નાનપણમાં હું ડરપોક હતો. મોટેરાં રાતે રાતે ભૂતપ્રેતની વાતો ખાસ કરે. મારી કલ્પના ચગતી હશે એટલે ડર ન્હૉતો લાગતો, ઠીકઠીક મજા આવતી’તી, પણ ચોરોની વાતો નીકળે એટલે હું બીતો, વિચારમાં પડી જતો. મને થતું, મધરાત પછી પાછલે બારણેથી ઘૂસશે તો …
છીંડાં પાડે, પાડી શકે, કેમ કે દીવાલો જૂની તે દોદળી થઈ ગઈ હોય. પરસોતમને તાં ચોરી થઈ …જગાભાઈને તાં ચોરી થઈ … રોજ સવારે એવા માઠા સમાચાર મળે જ મળે … લોકો સાંત્વન આપવા, ખરેખર તો કુતૂહલવશ, મળવા જાય – કેવી રીતે થયું? – શું શું ચોરાયું? – દાગીના? – રોકડા? – કેટલા વાગ્યે થયું? – તમે ભરઊંઘમાં હશો …
બા મને ત્રીજે માળ કશુંક લેવા મોકલે તો જઉં ખરો પણ કચવાતો, કેમ કે ડરું – કોઈ ભરાઈ બેઠો હશે તો …
આગળના જમાનામાં કેટલાક ચોર વંડીએથી દાખલ થાય. ઘરડેરાં ઘરેણાંનો દાબડો ભીંતમાં સંતાડતા. ભીંતમાં બાકોરું પાડતા, એમાં દાબડો મૂકતા ને પછી બાકરું સીડી દેતા. એટલે, જો પધાર્યા હોય તો ભીંતોને પણ ન છોડે. મેં બા-ને પૂછેલું – આપણી ભીંતમાં તો દાબડો નહીં હોય ને? પિતાજીએ કહેલું – હોઈ શકે, દાદા-પરદાદાના વારાનો. તો મેં કહેલું – જોઇ પાડીએ. અને અમે ભાઈબહેનોએ એક આશાસ્પદ ભીંતને ખાસ્સી ‘ખખડાવી’ જોયેલી. કશું મળેલું નહીં, અટકી ગયેલાં. જો કે, રીપેરિન્ગનો મહા મોટો ખરચો ઊભો કરેલો.
અમારા ઘરનું મુખ્ય બારણું સડક પર પડે. સામેનું ઘર મોટે ભાગે બંધ રહે. કેમ કે એ લોકો ગામડે રહેતા’તા. એક વાર એ ઘરમાં ચોર પૅઠા ને ખાસ્સું રહી પડ્યા; ચા બનાવી, રાંધ્યું, ખાધું-પીધું. ગામડેથી પેલાં આવ્યાં હશે ને જોયું હશે તો રસોડું રફેદફે, ને બધું ફલ્લંફલ્લા. દાગીના રાખેલા નહીં એટલાં તેઓ બચી ગયેલાં.
ચોરો ગૃહસ્થની જેમ, ભલે બીજાને ત્યાં, પણ રહી પડે ને જાતે રાંધે, એવું તો કેમ બને? મને થતું, એટલા તો તેઓ સામાન્ય માણસ ખરા જ ને વળી ! કદાચ એમને ચોરીના ધંધાનો કદીક કંટાળો આવતો હશે – અસ્તિત્વનું એક રસાયણ કંટાળો છે.
ઍમ. એ.-માં ભણતાં ભણતાં સમજવા મળેલું કે ફ્રૅન્ચ માનસ જુદું હોય છે : જો સમાજ વ્યક્તિને એના હક-હિસ્સાથી વંચિત રાખતો હોય તો સમાજને જ શા માટે ચોર ન ગણવો? ધનવાનો જરૂરતથી વધુ એકઠું કરીને બેઠા હોય છે, એ સંઘરાખોરોને ત્યાંથી ચોરો થોડુંક લઈ જવાની ખરેખર તો કુનેહભરી તસ્દી લેતા હોય છે; એ અર્થમાં ચોરો સમાજસેવા કરે છે; સૌએ એમનો આભાર માનવો જોઈએ. પરિગ્રહ પણ સામાજિક ચોરી જ ને?
