આવું બનશે એની કોઈએ કલ્પના નહોતી કરી, પરંતુ એવી ઘટના જ્યારે બની જ ગઈ છે તો તેના સંકેતો અને સૂચિતાર્થો સમજી લેવા જોઈએ. સાવ હિંદુ કોમવાદીઓને ભરોસે બેસી રહેવા જેવું નથી. રવિવારે વડા પ્રધાને દેશની જનતાને ઉદ્દેશીને ‘મન કી બાત’ કરી તેને ૭૪ હજાર લાઈક્સ મળી અને પાંચ લાખ કરતાં વધુ ડિસલાઈક્સ મળી. એમ કહેવાય છે કે વિદ્યાર્થીઓ ધપાધપ ડિસલાઈક્સ મારતા હતા. શિક્ષણની, શિક્ષણસંસ્થાઓની, અર્થતંત્રની અને રોજગારીની હાલત ખરાબ છે. એટલી ખરાબ છે કે તરુણોને અને યુવાનોને પોતાનું ભવિષ્ય ધૂંધળું ભાસે છે. તેઓ ડરી ગયા છે અને તેમણે તેમનો ક્રોધ ‘મન કી બાત’ ઉપર ઠાલવ્યો હતો.
આને ગંભીરતાથી લેવા માટે બે કારણ છે. એક તો એ કે યુવાનોએ વડા પ્રધાનની ‘મન કી બાત’ને ટાર્ગેટ કરી જે નરેન્દ્ર મોદીનું દેશની પ્રજા સાથે તાર જોડવાનું માનીતું સાધન છે. વડા પ્રધાનનો ઑપેરા છે. તેઓ કાંઈક એવું માને છે કે તેઓ દેશ સમક્ષ બોલતા નથી, દેશ તેમના દ્વારા બોલી રહ્યો છે. તેઓ દેશનો અવાજ છે, દેશની વાચા છે, દેશનો ધબકાર છે, દેશના અરમાન છે, દેશનું સપનું છે, વગેરે. આવું તેઓ માને છે અને તેમના ભક્તો તો તેમનાં કરતાં પણ વધારે માને છે. શ્વાન પત્રકારો બાકીની પ્રજા આવું માને એ માટે પ્રયત્નો કરે છે. ટ્રોલ્સ સવાલો કરનારાઓને અને પ્રજાની આંખ ઉઘાડનારાઓને ધમકાવવાનું અને ગાળો દેવાનું કામ કરે છે. ટૂંકમાં એક પ્રકારનું મીઠુંમધુરું આભાવર્તુળ તેમણે ‘મન કી બાત’ દ્વારા રચ્યું છે જેને કોઈ ભેદી ન શકે.
પણ એ ભેદાયું. રવિવારે આખા દેશના આશ્ચર્ય વચ્ચે યુવાનોએ ‘મન કી બાત’ને ટાર્ગેટ બનાવી. આનું એક કારણ એ પણ ખરું કે હજુ બે દિવસ પહેલાં વડા પ્રધાને મોરને ચણ ખવડાવવા માટે પાંચ પાંચ વાર કપડાં બદલ્યાં હતાં. અહીં હાથરૂમાલ ખરીદવાના પૈસા નથી ત્યાં મોરને ચણ ખવડાવવામાં વડા પ્રધાન પાંચ વાર કપડાં બદલે એ દૃશ્ય પણ યુવાનોના રોષનું કારણ હોવું જોઈએ. આ ઘટનાને ગંભીરતાથી લેવા માટેનું બીજું કારણ એ કે ‘મન કી બાત’ને ટાર્ગેટ કરવાનો કોલ કોઈએ યુવાનોને કે વિદ્યાર્થીઓને આપ્યો નહોતો. વોટ્સેપ કે સોશ્યલ મીડિયાના બીજા પ્લેટફોર્મ્સ પર કોઈ મેસેજ નહોતો ફર્યો કે ‘મન કી બાત’ને ડિસલાઈક કરીને ટાર્ગેટ કરવાની છે. આનો અર્થ એ કે યુવાનોનો રોષ સ્વયંસ્ફૃર્ત હતો અને એ વધારે ગંભીર છે. વોર્નિંગ બેલ છે. વડા પ્રધાને હવે પ્રજાને રાજી રાખવાની નવી નવી તરકીબો શોધવાની જગ્યાએ પ્રજાના કલ્યાણ માટેના કોઈ તરીકાઓ શોધવાની જરૂર છે.
