આ ટાઇટલ ઘણાંને નેગેટિવ લાગે એમ બને. અત્યારે પોઝિટિવિટીનો વાવર ચાલે છે. બધાં પોઝિટિવ થઈ ગયાં છે. એ સારું છે, એમ જ ખરાબ પણ છે. નેગેટિવ તરફ ધ્યાન ન આપવું એમ ઘણાં કહે છે, પણ એ સામે આવે તો આંખ તો ન મીંચી દેવાય ને ! એમ જે આંખ મીંચી દે છે તે ખરેખર તો આંખ આડા કાન કરે છે ને એ પોઝિટિવ એટિટ્યૂડ નથી. આ પોઝિટિવ સંપ્રદાય પાછો એટલો પોઝિટિવ નથી કે કોરોના પોઝિટિવ ઈચ્છે. એ તો નેગેટિવ જ ઇચ્છે છે. વાસ્તવિકતાનો નકાર એ પોઝિટિવિટી નથી. આ કહેવાતી પોઝિટિવિટી અપ્રમાણિક અને મર્યાદિત છે. એ સરકારના ભક્તજનોનો સંપ્રદાય છે, જેણે પ્રતિજ્ઞા લીધી છે કે સરકારની નકારાત્મક બાજુ ન જોવી એ સાથે જ વણલખી પ્રતિજ્ઞા એવી પણ લીધી છે કે વિપક્ષની નકારાત્મક બાજુ તો જોવી જ ! આ વલણમાં તટસ્થતા નથી.
આ સંપ્રદાય સરકારની કોઈ ખામી જોવા તૈયાર નથી. એનો અર્થ એવો પણ નથી કે સરકારમાં એકલી ખામી જ છે. સર્જિકલ સ્ટ્રાઈક કે 370ની નાબૂદી જેવાં કામો તો થયાં જ છે. સૌથી મોટું કામ તો દાયકાઓ સુધી અત્યારનો વિપક્ષ સરકારમાં હતો તેને ખદેડવાનું થયું, ગુજરાતમાં થતાં કોમી રમખાણો પર પડદો પડ્યો એ નાનું કામ નથી, પણ 2014માં જે વાયદાઓ નવી સરકારે આપ્યા તે સાત વર્ષે પણ પૂરા ન થઈ શક્યા તે તરફ આંખ આડા કાન ન કરી શકાય. નોટબંધી, જી.એસ.ટી.નો અધૂરો પ્રયત્ન એ સરકારને જમા પક્ષે મૂકી શકાય એમ નથી. સ્વિસ બેંકોમાંથી કાળું નાણું લાવવાની ને ખાતામાં 15-15 લાખ જમા આપવાની વાતોથી લોકો છેતરાયાં. આજે કાળું નાણું લાવવાની વાત તો દૂર રહી, સ્વિસ બેંકોમાં કાળું નાણું વધી રહ્યું છે ત્યારે તેને પોઝિટિવલી કેવી રીતે લેવું તે પ્રશ્ન છે. યાદ રહે, પોઝિટિવિટી અને વિવેક વિરોધાભાસી નથી.
કોરોના પ્રકરણમાં રસીકરણની ઘણી ગરબડો છતાં તે કામ ચાલે છે એટલું આશ્વાસન લઈ શકાય ને ત્રીજી લહેરનું સ્વાગત કરવા સરકારો થનગની રહી છે એને પણ પોઝિટિવલી લઈ શકાય, પણ બજેટમાં કોરોના માટે ફાળવાયેલા 35,000 કરોડ અંગે કે 2020માં જાહેર કરાયેલા 20 લાખ કરોડના પેકેજ અંગે લોકો ખુલાસો ઈચ્છે તો તે બધાં નેગેટિવ છે એમ ન કહેવાય.