ફ્રૅન્ચ સાહિત્યકાર ઝાં જેને વેશ્યાસુત હતા, પાલક માતાને ત્યાં ને પછી અન્યોને ત્યાં ઊછરેલા; કવિ, નવલકથાકાર, નાટ્યકાર, નિબન્ધકાર, પોલિટિકલ ઍક્ટિવિસ્ટ. તેમછતાં, એમના બારામાં માન્યામાં ન આવે એવી હકીકત એ છે કે યુવાકાળમાં તેઓ ચોરીઓ કરતા’તા, પકડાયેલા ને એમને એકથી વધુ વાર જેલમાં ધકેલવામાં આવેલા. એમણે એક નવલકથા લખી છે, “ધ થીફ’સ જર્નલ”, ૧૯૪૯. હકીકતો અને પોતાની વીતકવારતાનું એમાં મિશ્રણ છે. નાયક સ્પેન ઇટાલિ ઑસ્ટ્રીઆ ઝેકોસ્લેવેકીઆ નાઝિ જર્મની અને બેલ્ઝિયમમાં ભટકતો રહે છે.
જેનેએ નવલમાં શક્ય એટલાં દુષ્કૃત્યોનું અથવા અસામાજિક કૃત્યોનું નિરૂપણ કર્યું છે. એટલું જ નહીં, ’ચાળીસીનાં સર્વમાન્ય બૂર્ઝવા મૂલ્યોનો ધ્વંસ કર્યો છે બલકે પ્રતિ-મૂલ્યોનું સ્થાપન કર્યું છે. વિદ્વાનો કહે છે કે જેનેએ ત્રિગુણ(!) સાધના કરી છે : સમલૈંગિકતા, ચોરી, અને દગાબાજી : એમનો કથાનાયક ચોરીનું હરેક કામ એક જાતની ‘ધાર્મિકતા’-થી કરતો હોય છે. કથક જણાવતો રહે છે કે ચોર ચોરીને માટેની પૂર્વતૈયારી એવા ‘ધર્મ’ભાવથી કરતો હોય છે, જેમ સાધુ પોતાના પવિત્ર જીવન માટે ઇશ્વરને પાર્થના કરતો હોય છે.
સાર્ત્રે એ નવલના અનુલક્ષમાં પુસ્તક લખ્યું છે, “સેઇન્ટ જેને, ઍક્ટર ઍન્ડ માર્ટિર”, ૧૯૫૨. સાર્ત્ર એમ સૂચવી રહ્યા છે કે ‘પ્રતિભા’ કશી બક્ષિશ નથી, પણ વ્યક્તિએ અનેક વિટમ્બણાઓમાંથી ખાંખતથી શોધી કાઢેલો જીવનોપાય છે. સાર્ત્રે અસ્તિત્વાદી ફિલસૂફની નજરે આ મનુષ્યમાં ‘અભિનેતા’ જોયો છે, ‘શહીદ’ જોયો છે. એમને જેને ‘સન્ત’ લાગ્યો છે. આપણને ન ગમે, પણ ફિલસૂફી કાતિલ હોય છે, તથ્યોનું નર્યું નિસ્યન્દન કાઢી આપતી હોય છે.
એક વાર મારા પર બહુ વીતેલી. સાતમા ધોરણની શાળાન્ત પરીક્ષા હતી – વર્નાક્યુલર ફાઈનલ. એ પરીક્ષામાં ચોરી મેં કરી જ ન્હૉતી છતાં સુપરવાઈઝરે મને ઊઠાડી મૂકેલો. બનેલું એમ કે હું એકીપાણી માટે બહાર નીકળલો. કોઇકે મને કહ્યું – આ તારી બાજુવાળાને આપી દેજે. કશીક ચિઠ્ઠી લાગેલી. મેં પેલાને આપી કે તરત સુપરવાઈઝરે મારું કાંડું પકડ્યું, મારી ઉત્તરપોથી આંચકી લીધી ને મને વર્ગની બ્હાર કાઢી મેલ્યો. તેથી, પેલાનું શું થયું તેની મને ખબર ન પડી. ‘કાંણિયાકાકા’-ની દુકાન નજીક હતી, હું ત્યાં જઈને રડી પડ્યો. શું થયું શું થયું-નો જવાબ આપી શકેલો નહીં કેમ કે ધ્રૂસકે ભરાઈ ગયેલો.
