સુરેશ દલાલે મને શું નથી આપ્યું ? મારા માટે આ પણ એક મહત્ત્વનો સવાલ છે. કવિતાના વિશાળ આભમાં ઊડવા પોતાના હિસ્સાનું આકાશ પણ આપ્યું. આટલુ જ નહિ સુરેશભાઈને કારણે ગુજરાતી સાહિત્ય જગતમાં મને બેચાર સારા મિત્ર પણ મળ્યા. મારે અહીંયા મિત્રોની યાદી રજૂ નથી કરવી પણ પાંચમી ફ્રેબ્રુઆરીએ જેમણે આપણી વચ્ચેથી વિદાય લીઘી એ મહેશ દવે જે મારા માટે તો મૈત્રીનું સરોવર હતા! સાચા અર્થમાં તેઓ મૈત્રીની મિરાત હતા. સુરેશ દલાલને કારણે મારી મૈત્રી મહેશ દવે સાથે થઈ હતી. લગભગ ૨૦૦૧ની સાલમાં હું અમેરિકાથી અમદાવાદ ગયો હતો. સુરેશભાઈ તે વખતે અમદાવાદ આવેલા. એક સાંજે હું સુરેશભાઈને મળવા અમદાવાદમાં આંબાવાડીમા આવેલ ઈમેજ પબ્લિકેશન્સની ઑફિસે ગયો. કોઈ કારણસર સુરેશભાઈ હજી ઑફિસે આવ્યા ન હતા. ઓફિસમાં મને પ્રવેશતા મને હોઠોમાં મલકતા એક ભાઈએ આવકાર આપી કહ્યું પ્રીતમભાઈ, પધારો. સુરેશ હમણાં જ આવશે અને મારી સાથે હાથ મેળવતા મને કહે કે તમે મને ભલે ના ઓળખો પણ સુરેશને કારણે હું તમને ઓળખું છું. સુરેશ તો તમને ડગલેને પગલે યાદ કરતો હોય છે. તેને લીઘે અમે પણ એટલા જ પ્રેમ ભાવથી તમને યાદ કરીએ છીએ અને પછી મને કહે કે મારું નામ મહેશ દવે છે.
બસ, તે શુભ ઘડીથી મારી મહેશભાઈ સાથે દોસ્તી થઈ ગઈ. ભાગ્યે જ અઠવાડિયાનો કોઈક એકાદ દિવસ એવો ગયો હશે કે મેં અને મહેશભાઈએ ફોન પર વાત ન કરી હોય. સુરેશભાઈ ઘણી વાર મજાક કરતા કહેતા કે પ્રીતમને મહેશ સાથે દોસ્તી મારે કારણ થઈ પણ તેને મારા કરતાં મહેશ સાથે વઘારે ફાવે છે તે જોઈને મને ખુશી થાય છે. ઘણી વાર મને મહેશભાઈ ફોનમાં પૂછે કે પ્રીતમભાઈ તમને મારું પુસ્તક હમણાં પ્રગટ થયું તે સુરેશે મોકલ્યું કે નહિ? અને મારાથી કહેવાઈ જાય કે હજી સુઘી નથી મળ્યું, પણ તમે ચિંતા ના કરો. સુરેશભાઈ મને જરૂર મોકલશે. અરે! સુરેશ તો તમને વહેલા મોડું ચોક્ક્સ મોકલશે પણ હું તમને આજે જ અમદાવાદથી અમેરિકા ટપાલમાં રવાના કરું છું. મારો પણ તમારા પર સુરેશ જેટલો જ મૈત્રીનો હક ખરો કે નહી? મહેશભાઈએ મને લગભગ તેમનાં તમામ પુસ્તક મોકલ્યાં છે. જેમાં તાણાવાણા, કેન્દ્ર બિદું, બરફમાં જ્વાળામુખી, કોરે કાગળ સહી, અનુરણન, મનોમન, ચલો કોઈ આતે, પાંદડે પાંદડે મોતી, પાંદડે પાંદડે પ્રીત, પાંદડે પાંદડે લીલા, પાંદડે જ્યોતિ, અને પાંદડે પાંદડે દીવા, જેવાં અનેક પુસ્તક મિત્ર નાતે મોકલ્યાં છે. ઘણી વાર સુરેશભાઈ મને મુંબઈથી મહેશભાઈનાં પુસ્તક મોકલે અને મહેશભાઈ અમદાવાદથી, મારી પાસે મહેશભાઈના પુસ્તકની બે કોપી થઈ જાય, ત્યારે હું મહેશભાઈને ફોનમાં કહું કે મહેશભાઈ, સુરેશભાઈ મને મોકલવાના જ હોય, તમે શું કામ મોકલી એક કોપી કારણ વિના બગાડો છો? તો મને કહે કે તમને તો ખબર છે કે ગુજરાતી પુસ્તકો ગુજરાતી પ્રજા ક્યારે ય વેચાતા લઈને વાંચતી નથી, એટલે પુસ્તક પ્રગટ થયા બાદ સર્જકે મોટે ભાગે પુસ્તકો મિત્રોને પ્રેમથી વહેંચવાનાં જ હોય છે. વળી, તમે તો સારા વાચક છો એટલે મને અને સુરેશને તમને પુસ્તક મોકવાની ઈચ્છા થાય કે આપણું આ પુસ્તક અમેરિકામાં દરિયાપાર આપણો મિત્ર હોંશે હોંશે પ્રેમલગનથી વાંચશે. વાત રહી બે નકલની તો કોઈ યોગ્ય સારી વ્યક્તિને કોઈ સારા પ્રંસગે ભેટ આપી દેજો.
૨૦૦૫માં સુરેશભાઈ, મહેશ દવે અને ઉત્પલ ભાયાણી અમેરિકાના પ્રવાસે આવેલા, ત્યારે તેઓ મારા ઘરે ચાર પાંચ દિવસ મારા મહેમાન થયેલા. જે દિવસે તેઓ ફિલાડેલ્ફિયાથી બપોરે આવ્યા તે સાંજે અમે ચારે જણાં નિરાતે મારી ઓસરીમાં બેઠા અલકમલકની વાતો કરતા હતા. અચાનક મહેશભાઈને કશુંક યાદ આવ્યું. અમને કહે કે હું બેચાર મિનિટમાં ઉપર એક કામ પતાવીને આવું છું. મહેશભાઈ, બે ચાર મિનિટમાં ઉપર જઈને આવી મને કહે પ્રીતમભાઈ તમારે અમૃતા પ્રીતમની કવિતાનું અનુવાદનું પુસ્તક, “એક મુટ્ઠી અક્ષર” વાંચવું છે ? એમ કહેતા જ બસ અમે અમૃતા પ્રીતમની કવિતા અને તેનાં જીવન વિષે વાતે વળગ્યા. વાત વાતમાં મારાથી સુરેશભાઈને પૂછાઈ ગયું, તમે કયારે ય અમૃતા પ્રીતમને મળ્યા છો? સુરેશભાઈ કહે દિલ્હીમાં સાહિત્ય અકાદમીની મિટિંગમાં જવાને કારણે હું અમૃતાને ઘણી વાર મળ્યો છું. અને થોડાં વરસો પહેલાં છેલ્લે એકવાર હું તેમને અમદાવામાં મળ્યો હતો. સુરેશભાઈ તમે નસીબદાર છો, બાકી મને નથી લાગતું કે અમૃતા પ્રીતમને આપણો કોઈ ગુજરાતી સર્જક મળ્યો હોય. એટલે મહેશભાઈ મને કહે કે પ્રીતમભાઈ ત્યારે એક વાતની તો તમને ખબર જ નથી કે સુરેશ અમૃતાને મળવા દિલ્હી સામેથી ગયો હતો પણ આપણા વાર્તાકાર પન્નાલાલને મળવા અમૃતા પ્રીતમની બહુ જ ઈચ્છા હતી, તે વિશે હું તમને વાત કરું તેના કરતાં તમે જ સુરેશના મુખે સાંભળો. મજા આવે તેવો પ્રસંગ છે.
