હું તો બસ ફરવા આવ્યો છું …
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું ?
અહીં પંથ પર શી મધુર હવા
ને ચહેરા ચમકે નવા નવા !
– રે ચહું ન પાછો ઘેર જવા !
હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્ન મહીં સરવા આવ્યો છું !
જાદુ એવો જાય જડી
કે ચાહી શકું બેચાર ઘડી
ને ગાઈ શકું બેચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું …
હું તો બસ ફરવા આવ્યો છું …
— નિરંજન ભગત
°°°°°°°°°°°°°°°°°°
ઑરફાલિઝના લોકોએ અલ મુસ્તફાને ‘મજા’ વિશે પૂછ્યું ત્યારે એમણે કહ્યું કે ‘મજા એટલે પુરાયેલાને ફૂટતી પાંખો.’ આગળ કહ્યું, ‘તમારાં ખેતરો અને બગીચામાં જાઓ. ત્યાં તમે શીખશો કે ફૂલોમાંથી મધ ભેગું કરવામાં મધમાખીઓને મજા પડે છે; પણ, તે સાથે જ, માખીને પોતાનું મધ આપવામાં ફૂલોને ય મજા પડે છે. કારણ કે મધમાખને માટે ફૂલ એ જીવનનો ઝરો છે અને ફૂલને માટે મધમાખ પ્રેમનો દૂત છે. અને મધમાખ તેમ જ ફૂલ બંનેને માટે એ મજાની આપલે જરૂરિયાત તેમ જ લહાવો છે. ઑરફાલિઝના લોકો, તમારી મજાઓની બાબતમાં ફૂલ અને મધમાખ જેવા થાઓ.’
આવી મજા કરવાનું જો આપણે ભૂલી ગયા હોઈએ, અને એવી જ શક્યતા વધારે છે, તો એને યાદ કરવા માટે આપણે ઊજવવો જોઈએ ‘દોડો નહીં, ટહેલો’ આવો સંદેશ આપતો વર્લ્ડ સોન્ટરિંગ ડે. સોન્ટરિંગ એટલે ટહેલવું, નિરાંતે હરવુંફરવું, ચહલકદમીનો આનંદ લેવો. 1979માં ડબલ્યુ.ટી. રેબ નામના માણસે, એ વખતે જોગિંગનું વધતું જતું મહત્ત્વ જોઈ આ દિવસની શરૂઆત કરી હતી એવું મનાય છે. એ માણસ મિશિગન સ્ટેટના મેકિનેક ટાપુ પર આવેલી ગ્રાંડ હોટેલમાં કામ કરતો. ત્યાં જ એણે આ શરૂઆત કરી હતી. આ દિવસની ઊજવણી પાછળ લોકોને ધીમા પડી આસપાસના વિશ્વને નિરાંતે માણવું અને એની કદર કરતાં શીખવું એ સમજાવવાનો છે અને એ દર વર્ષની 19મી જૂને ઊજવાય છે.
નામ યાદ નથી, પણ એક અમેરિકન લેખિકાએ પોતાનો જે અનુભવ વર્ણવ્યો હતો એ યાદ છે – ઝડપી અને સ્પર્ધાત્મક જીવનશૈલીએ એને સફળતા અને ભૌતિક સુખ-સગવડો મેળવી આપ્યાં હતાં. પણ એને કોઈ અજાણ્યો અજંપો પજવતો રહેતો. એને થતું કે એની ઓછું ભણેલી અને ગામડામાં અગવડો વચ્ચે રહેતી માના ચહેરા પર વધારે પ્રસન્નતા અને શાંતિ છે, અને સરસ પરિવાર, ઉચ્ચ શિક્ષણ, સગવડો અને સિદ્ધિઓ છતાં પોતાના ચહેરા પર અજંપો છે : એમ કેમ ? શું ખૂટે છે ?
