અણુવિજ્ઞાન હોય કે ટેલિકોમ; જનીન રૂપાંતરિત પાકો (GMOs) હોય કે જંતુનાશકો, શાળા સંચાલન હોય કે ખોરાકની ગુણવત્તા; ટેકનોલોજી હોય કે વ્યવસ્થા – પ્રજાજીવન પર સીધી અસર પાડનાર ચીજો નિયમન (Regulations) માંગે છે. નિયમનનો મુખ્ય હેતુ જોખમો ઘટાડવા અને ફાયદો વધારવાનો હોય છે. મોટેભાગે નિયમન સરકાર કે શાસનકર્તા કરતા હોય છે. જો પ્રજા કે ટેક્નોલોજી વિકસાવનાર-વાપરનાર કે વ્યવસ્થાના ઉપભોક્તા આપમેળે સમજે અને વર્તે તો સ્વયં શિસ્તને કારણે ઓછા નિયમનથી પણ ચાલી જાય. નિયમનનો બીજો હેતુ એ પણ છે કે તેને લીધે સરકાર દેશમાં શું ચાલી રહ્યું છે તે વિશે નિગરાની રાખી શકે છે.
વિશ્વભરમાં કમભાગ્યે મહદ્અંશે એવું બનતું આવ્યું છે કે, ટેકનોલોજીનાં સંશોધન, વિકાસ અને ઉપયોગ આગળ નીકળી જાય છે અને નિયમન પાછળ પાછળ લંઘાતું લંઘાતું આવે છે. જેમ કે, ભારતમાં જનીન રૂપાંતરિત પાકોની ગેરકાયદે ખેતી શરૂ થઈ, જે આજે પણ ચાલે છે અને નિયમનનો અમલ કાચો પડ્યો. અણુશક્તિના નિયમન અગાઉ તો અણુબોંબ ઝીંકાઈ ગયા હતા, તેવું જ જંતુનાશકોનું છે!
વિશ્વભરમાં એ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે શું AI-જન્ય ટેકનોલોજીનું નિયમન શક્ય છે? આ સવાલ વાજબી હોવાનાં કેટલાંક કારણો છે.
૧. અસ્પષ્ટતાઓ : AI-ની વ્યાખ્યા હજી ચર્ચાઈ રહી છે. કોને AI કહેવું તેની હજી સ્પષ્ટ સમજ વિકસી નથી. કેલ્ક્યુલેટરના ઉપયોગથી માંડી સોફ્ટવેરના આપમેળે લખાતા પ્રોગ્રામ સમેતનું બધું કૃત્રિમ બુદ્ધિથી થવા માંડ્યું હોઈ કયાં ભેદરેખા દોરવી તેનો ખ્યાલ હજી સ્પષ્ટ થયો નથી. આ ટેક્નોલોજી સાથે બીજા અનેક શબ્દ અને વિભાવનાઓ સંકળાયેલી છે તેની સમજ અને વ્યાખ્યા પણ સ્પષ્ટ નથી. કાયદાના સંચાલન માટે આવા ગૂંચવાડા ઘણી છટકબારી ઊભી કરીને અરાજકતા પેદા કરી શકે છે. વળી, શેનું નિયમન કરવું તે વિશે પણ સ્પષ્ટતા બાકી છે કારણ કે ટેકનોલોજી હજી બાલ્યાવસ્થા કે કિશોરાવસ્થામાં છે. તેના સમાજજીવન, સત્તાકારણ, વ્યક્તિગત જીવન, પર્યાવરણ, સ્વાસ્થ્ય પરની અસરોનો પૂરો અંદાજ ન હોઈ નિયમના સ્તર, પ્રકાર અને વિભાગો સ્પષ્ટ થતા નથી. ત્રીજા વિશ્વના દેશોને તો હજી ઝાઝી ગતાગમ પણ પડતી નથી કે આ આવી શું રહ્યું છે!
૨. છૂપું કામ કરવાની સહેલ : આ ટેક્નોલોજીનો ઉપયોગ અને વિકાસ કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે રોકાણ વિના પણ થઈ શકે છે. ઈન્ટરનેટ કનેક્ષન, એક-બે સારાં કોમ્પ્યુટર અને પ્રોગ્રામિંગની આવડતવાળા ઘેરબેઠાં અલગ અલગ AI-જન્ય સાધનો (tools) રચી શકે છે એટલે કોણ, ક્યાં, શું કરી રહ્યું છે તે જાણવું સહેલું નથી.
૩. અણધારી અને ખૂબ વધુ ઝડપ : આ ટેક્નોલોજી ધાર્યા કરતાં અનેકગણી વધુ ઝડપે વિકસી રહી છે. વિજ્ઞાનીઓ સુધ્ધાં અચંબામાં પડી ગયા છે. જે ટેકનોલોજી આવતાં હજી દસ-પંદર વરસ તો લાગશે તેમ મનાતું હતું. તે હવે ઘેર ઘેર વપરાવા લાગી છે. નિયમો-ધારાધોરણો બનાવવા વગેરે એક લાંબી પ્રક્રિયા માંગે છે. તેની કાચબાચાલ સામે ટેક્નોલોજી તો દિવસ-રાત ખૂબ વધુ ઝડપે વિકસી રહી છે.
૪. દેશની સીમાઓથી ઉપરવટ વપરાશ : નિયમનો મહદ્અંશે જે તે દેશની ભૌગોલિક સરહદો વચ્ચે લાગુ પડે છે. આ ટેક્નોલોજી આવી સરહદોને ઓળંગીને કામ કરે છે. એટલે ’Law of the Land’ કયો – તેના ગૂંચવાડા ભારે છટકબારીઓ ઊભી કરશે.
૫. શાસકોની મનમાની : વળી, જે દેશોમાં નિયમનતંત્ર અને ન્યાયતંત્ર પોતાની આગવી સ્વાયત્તત્તા ગુમાવી શેહ-શરમ, ડર, લાલચના માર્યા શાસકોની પાંખમાં ભરાય છે ત્યાં નિયમનની અપેક્ષા રાખવી મોટો ભ્રમ છે. ત્યાં નિયમનના નામે શાસકની મનમાની ચાલે છે. જ્યારે શાસક અને કોર્પોરેટ ક્ષેત્ર હાથ મિલાવી લે છે ત્યારે આ બાબત ભારે જોખમી સાબિત થઈ શકે છે.
૬. નિયમન કરનારાની ક્ષમતા અને દાનત : ભારતના નેશનલ ક્રાઈમ બ્યૂરોના અહેવાલ મુજબ ૨૦૨૧માં ૫૨,૯૭૪ સાઈબર ક્રાઈમ નોંધાયા. એક જ દાયકામાં લગભગ ૧૫ ગણો વધારો થયો. ખાસ કરીને બેંકના ખાતામાંથી નાણાંની ઉઠાંતરીની ઘટનાઓ રોજિંદી બનવા માંડી છે, ગઠિયાઓને અનેકવિધ ટેકનિક મળી રહે છે. પણ આપણાં તંત્રોની ટેકનિકલ ક્ષમતા, અન્ય કામના બોજા, કાર્યક્ષમતા, દાનતનો અભાવ જેવી મર્યાદાઓને કારણે ભાગ્યે જ ગુનેગાર પકડાય છે, તેને ભાગ્યે જ સજા થાય છે અને ભોગ બનનારને ન્યાય મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. એવું કહેવાય છે કે, આ ગુનેગારો સ્થાનિક પોલીસ અને રાજકારણીઓ સાથે હાથ મિલાવીને નિયમનને નેવે ચડાવી દે છે. AI-જન્ય ટેક્નોલોજી આવા ગુનામાં વધારો નહીં કરે?
૭. અનેકવિધ હિતોની ખેંચાખેંચ : કોઈપણ ટેક્નોલોજીના સંશોધન, વિકાસ અને ધંધામાં પડેલ કંપનીઓને ઝાઝું નિયમન ગમતું નથી. તેઓ માને છે કે નિયમનને કારણે સંશોધન અને વિકાસમાં અડચણ ઊભી થાય છે અને પરિણામે વિકાસની ઝડપ અને નફાનું પ્રમાણ ઘટાડે છે. આવાં સ્થાપિત હિતો યેનકેન પ્રકારની દલીલો દ્વારા નિયમનને ટાળે છે અથવા પાંગળું બનાવી દે છે. લોકશાહીમાં અનેક પ્રકારનાં દબાણજૂથો સક્રિય હોય ત્યારે સંનિષ્ઠ અને પ્રામાણિક શાસકને પણ નિયમન વિષયક નિર્ણયો લેવા કપરા થાય છે.
૮. અનેકવિધ ક્ષેત્રો અને વિજ્ઞાન શાખાઓ સાથે સંબંધ : AI-જન્ય ટેક્નોલોજી નેનો ટેક્નોલોજી અને બાયોટેક્નોલોજી જેવી અન્ય ટેક્નોલોજી સાથે પણ કામ કરવા માંડી છે. તેનાથી વધુ ક્લિષ્ટ પરિસ્થિતિ સર્જાય છે, અને આ બધી ટેક્નોલોજીજન્ય સહિયારી પ્રોડક્ટનું નિયમન વધુ ગૂંચવાડાભર્યું બની શકે છે. વળી, AI-જન્ય ટેક્નોલોજી સાહિત્ય, કળા, વેપાર, લશ્કર, સરકારી તંત્ર, શિક્ષણ, વિજ્ઞાન, ખેતી-ખોરાક, ગ્રાહક સુરક્ષા, આયાત-નિકાસ, માનવ અધિકાર, સામાજિક ન્યાય, બૌદ્ધિક સંપદા, કોપી રાઈટ જેવાં તમામ ક્ષેત્રોમાં આવી રહી હોવાથી આજે જે તે વિભાગના કાયદા-કાનૂન પણ લાગુ પડશે અને કયા વિભાગનો કાયદો સર્વોપરી તેના વિશે વિવાદ સંભવી શકે છે, સાથોસાથ આ બધા વિભાગના કાયદામાં ફેરફારો કરવા પડશે.
AI-જન્ય ટેક્નોલોજીના નિયમન માટે સલામતી, સુરક્ષા, ભરોસાપાત્રતા, પારદર્શિતા, ટેક્નોલોજીના જોખમની વ્યાખ્યા અને વર્ગીકરણ, જવાબદારી, ન્યાય મેળવવા અને દંડ કરવાની વ્યવસ્થા, ટેક્નોલોજીને પાછી ખેંચવા/ખેંચાવવાના અધિકાર જેવા મુદ્દા સમાવવા પડશે. ટેક્નોલોજીની પ્રકૃતિ અને નિયમન અંગેની અસ્પષ્ટતાને લીધે ૨૦૨૨માં એકલા યુ.એસ.એ.માં ૧૧૦ કોર્ટકેસ થઈ ચૂક્યા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે તેમાં ૨૦૧૬ પછી ધરખમ વધારો થયો છે.
આવાં કારણોસર નિયમન વ્યવસ્થા ઝાઝી કારગર નીવડે તેવું જણાતું નથી. કમ સે કમ નજીકના ભવિષ્યમાં તો નહીં જ! તેમ છતાં AI ટેક્નોલોજી સાથે પનારો પડી જ રહ્યો છે ત્યારે નિયમન કર્યા વિના ચાલવાનું ય નથી. હાલમાં નિયમન વિષયક સ્થિતિ નીચે પ્રમાણે છે :
૧) AI-જન્ય ટેક્નોલોજીના નિયમન માટે હાલમાં UN કક્ષાથી કોઈ વૈશ્વિક વ્યવસ્થા ઊભી થઈ નથી. અલબત્ત તે માટેની પ્રક્રિયા શરૂ થઈ છે પણ તેને આખરી સ્વરૂપ અપાયું નથી.
૨) મોટા ભાગના દેશોમાં ડેટા માઈનિંગ અને પ્રોટેક્શન અંગેનાં નિયમનો છે પણ AI અંગેનું નિયમન ક્યાં ય નથી.
૩) ઈટાલી, રશિયા, ક્યુબા, સીરિયા, ચીન, ઈરાન અને આફ્રિકાના દેશોએ Chat GPT પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી દીધો છે.
૪) હાલમાં નિયમનના ઘડતર અંગે બ્રાઝિલ, ચીન, જાપાન, કેનેડા, યુ.એસ.એ., યુરોપિયન યુનિયન, યુ.કે. પહેલ કરી ચૂક્યા છે, વિકિપીડિયાના જણાવ્યા મુજબ ૧૨૭ દેશોમાં થયેલ એક મોજણી મુજબ કૃત્રિમ બુદ્ધિ સંબંધી કાયદા પસાર કરનાર દેશોની સંખ્યા ૨૦૧૬માં એક હતી તે વધીને ૨૦૨૨માં ૩૭ થઈ છે. યુરોપિયન યુનિયન આ અંગેના નિયમનમાં સૌથી મોખરે અને વિગતપૂર્ણ કામ કરી રહેલું જણાય છે. આશા છે કે ૨૦૨૩ના અંત સુધીમાં ત્યાં કાયદો અમલમાં આવી જશે. યુ.કે. અને યુ.એસ.એ. AI-જન્ય ટેક્નોલોજીના નિયમનમાં થોડું ઢીલું રાખવા માંગે છે. આમે ય આ બે દેશોની તાસીર વિશેષ કરીને કોર્પોરેટ તરફી રહી છે. તેમને એમ લાગે છે કે બાલ્યાવસ્થાએ ભારે નિયમનો લાદવાથી ટેક્નોલોજીનો વિકાસ અટકી જશે જેની માઠી અસર વેપાર પર પડે!
૫) ભારતની લોકસભામાં ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફર્મેશન મંત્રાલયે જણાવી દીધું છે કે, “કૃત્રિમ બુદ્ધિના વિકાસનું નિયમન કરવા કે કાયદો લાવવાનું વિચારણામાં નથી” અલબત્ત જે તે વિભાગવાર માર્ગદર્શિકા (Guidelines) બહાર પાડવાનું વિચારાઈ રહ્યું છે. પણ માર્ગદર્શિકા કાયદેસર રીતે બંધનકર્તા હોતી નથી.
ન્યાય મેળવવાની ચાર પૂર્વશરતો છે. એક, સરકારી અને રાજકીય અસરોથી મુક્ત, તટસ્થ, પ્રામાણિક અને હિંમતવાન ન્યાયતંત્ર. બીજું, ગુનો સ્પષ્ટ રીતે સાબિત કરી શકાય અને દંડની સ્પષ્ટ જોગવાઈ હોય તેવા કાયદાવાળું નિયમનતંત્ર. ત્રીજું, સામાન્ય માણસને પોષાય તેવી અને ઝડપી વ્યવસ્થા. ચોથું, વિશ્વસનીય પુરાવા; જ્યારે માત્ર ખોટા સમાચાર અને દસ્તાવેજો જ નહીં, સાવ કૃત્રિમ ફોટા, ઓડિયો અને વીડિયો બનવા લાગે ત્યારે પુરાવાની વિશ્વસનીયતાનું શું ? AIના નિયમન બાબતે હાલમાં જે સ્થિતિ છે અને ભારતના ન્યાયતંત્રની ઝડપ, પ્રામાણિક્તા અને સ્વતંત્રતા જે રીતે જોખમાતાં જણાય છે તે જોતાં AI સંબંધી જો કોઈ શોષણ અને અન્યાય થશે તેની સામે ન્યાય મેળવવો સહેલો બને તો નવાઈ લાગશે. આપણી સામે હાલમાં એવા ઘણા અદાલતી કેસોનાં ઉદાહરણ છે જેમાં આંખે ઊડીને વળગે તેવો અન્યાય હોય તો ય સામાન્ય માણસ ન્યાયથી વંચિત રહે છે. તેનું તાજું ઉદાહરણ બટેટાના ખેડૂતો પર પેપ્સીએ કરેલ કેસનું છે. જેમાં અદાલતમાં ‘જાહેર હિતના ભંગ’ની ચર્ચા ચાલે છે. પણ ‘જાહેર હિત’ની કોઈ સમજ કે વ્યાખ્યા પ્રવર્તમાન જ નથી !!
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 20 – 21