માલિનીબહેન જ્યોતિભાઈ દેસાઈ અનંતની યાત્રાએ ઊપડી ચૂક્યાં છે. તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ને શુક્રવારે ૧૧ઃ૧૫ કલાકે તેમણે શાંતિથી જીવ છોડ્યો.
તેઓની જીવનયાત્રા લાંબી રહી. ૨૪-૭-૧૯૨૪ના રોજ એમનો જન્મ થયો હતો. એમ.એ., બી.એડ્.નું શિક્ષણ એમણે મેળવ્યું હતું. યુક્ત પ્રાંતોમાં સ્પીકરપદે આત્મારામ ખેરનાં પુત્રી માલિનીબહેન ગાંધી રંગેરંગાયેલાં હતાં. એટલે એવી જ સંસ્થામાં કામ કરવું એવું ઇચ્છતાં હતાં. તેથી મુંબઈ પાસે બોરડીમાં ગુજરાતને તારાબહેન ગિજુભાઈનાં સહકાર્યકર લેખે સુપરિચિત તારાબહેન મોડક સાથે કામમાં જોડાયાં. જ્યોતિભાઈ પણ ત્યાં કાર્યરત હતા. કેટલાક પ્રશ્નો અંગે જ્યોતિભાઈએ સંસ્થા છોડવાનો વિચાર કર્યો. માલિનીબહેને ય સંસ્થા છોડી પણ જ્યોતિભાઈનો સાથ ન છોડ્યો. જો કે માલિનીબહેનની ક્ષમતાને કારણે સંસ્થા સંચાલકો તેમને છોડવા માંગતા ન હતા, પણ ઈશ્વરઇચ્છા બલિયસી. લોકભારતીમાં બંનેએ શિક્ષણનું કાર્ય આગળ ધપાવ્યું. વિદ્યાર્થીઓની ખૂબ ચાહના મેળવી, પણ તે ગાળામાં ગાંધી વિદ્યાપીઠ, વેડછીમાં જી.બી.ટી.સી. (બી.એડ્.) શરૂ કરવા માટે જુગતરામકાકાનું તેડું આવ્યું. બંનેએ એ વિભાગ શરૂ કર્યો.
હું પણ કાકાના કહેવાથી મહાવિદ્યાલયમાં જોડાઈ. અમારો પરસ્પરનો પ્રેમ ૧૯૬૮થી અકબંધ રહ્યો છે. એ દિવસોમાં બી.એડ્.ના અધ્યાપકો માટે રહેવાની પૂરતી સગવડ ન હતી. જ્યોતિભાઈને ભાગે ત્રણ ઓરડા આવેલા. માલિનીબહેને એમાં એમનો ઘરસંસાર ગોઠવી દીધેલો. સાથે નાનકડી સ્વાતિનો રૂમ પણ ખરો. પણ સંડાસની સગવડ ન હતી. સામે અમારું ક્વાર્ટર હતું. વરસતા વરસાદમાં, અડધી ટૉર્ચ લઈને ક્યારેક તેના ઉપયોગ માટે આવવું પડતું. તે માટેની ફરિયાદ કે અકળામણ કાઢતાં મેં જોયાં નથી. આજે આ શક્ય બને? બંને માટે ગાંધીવિચાર મહત્ત્વનો હતો. તેનું કાર્ય મહત્ત્વનું હતું. અનેક અખતરા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અંગે જ્યોતિભાઈ કરતાં જ રહે અને માલિનીબહેન પ્રેમથી ભળતાં રહે.
માલિનીબહેન સ્વભાવે સરળ હતાં છતાં પોતાના સ્વમાન માટે સદા જાગ્રત રહેતાં. બહેનોના પ્રશ્નો અંગે તો જાગ્રતપ્રહરી હતાં.
બહેનો શિક્ષણકાર્ય સંભાળે અને કુટુંબને પણ સંભાળે. બે મોરચે કામ થતું હોય ત્યારે બંને વચ્ચે ઘરકામની વહેંચણી પણ હોવી જોઈએ એવું તેઓ બંને માનતાં. જ્યારે મિટીંગો પતાવીને સાંજે ઘરે આવે ત્યારે જ્યોતિભાઈ ધોવાનાં કપડાં લઈને સ્નાનઘર તરફ જતા હોય. માલિનીબહેન સિલાયના સંચા પર સાંધતાં હોય.
પ્રેમ, ઉષ્મા, વ્યવહારિકતા, મમતા, પારિવારિકતા, જવાબદારી એવા કંઈ કેટલા ય ભાવને એકસાથે ઝીલતો, જીરવતો સંબંધ માલિનીબહેનનો સમાજ સાથેનો હતો. પોતાની સાથે કાર્યરત કાર્યકરોનાં કુટુંબો સાથેનો ઘરોબો એમણે કેળવ્યો હતો પણ તેમાં ક્યાંયે કૂથલી નિંદાને સ્થાન ન હતું. બધા સાથે જીવંત સંબંધો હતા. આજે સંસ્થાઓમાં આ પાસું ખૂટે છે. હવે તો મોઝદાની તેમ ‘ભૂમિપુત્ર’ ખાતેની કામગીરીથી સુપ્રતિષ્ઠ પુત્રી સ્વાતિનાં મિત્રો સાથે પણ એ સહજતાથી, સરળતાથી ભળી જતાં. તેમની સ્વાતિનું ઘર એ પોતાનું જ ઘર લાગે એવો પ્રેમ આપતાં માલિનીબહેન અંતિમ સમયે વડોદરામાં સ્વાતિ-માઈકલના ઘરે જ ગાળ્યો.
આવાં પ્રેમાળ વત્સલ માલિનીબહેનના આત્માને વંદન. શુભમંગલ હો.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 13
છવિ સીજન્ય : સ્વાતિબહેન દેસાઈ