સ્ત્રી સશક્તિકરણ :
સુરતની જ ઘટના છે. અમરોલીના એક દંપતીએ લગ્ન કરાવી આપવાની લાલચે 17 વર્ષની એક સગીરાનું ફોર વ્હીલરમાં અપહરણ કર્યું અને ઉત્તર પ્રદેશના અલગ અલગ ગામોમાં તેને સગાંઓને ત્યાં રાખીને, અનેક વાર દુષ્કર્મ કર્યું ને તેને ગર્ભવતી બનાવી. આ ગુનો કરવામાં પત્નીએ પતિને મદદ કરી. સગીરા પરત ફરી ને ઘરની વ્યક્તિઓને જે વીત્યું તેની વાત કરતાં પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. કોર્ટમાં કેસ ચાલ્યો ને કોર્ટે પતિને છેલ્લા શ્વાસ સુધીની આકરી સજા ફરમાવી ને પત્નીને પણ ગુનામાં મદદ કરવા બદલ 10 વર્ષની સખત કેદની સજા ફટકારી. સગીરા સાથેનાં દુષ્કર્મની ઘટનાઓ વધતી આવે છે તે ચિંત્ય છે. મોટે ભાગના કિસ્સાઓમાં લગ્નની લાલચ અપાય છે ને તેનો ગેરલાભ ઉઠાવાય છે. સગીરા ગર્ભવતી થાય છે ત્યાં સુધી દુષ્કર્મની વાત બહાર આવતી નથી, પણ પછી વાત સગીરાના કુટુંબમાં ને ત્યાંથી પોલીસમાં પહોંચે છે. કોર્ટ ચુકાદો આપે છે ને ગુનેગારને સજા પણ થાય છે, પણ સગીરા અને તેનાં કુટુંબ પર જે વીતે છે તે જીરવવાનું મુશ્કેલ હોય છે. અહીં વાત કરી છે એ અને એવા બીજા કિસ્સાઓમાં ગુનેગારો વિશ્વાસ જીતીને છેતરપિંડી કરતાં હોય છે. સગીર બાળાઓ સાથે આત્મીયતા વધારીને તેની સાથે શરૂઆતમાં બહેન કે પુત્રી હોય તેવો વર્તાવ ગુનેગારો કરતા હોય છે ને અમુક પ્રકારનો વિશ્વાસ ઊભો થયા પછી તક મળતાં તેનું શારીરિક શોષણ કરે છે. આ લોકો ગુનો તો કરે જ છે, પણ સામાજિક સંબંધોને પણ લજવે છે. આમાં અત્યંત ઘૃણાસ્પદ વર્તન તો પત્નીનું હોય છે જે ગુનો કરવામાં પતિને મદદ કરતી હોય છે ને એ રીતે શત્રુની ભૂમિકા અદા કરતી હોય છે. આ બહુ જ દુ:ખદ છે. એક સ્ત્રી, બીજી સ્ત્રીની મદદ કરવાનું તો દૂર, પુરુષને સ્ત્રીનું શારીરિક શોષણ કરવામાં મદદ કરીને કેવળ નિષ્ઠુરતા જ બતાવતી હોય છે. આમ કરવામાં તેને કયો આનંદ આવતો હશે એ નથી સમજાતું, પણ આ બધી રીતે નિંદનીય છે ને એવી સ્ત્રીને કોર્ટે પૂરી નિર્મમતાથી સજા કરવી જ જોઈએ એ વિષે બેમત નથી.
બીજી એક ઘટના પણ સુરતના ગોડાદરાની છે. હાલ 31 વર્ષની ઉંમરની એક યુવતીનાં લગ્ન બેંગલોરમાં નોકરી કરતા એક યુવક સાથે 2015માં થયાં હતાં. લગ્નનાં થોડા જ વખતમાં સાસુનું કેન્સરમાં અને સસરાનું હાર્ટએટેકથી મૃત્યુ થતાં યુવતી અપશુકનિયાળ ગણાવા માંડી. બાકી હતું તે સાત વર્ષ લગ્નનાં થવા છતાં, ઘરમાં ઘોડિયું નહીં બંધાતાં નણંદ અને નણદોઈએ યુવતીને મહેણાં મારવાં માંડ્યાં. આમ થતાં યુવતીએ પતિ પાસે સંતાન સુખની માંગણી કરી. આ એવો પતિ હતો જે લગ્ન થયાં હોવા છતાં પત્નીને અડક્યો જ ન હતો. પત્નીએ પતિ પાસે સંતાન માંગ્યું તો પતિએ પત્નીને, તેનાં પિતા પાસેથી 50 લાખ રૂપિયા લઈ આવવા કહ્યું. પત્ની 50 લાખ નહીં લાવે ત્યાં સુધી પોતે તેની સાથે સંબંધ નહીં બાંધે ને બાળક નહીં આપે તેવી સ્પષ્ટતા થતાં વાત પોલીસમાં પહોંચી. હવે ફરિયાદ થઈ છે એટલે કાયદો તો કાયદાની રીતે કામ કરશે, પણ આ ઘટના કેટલીક બાબતે ચર્ચા માંગે છે. જેમ કે, હજી દહેજનું દૂષણ અટક્યું નથી. એક સમયે દહેજની માંગણી સાસરા પક્ષના વડીલો કરતા ને જેના લગ્ન થઈ રહ્યા છે તે દીકરાને આ માંગણીથી દૂર રાખતા, અલબત્ત ! માંગણી એને નામે થતી. હવે એટલો વિકાસ થયો છે કે પતિ જ સીધો આંકડો પાડે છે ને માંગણી, પત્ની દ્વારા તેને પિયર મોકલાય છે. પતિ કે તેવી માંગણી કરતાં તેનાં સંબંધીઓએ એ વિચારવાનું રહેતું નથી કે પિયર પક્ષ, માંગેલી રકમ આપી શકે એમ છે કે નહીં? તેને તો એમ જ છે કે પિયરમાં રોજ લાખો રૂપિયા છપાય છે ને તે પતિને આપવા માટે જ છે. ધારો કે પિયર સ્થિતિ સંપન્ન છે, તો તેણે કૈં જમાઈની માંગણી સંતોષવાનો ઠેકો લીધો નથી. કોઈ સ્વેચ્છાએ મદદ કરે એ જુદી વાત છે, પણ જમાઈ પૂરું કરતો ન હોય તો તેને પત્નીના પિયર પાસેથી કૈં પણ માંગતાં પહેલાં સંકોચ થવો જોઈએ, પણ આજના જમાઈઓને એવી શરમ નડતી નથી. કેટલાક જમાઈઓ ખરેખર સારા હશે ને પત્નીના પિયર પાસેથી માંગવાને બદલે સામે ચાલીને મદદ પણ કરતા હશે, પણ મોટે ભાગના જમાઈઓ ભિખારીને શરમાવે એવા હોય છે. ભિખારીને માંગતા સંકોચ થતો હોય પણ આવા નમૂનાઓ ભીખને અધિકાર માનતા હોય છે, એમને કોઈ શરમ નડતી નથી.
મોટે ભાગે આવી માંગણી ધંધો કરવા માટે થતી હોય છે. આવા લાટસહેબો નોકરી કરવા માંગતા નથી ને સાસરાના જીવ પર ધંધો કરવા માંગતા હોય છે, કેમ જાણે સસરાને તો બીજું કોઈ ખાનારું – પીનારું જ નથી ! કેટલાક કિસ્સામાં પત્નીને સુખી રાખી શકતો નથી એવી ગિલ્ટ પતિ અનુભવતો હોય ને એને થાય કે થોડી મદદ સસરા તરફથી મળે તો કોઈ ધંધો કરીને પત્નીને સુખ આપી શકે, પણ ઉપરના કિસ્સામાં તો પત્નીનું કોઈ મહત્ત્વ જ નથી, તે એટલે સુધી કે પતિએ, પત્નીને તેનાં અધિકારથી સાત સાત વર્ષ સુધી વંચિત રાખી છે. પત્નીએ શરમ છોડીને પતિ પાસેથી સંતાન માંગવુ પડે ત્યારે તેને શું વીત્યું હશે તેની કલ્પના જ કરવાની રહે છે ને હદ તો એ છે કે પતિએ સંતાન આપવાનો ભાવ પાડ્યો છે – પચાસ લાખ રૂપિયા. પતિને થઈ શકે એવી મહત્તમ સજાની હજી કાયદામાં જોગવાઈ નથી, બાકી તેની પાત્રતા તો એ સજાની જ છે.
એક તરફ જે, જે ગ્રહો નડે છે એ ગ્રહ પર જવાની વાત વિજ્ઞાન કરે છે, પણ આપણા દેશમાંથી વહેમ અને અંધશ્રદ્ધાનો ફુગાવો દૂર થતો નથી. આ કિસ્સામાં પણ વહુને સાસુસસરાને ખાઈ જનારી જ ગણાઈ છે. હાર્ટ એટેક સસરાને આવ્યો કે સાસુ કેન્સરમાં ગુજરી ગઈ એમાં વહુનો વાંક નથી, છતાં તેને અપશુકનિયાળ ગણાઈ. વહુને સાત સાત વર્ષ લગ્નનાં થવા છતાં, એ જોવાયું જ નહીં કે સંતાન ન હોવા માટે વહુ નહીં, પણ વર જવાબદાર છે. આપણે પોતાની જાતને એડવાન્સ્ડ ગણાવીએ છીએ, પણ ઘણી બધી રીતે પછાત છીએ. નથી દહેજ છોડી શકતા કે નથી તો શુકન-અપશુકનથી ઉપર ઊઠી શકતા. આ આઘાતજનક છે.
