સત્તા અને અર્થશાસ્ત્ર : ભાગ-5
આધુનિક અર્થતંત્રમાં સીધેસીધા ઈજારા બહુ દેખાય નહિ. સામાન્ય રીતે જે ઈજારા દેખાય તે તો છે ઈજારાયુક્ત હરીફાઈ (Monopolistic Competition). વિદ્યાર્થીઓ તે ભણે છે. પહેલી જ વાર એડવર્ડ ચેમ્બરલિન (1899-1967) દ્વારા 1933માં તેનો ખ્યાલ રજૂ કરાયો. પછી જોન રોબિન્સન (1903-83) દ્વારા એ ખ્યાલ વિસ્તારવામાં આવ્યો. તેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે પેઢીઓ કે કંપનીઓ તેઓ જે ચીજ પેદા કરે છે કે વેચે છે તેના પર તેઓ સંપૂર્ણ ઈજારો ધરાવતી નથી પણ તેઓ પોતાની બ્રાન્ડનો ઈજારો ઊભો કરે છે.
બધા બજાર ઉપર નાઈક કંપનીનો ઈજારો નથી પણ તેમ છતાં તેનો તેની બ્રાન્ડથી ઈજારો તો છે જ. આમ, જ્યાં સુધી લોકોને એમ લાગે છે કે તેની ચીજ માટે વધુ પૈસા ચૂકવી શકાય ત્યાં સુધી નાઈક બજારમાં સત્તા ભોગવે છે અને તે તેની એ સત્તાનું રક્ષણ પણ કરે છે.
આવો આંશિક ઈજારો ઊભો કરવા માટે પેઢીઓ કે કંપનીઓ તેમની ચીજો બીજી કંપનીઓ કરતાં કેવી રીતે જુદી પડે છે તે હંમેશાં જાહેરખબરો દ્વારા બતાવ્યા કરે છે. તેને બજારમાં તે કંપનીનો USP (Unique Selling Point) કહેવામાં આવે છે. જે પેઢીઓ કે કંપનીઓ આવો USP ઊભો કરે છે તે સારો નફો કમાય છે. તેનો આ નફો અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર કહેવામાં આવે છે તેવી હરીફાઈવાળા બજારમાં જે સામાન્ય નફો મળે તેના કરતાં ખાસ્સો વધારે હોય છે.
તેને પરિણામે આધુનિક અર્થતંત્રનું આ વધુ વાસ્તવિક ચિત્ર છે એવું દેખાવા લાગે છે. પરંતુ તેને વિષે થોડી સૈદ્ધાંતિક વાત 1930ના દાયકામાં થઈ તે પછી તેને વિષે વિગતવાર કશી ચર્ચા થઈ જ નથી.
એ સૈદ્ધાંતિક વાતની પૂર્તિ કરવા માટે આપણે ખરીદનારના ઈજારા (monopsony) વિષે પણ વાત કરવી પડે. એ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં બજારમાં કોઈ ચીજવસ્તુ માટે એક જ ખરીદનાર હોય છે. તેનું એક જ સરસ ઉદાહરણ છે બ્રિટનની સરકારી નેશનલ હેલ્થ સર્વિસ(NHS)ની વ્યવસ્થા. તેમાં સરકાર 90 ટકા જેટલી તબીબી સેવાઓ ખરીદે છે. તેને લીધે ગ્રાહકને ફાયદો થાય છે કે જેને અર્થશાસ્ત્રમાં ગ્રાહકનો અધિશેષ કહે છે.
ગ્રાહકોને તેમાં તેમના આરોગ્ય માટે તેઓ જેટલું ખર્ચ ખરેખર કરવા તૈયાર હોય છે તેના કરતાં ઓછી રકમ ચૂકવવી પડે છે. મજૂરો માટે પણ આવી જ સ્થિતિ સર્જાઈ શકે છે. રાજ્ય પોતે જ બહુ મોટો ઈજારો ધરાવે છે અને તેથી મોટા પ્રમાણમાં સત્તા ધરાવે છે; દા.ત. પોલિસ, શિક્ષણ, નર્સો વગેરે. કોઈ ઉદ્યોગમાં કોઈ ઈજારદાર પેઢી ધરાવે તેવી જ આ સત્તા સરકારની છે.