આવું ૧૯૭૪માં બન્યું હતું. અચાનક એક દિવસ ગુજરાતમાં વિદ્યાર્થીઓ બહાર આવી ગયા. એ પછી બિહારમાં અને પછી અન્યત્ર. એ વરસો પણ અત્યારની જેમ આર્થિક સંકટનાં વરસો હતાં અને સાચી વાત તો એ છે કે અત્યારનો સમય ૧૯૭૦ના દાયકા કરતાં અનેકગણો વધારે વિકટ છે. આખું જગત સંકટગ્રસ્ત છે અને એમાં ભારત તો જગતનો સૌથી મોટો યુવાનોનો દેશ છે. રળી શકનારા અને રળવા માગનારા સૌથી વધુ હાથ ભારતમાં છે. એમને માટે ભારત સરકાર પાસે શું યોજના છે? એમના ભવિષ્યની બાબતે ભારતના વડા પ્રધાને શું કહેવાનું છે? જે યોજનાઓ વડા પ્રધાને તેમની પહેલી મુદ્દત દરમ્યાન જાહેર કરી હતી એનું શું થયું? હવે તો તેને યાદ પણ કરવામાં આવતી નથી. યુવાનોને સમજાઈ ગયું છે કે તેમનું ભવિષ્ય અનિશ્ચિત છે. આ ખાનગીકરણના યુગમાં જેની પાસે પૈસા નહીં હોય તેમને સારું શિક્ષણ મળવાનું નથી અને ભણ્યા પછી રોજગારી પણ મળવાની નથી.
ભવિષ્ય વિશેનો ભય ૧૯૭૪માં રસ્તા પર જોવા મળેલો. ૧૯૭૧ની સામાન્ય ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસને લોકસભાની કુલ ૫૧૮ બેઠકોમાંથી ૩૫૨ બેઠકો મળી હતી. ૧૯૭૧ના ડિસેમ્બર મહિનામાં પાકિસ્તાનનાં બે ફાડિયાં કરીને અને બંગલાદેશને સ્વતંત્ર કરીને ઇન્દિરા ગાંધી દુર્ગાની ઉપાધિ પામ્યાં હતાં અને ઉપડ્યાં ઉપડતાં નહોતાં. એ ઇન્દિરા ગાંધીને માત્ર બે જ વરસમાં યુવાનોના રોષનો પરિચય થયો હતો. એ સમયે ઇન્દિરા ગાંધીએ પણ ઘડીક રડવાના, ઘડીક સ્ત્રી તરીકે અબળા હોવાના, ઘડીક ભારત સામેનાં કાવતરાંના, ઘડીક પ્રજાને પારો ચડાવવાના સોંગ સજ્યાં હતાં; પણ એક પણ તરકીબ કામમાં નહોતી આવી.
વાસ્તવિકતાઓનો સામનો તરકીબોથી નથી થતો. વળી એ યુગના સંકટ કરતાં અત્યારનું સંકટ અનેકગણું વિકરાળ અને બિહામણું છે. બીજું, ઇન્દિરા ગાંધી જરૂર પડ્યે તરકીબ વાપરતાં હતાં એ ખરું, પણ પૂરાં સમયનાં તરકીબબાજ નહોતાં, જ્યારે નરેન્દ્ર મોદીની એક માત્ર મૂડી તરકીબ છે. ત્રીજું, ઇન્દિરા ગાંધી પાસે આવડતની દૃષ્ટિએ એકથી એક ચડિયાતા પ્રધાનો, સલાહકારો અને અધિકારીઓ હતા, જ્યારે અહીં તો એનો પણ અભાવ છે. આવી બીલો એવરેજ કેબિનેટ આજ સુધી જોવા નથી મળી.
તો વાતનો સાર એટલો કે વડા પ્રધાને હવે તરકીબોનો આશરો છોડીને પ્રજાકલ્યાણના તરીકાઓ શોધવા જોઈએ. પેલી ઉક્તિ છે ને કે થોડા લોકોને લાંબો સમય બેવકૂફ બનાવી શકાય, ઘણા લોકોને થોડો સમય બેવકૂફ બનાવી શકાય પણ બધાને બધો સમય બેવકૂફ ન બનાવી શકાય.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 03 સપ્ટેમ્બર 2020