પરિવારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, ચોક્કસ ધાર્મિક વ્યવસ્થામાં, શાસનમાં માત્ર અને માત્ર વ્યક્તિ કેન્દ્રમાં હોવી જોઈએ
સુજ્ઞ વાચકોએ નોંધ્યું હશે કે જ્યારે પણ મુસલમાનોમાં બુરખા, હિજાબ, તિન તલ્લાક કે એક કરતાં વધુ સ્ત્રી સાથે લગ્નની વાત આવે ત્યારે મુસ્લિમ વિદ્વાનો શરિયત(કુરાન અને હદીસ)નો હવાલો આપીને આ બધી ચીજોની વિરુદ્ધમાં કે તરફેણમાં દલીલો કરે છે. શા માટે? જો આ બધી ચીજો વર્જ્ય છે તો વર્જ્ય છે, એમાં શરિયતનો હવાલો આપવાની શી જરૂર છે? પણ પ્રગતિશીલ મુસલમાનોના હાથ બંધાયેલા છે. ઇસ્લામ મુજબ કુરાન અને હદીસ સદૈવ માર્ગદર્શન આપનારા, કાલજયી ગ્રંથ છે. એમાં કહેલી એક પણ વાત અપ્રાસંગિક ન હોઈ શકે. ઇસ્લામમાન્ય ન હોય એવી કોઈ ચીજ મુસલમાન અપનાવી ન શકે અને માટે પ્રગતિશીલ મુસલમાનોએ પણ સારી ચીજ સ્વીકાર્ય બનાવવા માટે કુરાન અને હદીસનો હવાલો આપવો પડે છે. મેં એક વાર સુધારાવાદી મુસ્લિમ વિદ્વાન અસગરઅલી એન્જિનિયરને પૂછ્યું હતું કે તમે ન્યાય અને સમાનતા જેવાં મૂળભૂત માનવીય મૂલ્યોનો બચાવ ઇસ્લામનો હવાલો આપ્યા વિના ક્યારે કરશો? તેમણે મારા પ્રશ્નનો જવાબ ટાળી દીધો હતો.
આવું ગાંધીજીએ પણ કરવું પડ્યું હતું. તેમણે જ્યારે અસ્પૃશ્યતા નિર્મૂલનનું આંદોલન શરૂ કર્યું ત્યારે સનાતની પંડિતોએ ધર્મગ્રંથોનો હવાલો આપીને તેમના પર આક્રમણ કર્યું હતું. અસ્પૃશ્યતા ધર્મમાન્ય છે અને તે સનાતન ધર્મનો અવિભાજ્ય હિસ્સો છે એવી દલીલો તેઓ ધર્મગ્રંથોનો હવાલો આપીને કરતા હતા. ગાંધીજીએ જ્યારે જોયું કે સનાતનીઓના ધર્મગ્રંથોના હવાલાઓની લોકો પર અસર થઈ રહી છે ત્યારે તેમણે કેવલાનંદ સરસ્વતી, તર્કતીર્થ લક્ષ્મણ શાસ્ત્રી જોશી, શ્રીપાદ દામોદર સાતવલેકર જેવા વિદ્વાનોને પૂછ્યું હતું કે શું અસ્પૃશ્યતા ધર્મમાન્ય છે? ધર્મગ્રંથો તપાસીને મારું માર્ગદર્શન કરો. આ બધા વિદ્વાનોએ કહ્યું હતું કે ચાતુરવર્ણ્ય અને અસ્પૃશ્યતા બે જુદી વસ્તુ છે. ચાતુરવર્ણ્ય સનાતન ધર્મનો હિસ્સો છે, અસ્પૃશ્યતા નથી. પણ એ પછી પણ સામા પક્ષે વિતંડાનો અંત નહોતો આવ્યો.
પણ ગાંધીજી તો ગાંધીજી હતા. ગણતરીનાં વર્ષોમાં તેમણે ધર્મનો આધાર લેવાનું બંધ કરી દીધું હતું અને એક સમયે તો ત્યાં સુધી કહ્યું હતું કે ખૂદ ભગવાન આવીને મને કહે કે સનાતન ધર્મની રચના મેં કરી છે અને તેમાં અસ્પૃશ્યતા અનિવાર્ય છે તો હું ભગવાનને કહી દઈશ કે મને તમારો આ અભિપ્રાય સ્વીકાર્ય નથી. જે માનવીય ન હોય એ ધાર્મિક ન હોય. એ પછીથી ગાંધીજીએ અસ્પૃશ્યતા નિર્મૂલન માટે ધર્મવચનોનો આશારો લેવાનું બંધ કરી દીધું હતું. કારણ કે વિતંડાનો અંત જ નહોતો આવતો. પણ જે મોકળાશ ગાંધીજીને કે આ લખનાર જેવા હિંદુઓને મળે છે એ મુસલમાનોને મળતી નથી. એક પ્રસંગ યાદ આવે છે. ખિલાફતના આંદોલન વેળાએ એક અળવીતરા ઉપદ્રવીએ મૌલાના મહમ્મદ અલીને પૂછ્યું હતું કે ગાંધીજી જેવો પવિત્ર માણસ અને એક બળાત્કારી મુસલમાન એ બેમાંથી જન્નતનો અધિકારી કોણ? મૌલાનાએ કહ્યું હતું કે બળાત્કારી મુસલમાન, કારણ કે તે મુસલમાન છે અને ગાંધીજી કાફિર (વિધર્મી) છે. ગાંધીજીને જ્યારે મૌલનાના અભિપ્રાય વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે મૌલાનાના હાથ ઇસ્લામના વચનો દ્વારા બંધાયેલા છે એટલે તેને બહુ મહત્ત્વ નહીં આપાવું જોઈએ.
અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થવો જોઈએ. માનવીય મૂલ્યો અને મૂળભૂત માનવીય મૂલ્યો વચ્ચે શું ફરક? આપણે એક પિતાના સંતાન, વસુધૈવ કુટુમ્બકમ્, સાચું બોલવું, છેતરપીંડી નહીં કરવી, આર્થિક વ્યવહારમાં શુદ્ધિ જાળવવી, સામાજિક વ્યવહારમાં મર્યાદા અને પારદર્શકતા જાળવવી, સ્ત્રી પણ પૂજનીય દેવી છે, માતા છે વગેરે માનવીય મૂલ્યો છે. આ બધાં ઉપદેશો સમાજ માટે છે. મૂળભૂત માનવીય મૂલ્યોના કેન્દ્રમાં વ્યક્તિ છે. મારી વ્યક્તિગત પ્રતિષ્ઠા મારો મૂળભૂત અધિકાર છે. મારો તમને ન ગમતો હોય એવો વ્યક્તિગત અભિપ્રાય વ્યક્ત કરવો એ મારો મૂળભૂત અધિકાર છે. જો મારો આદર કરવામાં ન આવતો હોય અથવા મને ન સાંભળવામાં આવતો હોય તો વિરોધ કરવાનો મને અધિકાર છે. મારા જેવા લોકોને સંગઠિત કરીને આંદોલન કરવાનો અને ન્યાય માગવાનો મને અધિકાર છે. મારા જેવા નિર્બળ માણસની સૌથી વધુ સુરક્ષા માત્ર કાયદાના રાજમાં છે અને કાયદો દરેક માટે એક સમાન હોવો જોઈએ. મત આપવાનો, શાસક પસંદ કરવાનો, શાસકને બદલવાનો, અદાલતમાં ન્યાય માગવાનો અને એ માટે જરૂર પડ્યે રસ્તા પર ઊતરીને આંદોલન કરવાનો મને આધિકાર છે. બધું જ વ્યક્તિલક્ષી અને વ્યક્તિકેન્દ્રી.
પરિવારમાં, સમાજમાં, જ્ઞાતિમાં, ચોક્કસ ધાર્મિક વ્યવસ્થામાં, શાસનમાં માત્ર અને માત્ર વ્યક્તિ કેન્દ્રમાં હોવી જોઈએ અને સ્ત્રી કે દલિત કે અશ્વેત તરીકેની ઓળખ ગૌણ હોવી જોઈએ એવો વિચાર યુરોપમાં પુનઃ જાગરણનાં આંદોલન દરમ્યાન વિકસ્યો હતો. ધીરે ધીરે આધુનિક માનવતાવાદીઓ આને સ્વીકારવા લાગ્યા હતા, પરંતુ એનો અર્થ એવો નથી કે જેણે દુબળાઓ ઉપર વર્ચસ ગુમાવ્યું હતું એનાં પેટમાં તેલ નહોતું રેડાયું. તેઓ પોતાની અમાનવીયતાને છૂપાવવા માટે અને પોતાને માણસાઈના પૂજારી તરીકે ખપાવવા માટે માનવીય મૂલ્યોની વાત કરશે, મૂળભૂત માનવીય મૂલ્યોની વાત નહીં કરે. અને હવે આજના સોશ્યલ મીડિયાના યુગમાં જે લોકો એક સમયે દાબેલા અવાજમાં શરમાઈને સંકુચિત વાત કરતા હતા એ નિર્ભય થઈ ગયા છે. તેમને ખબર છે કે આપણા જેવા ઘણા છે, એટલે તેઓ વ્યક્તિકેન્દ્રી મૂળભૂત માનવીયતા સામે મેદાનમાં ઉતર્યા છે. ભારતમાં, અમરિકામાં આ જોવા મળી રહ્યું છે. તેમને હાંસિયામાં રહેલા લોકો સ્વતંત્ર થાય અને આપણા વર્ચસને પડકારે એ સહન થતું નથી. તેઓ તેમનો ચચરાટ રાષ્ટ્રવાદ અને ધર્મને નામે છૂપાવે છે.
૧૪મી સદીમાં ચોખામેલા નામનો એક દલિત સંત મહારાષ્ટ્રમાં થયો હતો. તેને પંઢરપુરના મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવ્યો તો ચોખામેલાએ પંઢરપુરના વિઠોબાના મંદિરની બહાર વિઠ્ઠલની સાધના કરી હતી અને ત્યાં જ દેહ છોડ્યો હતો. તેનું ઈશ્વર સમર્પણ અને તેની ભક્તિનાં વખાણ કરતાં બ્રાહ્મણો થાકતા નહોતા, પણ ખુદ બાબાસાહેબ આંબેડકરને પાંચસો વરસ પછી મંદિરમાં પ્રવેશવા નહોતા દીધા. જો કોઈ વિદ્રોહ ન કરે અને ચૂપચાપ શરણે થાય તો એને મહાન ચિતરવામાં કોઈ કસર નહીં રાખવાની. ડૉ. આંબેડકરને એ પછી ચોખામેલાનો ખપ નહોતો રહ્યો. સમર્પણ અને શરણાગતિ નહીં, સંઘર્ષ. માટે એક માત્ર કબીરને છોડીને આંબેડકરે મધ્યકાલીન સંતોનો ઉદોઉદો નહોતો કર્યો.
તો આ ફરક છે, વરખ જેવાં માનવીય મૂલ્યો અને ટકોરાબંધ મૂળભૂત માનવીય મૂલ્યો વચ્ચે. તમારું હિત શેમાં છે? થોડી વાર ધૂણવાનું છોડીને વિચારો. બહુ મૂલ્યવાન જણસ છે જે ફેંકી દેવા માટે નથી. આને માટે અનેક લોકોએ ત્યાગ કર્યો છે અને શહાદત વહોરી છે.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 14 જાન્યુઆરી 2024