દિવ્યાશાબહેન ડી. દોશીની ફેઈસબૂક દિવાલે 16 ફેબ્રુઆરી 2018ના રોજ મૂકાયેલો આ લેખ ફેર-ભ્રમણ કરી રહ્યો છે. એમના સૌજન્યે અહીં સાદર છે. દિવ્યાશાબહેન કહે છે, ‘સાહિત્ય રસિકોએ નિસર્ગ આહીરનો આ લેખ વાંચવા જેવો છે’ –
હમણાં એક ‘લોકપ્રિય’ વક્તાએ મંચ પરથી કહ્યું કે તમારે લોકપ્રિય થવું હોય તો છાપામાં કૉલમ લખતા થાવ. આ જ વક્તાને કહેતા સાંભળ્યા છે કે ઘણા ગુજરાતી લેખકો એવું લખે છે કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવું પડે છે. આ વક્તાની જેમ એક ‘લોકપ્રિય’ બહેન છે, જે વ્યંગમાં કહે છે કે અમે તો લોકપ્રિય છીએ, અમારાં આટલાં બધાં પુસ્તકો વેચાય છે, પણ અમે સાહિત્યકાર ન ગણાઈએ …
આવું સાંભળીને કોઈ પણ સાહિત્યરસિકને દુઃખ થાય એ સ્વાભાવિક છે. આજના આવા ‘લોકપ્રિય’ ગુજરાતી લેખકોએ સાહિત્યની સામે જાણે કે છૂપો મોરચો માંડ્યો છે. જોનાર તો એવું પણ જોઈ શકે કે આવી લોકપ્રિયતા એમને વરેલી નથી, પણ ઉઘરાવેલી છે, અથવા તો જાતે સ્થાપેલી છે. એક અર્થમાં એમને સ્વસ્થાપિત લોકપ્રિય લેખકો કહી શકાય. તેઓ સ્માર્ટ છે, એટલે, જાતજાતની સ્માર્ટનેસ દ્વારા તેઓ માર્કેટિંગ કરે છે. ખૂબ મોટી ફી લઈને વ્યાખ્યાન આપવા જતા આવા લોકપ્રિય લેખકો કે વક્તાઓ પછી ગુજરાતી ભાષા અને સાહિત્યની ચિંતા જાહેરમાં કરે ત્યારે બહુ જ વરવા-વિકૃત લાગે છે. જો ખરેખર ગુજરાતી ભાષાસાહિત્યની ચિંતા હોય તો એમણે કશી ફી લીધા વિના જ વ્યાખ્યાન આપવાં જોઈએ, સમગ્ર ગુજરાતમાં ભાષાસજ્જતા માટેનાં વ્યાખ્યાન આપવાં જોઈએ. એમણે નોંધવું જોઈએ કે કશું પણ આર્થિક યોગદાન લીધા વિના, ખૂબ મહેનત કરીને ગુજરાતી ભાષા-સાહિત્ય માટે કામ કરનારા ઘણા બધા સાહિત્યકારો છે જ. વિદ્યાતપ માટે આખી જિંદગી ખર્ચી નાખે છતાં ન લોકપ્રિયતાની ખેવના રાખે, ન આર્થિક ઉપાર્જનનો ધખારો. તેઓ તો પોતાનું કર્તવ્ય જાણીને સાહિત્યપદાર્થ માટે સતત કર્મરત રહેતા હોય છે. નિસબત જ એમની મૂડી છે.
સાહિત્યના સંદર્ભે ‘લોકપ્રિય’ શબ્દ ખરાબ નથી જ. કોઈ પણ સાહિત્યકારની ખેવના હોય કે એમનું સર્જન વધારે ને વધારે લોકો સુધી પહોંચે. પરંતુ, માત્ર લોકોને પ્રિય હોય એવું જ લખવું એમ કોઈ સાહિત્યકાર નક્કી કરે તો તે વેપારી કહેવાય. કેમ કે, સાહિત્યકાર એક સાંસ્કૃતિક પ્રતિનિધિ પણ છે. એણે લોકોનાં રસ અને રુચિ ઘડવાનાં હોય છે. એટલે, લોકો ઈચ્છે તેવું તે ન લખે, પણ ઉત્તમતા તરફ લોકોને દોરી જાય. સાહિત્યકાર લોકોનો છેદ પણ ન ઉડાડે. કારણ કે, કોઈ પણ લેખન આખરે તો ભાવન માટે જ રચાતું હોય છે. ‘હું તો મારા માટે જ લખું છું. લોકોને સમજવું હોય તો સમજે’ એવી ગર્વોક્તિ સાહિત્યકારને ન જ શોભે. ભાવક ચોક્કસપણે સર્જનના કેન્દ્રમાં હોય જ છે. પરંતુ, ખરો લેખક એ છે જે લોકોની સમજ અને સજ્જતાને પણ સંકોરે. સર્જકે પોતાના સ્થાનથી નીચે ઉતરીને માત્ર લોકપ્રિય થવા માટે તાયફા કે નાટક ન કરવાનાં હોય.
એક ચિંત્ય મુદ્દો છે કે ગુજરાતમાં અત્યારે એક પ્રકારનો નીઓ-રિચ વર્ગ ઊભો થઈ રહ્યો છે. તેઓ પોતે કલારસિક છે એમ એમને દર્શાવવું છે, પણ કલા વિશેની એમને ઝાઝી ગતાગમ નથી. કલા એક અત્યંત ગંભીર અને જવાબદારીપૂર્ણ પ્રવૃત્તિ છે એમ તેઓ નથી જાણતા. તેઓ સાહિત્યરસિક અને સંગીતરસિક છે એમ ગાઈવગાડીને કહેવા માગે છે. એટલે, મોટી રકમ લઈને યોજાતા સંગીત-સમારંભોમાં, વ્યાખ્યાનોમાં હાજરી પૂરાવી આવે છે. એમની સાહિત્યની સમજ પેલા મીડિયોકર લોકપ્રિય વક્તાએ કહેલી સપાટી પરની ચબરાકીપૂર્ણ વાતો સાથે પૂરી થઈ જાય છે. આવા શ્રોતાઓ કશું જ ગંભીર પચાવી શકે તેમ નથી. કેમ કે, કલા એમને માટે પ્રેમ નથી, પ્રદર્શન છે. ગુજરાતીભાષી આવો મીડિયોકર વર્ગ વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. આવા પૈસાપાત્ર લોકોની ભાવનાને પોષીપોષીને લોકપ્રિય થનારા વક્તાઓ અને લેખકોની સંખ્યા વધી રહી છે તે એક સાંસ્કૃતિક કટોકટી કહી શકાય. ગુજરાતી સાહિત્યકારો વિશે પૂછવામાં આવે તો મીડિયોકર લોકો એવા સ્વસ્થાપિત લેખકો-વક્તાઓ સિવાયનાં બીજાં નામ નહિ આપી શકે. આવી સ્થિતિને શું કહીશું ? ગોવર્ધનરામ, લાભશંકર ઠાકર, રાજેન્દ્ર શાહ, સુરેશ જોષી, મધુ રાયનાં તો તેમણે નામ પણ નહિ સાંભળ્યાં હોય !
માણસ જે રીતે આઈસક્રિમ પાર્લરમાં આઈસક્રિમ ખાઈને બહાર આવે એવી રીતે એવા લોકો લોકપ્રિય વક્તાના વ્યાખ્યાનમાંથી બહાર આવે છે. શ્રોતા અને વક્તા બન્ને ખુશ હોય છે. વક્તાને મોટી રકમ મળે છે, શ્રોતાને ‘સંસ્કારી’ હોવાનો સંતોષ મળે છે. આઈસક્રિમ થોડા સમયની મજા માટે હોય છે એમ એવાં વ્યાખ્યાન પણ થોડા સમયની મજા માટેનાં હોય છે. શબ્દરમત, ચબરાકીપૂર્ણ વાત, થોડા જોક્સ, સામે બેઠેલા લોકો સાથે પોતાને અંગત સંબંધ છે એ રીતે એમને સંડોવીને ખુશ કરવાની કે મુજરો ભરવાની ચાલાકી, પોતાના વિશેની આપવડાઈઓ, તાળીઓ ઉઘરાવવા માટે જ ઈરાદાપૂર્વક બોલવામાં આવતી પંચ લાઈન્સ, થોડાક વિદેશના અનુભવો, થોડાક વિદેશી લેખકોનાં અવતરણો – આવીઆવી લોકપ્રિયતા માટેની ચાવીઓ એમણ હસ્તગત કરી લીધી હોય છે. કોઈ તાજા વિચાર, કોઈક વિક્ષુબ્ધ કરી નાખે એેવી વાત, વિચારતા કરી મૂકે એવા વિષયો, મૂંઝવી નાખે એવા પ્રશ્નોને લોકપ્રિય લેખનમાં કે વક્તવ્યમાં સ્થાન નથી હોતું. એમાં તો શ્રોતાને, એ રિસાઈ ન જાય એ રીતે પંપાળવાનો હોય છે, કે જેને કારણે પોતાનો વેપાર બંધ ન થઈ જાય. સ્માર્ટનેસ એટલી કે મીડિયોકર લોકોને મમળાવવા ગમે એવા વિષયો પર જ વાત કરવાની – કૃષ્ણ, રામાયણ, મહાભારત, લગ્ન, પ્રેમ, સૅક્સ, સફળતા, ગાંધીજી, સરદાર પટેલ, યુવાનો, યુવાનોની કારકિર્દી વગેરે એમના પ્રિય વિષયો છે.
