અમદાવાદના બાળ સંરક્ષણ ગૃહમાં એક દલિત કિશોરનું સંચાલકોના કથિત મારથી મૃત્યુ થયું. ભીમા કોરેગાંવ કેસમાં મુંબઈની તલોજા જેલમાં બંધ ૮૩ વરસના ફાધર સ્ટેન સ્વામી કંપવાને કારણે હાથથી ગ્લાસ પકડી પાણી પી શકતા ન હોઈ તેમને સ્ટ્રો કે સિપર આપવાની માંગણી જેલ સત્તાવાળાઓએ નકારતાં અદાલતમાં દાદ માંગવી પડી. અરજદારની માંગણી અંગે જવાબ આપવા તપાસ એજન્સીએ ૨૦ દિવસનો સમય માંગ્યો. દિલ્હીના ૨૯ વરસના મહિલા રોહિણી વિશ્વાસને સોશ્યલ મીડિયા પર પશ્ચિમ બંગાળ અંગેની આલોચનાત્મક પોસ્ટનો જવાબ આપવા કોલકાતા પોલીસે દિલ્હીથી કોલકાતા રૂબરૂ આવી જવાબ આપવા સમન્સ પાઠવ્યું. અદાલતે દરમિયાનગીરી કરીને પોલીસનું કૃત્ય નાગરિકની હેરાનગતિ હોવાનું ગણાવ્યું. તમિલનાડુના બલાંગીર જિલ્લાના એક ગામના ઈંટભઠ્ઠાના પરપ્રાંતિય મજૂરોએ વતન જવાની માંગણી કરતાં ભઠ્ઠા માલિકે મજૂરોને માર માર્યો. ૩૦ ભઠ્ઠાઓમાં ૬,૭૫૦ મજૂરો વેઠિયા તરીકે કામ કરે છે. ઉત્તર પ્રદેશના કાનપુર તાબાના ચકેરી ગામે ચોરીના આળમાં પિતાને પકડી જતી પોલીસને કગરતા પગમાં પડેલ ૧૦ વરસના પુત્રને પોલીસે લાત મારતાં પુત્રનું મોત થયું. છત્તીસગઢના બસ્તર વિસ્તારના કઠિયામેટા ગામના ચાર આદિવાસીઓને પોલીસ ઘરેથી લઈ ગઈ તે પછી તેમની કોઈ ભાળ ન મળતાં લોકોએ ચક્કાજામ કર્યો. આંધ્ર પ્રદેશના ૪૫ વરસના ઑટો ડ્રાઈવર અબ્દુલ સલામે પોલીસની હેરાનગતિ અને મારથી તંગ આવીને પત્ની અને બે કિશોર વયના સંતાનો સાથે આત્મહત્યા કરી.
તાજેતરના આ નમૂના દાખલ બનાવો તાનાશાહ પોલીસ, નઘરોળ શાસન અને નિરીહ નાગરિકની હાલત કે બંધારણબક્ષ્યા માનવ અધિકારોના હનનની ગવાહી રૂપ છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગને ગયા વરસે ૪૦,૦૨૧ માનવ અધિકાર ભંગની ફરિયાદો મળી હતી. ઓકટોબર ૨૦૨૦ના એક જ મહિનામાં આયોગને મળેલી ફરિયાદોની સંખ્યા ૭,૧૪૫ હતી. એ હિસાબે દેશમાં દર મહિને સરેરાશ ૩,૩૩૫ અને રોજની ૨૩૩ માનવ અધિકાર ભંગની ફરિયાદો નોંધાય છે. નેશનલ હ્યુમન રાઈટસ કમિશન સમક્ષ જે ૧૮,૦૨૭ માનવ અધિકાર ભંગની ફરિયાદો વિચારાધીન છે તેમાં પોલીસ અને જ્યુડિશિયલ કસ્ટોડિયલ ડેથના કેસો ૩,૭૪૩ અને પોલીસ એન્કાઉન્ટરના ૫૮૧ છે. સપ્ટેમ્બર ૨૦૦૬થી કાર્યરત ગુજરાત માનવ અધિકાર આયોગને ૧૪ વરસોમાં ૪૦,૮૮૯ માનવ અધિકાર ભંગની ફરિયાદો મળી હતી. તેમાં પણ કસ્ટોડિયલ ડેથના કેસો ૭૪૮ હતા.
માનવ અધિકાર એક આધુનિક ખ્યાલ છે પરંતુ તે મેળવવા માટેના સંઘર્ષનો દીર્ઘ ઇતિહાસ છે. તેરમી સદીમાં, ઈ.સ.૧૨૧૫માં, ઈંગ્લેન્ડના રાજા સમક્ષ સામંતોએ માંગેલા અધિકારોનું ખતપત્ર, મેગ્નાકાર્ટામાં, વર્તમાન માનવ અધિકારોના મૂળ રહેલાં છે. વીસમી સદીમાં, ૧૯૨૬માં મળેલા ગુલામી વિરોધી વિશ્વ સંમેલન પછી ૧૦મી ડિસેમ્બર ૧૯૪૮ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સંઘે માનવ અધિકારોનું વૈશ્વિક ઘોષણા પત્ર જાહેર કર્યું હતું. તેની સ્મૃતિમાં દસમી ડિસેમ્બરે આખી દુનિયા માનવ અધિકાર દિવસ મનાવે છે. કર્મયોગમાં માનતા ભારતમાં નાગરિક ફરજોનું પ્રકરણ પાછળથી, ઈંદિરાઈ કટોકટીના કાળમાં, ઉમેરાયું હતું. પણ સંવિધાન નિર્માતાઓની દીર્ઘદ્રષ્ટિને કારણે બંધારણના ઘડતરના આંરભે જ તેમાં નાગરિક હકો સામેલ કરવામાં આવ્યા હતા. માનવ અધિકારોની વિશ્વ ઘોષણા કે માનવ અધિકારો ભારતના બંધારણનો અનિવાર્ય હિસ્સો હોવા છતાં તેનું હનન થતું રહે છે; નાગરિકને તે હાંસલ કરવા સતત સંઘર્ષ કરવો પડે છે.
વ્યક્તિની સ્વતંત્રતા પર કોઈ પણ પ્રકારની બંધી ન હોય એટલો સીમિત અર્થ માનવ અધિકારનો નથી. માનવ અધિકારોના વિશ્વ ઘોષણા પત્રમાં સમયાંતરે ઉમેરા થતા રહ્યા છે. પ્રત્યેક વ્યક્તિને જીવનનો, સ્વતંત્રતાનો અને વ્યક્તિગત સુરક્ષાનો અધિકાર તો છે જ પણ તેના રાજકીય, આર્થિક, સામાજિક સાંસ્કૃતિક અધિકારોમાં રંગભેદ અને જાતિસંહાર વિરુદ્ધનો હક, લઘુમતીઓનું સંરક્ષણ, વિવાહિત સ્ત્રીઓની રાષ્ટ્રીયતા સહિતના સ્ત્રી સમાનતાના અધિકારો, શરણાર્થીઓ અને બાળકોના અધિકારો ઉપરાંત સામાજિક વિકાસનો અધિકાર પણ સામેલ છે. ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોના અનુચ્છેદ ૨૧માં જીવનનો અધિકાર આપવામાં આવ્યો છે. અદાલતોએ આ અધિકારમાં રોજગાર, શિક્ષણ, આવાસ, આરોગ્ય જેવા અધિકારોને પણ સામેલ કર્યા છે.
ધર્મ, કોમ, ભાષા, વંશ, વર્ણ,વર્ગ, લિંગ, રાષ્ટ્રીયતા એવા કોઈ ભેદભાવ વિના મનુષ્ય માત્ર સમાન ગણાવા જોઈએ. માનવ ગૌરવપૂર્વક, પરસ્પરના અધિકારોના આદર સાથેનું સહજીવન આપણો આદર્શ છે પરંતુ સમાજિક, આર્થિક વ્યવસ્થા ભેદભાવ ભરેલી છે. માનવ અધિકારો માટેનો સંઘર્ષ ન માત્ર રાજ્ય સામેનો છે એક નાગરિકનો બીજા નાગરિક સામેનો પણ છે. દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ, બાળકો, સ્ત્રીઓ અને એવા વંચિત સમુદાયોના અધિકારોનું હનન રાજ્ય તો કરે જ છે બળુકા મનાતા લોકો પણ કરે છે એટલે માનવ અધિકારોની લડાઈ એ માત્ર વ્યક્તિગત સ્વતંત્રતાની લડાઈ નથી સામાજિક ન્યાય અને સમાનતા માટેની પણ લડાઈ છે. સિવિલ લિબર્ટી (નાગરિક સ્વાતંત્ર્ય) સિવિલ રાઈટ્સ (નાગરિક અધિકારો) કે ડેમોક્રેટિક રાઈટસ (લોકતાંત્રિક અધિકારો) આમ સમાન અર્થી કે પર્યાય વાચી શબ્દો લાગે છે પરંતુ ભેદભાવ ભરી સમાજવ્યવસ્થામાં એક નાગરિકની સ્વતંત્રતા બીજા નાગરિકના અધિકારોનું હનન પણ કરે છે.
ભારતનું બંધારણ નાગરિકને તમામ પ્રકારની સ્વતંત્રતાનો અને સમાનતાનો હક આપે છે. કાયદા સમક્ષ સૌ નાગરિક સમાન મનાય છે પરંતુ વાસ્તવમાં એવું છે ખરું ? વર્ણ અને વર્ગમાં વહેંચાયેલા-વહેરાયેલા ભારતીય સમાજમાં અસ્પૃશ્યતા નાબૂદીનો કાયદો છે અને આઝાદીના સાત, સવાસાત દાયકા પછી પણ તે સંપૂર્ણ નાબૂદ થઈ શકી નથી. આજે પણ દલિતોનાં રહેઠાણ તો ઠીક સ્મશાન પણ જુદાં હોય ત્યારે માનવ અધિકાર કોના અને કેવા ? સમાન વેતનના કાયદા છતાં ભારતીય લશ્કરમાં સ્ત્રીઓને કાયમી નોકરી અને વેતન માટે સુપ્રીમકોર્ટના દરવાજે ન્યાય માટે જવું પડે છે. શિક્ષણના અધિકાર છતાં અસમાન શિક્ષણ વ્યવસ્થા અને બાળ મજૂરી ચાલુ જ છે. કાયદાથી વેઠપ્રથા નાબૂદ કરવામાં આવી છે પરંતુ અસંગઠિત ક્ષેત્રમાં જ નહીં હવે તો સરકારી નોકરીઓમાં પણ આઉટસોર્સિંગ અને કોંન્ટ્રેક વર્કર જેવી પ્રણાલીઓ નવી અસમાનતા અને વેઠપ્રથા ઊભી કરે છે. જીવનના અધિકારના વ્યાપક અર્થઘટન છતાં ગર્ભમાં જ બાળકીઓની હત્યાઓ થાય છે અને સરકારો બેટી બચાવોના અભિયાનો આદરે છે.
માનવ અધિકારોના ભંગ બદલ અદાલતી સજાની જોગવાઈ છે. ૧૯૯૩માં માનવ અધિકાર કાનૂન પછી પણ ઘડાયો છે તો પણ માનવ અધિકારોનું સંપૂર્ણ રક્ષણ અને પાલન થતું નથી. કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ હવે માનવ અધિકાર આયોગો કાર્યરત છે. કાયદાકીય જોગવાઈઓ મુજબ તો તે સ્વતંત્ર અને સ્વાયત્ત છે પરંતુ વાસ્તવમાં તે દંત-નહોર-વિહીન કાયદાકીય માળખા છે. માનવ અધિકાર આયોગો માનવ અધિકાર ભંગના કેસોના અહેવાલો તેનો ભંગ કરનારા વહીવટી અને પોલીસ તંત્ર પાસે જ મંગાવે છે. જે થોડા કિસ્સાઓમાં તે જાતે તપાસ કરે છે તેમાં પણ તેને દોષિતોને સજા કરવાની તો સત્તા જ નથી. હા, માનવ અધિકારના ભંગના કિસ્સામાં તે આર્થિક વળતર જરૂર અપાવે છે અને સરકારોને પણ દોષિતો સામે કાયદાકીય કાર્યવાહી કરવાને બદલે નાણા આપી દેવાનું વધુ ફાવે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની રચના ૧૯૯૩માં થઈ હતી. રાજ્યકક્ષાએ ઉત્તર પ્રદેશમાં ૨૦૦૩માં અને ગુજરાતમાં ૨૦૦૬માં રાજ્ય માનવ અધિકાર આયોગની રચના થઈ હતી. એ હકીકત શું દર્શાવે છે ? કાનૂની જોગવાઈનો અમલ માત્ર કરવામાં પણ આટલો વિલંબ ?
કોરોનાકાળમાં સ્થળાંતરિત મજૂરોની હાલત અને તે પછીની આર્થિક હાલાકી, ગરીબો, અધિકાર વંચિતો અને કામદાર કિસાનોના જીવનને સીધી અસર કરતા શ્રમ અને કૃષિ કાનૂનો વચ્ચે ૨૦૨૦નો માનવ અધિકાર દિવસ મનાવાશે આ વરસે જ આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત માનવ અધિકાર સંસ્થા ‘એમનેસ્ટી ઈન્ટરનેશનલ’ને સરકારી કનગડતથી વાજ આવીને ભારત છોડવું પડ્યું છે, એ એક જ હકીકત ભારતમાં માનવ અધિકારોની બાબતમાં સરકારનું વલણ સ્પષ્ટ કરી આપે છે.
(તા.૦૯-૧૨-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com