એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય છે.
સહૃદય અને સમીક્ષક હમેશાં સાહિત્યિકતાની પરવા કરતા હોય છે, તેની પૂરતી કાળજી પણ રાખતા હોય છે.
આજે, સહૃદયસમાજ વિશે :
આ સહૃદયસમાજ એટલે શું? ગુજરાતી જેવી પ્રાદેશિક ભાષાના સાહિત્યમાં ભિન્ન ભિન્ન કક્ષાના સહૃદયોનો બનેલો ‘સમાજ’ મળવો મુશ્કેલ હોય છે. વળી, ત્યાં સહૃદયો હોય છે ખરા, પણ ત્રણ-ચાર આંગળીને વેઢે ગણાય એટલા – વિરલ.
એમાં પણ પ્રગટ અને પ્રચ્છન્ન એવા બે વર્ગ જોવા મળે છે. પ્રગટ એ અર્થમાં કે તેઓ પોતાના સાહિત્યસમયને પોતાના સહૃદય-દર્પણમાં ઝીલી જાણે છે અને તે સાહિત્યની જાહેર સમીક્ષા કરે છે. નર્મદ, નવલરામ, નરસિંહરાવ, બ.ક.ઠા., રમણભાઈ નીલકંઠ, મુનશી, ઉમાશંકર જોશી, સુન્દરમ્, નિરંજન ભગત, સુરેશ જોષી આદિ દિવંગતો પ્રગટ સહૃદય હતા.
પણ તુલનાએ સમજી શકાશે કે દલપતરામ, ન્હાનાલાલ, ગાંધીજી, રાજેન્દ્ર શાહ પ્રચ્છન્ન સહૃદયો હતા; એમણે ગળું ફાડીને પોતાના સમયની સમીક્ષા ન્હૉતી કરી. તેમછતાં, એમને આપણે કોઈપણ ધૉરણે ઓછા સહૃદય નથી ગણી શકતા.
ભારતીય સ્તરે આપણા કયા સાહિત્યકારને સહૃદયી પ્રતિભાવ સાંપડ્યો, એ એક વિચારણીય પ્રશ્ન છે. એટલે કે, કયો પરભાષી સહૃદય આપણા કયા સાહિત્યકારની કઈ કૃતિને પામ્યો અને તે વિશે તેણે પોતાની ભાષામાં લખ્યું, બલકે, પરભાષાના સાહિત્યક્ષેત્રે તે કેટલો ઝીલાયો.
સુવિદિત છે કે કાલિદાસ શેક્સપીયર રવીન્દ્રનાથ ચેખવ બૅકેટ વગેરેની સૃષ્ટિઓને આપણા સહૃદયી સાહિત્કારો સૌ પહેલાં પામ્યા હતા ને પછી તેઓએ તેમને વિશે લખ્યું હતું કે અનુવાદ કરવા લગીનું, ઉમાશંકરે તો સમશ્લોકી અનુવાદ કરવા લગીનું, દિલી સાહસ કર્યું હતું.
ટ્રેનમાં સહપ્રવાસી જોડે નાની સરખી મૈત્રી ઊભી થઈ જાય છે. આપણો ગુજરાતી હાંડવો એને અને એની મિષ્ટી આપણને એટલો સમય મધુર લાગતાં હોય છે. સ્વાર્થ-પરમાર્થ બન્ને સધાય છે. દિલ્હી સાહિત્ય અકાદમીમાં કોઈ સ્તરે કર્તાધર્તા હોવાથી મળેલી કે ભારતમાં હરતાફરતા રહેવાથી મળેલી અન્ય ભાષાના સાહિત્યકાર સાથેની મૈત્રીને હું એવું જ સદ્ભાગ્ય ગણું છું. પરન્તુ એ મિત્રે કશો સહૃદયી પ્રતિભાવ એની ભાષામાં લખ્યો ન હોય તો એ મૈત્રીનું સાહિત્યિક ધૉરણે ખાસ કશું મૂલ્ય નથી બનતું.
સુરેશ જોષીએ ભાગ્યે જ જેને ભારતભ્રમણ કહેવાય એવી શારીરિક ચેષ્ટા કરેલી, એ તો હાથમાં પુસ્તક સાહી બારીએ બેસીને આકાશ જોતા જોતા વિશ્વયાત્રા કરતા હતા, એમની એવી મૈત્રી તો કેટલા બધા એઓ સાથે ! પણ ભારતના કોઇ ગણમાન્ય સહૃદયે એમને વિશે કશું અંકે કરવાલાયક લખ્યાનું મારી જાણમાં નથી. સલમાન રશદી મળવા આવેલા કે નામવરસિંહ વડોદરા જતા તો સુરેશભાઈને મળ્યા વિના રહે નહીં, એ વાતોનું પણ એ જ મૂલ્ય છે.
મારે આમ્સ્ટર્ડામમાં ડચ મિત્રો છે, એમાં લેખકો પણ છે, અમે એકબીજાના સાહિત્યની વાતો કરીએ છીએ, પણ અંગ્રેજીમાં ! એ મને રૅમ્બ્રાં ને વાન ગોઘનાં મ્યુઝિયમોમાં લઈ જાય છે, એ મને એ બે મહાન કલાકારોનાં પેઇન્ટિન્ગ્સની વિશેષતાઓ સમજાવે છે, છતાં, સહૃદયી પ્રતિભાવના મુદ્દે અમે મિત્રો જ રહી જઈએ છીએ. કારણ કે મારી ગુજરાતી વાર્તાનો એણે કે એના ડચ કાવ્યનો મેં કશો રસાનુભવ કર્યો હોતો નથી. ટૂંકમાં, એવી મૈત્રીને ‘મૈત્રી’-ના વાચ્યાર્થથી વધારે મૂલ્ય ન અપાય, તે સમજાય એવું છે.
હું ઇનામીઓને કે ઍવૉર્ડીઓને પણ સહૃદયી પ્રતિભાવ પામેલાઓમાં નથી ગણતો કેમ કે ઇનામ કે ઍવૉર્ડ સહૃદયી પ્રતિભાવનું ફળ નથી હોતું, કહો કે, જવલ્લે જ હોય છે. એ તો એ સંસ્થાઓની જરૂરિયાતોનું સાગમટે નીપજતું એક કામચલાઉ પરિણામ હોય છે.
કે.કે. બિરલાના પદાધિકારીઓને ખબર નથી હોતી કે જે તે વર્ષે કયો ગુજરાતી એમના ઍવૉર્ડને પાત્ર ગણાય – ફૉર ધૅમ ઇટ રીમેઇન્સ અ મૅટર ઑફ કરેક્ટ ઇન્ફર્મેશન. હા, એ માહિતી એમને પસંદગીસમિતિ આપતી હોય છે, પણ એ માહિતી કેટલી કરેક્ટ હોય છે એ પ્રશ્ન ઊભો રહે છે.
સંસ્થાઓએ ઝોન પાડ્યાં હોય છે. પદાધિકારી કહેતો હોય છે – હમારા ઍવૉર્ડ ગત સાલ તો ગુજરાતી કો દિયા ગયા થા; હમારી પૉલિસી હૈ કિ પુનરાવર્તન નહીં કરના …
Pic courtesy : Alamo
ઝોન પાડ્યા હોય છે એટલે અન્તિમ નિર્ણાયક સમિતિમાં એ ઝોનમાં આવતી બીજી ત્રણેક ભાષાના સભ્યો પણ હોય છે. બહુ સ્વાભાવિક છે કે એ દરેક સજ્જન પોતાની ભાષાના સાહિત્યકારનું પૂંછડું તાણે. પરન્તુ ત્યારે કૃતિના પ્રાણને વર્ણવી બતાવવાનું કામ અધ્ધર રહી જાય છે, એટલે કે, સહૃદયી પ્રતિભાવ તો બચારો ક્યાં ય ખૂણે બેસી રડમસ થઈ ગયો હોય છે.
ત્યારે મેં સહૃદયી પ્રતિભાવ અને સમ્યક સમીક્ષા કરીને સૌને સમજાવેલું કે – જુઓ મહેરબાનો, આ બધા પ્રસ્તાવોમાં ‘કુરુક્ષેત્ર’ કૃતિ ઉત્તમ છે; સમજાવેલું કે નવલકથાનાં સર્વમાન્ય અને વ્યાપક ધૉરણે આ કૃતિ કેવી રીતે ઉત્તમ ઠરે છે. આ વર્ષે, કે.કે. બિરલા એના લેખકને જ મળવો જોઇએ. અને, તે વર્ષે દર્શકને અપાયેલો. મને નથી ખબર કે ‘કુરુક્ષેત્ર’-નો કોઈ ભારતીય ભાષામાં અનુવાદ થયો હોય, કે એને વિશે કશું નૉંધપાત્ર લખાયું હોય. (કોઈ જણાવશે તો આભારી થઇશ).
એમાંથી જ સવાલ પ્રગટે છે કે ઇનામો-ઍવૉર્ડો કૃતિના પ્રસારને પ્રેરે છે કે ત્યાં જ ‘ઇતિસિધ્ધમ્’ થઇ જાય છે.
વાતનો સાર પકડવાનો છે. એ કે ઇનામો-ઍવૉર્ડોને સહૃદયી પ્રતિભાવ ગણાય નહીં. મોટેભાગે એ મૅનુવરિન્ગ કે મૅનેજમેન્ટ હોય છે. અથવા એ એવું બૅટલફીલ્ડ છે જ્યાં જીતવાનું સહૃદયી નિર્ણાયક માટે અતિ કઠિન જ નહીં, અશક્ય હોય છે.
વાતનો બીજો સાર પણ છે; એ કે ઍવૉર્ડીએ પણ એને જીવનસિદ્ધિ ગણીને બીજાઓને ભરમાવવાની જરૂરત નથી; ફુલાઈને ઍવૉર્ડની તક્તીને પંપાળતા રહીને કીર્તિના અભયારણ્યમાં પડી રહેવાની પણ જરૂર નથી. એણે સર્જન / લેખન કરવું રહેશે, એને યાદ રહેવું જોઇશે કે પોતાની ભાષાના સાહિત્યકારો વચ્ચે જ પોતે ‘મહાન’ છે અને તેમની જોડે સહભાગી રહેવું એ બહુ મોટું દાયિત્વ છે. બીજાઓ કહેશે – તને છતરી મળી ગઈ એટલે ભર વરસાદમાં તું તો સડક વચ્ચેથી હરખાતો હરખાતો હાલ્યો જઉં છું પણ જેમની પાસે ન્હૉતી તેઓ તો દુકાનોમાં ચાલી ગયા છે, એમનું શું?
પ્રાદેશિક ભાષાના સાક્ષર માટે મારે હજી તો ઘણું કહેવાનું બાકી છે.
ઇનામ-ઍવૉર્ડ નામનું ગાજર આજના જમાનામાં ઝૅરી છે એટલું સમજાય તો બસ છે. બે-ચાર સહૃદયી મળે એના જેવું અ-મૃત સાહિત્યકાર માટે શું હોઈ શકે?
= = =
(Dec 12. 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર