— 1 —
(મારી આ નવતર લેખશ્રેણીમાં અવારનવાર મન્તવ્ય-જ્યોત પ્રગટાવતો રહીશ.)
આ મન્તવ્ય-જ્યોત અને સાહિત્યદીપ પ્રજ્વલિત રહે ને પ્રકાશ વધુ ને વધુ પ્રસરે એવી આશા છે.
જ્યોત ૧ : સાહિત્ય, ભાષિક હસ્તી છે :
સાહિત્ય, ભાષિક હસ્તી છે – લિન્ગ્વિસ્ટિક ઍન્ટિટી. એ શબ્દોનું બનેલું છે. મનુષ્ય, મનુષ્યનો સંસાર, મનુષ્યના વિચારો, મનુષ્યની ભાવનાઓ કે લાગણીઓ સાહિત્યમાં ક્યારે ય પણ શબ્દ રૂપે જ હોઇ શકે છે, ન અન્યથા; અરે, તેનાં કાર્યો પણ.
જીવન છે તો શબ્દ છે એ સાચું છે, પણ સમજવાનું એ છે કે શબ્દ છે તો જીવન છે એ પણ એટલું જ સાચું છે.
શબ્દ અને જીવનનું આ તળનું જોડાણ આપણે કદી ભૂલવું ન જોઈએ.
પણ એ જોડાણ ઘણા લોકોને ગળે નથી ઊતરતું; એટલે તેઓ જીવનની તરફેણ કરે છે અને શબ્દસૃષ્ટિરૂપ સાહિત્યને તકલાદી ગણતા થઇ જાય છે. છેલ્લે તેઓ સાહિત્યને મિથ્યા – નકામું – ગણવા લગી પ્હૉંચી જતા હોય છે. કેટલાક તો સાહિત્યકારોને ‘વેવલા’ વગેરે ગણીને મશ્કરીઓ કરતા હોય છે.
પરન્તુ સાહિત્ય સાથે જોડાયેલા આપણે સૌએ એ દ્વેષ્ટાઓને ઓળખી લેવા જોઈશે તેમ જ શબ્દ અને જીવનનું, બેયનું, હમેશાં જતન કરવું જોઈશે, ગૌરવ કરવું જોઇશે.
= = =
(May 3, 2022: USA)
— 2 —
જ્યોત ૨ : તમામ લેખનો સર્જન છે :
જગવિખ્યાત ભાષાવિજ્ઞાની નૉમ ચૉમ્સ્કીએ એમ કહેલું કે વર્તનપરક સિદ્ધાન્તથી – બીહેવિયરલ થીયરીથી – એમની લિન્ગ્વિસ્ટીક થીયરી અલગ છે. એમનું મન્તવ્ય હતું કે માણસને ભાષાપ્રાપ્તિ થાય છે, ભાષાનું નિયન્ત્રણ થાય છે, તે કોઇ એક ભાષાના વ્યાકરણથી નહીં પણ સર્વ ભાષા અન્તર્ગત રહેલા સાર્વત્રિક વ્યાકરણી નિયમોથી થાય છે – યુનિવર્સલ ગ્રામેટિકલ રુલ્સથી થાય છે; ઉપરાન્ત, એ નિયમો સૌ વિકાસશીલ મનુષ્યો વચ્ચે સમાન છે.
આપણે જાણીએ છીએ કે સંસ્કૃતિઓ ભિન્ન ભિન્ન હોય છે છતાં કેટલાક ભાષિક વિકાસો તેમની વચ્ચે સમાન હોય છે. ચૉમ્સ્કીએ એ સામ્યો માટે માણસના મગજમાં સ્થિત ઇન્નેટ લૅન્ગ્વેજ – ઍક્વિઝિશન મિકેનિઝમને જવાબદાર ગણ્યું છે – ભાષાપ્રાપ્તિને માટેની ચિત્ત-અન્તર્ગત યાન્ત્રિકતા. ભાષાવિજ્ઞાનીઓ એને LAD કહે છે – લૅન્ગ્વેજ-ઍક્વિઝિશન ડીવાઇસ.
ચૉમ્સ્કી જણાવે છે કે એથી ભાષા-પ્રક્રિયાનો પ્રારમ્ભ અને વિકાસ થાય છે. માણસ બાળક હોય ત્યારથી ભાષાના શબ્દો ઉચ્ચારી શકે છે, ભાષા શીખી શકે છે. ચૉમ્સ્કીનું મન્તવ્ય એમ હતું કે LADની બક્ષિશ માત્ર મનુષ્યજીવોને જ મળી છે, જન્મતાંવેંત મળી છે. તેઓ ભાષાને માનવીય, એટલે કે સ્પિશીઝ સ્પેસિફિક, અને અનન્ય, એટલે કે યુનિક લેખે છે.
પોતાની એ સિદ્ધાન્તસરણી અનુસાર, ચૉમ્સ્કી ભાષિક સર્જકતાની વાત કરે છે. એ સર્જકતાને તેઓ મનુષ્યની એક પ્રાથમિક પ્રવૃત્તિ ગણે છે. પ્રવૃત્તિની પ્રાથમિકતા એ કે દરેક બોલનારો નવા શબ્દાર્થો સરજે છે અને દરેક સાંભળનારો તે શબ્દાર્થોને ફરી એક વાર ઘટાવે છે, તેનું ફરી એક વાર સર્જન કરે છે. એ પ્રકારે અને એ રીતે ભાષિક સાતત્ય મનુષ્યોમાં સંતતની ઘટના બની છે.
આ ભાષિક સર્જકતાનો સાર જ એ છે કે મનુષ્ય જો થંભે નહીં તો અમાપ લંબાઇનું દીર્ઘતમ વાક્ય સરજી શકે છે …
હું આ ભૂમિકાએ કહું છું કે તમામ લેખનો સર્જન છે; સાહિત્ય ભાષિક હસ્તી છે એ ખરું પણ ભાષા પોતે જ એક માનવીય સર્જન છે. તેથી યાદ રાખવું જોઈશે કે કાવ્ય, કથા કે નાટક વગેરે તો સર્જન છે જ, પરન્તુ નિબન્ધ વિવેચન કે સમીક્ષા વગેરે તમામ લેખનો પણ સર્જન છે.
આ ઊંડું સત્ય છે. અમુકોથી એ વીસરાઈ જાય છે ત્યારે સર્જક ઊંચો ને વિવેચક નીચો જેવા ભેદ-ભાવ પ્રગટે છે.
એ મિથ્યાચારીઓથી આપણે બચવું જોઈશે.
= = =
(May 5, 2022: Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દિવાલેથી સાદર