અમૃતા પ્રીતમ કોઈ કારણસર અમદાવાદ આવેલાં. મારા ખ્યાલ પ્રમાણે અમૃતા પ્રીતમે પન્નાલાલની નવલકથા “મળેલા જીવ”નો પંજાબીમાં અનુવાદ કરેલો, અમૃતાએ મને એક વાત કહી હતી કે ‘મળેલા જીવ”ની જીવીમાં એમનો જીવ બહુ ભરાઈ ગયો હતો. એટલે એમની ઈચ્છા હતી કે જીવીના સર્જક પન્નાલાલને અમદાવાદ આવી છું તો મળી લઉં. તેમનો મને દિલ્હીથી ફોન આવેલો કે જો તું અમદાવાદ આવે તો હું આવું. અમદાવાદ આવી અમૃતાએ પન્નાલાલને મળવાની ઈચ્છા બતાવી તો આયોજકોએ પન્નાલાલ ખૂબ બીમાર છે. આવી પરિસ્થિતિમાં પન્નાલાલ તમને કે કોઈને મળી શકે તેમ નથી, એમ કહી વાતને ટાળતા હતા. અમૃતાજી કહે પન્નાલાલજી બીમાર છે તો એમને મારે ખાસ મળવું જોઈએ. એમનો આ આગ્રહ હોવાથી મને મનથી થયું કે મારે અમૃતાની ઈચ્છાને પૂરી કરવી જોઈએ. મેં રઘુવીર ચૌઘરીને આ બાબતની વાત કરી. રઘુવીર ચૌઘરીના સહકારથી અમે પન્નાલાલના ઘરે ગયા. અમૃતાએ બીમાર પન્નાલાલના લલાટ પર એક વ્હાલ ભીનું ચુંબન કર્યું. આ વાત સાંભળી મેં સુરેશભાઈને કહ્યું તમારા જેટલો કવિતાનો ચાહક મેં મારી જિંદગીમાં હજી લગી બીજી કોઈ વ્યક્તિને આજ લગી જોયો નથી.
ત્યારે મહેશભાઈ હસતા હસતા કહે પ્રીતમભાઈ, સુરેશના કવિતા પ્રત્યેના પ્રેમની તો તમે વાત જ જવાદો. આ તો અમદાવાદની વાત છે પણ સુરેશ દલાલ કવિતા માટે મુંબઈની બહુ જ પ્રખ્યાત સ્ટ્રીટ ગોલપીઠા, જે ગણિકા માટે મશહૂર છે ત્યાં કવિ નામદેવ ઢસાળને મળવા જવા માટે પણ કોઈ ખચકાટ ના અનુભવે. બોલો હવે તમારે આનાથી સુરેશના કવિતા પ્રેમ વિશે શું સાંભળવું છે?
મહેશભાઈ માનવ અઘિકાર અને કેળવણી તેમ જ શિક્ષણના એક પ્રખર અભ્યાસી તેમ જ હિમાયતી હતા. મહેશભાઈ, ગુજરાતના દુષ્કાળ, ભૂકંપ અને રમખાણો દરમિયાન રાહત તેજ પુનાર કે પછી ન્યાય માટે નાગરિક પહેલ મંચ દ્વારા તેવો નર્મદ-મેઘાણી લાઈબ્રેરી પરથી સક્રિય લડત ચલાવતા. તેવો છાસવારે ગુજરાતના છાપાંમાં અને સામાયિકમાં કોઈ પણ પ્રકારની કોઈની લાગણીમાં દબાયા વગર હિંમત અને મક્કમતાથી શિક્ષણના ખાનગી તેમ જ સ્વનિર્ભર શિક્ષણ વ્યવસ્થા માટે બોલતા અને લખતા રહેતા.
અમદાવાદની નર્મદ-મેઘાણી લાઈબેરી તેમના જીવનમાં એક મહત્ત્વનું સ્થળ હતું. તેમણે આ જ લાઈબેરી પરથી અમદાવાદની મીઠાખળી વિસ્તારની મ્યુનિસિપલ શાળા ખાનગી સંચાલકોના હાથોમાં ન જાય તે માટે તે માટે તેમણે લડતના શ્રીગણેશ કરી આંદોલન ચલાવ્યું હતું. મહેશભાઈએ અભિવ્યકિત સ્વાતંત્ર્યના બચાવ માટે તેમણે મહારાજા સયાજીરાવ મહાવિર્ઘાલયના એક કલાના વિઘાર્થીએ ચિતરેલાં ચિત્ર બાબતે તેમને બહુ જ વિરોઘ પ્રદર્શન કરી વિઘાર્થીને પોતાનો આગવો ટેકો જાહેર કરેલો.
લોકહિત અને ન્યાય તેમના જીવનમાં બહુ જ મહત્ત્વના હતા, બલકે તેમના લોહીમાં ગુંથાઈ ગયા હતા. એટલે જ તક મળતા લોકહિત અને અન્યાય સામે ન્યાય અપાવવા, એક નાગરિક પક્ષ ઊભો કરીને ચૂંટણી લડવી જોઈએ તેવી વાત તેમ જ આ વિચાર અવારનવાર સમ વિચારક મિત્રો સામે રાખતા મહેશભાઈ અચકાતા નહીં.
