દુનિયાની તમામ ભાષાઓમાં માતા માટેનો શબ્દ 'મ'થી શરૂ થાય છે. જેમ કે, અંગ્રેજીમાં મધર, મમ્મી અને મોમ, હિન્દીમાં મા અને માતા, સંસ્કૃતમાં માતૃ, ઉર્દૂમાં અમ્મી અને અમ્મા (મ્મ પર વજન વધુ હોય છે), પર્શિયનમાં મદ્ર, લેટિનમાં માતર, ગ્રીકમાં માના, ઇટાલિયનમાં માદ્રે અને મમ્મા, ફ્રેંચમાં મેરે, જર્મનીમાં મટર, આફ્રિકાનામાં મોઇયેડર અને મા, કંબોડિયાઈમાં માએ, મદાઈ અને માક, ડેનિશમાં મોર, ડચમાં મોઈડર અને મોએર, આઈરીશમાં માથેર, ચાઇનીઝમાં મામા, વગેરે.
'મ' કેમ? સાઈકોલિંગગ્વિસ્ટિક સંશોધન પ્રમાણે, બાળક જન્મથી શરૂ કરીને ૬૦ મહિના (પાંચ વર્ષ) સુધીમાં અલગ-અલગ પ્રકારના અવાજો કાઢવાની પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેને લેંગ્વેજ એક્વિજિશન એટલે કે ભાષાનું અર્જન કહે છે. ૧૯૬૨માં, રશિયન-અમેરિકન ભાષાશાસ્ત્રી આર. જેકોબ્સને લેંગ્વેજ એક્વિજિશનની આ થિયરી વિકસાવી હતી. એમાં કોગળા કરતા હોઈએ તેવો ખળખળ અવાજ, બડબડાટ, એકાક્ષર અને એક શબ્દના ઉચ્ચારનો સમાવેશ થાય છે.
આમાં બડબડાટ અથવા બકબક(બેબલિંગ)નો જે બીજો તબક્કો છે, તે ૧૦થી ૧૮ અથવા ૨૦ મહિના વચ્ચે આવે છે. આ એ સમય છે, જ્યાં બાળકે તેના પોષણ માટે માતા પર આધાર રાખવાનું છોડી દીધું હોય છે. તે થોડો સોલિડ આહાર લેતું થયું હોય છે, તેના મોઢામાં સલિવા એટલે કે લાળ પેદા થવાનું ઘટે છે, દાંત ફૂટવા પર હોય છે, તે બેસતું, ઊભું થતું, ચાલતું થાય છે.
આ જ સમયગાળામાં, બાળક તેના ગળામાંથી નીકળતી હવાને આળીઅવળી રીતે નિયંત્રિત કરતું થાય છે, અને વયસ્ક જેવા અમુક અવાજ કાઢે છે. એમાં જે પહેલો અવાજ નીકળે છે તે 'મ' હોય છે (એ પહેલાં 'ર' અવાજ પણ તે કાઢતું હોય છે, પણ પછી તે ગાયબ જાય છે), જે કાયમ માટે રહી જાય છે. તે સમયે બાળકની સૌથી નજીક તેની માતા હોય છે, એટલે તે આ અવાજને પોતાના નામ સાથે જોડે છે ('મને બોલાવે છે'). બાળકને પણ ધીમે-ધીમે એ સમજાતું જાય છે કે એક ચોક્કસ અવાજથી તેની માતા તેના તરફ આકર્ષિત થાય છે, એટલે તે એ અવાજનો પ્રયોગ વધારતું જાય છે.
લેંગ્વેજ એક્વિજિશનની આ પ્રક્રિયા દુનિયામાં લગભગ એક સરખી હોય છે, એટલે દુનિયાની તમામ (આશરે ૬,૦૦૦) ભાષાઓમાં માતા માટેનો શબ્દ 'મ'થી શરૂ થાય છે. બાળક ‘મંમં’ ઉદ્દગાર કરે છે, ત્યારે ઘણી ગુજરાતી મમ્મીઓ બોલે છે, ‘તારે મંમં ખાવું છે?’ ‘મંમં’ નામનો કોઈ ખોરાક નથી, પરંતુ એવું બોલીને મમ્મીનું ધ્યાન ખેંચવાનો મતલબ એ થાય છે કે બાળક ભૂખ્યું થયું છે. આ ભૂખ્યા બાળકને મા સ્તને વળગાળે. એના પરથી સ્તન માટે મૈમલ શબ્દ આવ્યો છે. જેને સ્તન હોય તેવાં પ્રાણીઓ માટે ‘મમ્મલ’ (સ્તનધારી) શબ્દ છે. મમ્મલ શબ્દ આધુનિક છે, જે વૈજ્ઞાનિક શબ્દ ‘મમ્માલિયા’ પરથી આવ્યો છે અને ‘મમ્માલિયા’ શબ્દ લેટિન ‘મમ્મા’ પરથી આવ્યો છે, જેનો અર્થ ‘સ્તન’ થાય છે. મા અથવા માતા અથવા મધર શબ્દનું મૂળ અહીં પણ છે.
અરેબિક, ચાઇનીઝ અને જાપાનીઝ જેવી અમુક ભાષાઓને બાદ કરતાં, દુનિયાની મોટા ભાગની ભાષાઓ ઇન્ડો-યુરોપિયન પરિવારમાંથી આવે છે અને તેમાં માતા માટે ‘મેટર’ શબ્દ છે. તમે અંગ્રેજીમાં અલ્મા-મેટર શબ્દ સાંભળ્યો હશે, જે સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટી માટે વપરાય છે. એ મૂળ લેટિન શબ્દ છે, અને અર્થ થાય છે ‘પોષણ આપી રહેલી માતા.’ કેટલાક ભાષાશાસ્ત્રીઓ ‘મેટર’ના મૂળમાં સંસ્કૃત ‘માતૃ’ને જુવે છે. આ ‘મેટર’ શબ્દ અલગ-અલગ રીતે બીજી ભાષાઓમાં ગયો છે. જેમ કે અંગ્રેજીમાં એ મધર બન્યો અને ફારસીમાં માધર બન્યો. તેના પરથી મેટ્રિયાર્ચી (માતૃસત્તાક), મેટરનિટી અને મેટરનલ શબ્દો આવ્યા છે. આપણે કોઈકને કશું પૂછવું હોય, તો કહીએ છીએ, ‘મેટર શું છે?’ એના મૂળમાં પણ ‘મૂળ’(માતા)ની વાત છે. ફારસીમાં ગાળ તરીકે માધર-બ-ખત શબ્દ વપરાય છે; જેની માતા કલંક (ખતા) વાળી છે.
તેવી જ રીતે, સંસ્કૃત પિતર પરથી લેટિન-ગ્રીકમાં પતેર અને ફારસીમાં પીદર છે. જૂની અંગ્રેજીમાં ફેઇદર, જૂની નોર્સ(ઉત્તર જર્મનિક ભાષા)માં ફધીર અને આધુનિક અંગ્રેજીમાં ફાધર શબ્દ આવ્યો હોવાનું ઘણા માને છે. આ યોગાનુયોગ પણ હોઇ શકે. સંસ્કૃતનો ‘પ’ ધ્વનિ યુરોપિયનમાં ‘ફ’ હોઇ શકે. જર્મન ભાષાશાસ્ત્રી જેકોબ ગ્રીમે કહેલું કે ઇન્ડો યુરોપિયન ભાષાઓના જનક મનાતા પ્રોટો-ઇન્ડો-યુરોપિયન બંધારણમાં ‘પ’ ‘ફ’માં તબદીલ થયો હોવો જોઇએ.
‘મ’ ધ્વનિ નૈર્સગિક રીતે બાળકના મોંમાંથી નીકળતો હોવો જોઇએ. એ ધ્વનિને વધુ એક ક્ષણ સુધી અવલંબિત કરવાના અને પછી ફૂંક સાથે છોડવાના પ્રયાસમાં ‘પ’ ધ્વનિ નીકળે છે. તર્ક એવો છે કે બાળક એના પ્રથમ ઉચ્ચારણોમાં ઘણા પ્રયોગો કરે છે અને એ પ્રયાસોમાં ‘મ’ અને ‘પ’ ધ્વનિ સહજ રીતે પ્રથમ આવે છે. પશુ-પક્ષીઓના પ્રથમ ધ્વનિમાં પણ આવું જ છે. મા અને પા, આવી રીતે આવ્યા હોવા જોઈએ.
બાય ધ વે, આપણે કોરોનાની મહામારી વચ્ચે મધર્સ-ડે ઉજવી રહ્યા છીએ. તમને એ જાણવું દિલચસ્પ લાગશે કે મધર્સ-ડેની ઉજવણીનું મૂળ પણ મહામારીમાં જ છે. અમેરિકામાં મધર્સ-ડેની સ્થાપના કરવાનું શ્રેય અન્ના મારિયા જાર્વિસ નામની સમાજસેવિકાને જાય છે. અન્નાને આ પ્રેરણા તેની માતા અન્ના જાર્વિસ તરફથી મળી હતી. વર્જીનિયા રાજ્યની આ સિનિયર જાર્વિસ, અમેરિકન ગૃહયુદ્ધમાં સમાજ સેવિકા હતી. તેને ૧૩ બાળકો થયાં હતાં, પણ તેમાંથી ચાર જ જીવતાં રહ્યાં હતાં. તે વખતે તેના પ્રદેશમાં ટાઈફોડની મહામારી ફેલાયેલી હતી અને ૧૯મી તેમ જ ૨૦મી સદીના પ્રારંભ સુધી ૧૫થી ૨૦ ટકા નવજાત બાળકો જન્મના એક વર્ષની અંદર મરી જતાં હતાં.
૧૮૫૮માં, અન્ના છઠ્ઠીવાર પ્રેગ્નન્ટ હતી, ત્યારે સગર્ભા માતાઓની સ્થિતિ સુધારવા માટે, મહામારીમાં દરદીઓની સારવાર કરતા તેના ભાઈ ડો. જેમ્સ જાર્વિસની તેણે મદદ માગી હતી. તેમણે ડોકટરોના કેમ્પ શરૂ કર્યા હતા, જેમાં નવજાત શિશુઓની માતાઓને સ્વસ્થ્ય બાબતે માર્ગદર્શન આપવામાં આવતું હતું. આ કેમ્પને તેમણે ‘મધર્સ ડે વર્ક કલબ’ નામ આપ્યું હતું. સિનિયર જાર્વિસની નવમી દીકરી અન્ના જાર્વિસ મોટી થઇ, ત્યારે તેણે તેની માતા પાસેથી આ કલબની વાત સાંભળી હતી, અને તેણે ૧૮૬૮માં ગૃહયુદ્ધમાં વિભાજીત પરિવારોને ભેગા કરવા માટે ‘મધર્સ ફ્રેન્ડશીપ ડે’ની ઉજવણી ચાલુ કરી હતી.
૧૦ મે, ૧૯૧૩ના રોજ પ્રેસીડેન્ટ વૂડ્રો વિલ્સને ‘મધર્સ ડે’નું સત્તાવાર ઘોષણાપત્ર જારી કર્યું હતું. ત્યારથી મે મહીનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 09 મે 2021