છેવટે પિતાજીને બોલાવ્યા હશે તે મને હેડમાસ્ટર પાસે લઈ ગયેલા – મારા દીકરાનો વાંક શું છે? એને શી ચોરી કરી, કહો તો? તે દિવસે મારા સદનસીબે ‘ડિપોટી માસ્ટર’ આવેલાં – ઇન્દિરા ભણોત. મારી ઉત્તરપોથી મારા હાથમાં મૂકતાં મને કહે – બાકી છે એ સવાલોના જવાબ તું લખી શકે? મેં હા પાડી. મેં ફટાફટ લખી નાખ્યું. જોઇને એ ખુશ થઈ ગયાં. પિતાજી કશું બોલ્યા નહીં. રાતે મને તાવ હતો, પણ સવારે પેલો સુપરવાઈઝર ક્ષમાયાચના માટે ઘરે આવેલો. હું એને કતરાતી તીખી નજરે જોઈ રહેલો. એ પરીક્ષામાં ડભોઇ તાલુકામાં હું ફર્સ્ટ આવેલો. મારાં વર્ગશિક્ષક ઉષાબેને મને ઊંચકીને ચૂમી લીધેલો. બાએ ખુશી જાહેર કરેલી કે એ મને પાટલૂન કરાવી આપશે. એ મારું પહેલું પાટલૂન હતું – બદામી રંગનું, સુતરાઉ, બટન પણ દરજીએ જાતે બનાવેલાં, સુતરાઉ; ઝિપર તો ક્યાંથી હોય? હોય એવી ખબર પણ કોને હતી?
મેં ક્યારે ય ચોર લોકો કરે એવી જાતની ચોરી નથી કરી, તે છતાં, તે દિવસ પછી હું સમજેલો કે ચોરી માટે કોઈને અજાણ્યે પણ મદદ કરવી એ ય એ કૃત્યનો જ ભાગ ગણાય. ગુજરાત યુનિવર્સિટી-સંલગ્ન કૉલેજોમાં પરીક્ષાચોરોને પકડવા જવાના ફ્લાઇન્ગ સ્ક્વૉડમાં જોડાવા હું આનાકાની કરતો’તો. કદાચ ૧૯૯૦ આસપાસની વાત છે. કેમ કે ત્યારે કેટલાક જુનિયર સુપરવાઈઝરો જ ચોરી કરવા દેતા’તા; બદલામાં, પરીક્ષાખણ્ડના દરેક પરીક્ષાર્થી પાસેથી રૂપિયા પડાવતા’તા. મને થાય, હું એમને શી રીતે પકડવાનો? અને પરોક્ષ ભાગીદાર ગણાઉં કે કંઈ બીજું?
પ્રૉ. પીરજાદા મને કહે – સુમનભાઈ, તમારા જેવી વ્યક્તિએ તો જવું જ જોઇએ. મનમાં રમૂજી થયેલી – શું હું ચોરીના ધંધાનો નિષ્ણાત છું તે મને લાયક વ્યક્તિ ગણી રહ્યા છે? મેં એમને હસતાં હસતાં કહેલું પણ ખરું – સર, હાઉ કૂડ યુ કન્સિડર મી સો કૉમ્પિટન્ટ? તો સરસ બોલેલા – તમે છો જ, મેં હાથ ધરેલા આ કામને લાયક જેમ હું છું, તેમ તમે છો …
“મૃચ્છકટિક”-માં વર્ણવ્યું છે કે ચોરો કેવા કેવા આકારનાં રૂપાળાં બાકોરાં પાડે છે. મને થતું – શૂદ્રકને એ જ્ઞાન શાથી લાધ્યું હશે? પરન્તુ, આપણા પ્રાચીનો તસ્કરવિદ્યા જાણતા હતા, ચૌર્યશાસ્ત્ર પણ લખાયું છે. ડાકોર અને નડિયાદની કૉલજોના કૅમ્પસમાં અમારી ટૅક્સી પ્રવેશે એટલે એકોએક બારીએથી કાપલીઓનો વરસાદ વરસતો. કોઇ કોઇ માથાભારે તો રામપુરી ચપ્પુ બૅન્ચ પર ખુલ્લો રાખીને કાપલીમાંથી ઉતારો કરતા’તા. ચાલાક છોકરીઓ જાંઘ પર લખી લાવતી’તી. નડિયાદમાં તો કાપલીઓ બનાવવાનો ગૃહઉદ્યોગ ચાલતો’તો. કાપલી મોતી જેવા પણ એવા ઝીણા અક્ષરમાં બનાવી હોય કે કલાકૃતિ લાગે. બૂટ કે સૅન્ડલની એડીમાં કાપલીનો નાનકડો રોલ છુપાવી દીધો હોય. એડી આરામથી ખોલબંધ થાય એવી બનાવી આપનારા મોચી પણ એ ઉદ્યોગમાં જોડાયેલા.