સુરેશભાઈ અને મહેશભાઈ કૉલેજ કાળથી મિત્રો હતા. અને મારે તો બન્ને સાથે અખંડ પ્રેમ અને મૈત્રી છતાં એકવાર ફોન પર મારાથી તેમને પૂછાઈ ગયું કે મહેશભાઈ તમે ઈમેજ છોડી અને તમારું ‘સ્વમાન પ્રકાશન ” કેમ શરૂ કર્યું. ત્યારે બહુ જ દુઃખી મને મને તેમણે જણાવેલ કે પ્રીતમ ‘ઈમેજમાં હવે પહેલાં જેવી ફકત પ્રકાશનની ઈમેજ નથી રહી. હવે ઈમેજ પ્રકાશનમાં ઈમેજને ડેમેજ થઈ રહ્યું છે. ઈમેજમાં છેલ્લા કેટલા સમયથી ભારતીય જનતા પક્ષનો પ્રવેશ થયો છે અને ગુજરાતના મુખ્ય પ્રઘાન નરેન્દ્ર મોદી તરફ પ્રેમ લાગણી દિવસે દિવસે વઘતા આપણા સિદ્ઘાંતથી વિરુધ હોવાથી મેં સ્વમાન ભર છૂટા થઈ આપણું પોતાનું સ્વમાન પ્રકાશન શરૂ કરવાનું નક્કી કરી લીઘું.
મહેશભાઈએ અનામત વિરોઘી આંદોલને અનામત નીતિનું કાયદાકીય દૃષ્ટિએ અને મનોસામાજિક બાબતમાં તેમણે બે ચાર નાની પુસ્તિકાઓ પ્રગટ કરેલ ત્યારે મને અમેરિકા એક મિત્ર નાતે મોકલેલ. આ સાથે પોતાના પ્રકાશન દ્વારા તેમણે “રાઈટ ટુ એજયુકેશન’ની સંર્પૂણ માહિતી આપતું ‘શિક્ષણમાં નવક્રાંતિનો અવસર “પ્રગટ કરેલ તે પણ મને ઊમળકા સાથે મોક્લેલ.
છેલ્લા કેટલાક વખતથી ગુજરાત તેમ જ દેશમાં દિવસે દિવસે વઘતા જતા દમન, સાંપ્રદાયિકતા, બેરોજગારી, આપખુદશાહી જોઈ, સખત વ્યથિત મહેશભાઈ પોતાના જીવનનો મહત્તમ સમય વાંચવા લખવામાં ઘરને ખૂણે વિતાવતા. માનવઅઘિકાર અને શિક્ષણના લડવૈયા, કવિ, વાર્તાકાર, નવલકથાકાર અને અનુવાદક મહેશભાઈ પોતાના પરિચયમાં ફકત આટલું જ લખતા “પૂર્વ ન્યાયમૂર્તિ, ગુજરાત રાજય શિક્ષણ ટ્રિબ્યુનલ”.
મહેશભાઈ જેટલા રમૂજી સ્વભાવના હતા એટલા જ તે કોઈના ઘરે જાય તો કામ કાજમાં પણ મદદરૂપ થાય. આ વાત મેં સુરેશ દલાલ પાસેથી અને પન્નાબહેન પાસેથી સાંભળેલી પણ તેઓ મારે ઘરે અમેરિકા આવેલા ત્યારે અમે પતિપત્ની હજી સવારમાં ઊઠ્યાં ના હોય તે પહેલાં ઊઠી સુરેશભાઈ, ઉત્પલ ભાયાણી અને અમારા માટે ચા તો બનાવે સાથો સાથ અમેરિકન નાસ્તો પણ તૈયાર રાખે. ચાનાસ્તાનાં વાસણો પણ વ્યવસ્થિત ડીસ્વોસરમાં ગોઠવી કીચન ટેબલ ચોખ્ખું ચટ કરી નાંખે. અમેરિકામાં મારા ઘરે આવેલા મોટા ભાગના મહેમાનોને હું સમય સાથે ભૂલી ગયો છું પણ મહેશભાઈ તમારા જેવા મિત્રના આગમને મારું ઘર સ્વર્ગ બની ગયું!
e.mail : preetam.lakhlani@gmail.com