પ્રશ્ન એવો તો હેરાન કરવા લાગ્યો કે તે થોડા દિવસ માટે શહેરની ધમાલથી દૂર ચાલી ગઈ. એકલી, એક ટાપુ પર જઈને રહી. કંઈ જ કર્યું નહીં, કુદરતની વચ્ચે ફરતી રહી, ખુલ્લી હવામાં ઊંડા શ્વાસ લેતી ગઈ, આસપાસનાં ફૂલો-પતંગિયાં-પંખીઓને ઓળખતી ગઈ, કુદરતની ઉદારતા અને વૈવિધ્યને નમ્ર સ્નેહપૂર્વક માણતી રહી. મહત્ત્વાકાંક્ષા, દોડાદોડી અને પોતાને સાબિત કરતા રહેવાની હોડમાં ખોવાઈ ગયેલાં સર્જનાત્મકતા, વિસ્મય અને તાજગી પાછાં આવ્યાં. એને ખબર પડી કે એને ધીમા પડવાની જરૂર હતી. દોડવાની નહીં, ટહેલવાની જરૂર હતી. કોઈની સાથે સ્પર્ધા કરવાની નહીં, પોતાની જાત સાથે મૈત્રી કરવાની જરૂર હતી.
વિલિયમ હેનરી ડૅવિસ નામના પ્રસિદ્ધ કવિએ ‘લેઝર’ નામનું કાવ્ય લખ્યું છે. તેઓ ત્રણ વર્ષના હતા અને પિતા મૃત્યુ પામ્યા. માએ પછીના વર્ષે બીજા લગ્ન કર્યાં. તેઓ દાદા-દાદી પાસે ઊછર્યા. પરિવારના સભ્યોને વર્ણવતા એમણે લખ્યું છે, એ ઘરમાં દાદા-દાદી, અમે ત્રણ ભાઈબહેન, એક નોકરબાઈ, એક કૂતરો, એક બિલાડી, એક પોપટ, એક કબૂતર અને એક કેનરી પક્ષી રહેતાં હતાં. આ પરથી એમનું બાળપણ બહુ સુખી હતું એમ માની લેવાની ભૂલ ન કરવી, કેમ કે એમને શાળામાં ત્રાસ થતો. બદમાશ મિત્રો હેરાન કરતા. દસ વર્ષની ઉંમરે ડેવિસ અને બીજા ચાર મિત્રો પર પર્સની ચોરીનો આરોપ મુકાયો અને 12 કોરડા ખાવાની સજા મળી. દાદાને નજર સામે મરતા જોયા. 11 વર્ષની ઉંમરે લખેલા એમના પહેલા કાવ્યનું નામ હતું ‘ડેથ’.
આ ડબલ્યુ.એચ. ડૅવિસ મહાન કવિ બન્યા અને પ્રકૃતિકવિ તરીકે સૌથી વધુ ઓળખ પામ્યા. તેઓ અનુભવતા કે આધુનિક જીવનશૈલીએ સાદગી, સૌંદર્ય, નિરાંત અને આનંદ છીનવી લીધા છે. એમનાં કાવ્યોમાં સૌથી વધુ પ્રખ્યાત કાવ્ય 1911માં લખાયેલું ‘લેઝર’ છે. લેઝર એટલે ફુરસદ, નવરાશ, નિરાંત. કવિ લખે છે, ‘“વૉટ ઈઝ ધિસ ટાઈમ ઈફ, ફુલ ઑફ કૅર; વી હેવ નો ટાઈમ ટુ સ્ટેન્ડ એન્ડ સ્ટેર” – પર્વતના ઢોળાવ પર નિરાંતે ચરતી ગાય, હવાની લહેરમાં ડોલતા પ્રસન્ન છોડવા, ઝીણાં ફૂલ ખેરવતું વૃક્ષ – આ બધાને જોવાની આંખ આપણી પાસે નથી કારણ આપણે અધીરા અને ઊતાવળથી ભરેલા છીએ. મધમાખીનું નૃત્ય જોવાનો કે પાંદડાં નીચે ખિસકોલીએ છૂપાવેલો નટ્સનો ખજાનો શોધવાનો સમય આપણી પાસે નથી. જો આ જ જીવન હોય તો એ જીવન જ નથી.’ સવા સદી પહેલાની પહેલાની જીવનશૈલીમાં પણ જો એમને એમ લાગતું હોય કે આપણી પાસે ઊભા રહેવાનો અને આસપાસની સૃષ્ટિને નીરખવાનો સમય નથી તો આજની આપણી જીવનશૈલી જોઈ તેઓ શું અનુભવત ? શું કહેત ? જેમાં આનંદ મળે એવી ચીજો પાછળ દોડવામાં આપણે આસપાસ વેરાયેલી વિપુલ સુંદરતાને મન ભરીને માણી લેવાનું ભૂલી જઈએ છીએ.
આપણે ત્યાં ‘હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં કોઈ કામ તમારું કે મારું કરવા આવ્યો છું’ (નિરંજન ભગત), ‘નિરુદ્દેશે, સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ મલિન વેશે’ (રાજેન્દ્ર શાહ), ‘કેવળ ફરવાને નીકળ્યો છું જાણે સંધ્યાકાળે, એકે કામ નથી કરવાનું મારે સંધ્યાકાળે’ (ઉશનસ્) કે ‘મૂળને સૂંઘતો, વૃક્ષને સંવેદતો, વનરાજિમાં પ્રસરતો, આનંદથી વરસતો … ચાલી રહ્યો છું’ (જયદેવ શુક્લ) જેવી અનેક અનુભવસમૃદ્ધ પંક્તિઓ મળે છે.
એટલે વાત છે સ્લો ડાઉન થવાની, જીવન માણવાની. હિમાલય જનારાઓમાંના ઘણાં વાહનનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાની ભલામણ કરે છે. ધીરે ધીરે ટહેલતા જવું ને પહાડની હવા, પહાડની સુગંધ અને કુદરતી સૌંદર્યને શાંતિથી નીરખતાં જવું, માણતાં જવું. પ્રિયંકા દલાલ નામની યુવતી સોલો ટ્રાવેલર એટલે કે એકલપ્રવાસી છે, ‘કુદરતના સાન્નિધ્યમાં હોઉં ત્યારે મને કોઈ બીજાનો મૂડ સાચવવાની કે એની સાથે વાતો કરવાની ખલેલ પણ ન જોઈએ.’ એ એક ફૉલ્ડિંગ, બૉક્સમાં પૅક થઈ જાય એવી સાયકલ રાખે છે. દેશમાં કે વિદેશમાં જ્યાં જાય ત્યાં સાયકલ લઈ જાય. એને અનફૉલ્ડ કરી, જોડી લે અને ખભા પરના ‘રકસેક’માં આવી જાય એટલો જ સામાન રાખી જ્યાં ગઈ હોય ત્યાં નિરાંતે ફરતી રહે. ત્યાંના લોકો, જીવનશૈલી, કુદરત, ખાવાપીવાનું બધું જુએ-માણે. માત્ર જોઈને નીકળી જવું એટલું પૂરતું નથી. ત્યાંનું ‘ફીલ’ મળવું જોઈએ.
અને આપણે, અહીં આપણા દેશમાં ચાઈનીઝ ને મૅક્સિકન ને ઈટાલિયન ફૂડનો શોખ રાખીએ ને પેરિસ જઈએ તો ત્યાં પત્તરવેલિયા ને રોમ જઈએ તો ત્યાં રસપૂરી ખવડાવે એવી ટૂર શોધીએ. પછી ફરવા માટે બ્યૂટી પાર્લરમાં જઈ ટ્રીટમેન્ટો કરાવીએ, પર્યટનની જગ્યાએ બેચાર જાણીતા સ્પૉટ પર સેલ્ફીઓ લઈને, શોપિંગ કરીને પાછા આવીએ અને ફોટા અપલોડ કરીને લખીએ, ‘વૉટ અ ગ્રેટ એક્સપિરિઅન્સ !’ આ આપણી મજા. વિચાર કરીએ તો આપણને આપણી જ દયા આવે.
ખરું જોતાં આપણને આ પૃથ્વીનો, એના સૌંદર્યનો, આપણા હોવાનો, કશાનો કોઈ અર્થ ખબર જ નથી અને સર્વજ્ઞ હોઈએ એવો ડોળ કરવો છે. આ વ્યર્થતાને રાવજી પટેલ ‘મારું દુ:ખ ચકલીઓ મૂંગી છે તે છે’ એવા શબ્દોમાં વર્ણવે છે. અને શહેરમાં ભરાઈ પડેલી મકરંદ દવેની ગ્રામનાયિકા કહે છે,
આભથી તારા રમતા આવે
મોગરા જેવી સેજ વચાળે,
સીમ તો સામી સાદ પાડે કે
આવ દોડી આવ હરણફાળે,
ભીની રેતીમાં નાનકી નદી
આપણાં ભોળાં પગલાં ભાળે,
હડકાયાં આ હાડ ભાળીને
હું તો આવી ગઈ ગળા લગ,
હાલ્યને વાલમ ક્યાંક જતાં રંઈ,
ક્યાંક જતાં રંઈ ખુલ્લે મારગ …
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 19 જૂન 2022