હૈયાને દરબાર
મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત કવિ રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે
તમે રે તિલક રાજા રામના.. ગીત વિશે ગતાંકમાં લખેલા લેખ પછી અનેક વાચકોના અભિનંદન માટેના ફોન કોલ્સ અને મેસેજ આવ્યા. પણ દરેકને પ્રશ્ન હતો કે ‘મારી આંખે કંકુના સૂરજ’ ગીત વિશે ક્યારે લખશો? મેં કહ્યું, "હા ભાઈ હા, એના વિશે તો લખવું જ પડે ને! પરંતુ, આંખે કંકુના … ગીત એવું છે કે એ લખ્યા પછી રાવજીનાં બીજાં કોઈ ગીતની વાત ના થઇ શકે. ગળે ડૂમો બાઝ્યો હોય, હૈયું બોઝિલ હોય અને કલમ અટકી ગઈ હોય ત્યારે બીજાં કયાં ગીતની કથા માંડવી? એટલે પહેલાં જ તમે રે તિલક…ની વાત કરી દીધી. આજે હવે આંખે કંકુના સૂરજની વાત લખતાં પહેલાં જ ઉદાસી ઘેરી વળી છે. કાવ્યનો એક એક શબ્દ એક એક અશ્રુનો મોહતાજ છે. જિંદગીની સફરમાં છેલ્લું સ્ટેશન છે મૃત્યુ. મૃત્યુની ગમગીની વ્યક્ત કરતું આનાથી કરુણ ગીત મેં નથી સાંભળ્યું. આ ગીત જેટલી વાર વાંચ્યું, સાંભળ્યું કે ગાયું છે ત્યારે અશ્રુધારા અટકી નથી. એ કમાલ છે ગીતના શબ્દોની, કારુણ્યસભર રાગ શિવરંજનીના સ્વરોની, અજિત શેઠના સ્વરાંકનની અને ભૂપિન્દર સિંહના ઘેરા અવાજની. અતુલ દેસાઈ, રાસબિહારી દેસાઈ અને ભૂપિન્દર સિંહ એ ત્રણેયના અવાજમાં આ ગીત સાંભળ્યું છે. ત્રણેય સ્વરાંકનો સરસ છે, પરંતુ ભૂપિજીના ઘેરા અવાજનું દર્દ કે પછી રાગ શિવરંજનીના સ્વરો, એ જે હોય તે, પણ હલબલાવી મુકે છે, રડાવી દે છે. શબ્દો અને સંગીત બન્ને હૃદયની આરપાર નીકળી જાય એવાં!
આ ગીતમાં લગ્ન અને મૃત્યુની વાત સમાંતરે ચાલે છે. જીવન હજુ તો શરૂ જ થયું છે અને મોત માથે ભમી રહ્યું છે! કાવ્યનો નાયક પરિણીત યુવાન છે. મૃત્યુને પ્રત્યક્ષ જોતાં જ એને પહેલો વિચાર પત્નીનો આવે છે. પત્નીનું સૌભાગ્યચિહ્ન કંકુનો ચાંદલો. એ ચાંદલો પોતાની ‘આથમતી’ આંખે ભૂંસાઈ જતો કવિને દેખાય છે. પત્નીના વૈધવ્યનું સાક્ષાત્ દર્શન થાય છે. યુવા વયે પત્નીનું વૈધવ્ય, ભુસાંતો ચાંદલો એ હૃદય વલોવી દેનારી ઘટના છે. લગ્નમાં થતી તૈયારીની જેમ જ કવિ મૃત્યુને શણગારવાની વાત કરે છે : ‘મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો, રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!’ આ ‘વીરા’ શબ્દનું અર્થઘટન નિશીથ ધ્રુવ નામના એક ભાવકે સરસ કર્યું હતું એ અહીં યાદ આવે છે. મન્ના ડેનું ગીત લાગા ચુનરી મેં દાગ આપણે સૌ જાણીએ છીએ. એમાં એક પંક્તિ આવે છે, વો દુનિયા મેરે બાબુલ કા ઘર, યે દુનિયા સસુરાલ … એટલે કે પરલોક એ તો મારું પિયર છે. ત્યાં તો ઈશ્વર વસે છે. એટલે અહીં કવિએ વીરા શબ્દ છે પ્રયોજ્યો છે એ માતા પિતા કે ભાઈ સમાન ઈશ્વરની જ વાત હોઈ શકે. આખી જિંદગી વેદના સાથે જીવ્યા છતાં કવિ અહીં જીવનને શણગારે છે! કવિ કહે છે: ‘પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા, મલકાતા રાજ’. પીળો રંગ અહીં પાનખરનો રંગ છે, જિંદગી ખરી પડવાનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ વસંતનો, યૌવન અને જિંદગીનો રંગ છે. ભરજુવાનીમાં હણહણતા ઘોડા જેવી શક્તિઓ ક્ષીણ થઈને ડૂબી રહી છે. હણહણતા ઘોડા યૌવનનું પ્રતીક છે. સોનેરી સપનાંઓ જોયાં પહેલાં જ પૂરાં થઈ ગયાં છે. આયુષ્યની પાનખર આંગણે આવી ગઈ છે. કવિ આગળ કહે છે: મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો, મને વાગે સજીવી હળવાશ. આ પડછાયો પત્નીનો છે જે પતિને રોકી રહ્યો છે. પતિની વિદાય વેળાએ મૃત્યુને અટકાવવા ઊભો થયેલો પત્નીનો હાથ અધવચ્ચે જ અટકી જાય છે. ઝાંઝરની ઘૂઘરીઓનો રણકાર પણ ચોકમાં આવી એને રોકે છે ત્યારે મૃત્યુને પણ એ સજીવી હળવાશ ભોંકાઈ હશે. લગ્નજીવનનો હજુ તો આરંભ છે, કેટકેટલાં ઓરતાં બાકી છે, પણ મૃત્યુનો ઓછાયો એ સપનાંને ટૂંપી રહ્યો છે. છેલ્લા શ્વાસ લઇ રહેલી વ્યક્તિને અંતિમ ક્ષણોમાં સૌથી વધારે દુ:ખ સ્વજનોથી વિખૂટા પડવાનું થતું હોય છે. વ્હાલસોયી કાવ્યનાયિકાના ગળે ડૂમો ભરાઈ ગયો છે, આઘાતને કારણે પગ નથી ઊપડતા. એ રોકી રહી છે પ્રિયજનને …! મૃત્યુના મહોત્સવનું આ કાવ્ય મૃત્યુના દર્દને ય ખુમારીપૂર્વક ગળે લગાડે છે. શું અદ્દભુત કલ્પનો પ્રયોજ્યા છે કવિએ આ કવિતામાં! અહીં કલ્પનો છે, સંવેદના છે, હૃદયમાંથી ઊભરતી ટીસ છે. આ એક જ મૃત્યુ ગીત રાવજી પટેલને અમર કરવા માટે પૂરતું છે.
કવિ પોતાની નજર સામે જ ઊભેલી પત્નીના સૌભાગ્ય રૂપ ચાંદલો (કંકુનો સૂરજ) ભૂંસાતો (આથમતો) અનુભવે છે. પીળાં પાન જેવા સુકાઈ ગયેલા દેહમાં લીલુંછમ યૌવન તો ડૂબ્યું, પરંતુ પ્રિય પત્નીને સુખના અલકાતાં-મલકાતાં રાજ ન આપી શક્યાનો રંજ છે. આ ગીતની સર્જનવેળાએ કવિને જાણીતા લગ્નગીત ‘કંકુ છાંટી કંકોતરી મોકલો’નો રંગ અભિપ્રેત હતો એવું એમના એક સમકાલીન કવિએ કહ્યું હોવાનું ક્યાંક વાંચ્યું હતું. મૃત્યુ એ આમ તો મંગળ પ્રસંગ કહેવાયો છે. મંદિરની આરતીનો રવ છે એમાં. બહુ ધીમેથી આવીને એ પરલોકમાં લઈ જાય છે. અને ઉપર કહ્યું તેમ પરલોક એ તો ‘બાબુલ કા ઘર’ એટલે કે પિયર છે. પિયરે જતી વખતે વેદના ક્યાં હોય? પિયરેથી સાજ શણગાર સજીને જ વિદાય લેવાની હોય ને! આટલી સહજ અને માંગલિક અભિવ્યક્તિ કોઇ ઓલિયો જ કરી શકે.
જીવનનું આખરી સત્ય છે મૃત્યુ! રાવજી પટેલના આ ગીતને ઉમાશંકર જોષીએ ‘રાવજીનું હંસ ગીત’ કહ્યું છે. મૃત્યુ નજીક હોય ત્યારે હંસના કંઠમાંથી કંઈક કરુણ ગાયન જેવું સંભળાય છે, માટે મૃત્યુ ગીતોને અંગ્રેજીમાં ‘સ્વોન સોંગ’ (હંસ ગીત) કહે છે. 50 વર્ષ પહેલાં માત્ર 28 વર્ષની ભર જવાનીમાં દસમી ઑગસ્ટે જે સૂરજ અધવચ્ચે જ ડૂબી ગયો એ રાવજી પટેલનો ‘અંગત’ કાવ્યસંગ્રહ એમના મૃત્યુના ત્રણ વર્ષ પછી પ્રગટ થયો. ‘રાજીવ પટેલનાં કાવ્યો’ પુસ્તકના સંપાદક રઘુવીર ચૌધરીએ એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, ડૉક્ટરે જ્યારે પહેલી વખત સહેજે સંકોચ વગર કહી દીધું કે છ માસ જીવશો ત્યારે રાવજીથી માની શકાય એમ ન હતું. હજી તો ઘણાં ય સ્વપ્નો પૂરાં કરવાનાં હતાં. એટલે ‘થોડું જીવી’ લેવા આણંદના ક્ષય ચિકિત્સાલયમાં એ દાખલ થયો. (પછી 4 વર્ષ જીવ્યા) બહાર આવી 1966માં ગુજરાત સરકાર દ્વારા પુરસ્કૃત નવલકથા ‘અશ્રુધર’ લખી. પરંતુ, પછી એના જીવનમાં એક ખતરનાક વસ્તુ ઉમેરાઈ-માનસિક અસ્થિરતા." છેલ્લી વખતના રાવજીના ગાંડપણનું કારણ રઘુવીરભાઈ લખે છે કે, કદાચ એમણે આખી રાત મૃત્યુ વિશે લખ્યાં કર્યું એ હોય! કવિનો અંત બહુ કરુણ હતો. રાવજી પટેલે પોતે લખ્યું છે: "મને એમ થયું કે હું મરી ગયો છું અને મને બાળી નાખે છે, બળી ગયા પછી તો જગત સાથેના બધા જ સંપર્ક કપાઈ જાય છે. હું હું નથી રહેતો, તમે તમે નથી રહેતા. તમે મને ગાંડો કહેશો, હું તમને ડાહ્યા સમજીશ. પણ ડાહ્યા-ગાંડામાં માત્ર એક જ ફરક પડવાનો છે. હું સમજુ છે એ (તમે) નથી સમજતા અને તમે સમજો છો એ હું નથી સમજતો.
રાવજી પટેલના શબ્દોની સંવેદના, વેદના તેને ખુદને તો દઝાડે જ છે. સાથે વાચકને પણ દઝાડે છે, સ્પર્શે છે. મૃત્યુનો વ્યવહાર કોને સમજાયો છે? વૃદ્ધ વ્યક્તિના મૃત્યુને કદાચ મુક્તિ કહી સ્વીકારી શકાય, પણ ભર જવાનીમાં મૃત્યુ આવે ત્યારે ‘પ્રભુને ગમ્યું તે ખરું’ કહી મનને મનાવીએ છીએ, પરંતુ ખરેખર એ ખોટ પુરાય છે? ઘાયલસાહેબે કહ્યું છે: "કહે છે મોત જેને એ અસલમાં છે જબરદસ્તી, હરિ ઈચ્છા કહી એને હું પંપાળી નથી શકતો.” માનસિક અસ્થિરતા, એકલતા, શરીર ફીકું પડી રહ્યું હતું ત્યારે રાવજી લખે છે: દેહમાં પુરાયેલું અસ્તિત્વ આ ગમતું નથી, મને કોઈ રાવજીથી ઓળખે એ ય હવે ગમતું નથી ..! આ શબ્દો, આ દર્દ-વેદના કલમમાંથી નીકળી રહી હતી. થોડી વેદના, થોડું દુ:ખ લખ્યું હશે, લખાતું હશે ત્યાં એક દિવસ, એક સાંજે ગળફામાંથી લોહી પડે છે. નજર સામે દેખાતું મૃત્યુ માણસને અંદરથી તોડી નાખે છે. મૃત્યુની તીવ્ર વેદના, વિચારતા કરી મુકે એવી અભિવ્યક્તિ છે! મૃત્યુનો મહોત્સવ ઉજવવા માટે તૈયારી થઇ રહી છે… શ્વાસ અજવાળાં પહેરીને ઊભા છે! અલકાતા રાજ ડૂબી રહ્યા છે. ઘણાં સપનાંઓ સાથે કવિ આ દુનિયામાં આવ્યા હતા, પત્નીના ઓરતાં ઉમેરાયાં હતાં. અને ક્ષિતિજે સૂરજ આથમતો દીસે છે, ઊતરતાં અંધારા સમયે પણ શ્વાસ અજવાળાં પહેરીને ઊભા છે. એ સમયે રોદણાં રોવાને બદલે શણગારેલી વે’લમાં મોત સાથે ચાલી નીકળવાનું છે! જિંદગીની અંતિમ ક્ષણોમાં રાવજી એકાકી હતા. માન સન્માન તો મૃત્યુ પછી મળ્યાં.
કવિ રાવજી પટેલ વિશે વિનોદ ભટ્ટે ‘વિનોદની નજરે’ પુસ્તકમાં લખ્યું છે, રાવજી પટેલ વિશે ઘણાને મોઢે ઘણું ઘણું સાંભળવા મળતું. એ મર્યો એ અરસામાં, “સાલો .. મારું કહેવું માન્યો હોત તો આટલો જલદી ના મરત અમે ય રાવજીને ઘણી મદદ કરેલી પણ આપણું તો ભૈ એવું – જમણો હાથ શું આપે છે એની ડાબા હાથને ક્યારે ય જાણ જ ન થવા દઈએ ..! જે લોકો રાવજીને જોઈને ફૂટપાથ બદલી નાખતા તેઓ તેની વાત કરતાં પોતાનો અવાજ હજી ય ભીનો કરી શકે છે. રાવજીના જીવતાં જે પ્રકાશકો એના પુસ્તક માટે એને બાઈ બાઈ ચારણીની રમત રમાડતા હતા એ લોકો રાવજીનાં પુસ્તકો પોતાને જ મળે એ વાસ્તે હવે સિફારસો કરાવે છે. ગુજરાતી સાહિત્યના દંભની આ પરાકાષ્ટા છે. મોડે મોડે ય એવૉર્ડ આપી ગુજરાતી સાહિત્ય જગતે ભૂલ સુધારી તેનો આનંદ છે.
વક્રતા આ જ છે મનુષ્ય જીવનની! આપણો સમાજ મુર્દાપરસ્તીનો છે. જીવતાને ઠેબે ચડાવે ને મરેલાંના ગુણગાન ગાય. અલબત્ત, રાવજીએ માત્ર આંખે કંકુના સૂરજ એ એક જ ગીત જીવનકાળ દરમ્યાન લખ્યું હોત તો ય સાહિત્યજગતે એની નોંધ લેવી જ પડી હોત !
આ ગીતના સ્વરાંકન વિશે અજીત શેઠના પુત્ર અભિજિત શેઠ જણાવે છે કે "આંખે કંકુના સૂરજ આથમ્યા’ કેસેટનું રેકોર્ડિંગ થઇ રહ્યું હતું ત્યારે હું પપ્પાના આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. આ ગીતને રેકોર્ડ કરતાં ત્રણ દિવસ લાગ્યા હતા, કારણ કે ગીતના આરંભમાં શરણાઈનો જે ટુકડો છે એ પપ્પા જે પ્રકારે ઇચ્છતા હતા એવો આવી રહ્યો નહોતો. શરણાઈ વાદક પાસે કેટલી ય વાર રિહર્સલ કરાવ્યું તો ય એમને ધાર્યું પરિણામ તો ના જ મળ્યું. ગીત ધ્યાનથી સાંભળો તો શરણાઈનો પનો જરાક ટૂંકો જણાઈ આવે છે. છેવટે ત્રીજા દિવસે મોડી રાત્રે ત્રણ વાગે પપ્પાએ ટેક ઓકે કર્યો હતો. બીજા અંતરામાં વાઈબ્રોફોન સ્હેજ મોડું શરૂ થયું હતું. આ બંને ક્ષતિઓ ગીત તમે ધ્યાનથી સાંભળો અને સંગીત જાણતા હો તો ઓળખી શકો. અલબત્ત, ભૂપિજીએ પૂરી તૈયારી કરીને આ ગીતમાં જાન રેડી દીધો હતો. એ પોતે આ ગીતથી એવા પ્રભાવિત થઈ ગયા હતા કે એમણે પોતે આ ગીતમાં ગિટારના સ્ટ્રોક્સ વગાડયા છે.
ભૂપિન્દરજીએ આ ગીતના સંદર્ભમાં કહ્યું કે, "મેં ગાયેલા લગભગ બધા ગુજરાતી ગીતો મને ગમે છે, પરંતુ મારું સૌથી પ્રિય ગીત આંખે કંકુના સૂરજ આથમ્યા છે. ઘણી કોન્સર્ટમાં એની ફરમાઈશ આવે છે. છેલ્લે, વલ્લભ વિદ્યાનગરમાં રહેતા રઘુભાઈ જોશીએ રાવજીને શબ્દાંજલિ આપતાં જે લખ્યું છે એનો ઉલ્લેખ કરીને લેખનું સમાપન કરીએ. તેઓ લખે છે, "સજીવી હળવાશ રાવજીને વાગી ગઈ. જીવનની ઉષામાં સૂરજ આથમી ગયો. ‘વૃત્તિ’ ને અધૂરી રાખી રાવજી ધરતીમાં ભળી ગયો. લાભશંકર ઠાકરે લખ્યું, એ ઘણા સમયથી મૃત્યુ પામ્યો હતો. અને મૃત્યુની સોડમાં બેસીને કાવ્યો અને વાર્તાઓ લખતો હતો. એનું મૃત્યુ એ આશ્ચર્યની બાબત નથી, એ છૂટ્યો એનું આશ્વાસન પણ નથી. પરિસ્થિતિએ એને જીવનના છેક તળિયે મૂકી દીધો હતો અને ગૂંગળાતો એ લખતો હતો :
ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગની
મને મહુડીની છાંય તળે પડી રહેવા દે …
હજી પણ રાવજી પડ્યો છે એ મહુડીની તળે, એના વલ્લવપુરા ગામના ખેતરમાં, એકલો-અટૂલો, વેદનાને હૈયામાં ધરબીને કવિતા ગાતો ..:
અમે રે અધવચ રણનાં વીરડાં
થોડાં ખારાં રે છઈએ, ખાટાં રે છઈએ,
પગલું પડે ને વ્હેતાં રે થઈએ અમે રે અધવચ રણનાં વીરડાં …
રાવજીની કવિતાઓમાં ચિત્ત ચોંટી ગયું છે. આકાશની ક્ષિતિજે સૂરજ ડૂબી રહ્યો છે. શિવરંજનીનો વિષાદ યોગ ઘેરી વળ્યો છે, હવે કંઈ કહેવું નથી. બસ, ગીતના સ્વર અને શબ્દમાં ડૂબી જવું છે … મારી આંખે કંકુના સૂરજ આથમ્યા ..!
————————————————–
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
હણહણતી મેં સાંભળી સુવાસ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ!
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા …
કવિ : રાવજી પટેલ • સંગીતકાર : અજિત શેઠ • ગાયક : ભૂપિન્દર સિંહ
https://www.youtube.com/watch?v=IOeeJcpiq3Q
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : ભૂપિન્દર સિંહ
https://www.youtube.com/watch?v=emYzBkJi0AA
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : રાસબિહારી દેસાઈ
https://www.youtube.com/watch?v=ilQvPS7Wnms
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા : અતુલ દેસાઈ
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 નવેમ્બર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=454023