આજના વાતાવરણમાં બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડ હોવાં ફેશન દાખલ પણ સામાન્ય છે. લગ્ન પહેલાં કોઈને પ્રેમ અગાઉ પણ થતો હતો ને હવે પણ થાય છે. એનું પ્રમાણ આજે વધ્યું હોય એમ બને. આજે તો લગ્ન પહેલાં પ્રેમ હોવો લગભગ સામાન્ય છે. એ પ્રેમના લાભ હોય કે ન હોય, પણ એક ગેરલાભ નિશ્ચિત છે ને તે પૂર્વ પ્રેમીની પરિણીતા તરફની લાગણી ફરી પ્રજ્વલિત થવાની વાતે. હવે તો વીડિયો ને ફોટા વાયરલ કરવાના વાયરસ બહુ કોમન છે. પ્રેમિકા પોતાની વાત ન માને તો તેનાં ફોટા કે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી પ્રેમી આપતો હોય છે કે પછી વાત તેના પતિ સુધી પહોંચાડવાની ધોંસ પણ જમાવતો હોય છે ને વાત, પતિ સુધી ન પહોંચે એટલે પ્રેમિકા, પ્રેમીને સમર્પિત થતી રહે છે. આવા પ્રેમમાં પ્રેમ સિવાય બધું જ હોય છે. પ્રેમ તો ભોગ આપે, માંગે નહીં ! મૂળ વાત તો પ્રેમને નામે કોઈનો લાભ ઉઠાવવાની જ હોય છે. પ્રેમ તો પહેલાં પણ ન હતો ને પછી તો હોતો જ નથી. જેને પ્રેમ સમજી લેવાય છે એ લાભ લેવાની વૃત્તિથી વિશેષ કૈં નથી. પણ પ્રેમને નામે આવું બધું ચાલે છે, કદાચ વધારે ચાલે છે.
બન્યું એવું કે તેલંગાણાનો એક પ્રેમી સુરતના ગોડાદરામાં આવી ધમકયો, પોતાની પૂર્વ પ્રેમિકાને ત્યાં ! પ્રેમિકા તેલંગાણા હતી ત્યારે સ્કૂલના વખતથી પ્રેમીના પરિચયમાં હતી. કોલેજમાં ગઈ ત્યારે બંને વચ્ચે ‘પ્રેમ’ પાંગર્યો હતો. તે પછી પ્રેમિકા સૂરત આવી ગઈ ને અહીં જ પરણી ગઈ. ત્યાં આ પ્રેમી આવી ધમક્યો ને તેણે જૂના પ્રેમની ઉઘરાણી કાઢી. પ્રેમિકાએ પોતે પરિણીત હોવાનું સ્ટેટસ આગળ કર્યું ને કહ્યું કે પોતે દોઢ માસથી પ્રેગ્નન્ટ છે. પણ, પ્રેમીને તો પોતાનો પ્રેમ જ મહત્ત્વનો હતો. તેણે પોતાની જ વાત આગળ કરી ને કહ્યું કે તું એક સુસાઇડ નોટ એવી લખ કે પૂર્વ પ્રેમ વગર રહી શકાય એમ નથી એટલે આત્મહત્યા કરું છું. પ્રેમિકા પાસે આવી નોટ લખાવી ને પ્રેમીએ તેને ઝેરી પ્રવાહી પરાણે પીવડાવ્યું ને પોતે પણ પી લીધું.
હવે શું છે કે મરવાથી કે મારી નાખવાથી જ પ્રેમ બતાવી શકાય છે. પ્રેમ હવે જીવવામાં નથી, મરવામાં જ છે એવું માનસ આજના ઘણાખરા પ્રેમીઓનું થઈ ગયું છે. અહીં પણ વાત મરવા – મારવા પર જ આવી. એમાં પ્રેમીઓ તો બચી ગયા, પણ પેલી દોઢ માસની પ્રેગ્નન્સી ટર્મિનેટ થઈ ગઈ. વાત પોલીસમાં પહોંચી ને કાર્યવાહી શરૂ થઈ. ખબર નહીં, પ્રેમની આવી અભિવ્યક્તિથી હાનિ જ પહોંચે છે, પણ જેને ચાહીએ એને જ નુકસાન પહોંચાડવાનો પાશવી આનંદ લેવાની જાણે ફેશન શરૂ થઈ છે. કમ સે કમ આ તો પ્રેમ નથી જ !
એમ પણ લાગે છે કે આવાં પ્રેમમાં સૌથી વધુ વેઠવાનું સ્ત્રીને ભાગે જ આવે છે. મોટે ભાગે પ્રેમી કે પતિ તો શોષણખોર જ પુરવાર થાય છે. સ્ત્રીનાં શોષણની કોઈ રીત આ સમાજે બાકી નથી રાખી ને એ જ કારણ છે કે એટલે અંશે સમાજ વિકાસથી દૂર રહ્યો છે. સહયોગથી સ્ત્રી અને પુરુષ જેટલાં દૂર રહેશે, એટલે અંશે ષડયંત્રો વધુ સક્રિય રહેશે તે સમજી લેવાનું રહે. આટલે વર્ષે એટલું તો સમજાવું જ જોઈએ કે સ્ત્રી પોતે પણ કેટલાક કિસ્સાઓમાં શોષણખોર હશે જ, તો પણ તે શોષણનો પર્યાય તો નથી જ !
000
e.mail : ravindra21111946@gmail.com