લોકશાહી શાસન-પ્રણાલિમાં શાસક ગમે તેટલો કદાવર, શક્તિશાળી, બુદ્ધિમાન કે કુશાગ્ર રાજનીતિજ્ઞ હોય, તેમ છતાં એ દેશના આમ આદમીથી ઉપર ક્યારે ય હોતો જ નથી, અને શાસક જો રખે એવું માનતો હોય તો એ બહુ મોટા ભ્રમમાં જીવે છે, એમ કહેવામાં જરા ય અતિશયોક્તિ નથી. જે મતદારોના મત થકી શાસક સત્તાસીન થાય છે, એ શાસક એમનાથી ઉપર કેવી રીતે હોઈ શકે? લોકશાહીમાં શાસક નહિ પરંતું શાસન સર્વોપરિ છે અને એ શાસનના પાયામાં દેશના આમ આદમીનો મત રહેલો છે. અહીં મતથી તાત્પર્ય મતદાન વખતે અપાય છે એ મત ઉપરાંત રોજીંદા વહીવટમાં પણ આમ જનતાનો મત એટલે કે અભિપ્રાય છે. આમ જનતાના અભિપ્રાય એટલે કે મતને ભૂલીને શાસક વહીવટમાં જ્યારે પોતાની કહેવાતી વિશિષ્ટ બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરે છે, ત્યારે નિશ્ચિતપણે એ જનતાનું અહિત કરે છે. લોકશાહીમાં શાસક જ્યારે દેશના આમ આદમીના હિતને વિસારે પાડી વ્યક્તિગત શ્લાઘા અને આત્મ-પ્રશંસામાં રચ્યો-પચ્યો રહેવા લાગે અને પોતાની જાતને સર્વોપરિ માનવા લાગે ત્યારે જાણે-અજાણે એ દેશને આપખુદશાહી તરફ ધકેલતો જાય છે. વસ્તુત: આવી શાસનપ્રણાલિ એ લોકશાહીના સ્વાંગમાં પનપતી આપખુદશાહી છે. જેમાં આમ જનતાનો અવાજ સાંભળવામાં આવતો ન હોય કે આમ જનતાની વેદનાભરી વાચા કે યાચનાઓને રુંધવી નાખવા પ્રયાસ કરવામાં આવતો હોય એ લોકશાહી પ્રજા માટે કે પ્રજાના હિતમાં કેવી રીતે હોઈ શકે!!
લોકશાહીમાં શાસકની ખુરશી પ્રજામતના પાયા પર ટકેલી છે. જે દિવસથી પ્રજામતના એ પાયાને લૂણો લાગવાનું શરૂ થાય છે, પછી એ પાયા કડડભૂસ થવામાં ઝાઝી વાર લાગતી નથી. શાસક કદાચ એ ભ્રમમાં હોય કે એ મીઠા-જૂઠા વચનોથી કે બીજાની લીટી કાપીને પોતાની લીટી મોટી બતાવીને જનસમુદાયને ભોળવી પ્રજામતને પોતાની તરફેણમાં કરી શકશે તો એ ખાંડ ખાય છે. જે શાસક દેશની જનતાને તેની તદ્દન પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં પણ નિષ્ફળ જાય એની પાસેથી પ્રજા બીજી અપેક્ષા કેવી રીતે રાખી શકે! શાસક જ્યાં સુધી દેશના આમ આદમીને રોટી, કપડાં અને મકાન જેવી પાયાની સુવિધા પૂરી પાડી શકતો નથી, ત્યાં સુધી કોઇપણ મીઠા કે લાલચી વચનો એની વહારે આવી શકતા નથી. આમ જનતાની અગ્રતા તો રોટી, કપડાં ઔર મકાન જ છે અને એ જ કાયમ રહેવાની છે, બીજી બધી વિકાસની વાતો તો એ પછીના ક્રમમાં આવે છે. ભૂખ્યા પેટ સામે કોઈ અર્થશાસ્ત્ર કામ કરતું નથી. દેશના અદના આદમીને ખાવા રોટી, પહેરવાં કપડાં અને સૂવા માટે ઉપર છત ન હોય એવી સ્થિતિમાં આલીશાન સડક-નિર્માણ કે ગગનચુંબી ઈમારતોના નિર્માણથી દેશનું શું અને કેટલું ભલું થઈ શકે એ વિચારવાની બાબત છે. અર્થતંત્રની આંકડાકીય માયાજાળમાં ફુગાવાનો દર નીચે જાય કે વિકાસનો પારો ઉપર ચઢે એવું બતાવવામાં આવે એમ છતાં જ્યાં સુધી આમ આદમીના ઘરનો ચુલો ત્રણ ટાઇમ સળગી શકતો ન હોય ત્યાં સુધી એ બધું ઠાલા મફતના આશ્વાસનોથી વિશેષ કંઈ નથી. શાસકનો દેખીતો રાષ્ટ્રપ્રેમ, બૌદ્ધિક કૌશલ્ય, તજ્જ્ઞતા કે વહીવટી કુશળતા કે એના આધારે એમણે કરેલા કહેવાતા વિકાસનો સીધો લાભ દેશના આમ આદમીને મળતો ન હોય તો એવા શાસનનો પ્રજાને શું લાભ!!
જે લોકશાહીની કલ્પના સાથે આપણા સ્વાતંત્ર્યવીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝૂકાવ્યું હતું અને અનેકોના ત્યાગ અને બલિદાનથી સભર એક પ્રલંબ લડાઈને અંતે સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું હતું એ લોકશાહી તો આજે ખુદના જ રાષ્ટ્રની અંદર દીવો લઈને શોધવા જવી પડે એવી સ્થિતિ પ્રવર્તે છે. આજની લોકશાહીમાં મત આપ્યા પછી પ્રજા બિચારી થઈ જાય છે અને શાસકો સર્વેસર્વા થઈ જાય છે. દિવસે દિવસે ગ્લેમરસ અને વૈભવી બનતી જતી લોકશાહીની ચકાચોંધમાં આમ આદમી અને તેની મુસીબતો વિસરાતા જાય છે, આમ છતાં આપણા કહેવાતા મહાન શાસકો લોકશાહીની દુહાઈ દેતા થાકતા નથી.
વર્તમાનમાં રાજકીય ગ્લેમરના પ્રભાવ તળે નૈતિકતા, સદાચાર, સાદગી, આદર્શ, નિષ્ઠા, કર્મઠતા, પ્રમાણિકતા અને નિખાલસતા જેવા રાજનીતિજ્ઞ ઘરેણાઓને જંગ લાગી રહ્યો છે. આ બધા શબ્દો હવે ભાષાકીય અલંકારોથી વિશેષ કંઈ નથી. તેનો ઉપયોગ હવે જનતાને ભોળવવા માટેના રેડીમેઈડ ભાષણ સુધી સીમિત રહી ગયો છે. રાજકારણમાં બચ્યા કૂચ્યા સત્યપ્રિય, નિષ્ઠાવાન, પ્રામાણિક, અને કર્મઠ વ્યક્તિઓને આયોજનબદ્ધ દુષ્પ્રચાર હેઠળ હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. રાજનીતિના સમરાંગણમાં ખોટા સિક્કાઓને મહાન ચીતરી બનાવટી ઢોળ ચઢાવી ચમકાવવાની જાણે કે ફેશન થઈ પડી છે. પક્ષીય લોકશાહીની આજની શાસન-પ્રણાલિમાં સત્તાધારી પક્ષ સિવાયના નેતાઓ જાણે કે દેશના દુશ્મન હોય એ રીતે વર્તવામાં આવે છે. એમાં ય વળી શાસન સામે સવાલ કરનારાને દેશદ્રોહી કે રાષ્ટ્રદ્રોહી ગણાવવાની આયોજનબદ્ધ પ્રવૃત્તિ તો લોકશાહી શાસન-પ્રણાલિ સામે જ સવાલ ઊભા કરે છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ વખતે જેમનો જન્મ પણ નથી એવા નેતાઓ સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયાઓએ કરેલી ભૂલો તરફ અંગૂલિનિર્દેશ કરીને પોતાની જાતે જ પોતાના પર ગુલાલ નાખીને પોતાને મહાન ગણાવી રહ્યા છે!! દેશ માટે પોતાની જાન કુરબાન કરનારા શહીદ-વીરોનો ઉપયોગ પ્રજામતને એન્કેશ કરવામાં થઈ રહ્યો છે. દેશને લૂંટાય એટલો લૂંટી લેવાની એક હોડ ચાલી રહી છે.
દેશનો પ્રત્યેક નાગરિક એ કોઈ સંસ્થા કે પક્ષનો કાર્યકર પછી એ પહેલા એ દેશનો મતદાતા છે અને એક મતદાતાને નાતે શાસક અને શાસન સામે સવાલ કરવાનો અને એનો જવાબ લેવાનો તેનો અબાધિત અધિકાર છે. પ્રશ્ન કરવાથી દેશ પ્રત્યેની આસ્થા કે શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. આ તે વળી ક્યા પ્રકારની લોકશાહી જેમાં પ્રજા શાસકને પ્રશ્ન ન કરી શકે કે દેશનો એક આમ આદમી પોતાના પ્રશ્નો લઈને શાસક સુધી ન પહોંચી શકે! પ્રશ્ન અંગેની તેની સમજમાં કદાચ ફેર હોઈ શકે પણ તેને લઈને તેની નિયત સામે કેવી રીતે સવાલ થઈ શકે?? ચાર કે પાંચ સભ્યોના પરિવારમાં પણ પારસ્પરિક મતભેદો પ્રવર્તી શકે છે અને પરિવારના સભ્ય પરિવારના વડાને પ્રશ્ન કરી શકે છે પણ એનો મતલબ એ જરા ય નથી કે પ્રશ્નકર્તા વ્યક્તિ પરિવારનો દ્રોહ કરે છે કે તેને પરિવાર પ્રત્યે પ્રેમ નથી!!!
લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાનો અવાજ હંમેશાં આખરી હોવો જોઈએ. રાજાશાહીમાં પણ પ્રજા રાજાને પ્રશ્નો કરતી હતી અને એ પ્રશ્ન સાંભળી રાજા એનો ન્યાય કરતા હતા, નહિ કે પ્રશ્ન સાંભળી રાજા એમ કહેતા કે તમે રાજાનો અને રાજ્યનો દ્રોહ કર્યો છે. જો શાસક પ્રશ્નનો જવાબ નથી આપી શકતા તો એ શાસકની નબળાઈ છે. જે પ્રજાએ એમના પ્રશ્નોનું સમાધાન કરવા શાસકને ચૂંટીને સત્તા સ્થાને બેસાડ્યા હોય એ શાસક જો પ્રજાના પ્રશ્નોનો જવાબ આપી શકતા ન હોય તો એમણે સત્તાનું સિંહાસન ખાલી કરી આપવું જોઈએ, નહિ કે પ્રજાને દેશદ્રોહી કહી દંડવી જોઈએ. જે પ્રજાના મતથી શાસક ચૂંટાઈ આવે છે એ પ્રજાને શાસક દેશદ્રોહી કે રાષ્ટૃ વિરોધી કેવી રીતે કહી શકે! તંદુરસ્ત લોકશાહી શાસન-પ્રણાલિમાં આ પ્રકારની વિચારધારા ફક્ત પક્ષીય વિચારધારાની તરફેણ કરતી સંકુચિત માનસિકતાથી વિશેષ કંઈ નથી.
વર્તમાન લોકશાહી શાસનપ્રણાલિમાં અમુક અપવાદોને બાદ કરતાં આજના કહેવાતા લોકસેવકો નર્યો દંભનો અંચળો ઓઢીને ફરતી ચૂસિયા જીવાતો જેવા છે જે દેશસેવાને નામે વ્યક્તિગત હિતને પ્રાધાન્ય આપી દેશને ચારેકોરથી ચૂસાય એટલો ચૂસવામાં સદાય વ્યસ્ત છે. એમ કહેવાય છે કે સજ્જનોની નિષ્ક્રિયતા જ દુર્જનોને વધુ સક્રિય થવાનું બળ પૂરું પાડે છે. આ બધી ચૂસિયા જીવાતોનો ખાતમો બોલાવી દેશની હરિયાળી સંસ્કૃતિને ફરીથી હરીભરી બનાવવા છેવટે તો પ્રજાએ જ આગળ આવવું પડશે ને સક્રિય થવું પડશે. માત્ર મત આપીને બેસી જવું એ દિવસો હવે રહ્યા નથી. જો પ્રજા મત આપીને કોઈ શાસકને ચૂંટી શકે છે તો પ્રજામાં એ તાકાત પણ છે કે પોતાના મતથી એ શાસકને એનું સ્થાન બતાવી શકે.
સરગાસણ
[આ લેખ અગાઉ પાટનગર સંદેશમાં પ્રકાશિત થઈ ચૂક્યો છે.]
e.mail : h79.hitesh@gmail.com