કોઈ પણ સાહિત્યપ્રેમીએ એ સમજી લેવાની જરૂર છે કે સાહિત્ય માનવે સિદ્ધ કરેલી ઉત્તમ પ્રકારની સાંસ્કૃતિક ઉપલબ્ધિ છે. એ ઉપલબ્ધિને ઊર્ધ્વગામી કરવાની હોય, નિમ્ન નહિ. એટલે, શબ્દવૈભવ, વાક્યસંરચના, લય-લહેકા-કાકૂનું સૌંદર્ય, અલંકારો, પ્રતીકો, ધ્વનિ, વ્યંજના, પદાન્વય એવી ભાષાકીય ઉપલબ્ધિનો સમુચિત ઉપયોગ કરવો જ રહ્યો. સાહિત્યની ભાષા વ્યવહારની ભાષાથી ભિન્ન છે એવું લોકોને સમજાવું જોઈએ. વ્યવહાર ચલાવવા માટે તો બસો-પાંચસો શબ્દો જ પૂરતા છે. પણ પેલા સમાનાર્થી શબ્દોની દીર્ઘ આવલિ હોય તો તે આપણી ઉપલબ્ધિ છે. સરળતાનું સૌંદર્ય ચોક્કસ હોય છે, પરંતુ અર્થઘન સાહિત્ય માટેની અનેક પ્રયુક્તિઓનો પણ મહિમા કરવો જ રહ્યો. એનો ઉપહાસ ન હોય. ભારતીય કાવ્યશાસ્ત્ર ધ્વનિ, અલંકાર, રસ ઈત્યાદિ વિશેની એક અત્યંત સમૃદ્ધ સંપદા ધરાવે છે તેને અત્યારના ‘લોકપ્રિય’ શબ્દથી હાનિ પહોંચી શકે છે. હજારો વર્ષની ભાષાકીય કે સૌંદર્યશાસ્ત્રીય પરંપરાને સમજ્યા વિના માત્ર લોકોને ગળચટ્ટી વાતો કરીને જે ‘લોકપ્રિય’ થવા મથે છે તે સમગ્ર ભાષાકીય પરંપરાના અપમાન સમાન છે. આપણે એટલું સમજી લઈએ કે સાહિત્યકારનું લોકપ્રિય હોવું એ ખૂબ જ સારી બાબત છે, પરંતુ જે પોતાની ગરિમાથી નીચે ઉતરીને લોકોને રીઝવે છે તે તો હીન પ્રવૃત્તિ છે. સાહિત્યના સર્જકને બહુ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. લોકપ્રિય તો છે વ્યાસ, વાલ્મીકિ, કાલિદાસ, તુલસી, કબીર, નરસિંહ વગેરે. લોકપ્રિયતા એ સારો જ શબ્દ છે, પરંતુ માત્ર લોકપ્રિય થવા માટે જ મથામણ કરવામાં આવે તો સાહિત્ય અને સમાજ માટે ચોક્કસપણે હીન પ્રવૃત્તિ કહી શકાય. જે લોકરુચિને ઘડીને સહજ સમાદર પામે તે જ લોકપ્રિય કહેવાય. આપણે ‘લોકપ્રિય’ શબ્દને લાંછન ન લગાડીએ તો સારું.
[સંપાદકીય, ‘શબ્દસર’ સામયિક; ફેબ્રુઆરી, ર૦૧૮]