‘હું ઈચ્છું છું કે મારાં બાળકો એમનાં સ્વપ્નો જાતે શોધે અને એમને સાકાર કરે. હું શું ઈચ્છતો હતો એ નહીં, પણ પોતે શું ઈચ્છે છે તે જાણે. ઈટ ઈઝ ઈમ્પૉર્ટન્ટ ટુ હેવ અ સ્પેસિફિક ડ્રીમ. જે સ્વપ્નને ભૂલી શકાતું હોય, એ સ્વપ્ન સ્વપ્ન નહીં, ઈચ્છા કહેવાય …’
પુસ્તકો એ એવા માણસો પાસે જ જાય છે, જે એની પ્રતીક્ષા કરતા હોય. કેટલાંક પુસ્તકો મુશ્કેલ સમયે મળી જાય છે અને આપણી શૂન્યતાને ભરી દે છે. રૅન્ડી પૉશ આજે નથી, પણ આપણા અંધારામાં પ્રકાશ ફેંકવા માટે એનું ‘ધ લાસ્ટ લૅક્ચર’ આપણી પાસે છે, રહેશે.
23 એપ્રિલ એટલે વિશ્વપુસ્તકદિન. વિખ્યાત સર્જક શેક્સપિયરનો જન્મ 1564ની 26 એપ્રિલે. 1616ની 23 એપ્રિલે શેક્સપિયરની પુણ્યતિથિ અને એ જ વર્ષની 22 એપ્રિલે સ્પૅનિશ નવલકથા ‘ડૉન કિહોટે’ના લેખક સર્વાન્ટિસની પણ પુણ્યતિથિ. આ ત્રણે પ્રસંગોની સ્મૃતિમાં 1995થી યુનેસ્કો દ્વારા શરૂ થયેલો વિશ્વપુસ્તકદિન વિશ્વના સો કરતાં વધારે દેશ ઊજવે છે. ભલે આજનો યુગ ડિજિટલ છે અને આવતી કાલનો યુગ સુપર ડિજિટલ થઈ જાય, સારાં પુસ્તકનો એક મહિમા અને એક દબદબો તો રહેવાનો જ.
વાત કરીએ પ્રોફેસર રૅન્ડી પૉશના એક પુસ્તક ‘ધ લાસ્ટ લૅક્ચર’ની. કૅન્સરથી જેનું મૃત્યુ નજીક છે એ 46 વર્ષનો માણસ પોતાના છેલ્લા લૅક્ચરમાં કંઈક એવું કંઈક કહે છે જેનાથી સાંભળનારના જીવનમાં કશુંક ઉમેરાઈ જાય છે. પુસ્તકનો વિષય છે સ્વપ્નો અને જિંદગી. વાત આમ જોઈએ તો નવી નથી, પણ એણે એને જે રીતે મૂકી છે, જે સંજોગોમાં મુકાયા પછી મૂકી છે એમાં એની ખરી મહત્તા છે.
પ્રોફેસર રેન્ડૉલ્ફ ફ્રેડરિક પૉશનો જન્મ બાલ્ટિમોરમાં. 22 વર્ષની ઉંમરે કૉમ્પ્યૂટર સાયન્સમાં પીએચ.ડી. થઈ તે પ્રોફેસર બની સંશોધનમાં જોડાયા. 2006માં પેનક્રિયાસ કૅન્સરનું નિદાન થયું ત્યારે એની ઉંમર 46 વર્ષની. કારકિર્દી ટૉચ પર હતી – પુસ્તકો લખાતાં હતાં, ઍવૉર્ડ્ઝ મળતા હતા, 8 વર્ષ પહેલાં જ લગ્ન થયાં હતાં, નાનાં નાનાં ત્રણ બાળકો હતાં. બીજા વર્ષે ડૉક્ટરોએ કહ્યું, ‘ત્રણથી છ મહિના.’ તેણે કુટુંબને પત્નીનો પરિવાર રહેતો હતો તેની નજીકના શહેરમાં ફેરવ્યું. ત્રણ મહિના પછી તેનું મૃત્યુ થયું.
