વિશ્વ આખું ય સામાજિક, રાજકીય અને આર્થિક ક્ષેત્રે યુવાનો પર નિર્ભર છે. યુવાનો જ વિશ્વની રાજનીતિ, આર્થિક પરિસ્થિતિ અને સામાજિક બદલાવ નક્કી કરે છે. ભારત દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે, કેમ કે વિશ્વમાં સૌથી વધુ યુવાનોની વસ્તી ભારત દેશમાં છે. કોવિડ મહામારીની અસર પણ સૌથી વધુ યુવાનો પર પડી છે અને આવનારા સમયમાં એ અસર ખૂબ જ નોંધપાત્ર રીતે જોવા મળશે. કોવિડ મહામારીની યુવાનો પર માનસિક, સામાજિક, આર્થિક અને રાજકીય અસર જોવા મળી રહી છે. માનસિક, સામાજિક અને આર્થિક અસર યુવાનોની રાજકીય સમજ નક્કી કરશે કે નહિ એ અત્યારે કહેવું મુશ્કેલ છે પણ મહામારીના સમયે બહુ જ નોંધપાત્ર સંખ્યામાં યુવાનો રાજકીય નીતિઓ અને કાર્યશૈલી વિષે પોતાનાં મંતવ્યો જણાવતા થયા છે. ઘણા યુવાનો જે મહામારી પહેલાં પોતાના રાજનૈતિક વિચારો ખૂલી રીતે વ્યક્ત કરતા ના હતા તેઓ પણ હવે ખૂલીને પોતાના મંતવ્યનો રજૂ કરતા થયા છે.
અગાઉની પેઢી મહામારી પહેલાં પણ રાજનૈતિક વિચારોમાં પોતાનો અવિશ્વાષ, નારાજગી, અને અસંતોષ વ્યક્ત કરતા હતા પણ છેલ્લા ત્રણ દાયકામાં, ખાસ કરી ને ભારત દેશમાં યુવાનોના માનસ પર રાજકારણ એ 'એક ગંદો અખાડો' છે તેવું પ્રસ્થાપિત કરી તેમના વિચારો અને તેમના પ્રતિકારને દબાવી દેવામાં આવ્યા છે. પરંતુ કોવિડ મહામારી અને તાળાબંધીની અસર સમાજના દરેક વર્ગ પર થઇ છે ત્યારે યુવાનો પણ રાજકારણ પ્રત્યે પોતાનો અભિગમ બદલી રહ્યા છે.
આ મહામારીમાં સરકારે કેવું કાર્ય કર્યું, શું કરવું જોઈતું હતું, સરકારની ક્યાં ભૂલ થઇ, સરકારની કાર્યશૈલીને લીધે કેટલી અનિશ્તિચતાઓ આવી, હવે આગળ સરકાર શું કરશે, તેનું શું પરિણામ આવશે આવા દરેક મુદ્દા પર યુવાનો ચર્ચા કરતા થયા છે. કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક ક્ષેત્રના નેતાઓનાં કાર્યો અને તેમણે આપેલાં નિવેદનો પર યુવાનો માર્મિક ટિપ્પણીઓ કરતા થયા છે. દરેક રાજકીય પક્ષના આઈ.ટી સેલ દરેક વખતની જેમ આ વખતે પણ ખૂબ સક્રિય છે અને યુવાનોના માનસને પોતાના તરફી વળાય તેવા પ્રચાર ચલાવી રહ્યા છે. પણ આ વખતે અલગ વાત એ છે કે યુવાનો આ પ્રચારથી પ્રભાવિત થયા વગર પોતાના વ્યક્તિગત રાજનૈતિક વિચારો પ્રગટ કરી રહ્યા છે જે મૉટે ભાગે રાજકીય પક્ષોના પ્રચાર કરતાં વિપરીત છે.
જો યુવાનો પોતાનો રાજનૈતિક અભિગમ અને તેને વ્યક્ત કરવાની શરૂઆત કરી રહ્યો છે તો ચોક્કસ સવાલ થાય કે આ બદલાવ શા માટે આવ્યો/આવી રહ્યો છે? તેનાં સચોટ કારણો શોધવા મુશ્કેલ છે પણ સામાન્ય સામાજિક સમજ અને અવલોકનથી અમુક કારણો નોંધી શકાય :
1) સરકારની યુવાનો માટેની નીતિ
વૈશ્વિક મહામારીની અસર ખાસ કરીને યુવાનો પર પડશે અને યુવાનો જ વિશ્વનું ભવિષ્ય નક્કી કરશે તેવી સમજ દુનિયાની દરેક સરકારને છે. કેટલા ય દેશોમાં યુવાનોનાં માનસિક સ્વાસ્થ્ય અને મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન નંબર શરૂ થઈ છે. યુવાનો તાળાબંધીમાં એકલતા અનુભવી રહ્યા છે, ભવિષ્યની અનિશ્ચિતતા અને પ્રશ્નોનું સમાધાન પરિવારના સભ્યો કે ન્યુઝ ચેનલની ખબરો આપી શકતા નથી. આવા સમયે યુવાનની ઓળખની ગોપનીયતા જળવાઈ રહે અને તેને સલાહ આપી શકે તેવા કોઈ ખાસ પ્રયાસો યુવાનોએ અનુભવ્યા નથી. થોડી યુનિવર્સિટીઓએ સામે ચાલીને કાઉન્સિલિંગ સેલ ઊભા કર્યા છે પણ તે અત્યંત માર્યાદિત રીતે કાર્ય કરે છે. સરકાર દ્વારા યુવાનોનાં માનસિક સ્વાસ્થ્યને બિલકુલ મહત્ત્વ નથી અપાયું એ સ્પષ્ટ રીતે યુવાનો સમજી રહ્યા છે.
2) શ્રમિકોની સ્થિતિ
ભારત દેશે, આઝાદી વખતેના ભાગલા પછી, લગભગ પહેલી વાર આટલા મોટા પ્રમાણમાં શ્રમિકોનું આંતરિક સ્થાનાંતર જોયું છે. ખાસ કરીને યુવાનો માટે આવો અનુભવ અવિશ્વશનીય છે. યુવાનો ટી.વી. અને સોશિયલ મીડિયાના માધ્યમોથી શ્રમિકોની કપરી હાલત જોઈ રહ્યા છે. કેટલા ય યુવાન શ્રમિકો, જેઓ વેદના અને મુશ્કેલીઓ વેઠી પોતાના વતન પરત ફર્યા છે તેઓ કદી ફરી મોટા શહેરોમાં મજૂરી કરવા નહિ જાય તેવા સોગંદ લઇ રહ્યા છે. યુવાન શ્રમિકો ખૂલીને પોતાને મદદ ન મળી હોવા માટે સરકારની નીતિ પર પ્રશ્નો પૂછી રહ્યા છે તો બીજી તરફ મધ્યમ વર્ગના યુવાનો પણ શ્રમિકોની દયનીય હાલત માટે સરકાર સામે સવાલ કરી રહ્યા છે. એક નાનું બાળક તેની મૃત માંને રેલવે પ્લેટફોર્મ પર જગાડવાનો પ્રયાસ કરે છે તો બીજી તરફ એક સોળ વર્ષની દીકરી પોતાના પિતાને 1,600 કિલિમીટર સાયકલમાં પોતાને વતન લઇ જાય છે. આવાં અનેક દ્રશ્યોએ યુવાનોને વ્યથિત કરી દીધા છે. સરકારી ટ્રેન રસ્તો ભૂલી જાય અને મંત્રીઓ તેનો ગોળમોળ જવાબ આપે જ્યારે બીજી બાજુ સોનુ સૂદ જેવા બૉલીવુડ સ્ટાર એકલા હાથે હજારો શ્રમિકોને કોઈ પણ તકલીફ વિના સુરક્ષિત પોતાને વતન મોકલાવે ત્યારે યુવાનો ખૂલીને પ્રશ્નો કરતા થયા છે કે જો સોનુ સૂદ આ કાર્ય એકલે હાથે કરી શકતો હોય તો સરકાર ચાહે તો શું કરી શકી હોત ?
3) અવિશ્વાસ
24મી માર્ચે જ્યારે દેશમાં તાળાબંધી જાહેર થઇ ત્યારે દેશને મોટા ભાગના નાગરિકોએ આ નિર્ણયનું અભિવાદન કર્યું હતું. યુવાનોએ તો ઉમંગભેર બાલ્કનીઓમાં થાળીઓ પણ વગાડી અને દીવાઓ પણ પ્રગટાવ્યા. શરૂઆતના તબક્કામાં જે પણ માહિતી મળતી તે માહિતી યુવાનોએ માની લીધી પણ ધીમે ધીમે ખોટા સમાચારો(ફેક ન્યુઝ)ની શરૂઆત થઇ. કોવિડની રસી શોધાઈ ગઈ છે, કોઈ એક સમાજ ભારતમાં કોવિડ ફેલાવવા માટે જવાબદાર છે, માખી પણ કોવિડ વાઇરસ ફેલાવે છે, મે મહિનાના તડકાથી કોવિડનાં જીવાણુઓ નાશ પામશે, આ વાયરસ યુવાનોને ઓછો અસર કરશે, મેલેરિયા માટે વપરાતી હાઈડ્રોકસિકલોરોકવીન દવાથી વાયરસ મટાડી શકાય જેવા કેટલા ય ખોટા સંદેશાઓથી યુવાનો વધુ અને વધુ મૂંઝવણમાં મુકાયા.
અમિતાભ બચ્ચન એવું ટ્વીટ કરે કે માખી પણ વાયરસ ફેલાવી શકે છે તો મોટા ભાગના યુવાનો આ માહિતીને સાચી જ માનવાના. કોઈ એક નેતાએ તો ‘ગો … કોરોનો ગો ..' ગીત પણ રજૂ કર્યું જે કેટલા ય યુવાનોએ સાચું માની, થાળી વગાડતાં વગાડતાં ગયું પણ ખરું. પણ ન તો અમિતાભ બચ્ચનની માહિતી સાચી પડી કે ન 'ગો કોરોના ગો' ગીત ગાવાથી કોરોના દેશ છોડી જતો રહ્યો. સરકાર દ્વારા આવી ખોટી માહિતીને અટકાવવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાયા અને આવી માહિતીનો વ્યાપ વધતો જ ગયો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ શરૂઆતમાં જાહેરાત કરી કે લોકોએ માસ્ક પહેરવો જરૂરી નથી, માત્ર જે લોકો કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવ્યા છે તેઓ જ માસ્ક પહેરે. બે મહિના પછી આખા ય ગુજરાતમાં માસ્ક પહેરવું સરકારે અનિવાર્ય કરી નાખ્યું. તાળાબંધીના શરૂઆતના તબ્બકાઓમાં આશ્વાશન આપવામાં આવ્યું હતું કે જીવન જરૂરી વસ્તુઓ ચોક્કસ મળી રહેશે અને અચાનક એક સાંજે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરે જાહેર કર્યું કે એક અઠવાડિયા માટે દવા અને દૂધ સિવાય બીજું બધું જ બંધ રહેશે. લોકો એ દિવસે સાંજે એટલા ગભરાઈ ગયા કે કરિયાણાની દુકાને ભીડ ઊભી થઇ. સરકાર દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશ અને આશ્વાસન પર જ સવાલ ઊભા થવા લાગ્યા.
અને સૌથી મહત્ત્વની ઘટના એ બની કે જ્યારે યુવાનો સાચી અને ખોટી માહિતી સમજવા ઝઝૂમી રહ્યા હતા ત્યારે ગુજરાત સરકારે આધિકારિક પ્રેસ કોન્ફરન્સ જ બંધ કરી દીધી. એટલે સરકાર તરફતથી મળતી આધિકારિક માહિતી જ બંધ થઇ ગઈ. યુવાનો સરકાર પાસેથી અપેક્ષા રાખે છે કે ચોક્કસ અને સ્પષ્ટ માહિતી તેમને મળે પરંતુ તેનાથી વિપરીત અભિગમને કારણે યુવાનોમાં વિશ્વાસ અને અનિશ્ચિતતાઓ ઊભી થઇ છે.
4) પ્રાથમિકતાઓની સમજ
યુવાનો ભલે સરકારે જાહેર કરેલા આર્થિક પેકેજને ન સમજી શક્યા હોય પણ દેશની પ્રાથમિકતાઓને તો ચોક્કસ સમજી રહ્યા છે. યુવાનો પહેલેથી જ અર્થતંત્ર, નોકરી અને રોજગારને લઇને ચિંતિત હતા ત્યાં આ મહામારીએ તેમને આરોગ્ય, જીવનિર્વાહ માટેના વેતન, મૂળભૂત આવક, ભવિષ્યમાં મહામારી સામે લડવાની સજ્જતા માટેની નીતિઓ, સંશોધનો અને વૈજ્ઞાનિક પ્રગતિને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યું છે. કેટલા ય યુવાનો સીધી રીતે પ્રશ્નો કરે છે કે સરકારે મહોત્સવો અને પ્રોગ્રામો કરવા કરતાં હોસ્પિટલ્સ અને આરોગ્ય કેન્દ્રો પર ખર્ચ કરવાની જરૂર છે. યુવાનો આરોગ્ય માટેની આધારભૂત વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની શરૂ કરી રહ્યા છે. મોટા મોટા સ્ટેડિયમ કે બિલ્ડીંગો કરતાં તેઓ આરોગ્યના મૂળભૂત માળખાં વિકસાવવામાં ગૌરવ લેવાનું પસંદ કરી રહ્યા છે.
આ સિવાય પણ બીજાં કારણો હોઈ શકે જેથી યુવાનો હવે રાજનૈતિક વિચારો વ્યક્ત કરવા લાગ્યા છે. યુવાનોની બદલતી સમજ, પ્રાથમિકતાઓ અને પ્રશ્નો ચોક્કસ રીતે રાજકીય વિચારોમાં બહાર આવી રહ્યા છે પણ શું તે લાંબા સમય સુધી રહેશે? બની શકે કે લાંબા ગાળે આજના યુવાનો અગાઉની પેઢીની જેમ રાજકીય માળખા પ્રત્યે નિરસ થઇ જાય. એવું પણ બને કે યુવાનો જે કઈ પણ મહામારીમાં અનુભવી રહ્યા છે તે અનુભવો તેમને કોઈ એક ચોક્કસ રાજકીય વિચારસરણી તરફ લઇ જાય. હાલમાં દેશમાં કોઈ મોટી ચૂંટણી નથી જે દેશના મોટા ભાગના યુવાનોનો મિજાજ પારખી શકે. એટલે યુવાનોની રાજકીય વિચારસરણી કઈ રીતે ઊભી થાય છે એ કહેવું મુશ્કેલ છે પણ જે રીતે યુવાનો કોવિડ મહામારીને રાજનીતિક પરિપેક્ષમાં જોઈ રહ્યા છે તેથી ચોક્કસ રીતે કહી શકાય કે યુવાનોનો રાજકારણ માટેનો અભિગમ બદલી રહ્યો છે.
e.mail : raval.gaurang@gmail.com