જાણીતા બ્લોગર અને મારા જેવા ઘણા નવોદિત લેખકોના સહૃદયી મિત્ર વલીભાઈ મુસા તા. 23 જૂન 2023ના રોજ જન્નતનશીન થયા છે. મારા તો એ મોટાભાઈ સમાન હતા. એમની સાથેની મારી પહેલી મુલાકાતની આ યાદ ‘ઓપિનિયન’ વાટે, સ્વર્ગસ્થને મારી આ અંજલિ.
જન્મ : 07 જુલાઈ 1941, કાણોદર, પાલનપુર પાસે — અવસાન : 23 જૂન 2023, અમદાવાદ
5મી ડિસેમ્બર -2010ના રોજ સાંજના સાત વાગ્યા છે. અમદાવાદની વી.એસ. હોસ્પિટલ પાસે આવેલ ‘મે રોઝ’ ટાવરના સાતમા માળે એક એપાર્ટમેન્ટનો કોલબેલ હું દબાવું છું. આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે મને અંદર આવકારવામાં આવે છે. અંદર પેંસતાંની સાથે જ એક થોડોક અપરિચિત ચહેરો મારું અભિવાદન કરે છે. એ જ વલી’દા છે; એમ ખબર પડતાં હું તેમને ભેટી પડું છું. દિવાનખંડના બીજા છેડે બે ચાર મુસ્લીમ સજ્જનો ભોજન કરી રહ્યા છે. વલી’દા સાથે બેચાર પ્રાથમિક વાતચીત બાદ; દૂરથી આવ્યો હોવાને કારણે થોડી હળવાશ માટે હું બાથરૂમ શોધી કાઢું છું. પાછા આવતાં ડાઈનિંગ ટેબલ ઊતાવળમાં ખાલી થઈ ગયેલું જણાય છે; અને એની પર બેઠેલ, વલી’દાના પરિવારજનો હવે દિવાનખંડમાં બેસવાની જગ્યાએ મારી રાહ જોઈ રહેલા જણાય છે.
ઘણા દિવસો બાદ મને આ ઘટનાનો રાઝ ખબર પડે છે. હું આઠને બદલે સાત વાગ્યે પહોંચી ગયો હતો; અને તેમના નોન વેજ ભોજનમાં ખલેલ પહોંચાડી હતી. એ સજ્જનોએ મારી લાગણી ન દુભાય; તે માટે બધો ખોરાક સમેટી ભોજન કરવાનું મોકૂફ રાખ્યું હતું. આશ્ચર્ય મિશ્રિત ભાવ સાથે મને અંદર આવકારવામાં આવ્યો; તેનું રહસ્ય હવે મને સમજાયું અને આઠને બદલે સાત વાગે પહોંચી જવા બદલ અફસોસ થયો.
‘હું આઠને બદલે સાત વાગ્યે કેમ પહોંચ્યો?’ તે પણ એક સરસ મજાની વાત છે. અમદાવાદનું તે પહેલા દિવસનું કામ વહેલું પતી ગયું હતું. આથી વલી’દાને મળવાના અતિ ઉત્સાહના કારણે હું વહેલો પહોંચી ગયો હતો.
આટલો બધો ઉત્સાહ કેમ?
નવેમ્બર મહિનામાં મેં ખાસ મિત્રોને મારી અમદાવાદ મુલાકાતની આગોતરી જાણ કરી હતી. મારી ફ્લાઈટનો નમ્બર જાણવા માટે વલીભાઈના બે ત્રણ ઈમેલ આવી ગયા હતા. પણ હું જાણી જોઈને આ માહિતી તેમને આપવા માંગતો ન હતો. રાતના અઢી વાગે, જરૂર સિવાયના કોઈને એ તકલીફમાં મૂકવાનું સ્વાભાવિક રીતે જ મને મુનાસિબ લાગ્યું ન હતું. પણ વલી’દા કોનું નામ? એ જનાબે મને પ્રેમભર્યો ઠપકો આપેલો,
“સુરેશભાઈ, તમે એમ ઇચ્છો છો કે, અમારે તે દિવસની દરેકે દરેક ફ્લાઈટ ચેક કરવી?”
અને એ પ્રેમનો પડઘો પાડવા, હરખઘેલો હું એ દા’ડે એમના ફ્લેટ પર વહેલો પહોંચી ગયેલો. અઢી મહિનાના મારા દેશવાસ દરમિયાન આ પડઘા પડતા જ રહ્યા, અને શમવાને સ્થાને ઉતરોત્તર વધતા જ ગયા. આ છે વલી’દા અને તેમના કુટુમ્બીજનોની ઓળખ. અમીરી અને ખાનદાની એકમેકથી દૂર રહેતાં હોય છે; એવી સામાન્ય માન્યતાને સાવ જૂઠી પાડતા, એ કુટુમ્બનો હું એક હિસ્સો બની ગયો છું; એમ કહું તો એમાં જરા ય અતિશયોક્તિ નથી.
બે હોટલો, ઓટોમોબાઈલ સ્પેરની દુકાન, અનેક જમીનો અને બહોળો અને વગપાત્ર પથારો ધરાવતા અને વિશ્વના ઘણા દેશોમાં સ્થાયી અને સમૃદ્ધ થયેલા બહોળા પરિવારના આ મોભીના ભાવના નાયગ્રામાં હું નખશિશ ભીંજાયો, તણાયો છું. મારા અઢી મહિનાના દેશરોકાણ દરમિયાન એમની સજ્જનતા અને પ્રેમભાવના અનેક અનુભવો મને થઈ ચૂક્યા છે. એમના પરિવારજનોને પણ એમના આ શુભ ભાવનો પડઘો પાડતાં જોયાં છે.
કોઈ પણ સારા કાર્યમાં ઉત્સાહપૂર્વક મદદરૂપ થવાની વલી’દાની આદત મને આમ તો સાવ અજાણી ન જ હતી. અમારા સામાન્ય મિત્ર ડો. રાજેન્દ્ર ત્રિવેદીએ સહેજ જ અંધજન મંડળ વિશે માહિતી આપી અને વલી’દા ત્યાં પહોંચી ગયા હતા. સેવાનું જે અપ્રતિમ કાર્ય ત્યાં થઈ રહ્યું છે; તેનાથી એ એટલા તો પ્રભાવિત થઈ ગયા કે, એમના ગામમાં આ ઉમદા કાર્યમાં મદદરૂપ થવા ટહેલ નાંખી; અને ઘણી બધી સહાય ભેગી કરી આપી.
આવા મારા વાલીડા વલી’દા સાથે ગાળેલ યાદગાર ક્ષણોની આ એક ઝલક –
પાલનપુર ખાતે આવેલી એમની હોટલમાં, તેમના દીકરા અકબર મુસા સાથે
e.mail : surpad2017@gmail.com