મૃત્યુના થોડા મહિના અગાઉ તેણે ‘લાસ્ટ લૅક્ચર’ આપ્યું હતું. તેનો ટૂંકસાર તેણે અગાઉ ઑપ્રાહ વિનફ્રે શોમાં કહ્યો હતો. કાર્નેગી મૅલો યુનિવર્સિટીના ખીચોખીચ હૉલમાં લૅક્ચર આપવા એ સ્ટેજ પર હાજર થયો અને લોકોએ ઊભા થઈને તાળીઓથી એને વધાવી લીધો. એણે કહ્યું, ‘મને આ સન્માન માટેની લાયકાત તો પુરવાર કરવા દો!’ એક અવાજ આવ્યો, ‘તમે કરી બતાવી છે.’
શરૂઆત કરતાં એણે પોતાના કૅન્સરની વિગત આપી, ‘પણ મારી દયા ન ખાશો. હું શરીર અને મનથી બરાબર છું’ અને એણે સ્ટેજ પર પુશઅપ્સ કરી બતાવ્યાં! પછી કહ્યું, ‘તો, ભલે મારું મૃત્યુ નજીક છે, પણ આજનું લૅક્ચર મૃત્યુ વિશે નથી, જિંદગી વિશે છે. ખાસ તો બાળપણનાં સ્વપ્નો વિશે અને તેને સાકાર કેમ કરવાં એ વિશે છે. હું આઠ વર્ષનો હતો ત્યારે મેં ડિઝનીલૅન્ડ જોયું. નક્કી કર્યું કે હું પણ આવું કંઈક બનાવીશ. ગ્રેજ્યુએટ થયા પછી મેં ઈમેજિનિયર બનવાની કોશિશ કરી. વૉલ્ટ ડિઝની થીમ પાર્કમાં કલ્પના અને ટેકનોલોજીના ઉચ્ચ સંયોજન વડે નવાં સાધનો બનાવનારને ઈમેજિનિયર કહે છે. તરત તો રિજેક્શન જ મળ્યું, પણ મેં ખૂબ મહેનત કરી, અને ડિઝની વર્લ્ડની ઈમેજિનિયરિંગ ટીમમાં સ્થાન મેળવ્યું. અમે અલ્લાદ્દીનની ઊડતી શેતરંજી બનાવી હતી!
બીજું, નક્કી કરો કે તમારે ઊર્જાભર્યા, આશાવાદી, જિજ્ઞાસુ, ઉત્સાહી અને આનંદી રહેવાનું છે. આનંદને કદી જરા પણ ઓછો ન આંકતા. મારે છેલ્લા દિવસ સુધી એક એક ક્ષણ આનંદમાં વીતાવવી છે. જેનાં સ્વપ્નો સાકાર થાય છે તે વધુ ઉત્સાહી, વધુ સૌજન્યપૂર્ણ અને વધુ આનંદી બને છે. જીવનને અખંડતામાં જીવી શકે છે …’
સહલેખક જેફરી ઝૅસ્લો સાથે ‘ધ લાસ્ટ લેક્ચર’ પુસ્તક બન્યું છે જેમાં આ લેક્ચરને વિસ્તારપૂર્વક અને અન્ય વિગતો સાથે મૂકવામાં આવ્યું છે. તેની લાખો નકલો વેચાઈ છે અને 46 ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે.
સવા બસો પાનાંનું આ પુસ્તક એક વાર હાથમાં લીધા પછી છોડી શકાય એવું નથી. પુસ્તક શરૂ થાય છે ‘મારા માતાપિતાએ મને સ્વપ્નો જોવા દીધાં એના આભાર અને મારાં સંતાનો જે જોશે એ સ્વપ્નોની આશા સાથે …’
આગળ લખે છે, ‘મારા આ તંદુરસ્ત દેખાતા શરીરમાં કૅન્સરની દસ ગાંઠ છે અને હું થોડા મહિનાથી વધારે જીવવાનો નથી … તો હવે બચેલા દિવસોને મારે કેવી રીતે વીતાવવા?
‘પરિવાર સાથે રહેવું છે. વીસ વર્ષમાં મેં જે શીખવ્યું હોત એ બધું મારાં બાળકોને આપી જવું છે. આ વિચાર મને ‘ધ લાસ્ટ લૅક્ચર’ સુધી લઈ ગયો. હું ચિત્રકાર હોત તો એમને માટે ચિત્રો કરી જાત. સંગીતકાર હોત તો સંગીત મૂકતો જાત. પણ હું લેક્ચરર છું એટલે લેક્ચર છોડી જઈશ.
‘સમય ખલાસ થતો જતો જાય છે. મારે એક એક ક્ષણ મારાં બાળકો સાથે વીતાવવી છે, પણ અમુક ખાસ કસરત કરવા મારે બાઈક લઈને લાંબે જવાનું હોય છે. આવી 53 બાઈકરાઈડમાં મેં હૅડફૉન લગાવી જેફરી ઝેસ્લૉ સાથે વાત કર્યા કરી છે અને એણે ખૂબ મહેનત લઈ એને કાગળ પર ઉતારી છે. આ પુસ્તકને ખરેખર તો ‘ફિફટી થ્રી લૅક્ચર્સ’ નામ આપવું જોઈએ.
‘મને ખબર છે કે જીવતા પિતાનો કોઈ વિકલ્પ નથી. પણ અમારું એન્જિનિયરોનું કામ, મર્યાદિત સ્રોતોમાંથી શ્રેષ્ઠ પરિણામ લાવવાનું હોય છે. મેં લેક્ચરમાં એ જ કર્યું હતું, પુસ્તકમાં પણ એ જ કર્યું છે. સિંહ ઘાયલ થયો છે, પણ એને ગર્જના કરવી છે. મારી પાસે કેવા પત્તાં છે તે ભલે મારે નક્કી કરવાનું ન હોય, પણ એને કેવી રીતે રમવાં એ તો હું જ નક્કી કરીશ.’
જો કે લાંબી મુસાફરી અને લેક્ચરની તૈયારી ઘણા સહિયારા દિવસોને ખાઈ જવાની હતી એથી શરૂઆતમાં એની પત્ની જે(એનું નામ)એ એને રોકવા પ્રયત્ન કર્યો, પણ પછી એનો સંકલ્પ પૂરો કરવા સાથ આપ્યો.
પુસ્તકમાં એ લખે છે, ‘શાવર નીચે ઊભો ઊભો હું એ જ વિચારે રડતો હોઉં છું કે મારા સંતાનોને પિતા નહીં હોય. જેમનાં માબાપ બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યા હોય, એમને હું પૂછું છું કે તમને એમનું શું સૌથી વધારે યાદ આવે, શાનાથી આશ્વાસન મળે, ત્યારે તેઓ તરત કહે છે, ‘એમનો અમારા પરનો પ્રેમ.’
‘હું છ વર્ષના ડાઈલિનને ડૉલ્ફિન સાથે તરવા લઈ જાઉં છું. ત્રણ વર્ષના લોગાનને મિકિ માઉસને મળવાનું મન છે, લઈ જઈશ, દીકરી દોઢ વર્ષની છે. એને હું યાદ નહીં રહું. પણ તે, એ સ્મૃતિ સાથે મોટી થાય કે તેના પ્રેમમાં પડનારો પહેલો પુરુષ હું હતો, એ મને ગમે. એ કોઈ ઈચ્છા વ્યક્ત કરવા માટે નાની છે, પણ એ મારી સામે જુએ ત્યારે હું આખો ઓગળી જાઉં છું.
‘હું ઈચ્છું છું કે મારાં બાળકો એમનાં સ્વપ્નો જાતે શોધે અને એમને સાકાર કરે. હું શું ઈચ્છતો હતો એ નહીં, પણ પોતે શું ઈચ્છે છે તે જાણે. ઈટ ઈઝ ઈમ્પૉર્ટન્ટ ટુ હેવ અ સ્પેસિફિક ડ્રીમ. જે સ્વપ્નને ભૂલી શકાતું હોય, એ સ્વપ્ન સ્વપ્ન નહીં, ઈચ્છા કહેવાય.
‘મારી પત્નીએ મરતા પતિને સંભાળવા સાથે ત્રણ નાનાં બાળકોને સાચવ્યાં છે. આઠ વર્ષમાં એકબીજાંને ખૂબ પ્રેમ કર્યો છે. એનો અંત આવશે એ વિચારથી અમે ખૂબ રડ્યાં છીએ પણ તૂટ્યાં નથી, કેમ કે બાળકોને માટે અમારે મજબૂત રહેવાનું છે …’
પુસ્તકોની આ ખૂબી છે. એ એવા માણસો પાસે જ જાય છે, જે એની પ્રતીક્ષા કરતા હોય. કેટલાક પુસ્તકો મુશ્કેલ સમયે મળી જાય અને આપણી શૂન્યતાને ભરી દે. રૅન્ડી પૉશ આજે નથી, પણ આપણા અંધારામાં પ્રકાશ ફેંકવા માટે એનું ‘ધ લાસ્ટ લૅક્ચર’ આપણી પાસે છે, રહેશે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 24 ઍપ્રિલ 2022