આ વર્ષે ધોરણ 10 અને 12માં પરીક્ષાઓ રદ્દ કરવી પડે એમ જ હતું ને બધાંને પાસ કરવાનું આખા દેશમાં ઠરાવાયું, પછી 10 અને 12નું પરિણામ નક્કી કરવા જે ફોર્મ્યુલાઓ નક્કી કરાઈ એમાં શિક્ષણખાતું ખોટો મેસેજ જાય એમ વર્તી રહી છે. વિદ્યાર્થીઓને સરકાર શીખવી રહી છે, ખોટું કેમ કરવું તે ! જ્યાં વિદ્યાર્થીઓને 10 કે 12માં નાપાસ કરવાની નીતિ જ નથી, તો બધાંના ટકા કે ગ્રેડ નક્કી કરીને સરકારે સાબિત શું કરવું છે? અમારા વિદ્યાર્થીઓનું ચોક્કસ ટકાવારી કે ગ્રેડ સાથે શિક્ષણ વિભાગે મહામહેનતે પરિણામ નક્કી કર્યું છે એ? આખો દેશ જાણે છે કે માસ પ્રમોશન અપાયું છે ને પરીક્ષાઓ લેવાઈ નથી, તો આ ટકાવારી શેની છે એની લોકોને ખબર નથી, એમ? જે ધોરણની પરીક્ષાઓ થઈ જ નથી ને નથી થઈ એવું વિધિવત સરકારે જાહેર કર્યું છે તો એ જ સરકાર એ ધોરણનું ચોક્કસ ટકા કે ગ્રેડ સાથે પરિણામ જાહેર કેવી રીતે કરી શકે? જે પરિણામ અપાઈ રહ્યું છે તે આગલાં ધોરણ કે ધોરણો પર આધારિત છે, તે ચાલુ વર્ષનું પરિણામ નથી, તો આગલું પરિણામ આ વર્ષનું પરિણામ કઈ રીતે ગણાય? વારુ, 12માં ધોરણનું પરિણામ 10માં ધોરણનાં પરિણામો પર આધારિત કેવી રીતે હોય? 10માં ધોરણમાં જીવવિજ્ઞાન અલગ વિષય જ નથી ને તેના વિજ્ઞાન વિષયના માર્ક્સ 12માંના જીવવિજ્ઞાનના માર્ક્સ તરીકે ગણવાનું નક્કી કરાયું છે. ધોરણ 10માં જે વિષય જ નથી તેના માર્ક્સ 12માં ધોરણ માટે નક્કી કરવાનું યોગ્ય છે? આમાં પણ 10માંની જેમ 33 માર્કસ તો ગમે ત્યાંથી ઊભા કરવાના જ છે. જેના ન થાય એને ગ્રેસિંગ આપવાનું પણ ઠરાવાયું છે. આટલું ઓછું હોય તેમ માસ પ્રમોશન કયાં ય લખવાનું નથી. તે એટલે કે હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય ન થાય. હોંશિયાર વિદ્યાર્થી એટલો ડોબો નથી કે જાણતો ન હોય કે તે માસ પ્રમોશનથી પાસ થયો છે ને એ ન જાણતો હોય તો, શિક્ષણ જગત એટલું અભણ નથી કે આ વર્ષે પરીક્ષાઓ થઈ જ નથી એની એને ખબર ન પડે. ખોટું એ પણ છે કે આ પરીક્ષાઓની માર્કશીટ જુલાઈમાં આવવાની છે ને એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પાછલી તારીખમાં 31 મે, 2021નું તૈયાર કરવાનું છે. આટલું ખોટું કરવાની શિક્ષણખાતાને કોણ ફરજ પાડે છે તે નથી સમજાતું. એટલી પ્રમાણિક્તા સરકાર ન દાખવી શકે કે કોરોનાને કારણે પરીક્ષાઓ નથી થઈ અને બધાંને માસ પ્રમોશન અપાયું છે?
પ્રશ્ન આગળની કોલેજોમાં પ્રવેશનો આવે, તો બધાંને જ પ્રવેશ અપવાદ કરીને અપાય ને જેમને પસંદગીની કોલેજો કે વિદ્યાશાખામાં પ્રવેશ જોઈતો હોય એમની કસોટી લઈને પ્રવેશ અપાય. કારણ કોલેજો જાણે છે કે 12નો વિદ્યાર્થી 90 ટકા સાથે પાસ થાય ને ક્યાં ય માસ પ્રમોશન ન લખાયું હોય તો પણ, આ રિઝલ્ટ ન લેવાયેલી પરીક્ષાનું જ છે. ન લેવાયેલી પરીક્ષાનું પરિણામ તૈયાર કરીને સરકાર સ્કૂલો, કોલેજો ને યુનિવર્સિટીઓને છેતરી રહી છે. જે વાત દુનિયા જાણે છે એ છુપાવવાનો સરકારને શો લાભ છે તે નથી ખબર. આમાં પાછું એવું પણ જાહેર થયું છે કે ગુણ ચકાસણી થવાની નથી અને પૂરક પરીક્ષાઓ પણ લેવાવાની નથી. આટલું જક્કી વલણ કોના લાભાર્થે છે તે બોર્ડ કહી શકે એમ છે?
એક તરફ એક પણ માર્ક ન લાવનારને 33 માર્કસ ખુદ બોર્ડ ઉમેરી આપવાનું છે, પણ 10 અને 12ના રિપીટર્સને એ લાભ શિક્ષણ બોર્ડ આપવાનું નથી અને પાંચેક લાખ રિપીટર્સની 15 જુલાઈથી પરીક્ષાઓ લેવાનો ફતવો સરકારે બહાર પાડી દીધો છે. જેમણે એક પણ પરીક્ષા આપી નથી એમને પાસ કરવાનો બોર્ડને વાંધો નથી, પણ જેમણે એક વખત તો પરીક્ષા આપી જ છે, એમને માસ પ્રમોશન આપવા બોર્ડ તૈયાર નથી. બધાં માટે એક નીતિ કેમ નથી?
આમ સીધું કહેવું પોઝિટિવ ન ગણાય, પણ ખોટું કરવું એ પોઝિટિવિટી કહેવાય ! સરકાર છાશવારે પેટ્રોલનો ભાવ વધારે ને બેશરમ થઈને કહે કે પેટ્રોલના ભાવ ઘટે એમ નથી એ પોઝિટિવિટી છે? કમાલ તો એ છે કે ગોલ્ડ (સોનું) સસ્તું થાય છે અને ગોલ્ડ (દૂધ) મોંઘું થાય છે. ખબર નથી પડતી કે લોકો સોનું પીએ છે કે દૂધ? પણ આવી ટીકા કરો તો લોકો નેગેટિવ કહેશે. મે મહિનામાં જથ્થાબંધ ભાવોમાં 12.94 ટકા મોંઘવારી ઓલ ટાઈમ હાઈ રહી છે, ને રિટેલ ભાવોમાં 6.3 ટકાના દરે 6 મહિનાની ટોચે રહી છે. આ મોંઘવારી વધવાનું કારણ એમ અપાય છે કે ખાદ્યાન્ન અને ઈંધણ મોંઘાં થયાં છે. ઈંધણ મોંઘું કરવાનું તો સરકાર જ કહે છે ને ઉપરથી કહે છે કે ઈંધણના ભાવ વધ્યા એટલે ફુગાવો વધ્યો. 4 મેથી 19 જૂન સુધીમાં 24 વખત પેટ્રોલ અને ડીઝલ અનુક્રમે 6.61 અને 6.91 રૂપિયા મોંઘું થયું. આ ભાવ વધારવાનું લોકો કહે છે? ભાવ ઘટાડવા સરકાર જ રાજી ન હોય તો મોંઘવારી શું કામ ન વધે તે કોઈ કહેશે? 8 મહિનામાં 4,000 રૂપિયે ટનનો કોલસો 8,000 રૂપિયા થઈ જાય તો મિલમાલિકો પણ માથે હાથ દે તેમાં નવાઈ નથી. એક બાજુ ઓર્ડરો મળતા ન હોય, કારીગરોની અછત હોય, ત્યાં કોલસો ડબલ ભાવે પહોંચે તો મિલમાલિકોની હાલત કફોડી જ થાય કે બીજું કૈં? આમાં તકલીફ ગરીબ અને મધ્યમવર્ગની વધી છે. એવો વહેમ પડે છે કે સરકાર ગરીબોનું શોષણ કરે છે ને મૂડીપતિઓનું રક્ષણ કરે છે, તે એટલે કે સરકારો તોડવા કે વિપક્ષમાંથી સભ્યોને ખરીદવા મદદ ગરીબો નથી કરતા, ઉદ્યોગપતિઓ કરે છે.
આવું ખોટું કૈં થતું હોય તો ન ચીંધવું જોઈએ? ભક્ત સંપ્રદાયે એ પણ વિચારવાનું રહે કે ભાવ વધે છે તો તેમનું ગજવું ખંખેરાય છે કે નહીં? જો ખંખેરાતું હોય તો એવું કેવી રીતે મનાય કે ગજવું ખૂલ્યું જ નથી? સાથે એ પણ વિચારવું ઘટે કે અગાઉની પાઘડીવાળી સરકાર હોત ને હાલની સરકાર વિપક્ષમાં હોત તો આ ભાવ વધારાઓ ચલાવી લીધા હોત કે વિરોધથી સડકો ભરી દીધી હોત? પોઝિટિવ રહેવા ન બોલવું, ન જોવું, ન સાંભળવું એ સજીવનું લક્ષણ છે? દેખાતું હોય કે ખોટું થાય છે તો આંખો બંધ કરવી કે કોઈ ખોટું બોલતું હોય અને એ મામલે ચૂપ રહેવું કે એ સાંભળી રહેવું એ સ્થિતપ્રજ્ઞતા નથી, પોઝિટિવિટી નથી, કાયરતા છે ને એની સામે કોઈ સ્વસ્થતાથી વાત મૂકતું હોય તો તેને તટસ્થતાથી જોવાને બદલે પોઝિટિવિટીનો ઉપદેશ આપવો એ સાધુપણાનું લક્ષણ નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 જૂન 2021