના ઉતાર જેવા ઉમેદવાર રાજકારણીએ નથી પહોંચાડ્યું. એ કદાચ ભ્રષ્ટ અને ચારિત્ર્યહીન હશે, પરંતુ એ સમાજમાં વિખવાદ નથી પેદા કરતો. હું એમ માનું છું કે અત્યારની સ્થિતિમાં ભારતના સુજ્ઞ નાગરિકે ઉમેદવાર નહીં, પક્ષની પસંદગી કે નાપસંદગી કરવી જોઈએ. પહેલા તો એવા પક્ષોને નાપસંદ કરવા જોઈએ જે માત્ર ચોક્કસ કોમના હિત માટે કામ કરતા હોય. આપણા માટે કામ કરનારા બીજા માટે કામ ન કરી શકે અને બીજા માટે કામ કરનારા આપણા માટે કામ ન કરી શકે. આવા લોકો સત્તા ખાતર સમાજ વિભાજન કરે છે અને છતાં જો મતદાતા એ આપણા છે માટે મત આપતા હોય તો પહેલો ગુનેગાર નાગરિક છે, રાજકીય નેતા કે પક્ષ નથી.
તમને એ વાતની પણ કદાચ જાણ નહીં હોય કે ભારતીય બંધારણમાં રાજકીય પક્ષનો ઉલ્લેખ જ નથી. પક્ષાપક્ષી ત્યાં નહીં પરમેશ્વર એમ ઘણું થયું, હવે આપણે ભારતીય બનવાનું છે. નાગરિક પોતાનો પ્રતિનિધિ ચૂંટશે, એ પ્રતિનિધિ પ્રતિનિધિગૃહમાં પ્રજાનું પ્રતિનિધિત્વ કરશે, પ્રતિનિધિઓ પ્રતિનિધિગૃહમાં તેમના નેતાને ચૂંટશે અને એ નેતા કેન્દ્રમાં કે રાજ્યમાં સરકાર રચશે. આમ બંધારણ મુજબ વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન ગૃહના નેતા તરીકે ઓળખાય છે, પક્ષના નહીં.
એ તે કેવું દુર્ભાગ્ય કે દેશનો વડો પ્રધાન પક્ષનો વડા પ્રધાન બની જાય છે! શિવાજી મહારાજને મરાઠા બનાવી દેવામાં આવે છે અને સરદાર પટેલ ગુજરાતના અને હવે તો પટેલોના. પહેલી શરત છે આપણે ભારતીય બનીએ અને જે ભારતીય નથી તેને નકારીએ. ટૂંકમાં તમે તમારો મત ઉમેદવારને જોઇને નહીં આપતા પક્ષને જોઇને આપજો.
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 14 ઍપ્રિલ 2019