ઈજારાનો વિરોધ કરવો એ તંદુરસ્ત પ્રણાલી છે. પરંતુ બજારની વ્યવસ્થા એક સ્વનિયમનકારી વ્યવસ્થા છે અને તેમાં નાની નાની પેઢીઓ પણ હોય છે જ એમ કહેવાનું અર્થશાસ્ત્રીઓ ક્યારે ય ચૂકતા નથી. પરંતુ તેઓ અત્યારે જે આધુનિક બજારનું માળખું છે તેને તો સાવ જ અવગણે છે. આ નાની પેઢીઓ હરીફાઈ કરે છે અને તેઓ જે ધારે તે જ બજારમાં તો થાય છે એવું અર્થશાસ્ત્રીઓ કહે છે. એટલે મોટા ભાગના અર્થશાસ્ત્રીઓ બજારની આ વ્યવસ્થામાં સત્તાની સમસ્યાને લઘુતમ પ્રમાણમાં ધ્યાનમાં લે છે.
આમ જુઓ તો, કાર્લ માર્ક્સનો દાવો એવો હતો કે જ્યાં પણ વેતન આધારિત રોજગારી છે ત્યાં સત્તા અંતર્નિહિત હોય છે. એટલે અર્થશાસ્ત્રમાં બજારમાં તો સ્પર્ધા હોય છે એમ કહીને તેનો જવાબ આપવામાં આવ્યો. અર્થશાસ્ત્રનો જવાબ એવો આવ્યો કે એક જ નોકરી હોય તો ઈજારો કહેવાય પણ કામદાર પાસે તો અનેક નોકરીઓમાંથી કોઈક નોકરી પસંદ કરવાનો વિકલ્પ હશે જ. એટલે કોઈ કંપનીનો ઈજારો હશે જ નહિ. માની લઈએ કે તેમ હોય તો પણ, નોકરી છોડવાનું પણ સામાજિક ખર્ચ હોય છે. એટલે પ્રશ્ન એ છે કે એ ખર્ચ કેટલું વધારે હશે કે જેથી એમ કહી શકાય કે કામદાર એ નોકરી છોડે નહિ અને તે તેને માટે અનિચ્છાએ સ્વીકારેલી નોકરી બની જાય?
જેઓ સામાજિક લોકશાહીમાં માને છે તેઓ એવી દલીલ કરે છે કે બજારમાં નોકરી આપનારી કંપનીઓની તાકાત ઓછી થાય તે માટે કોઈ જ પગલાં ભરવામાં આવતાં નથી તેથી કામદાર પર તો દબાણ આવે જ છે. મજૂર મંડળનું અસ્તિત્વ હોય છે તેને માટે આ જ દલીલ કરવામાં આવે છે. લઘુતમ વેતનનો કાયદો હોય અને સરકારો કામદારો માટે કલ્યાણલક્ષી યોજનાઓ ઘડે તે માટે પણ આ જ દલીલ કરાય છે. તેમ છતાં નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં એમ કહેવામાં આવે છે કે કામદારો બેકાર હોય ત્યારે શું?
હકીકત એ છે કે વિદ્યાર્થીઓને ઈજારો (monopoly) કે અલ્પહસ્તક ઈજારો (oligopoly) ભણાવવામાં આવે અને તેમાં કિંમત કેવી રીતે નક્કી થાય છે તે શીખવાડવામાં આવે તે પહેલાં હરીફાઈવાળા બજારમાં ભાવો કેવી રીતે નક્કી થાય છે તે ભણાવવામાં આવે છે. તેનો અર્થ એમ નીકળે છે કે વિદ્યાર્થીઓને એમ સમજાવવામાં આવે છે કે ઈજારાની કે અલ્પહસ્તક ઈજારાની સ્થિતિ તો કામચલાઉ છે; ક્યારેક જ તો હોય છે; એ તો બહુ ઓછો સમય જ હોય છે; અને બાકી તો બજારમાં હરીફાઈ જ હોય છે કે જેમાં ગ્રાહકનું શોષણ થતું જ નથી.
હરીફાઈયુક્ત બજારની તાકાત શી છે તે વિદ્યાર્થીઓને વારંવાર સમજાવવામાં આવે છે અને પછી એમ કહેવામાં આવે છે કે બજારમાં હરીફાઈ તો રહેવાની જ છે; કારણ કે કંપનીઓ વચ્ચેનું કાર્ટેલ તો તૂટી જશે અને કોઈક નવી પેઢી બજારમાં આવીને પણ કંપનીઓ વચ્ચેની સાંઠગાંઠ તોડી નાખશે તેવો ખતરો તો કાયમ માટે હોય છે જ.
એનાથી વિરુદ્ધ, વિદ્યાર્થીઓને થોડીક ચીજવસ્તુઓના બજારમાં હરીફાઈના જે ગણ્યાગાંઠ્યા અપવાદો ઊભા થાય છે તેના વિષે બહુ વિચારવાનું પણ કહેવામાં આવતું નથી. “બજારમાં અપૂર્ણતા છે” એવી જે ભાષા વાપરવામાં આવે છે તે પણ આ જ વાતને ટેકો આપે છે. એમ કહેવામાં આવે છે કે આમ તો બજારમાં સંપૂર્ણપણે હરીફાઈ જ હોય છે, અને બાકીનું બધું હરીફાઈવાળા બજારને અનુકૂળ થતું ચાલે છે.
એ પરિસ્થિતિ ખોરંભે પડે અને બજારમાં હરીફાઈ ન રહે તો તેને ‘બજારની નિષ્ફળતા’ કહેવામાં આવે છે. આ તો એના જેવી વાત થઈ કે લાકડાનું કોઈ મકાન તૂટી પડે તો એમ કહેવાનું કે લાકડું નિષ્ફળ ગયું! વાસ્તવમાં, નિષ્ફળ જાય છે અર્થશાસ્ત્રીઓ અને ઈજનેરો.
ખામી ઓળખવાનું આસાન છે પણ તે દૂર કરવાનું મુશ્કેલ છે. એનું કારણ એ છે કે તમારે તેને માટે વૈજ્ઞાનિક અર્થશાસ્ત્રથી જ શરૂઆત કરવી પડે તેમ છે. બીજે છેડેથી શરૂઆત કરવાની. એમ આરંભે જ કહેવું પડે કે સામાન્ય રીતે બજારમાં હરીફાઈ હોતી નથી, સંસાધનોની કાર્યક્ષમ વહેંચણી થતી નથી. પછી એવું જ્યાં થતું હોય કે થઈ શકે તેમ હોય તે શોધવાનું. એનો અર્થ એમ કે બજાર કાર્યક્ષમ હોય અને હરીફાઈવાળું હોય એ તો કેટલીક ચીજવસ્તુઓના કિસ્સામાં જ સાચું હોય છે. મને એમ લાગે છે કે જ્હોન મેનાર્ડ કેઈન્સ દ્વારા એમ જ કહેવાનો પ્રયાસ કરાયો હતો, પણ તેમણે એ કામ પૂરું નહોતું કર્યું.
વળી, આર્થિક સત્તાના એક જ સ્વરૂપ વિચે ચિંતા કરવાનું અને તેનો જ અભ્યાસ કરવાનું કામ કરવામાં આવે છે અને તે છે બજારની સત્તા કે તાકાત. તેને પરિણામે બજારની બહાર જે સત્તા છે તે સરકારોની આર્થિક નીતિઓને અસર કરે છે અને ગ્રાહકોની પસંદગીઓ, પ્રાથમિકતાઓ અને તેમનાં મૂલ્યો પણ બજારને અસર કરે છે અને મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રમાં તેના પર તો ધ્યાન જ આપવામાં આવતું નથી.
સ્રોત:
લેખકનું પુસ્તક: What is Wrong with Economics?
પ્રકરણ: Economics and Power.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર