આજે હું માણસના એ વર્તનની વાત કરીશ જેને આનાકાની કહેવાય છે. અવઢવ કહેવાય છે. અંગ્રેજીમાં, હૅઝિટેશન કહેવાય છે. જોઈએ કે હ્યુમન કનેક્શન સાથે એનો શો સમ્બન્ધ છે.
દુનિયામાં કેટલીયે વ્યક્તિઓ નૉન-કમિટલ હોય છે – અપ્રતિબધ્ધ. કશી વાતે બંધાય જ નહીં. કોઈ કોઈ પત્નીઓ પતિઓને ગાંઠતી નથી. કેટલાક પતિઓ તો ન ગાંઠવાને પોતાનો અધિકાર સમજે છે. શેઠને નોકરને વિશેની કે આસિસ્ટન્ટને હેડને વિશેની પ્રતિબદ્ધતા ન સમજાય તો પ્રશ્નો થાય છે. પ્રિય પ્રિયાને કમિટેડ છે અને પ્રિયા પ્રિયને, કમિટમૅન્ટ ન જળવાય તો પ્રશ્નો થતા હોય છે, થઈ શકે છે.
અપ્રતિબદ્ધ લોકો સુસ્ત હોય છે. એમને પ્રાપ્ત તો કરવું જ હોય છે પણ એને વિશેનો જરૂરી પુરુષાર્થ નથી કરતા. એવાને એમ કે બગાસું ખાતાં પતાસું ગળે ઊતરી જતું હોય તો સારી વાત છે. પોતે પેલા આળસુની જેમ બોરના ઝાડની છાયા હેઠળ સૂતો રહે છે, પણ સામી વ્યક્તિને અદ્ધર રાખે છે, ઉચાટમાં રાખે છે. સદ્દનસીબે બોર છાતીએ પડ્યું હોય છે છતાં આશા રાખે છે કે કો’ક આવશે ને મૉંમાં મૂકી આપશે. તો ય એને થાય છે, સાલું ચાવવું તો પડશે …
કદાચ બીજા વ્યવહારોમાં નભી જાય પણ આવી ઉદાસીનતા અમુક સમ્બન્ધોમાં નથી ચાલતી. બે બેનપણીઓને, બે ભાઇબંધોને, પ્રિય-પ્રિયાને કે બૉયફ્રૅન્ડ-ગર્લફ્રૅન્ડને આ વાત ખાસ લાગુ પડે છે, કેમ કે એ સમ્બન્ધો નાજુક છે છતાં જો વિકસે તો જીવનભર ટકે છે. નહિતર, હોય તે નાનોમોટો સમ્બન્ધ પણ ખાટો થઈ જાય છે, સૂકાઈને ખરી પડે છે. પ્રતિબદ્ધ રહેવાથી જ માણસ માનવીય લાગે – પોતાને તેમ સામાને. અને તો જ જીવનની મીઠાસ અનુભવાય.
આમ થવાનું ખરું કારણ એમનું વર્તન છે. તેઓ નિર્ણાયક વર્તન નથી કરી શકતા, હા કે ના પર નથી આવતા, આનાકાની કરે છે. નાનીમોટી હરેક વાતમાં હૅઝિટેશન દાખવે છે, અવઢવમાં રહે છે.
સામી વ્યક્તિને કશું પણ કહેતાં પહેલાં, કે કોઇ પણ બાબત માટે કાર્ય કરતાં પહેલાં, અટકી પડવું અચકાવું થોભવું ઢીલા પડી જવું એટલે કે ન-નિર્ણયની સ્થિતિમાં રહેવું અને રાચવું એ અવઢવ છે. લેખમાં ઘણુંખરું હું અવઢવ શબ્દ વાપરીશ.
બે રંગ જાણીતા છે – કાળો અને સફેદ. એ બેની વચ્ચેનો પણ છે, ભૂખરો. સમજો, બ્લૅક, વ્હાઇટ અને ગ્રે.
જેઓ કોઈ પણ બાબત માટે અને ખાસ તો સમ્બન્ધ માટે ઝુકાવે છે ને ‘હા’ ભણી દે છે એ લોકો વ્હાઇટમાં જીવે છે. આગળના સમયોમાં, પ્રેમીઓ હમેશાં ઝુકાવતા. છોકરીઓ ‘ના’ પાડવાની ઘડીએ પણ ‘ના’ ન્હૉતી પાડતી. છોકરાઓ ‘હા’-થી જુદું સમજતા જ ન્હૉતા. જીવનરૂપી સરોવરમાં એ પ્રેમીઓ ધબાકા સાથે ઝંપલાવતાં. વાગે, ડૂબી જવાય કે ગૂંગળાઈને મરી જવાય એવાં પરિણામ આવતાં પણ એ જુદી વાત છે … બાકી, તેઓ હમેશાં હસતાં હોય છે, મોટે ભાગે ખડખડાટ.
જેઓ કોઈ પણ બાબત માટે અને ખાસ તો સમ્બન્ધ માટે સીધી ‘ના’ ભણે છે એ લોકો બ્લૅકમાં જીવે છે. એમની ભાષા આવી હોય છે : મને નહીં ફાવે : એ નક્કામી છે : મને રસ નથી : મને ભૈબંધી નથી ગમતી : એ આમ છે, એ તેમ છે : આ લોકોને જીવનની ઊજળી બાજુ દેખાતી જ નથી. ખરેખર તો તેઓ માણસાઇને ઓળખતા નથી, ઓળખવા માગતા નથી. કહેવાય છે કે આ લોકો કદી પણ હસતા નથી. વરસને વચલે દા’ડે, બને કે, જરાક હોઠ ફેલાવે …
પરન્તુ અવઢવમાં જીવતા જનો ગ્રેમાં જીવે છે. તેઓ હા નથી ક્હૅતા કે ના નથી ક્હૅતા, મને નથી ગમતા. એ લોકો ધીરા હોય છે. તેઓ જાણ્યે-અજાણ્યે વાર લગાડતા હોય છે. એમની ધીરજનાં ફળ મોટે ભાગે તો માઠાં જ આવે છે. નિર્ણયની રાહ જોનારું સામું માણસ નિરાશ થઈ જાય છે. કનેક્શન તૂટી જાય છે. હા, ક્યારેક ફળ મીઠાં નથી આવતાં એમ નથી, પણ ક્યારેક જ. એમનાં મૉંઢાં હમેશાં કટાણાં જ જોવા મળે છે.
એ એવી અવઢવ છે જેમાં નાપાસ થવાની પૂરી ગૅરન્ટી હોય છે. આ અવઢવને વર્તનનો માઇનસ પૉઇન્ટ ગણવો જોઈશે.
કૃષ્ણ તો અવઢવને સાવ નકારે છે. એમણે ‘ગીતા’-માં કહ્યું છે કે અવઢવ મોટામાં મોટો ગુનો છે. ત્યારે માણસ જીવનનો જ દ્રોહ કરતો હોય છે. કૃષ્ણ એ અવઢવને ગુનો કહી શકે કેમ કે એમનો આશય યુદ્ધ જીતવું તે હતો. કેમ કે એ મહાભારત યુદ્ધ હતું, સામાન્ય ન્હૉતું.
અર્જુન
પણ અર્જુનની અવઢવ વૈયક્તિક હતી – સ્વજનો ને ગુરુજનોને કેમ મારી શકાય? એની સામે એવો સાર આવે છે કે આતતાયીઓનો નાશ કરવો એ ધર્મ્ય છે. પણ એની વિમાસણ એ હતી કે સામે છે એમાં આતતાયી કોણ છે તે શી રીતે નક્કી કરવું. છેલ્લે એ ભલે માની ગયો, પણ એની અવઢવને પ્લસ પૉઇન્ટ આપવો જોઈશે.
હૅમ્લેટ
આવું જ દૃષ્ટાન્ત હૅમ્લેટનું છે. એ ઘોસ્ટે – ભૂતે – હૅમ્લેટને કહ્યું કે તારા પિતાના મૃત્યુ માટે ક્લૌડિયસ, તારો અન્કલ, જવાબદાર છે. હૅમ્લેટને થયું, ખરેખર એમ થયું હશે, સત્ય શોધી કાઢું. અને એને વિચાર આવે છે કે હત્યા કરીને ન્યાય હાંસલ કરું ને સાતા મેળવું. પણ એને પ્રશ્ન થાય છે કે ભૂત પિતાનું જ હશે કે કેમ. એને એ પ્રશ્ન પણ થાય છે કે કાવતરામાં મા જોડાઈ હશે કે કેમ. એને થાય છે, કામ ખોટું જ કરવાનું છે, કેમ કરાય? હૅમ્લેટ પાછો પડી જાય છે, વિલમ્બ કરે છે, અવઢવ અનુભવે છે. સમીક્ષકોએ બરાબર કહ્યું છે કે એની અવઢવનું મુખ્ય કારણ એ પોતે છે. એનામાં વિવેક છે, જાગૃતિ છે. ભાવનાનો માર્યો સારું કે હત્યા જેવું નરસું કૃત્ય કરે એવો નથી. એ બુદ્ધિમાન છે, નીતિશીલ છે. હૅમ્લેટની અવઢવને પણ પ્લસ પૉઇન્ટ આપવો જોઈશે.
બે સવાલ છે : ક્યારે અવઢવમાં રહેવું? ક્યારે ન રહેવું?
યુદ્ધ, નિર્દોષોની હત્યા, નરસંહાર, ખૂનખરાબા, એટલે કે જીવનમરણના પ્રસંગોમાં અર્જુન અને હૅમ્લેટની જેમ હૅઝિટન્ટ રહેવું, ખૂબ વિચારવું, ખાસ્સા અવઢવમાં રહેવું.
પણ માણસ માણસ તરીકેના સમ્બન્ધો બાંધવાને વિશે ને બંધાયા પછી એને ટકાવવા વિશે અવઢવમાં રહેવું જરૂરી નથી. એ ગ્રે એરિયામાંથી બહાર નીકળી જવું જરૂરી હોય છે. નહિતર મારે કહેવું જોઈશે કે એ અવઢવ મોટામાં મોટો ગુનો છે – કૃષ્ણને મારા માટે સારું લાગશે, તેઓશ્રી એમનું મનમોહન સ્મિત મોકલશે …
= = =
(June 14, 2021: USA)
Picture Courtesy : PInterest, Pinterest.