આજે તો બૅન્કોને મૂરખ બનાવીને કરોડોની ચોરીઓ કરનારા રાષ્ટ્ર સ્તરના માલ્યા ને નીરવ જેવા ધનિક ચોરો અને તેમના ભેરુઓ વધતા ચાલ્યા છે, કેમ કે, સાથોસાથ, તસ્કરવિદ્યા પણ પ્રકાર પ્રકારે ફુલીફાલી રહી છે. એટલે તો, ચોરીમાં ‘સફેદ’ ચોરીનો પ્રકાર વિકસી રહ્યો છે; નજાકત પણ ભળી છે, સ્ત્રીચોરો મળવા લાગ્યા છે. સાચે જ, અતુલનીય છે ભારત !
લોકવાયકા છે કે શ્રીમન્તો પણ રેસ્ટોરાંવાળાએ જમવા આપેલા નાઇફ-ફૉર્ક ચોરી જાય છે. કહે છે, એમને છૂપો આનન્દ આવે છે. એવી ચોરીને નિર્દોષ ગણવી? સામે મળે ને નજર ચુરાવી લે એ ગુજ્જુ ચોરીને સદોષ ગણવી? એક સાહિત્યપરક સવાલ : સાહિત્યવસ્તુના ચોરને ચોર ગણવો કે કેમ? કેમ કે જુલિયા ક્રિસ્તેવા તો ઇન્ટરટૅક્સ્ચ્યુઆલિટીની – આન્તરપાઠત્વની – વીગતે નિરૂપણા કરે છે. કોની ટૅક્સ્ટ કોનામાં ઘૂસી ગઈ કે કોણે સમજીવિચારીને પોતાને નામે ઘુસાડી દીધી એ સંશોધનનો મામલો છે. સંશોધનથી લાધેલા જ્ઞાન પછી પણ પ્રશ્ન ઊભો જ રહે છે કે સાહિત્યકારોને ચોર કહેવા કે શાહુકાર. પ્લેજ્યારિઝમ ઇઝ અન્ડર ક્વેશ્ચન !
દૉસ્તોએવ્સ્કી “ધ મીક વન” (“વિનીતા” અનુ૦ સુ૦) લઘુનવલમાં એવા મતલબનું કહે છે કે – પિસ્તોલ રાખશો તો હત્યા કે આત્મહત્યા અવશ્ય થશે. અમેરિકામાં નાગરિકો ગન રાખી શકે છે. અમેરિકન ચોર છડેચૉક ચોરી કરે છે, પણ મારીને જ જાય છે. સ્યુસાઇડ્સની ખબર નથી પડતી પણ ગ્રૂપ શૂટિન્ગ્સ વધી રહ્યાં છે.
મારી પાસે તો નથી પિસ્તોલ કે ગન કે રાયફલ. નાની લાકડી પણ નથી. જો કે મારી પાસે ચોરવા જેવું પણ કંઈ નથી, એટલે ચિન્તા નથી. હું તો વિદ્યાધની છું ને વિદ્યાની ચોરી નથી થઈ શકતી; બીજાઓને માત્ર આપી શકાય છે અને બીજાઓ માત્ર શીખીને મેળવી શકે છે. જો કે શીખનારા ઘટી રહ્યા છે એટલે એની પણ ચિન્તા નથી. પણ એ જ મોટી ચિન્તાનો વિષય નથી?
= = =
(August 2, 2022: USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર