યોજનાઓ જાહેર કરવાથી ખેડૂતોનાં પ્રશ્નો નહીં ઉકેલાય પણ વૈચારિક માળખાકીય રોકાણ કરીને ખેતીનાં અર્થતંત્રને મજબૂત બનાવી શકાશે
દેશ આખામાં ડુંગળીની કિંમતે માઝા મૂકી છે. ૯૦ રૂપિયે કિલોથી માંડીને ૨૦૦ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. દૂરંદેશી યોજનાના અભાવને કારણે સપ્લાયમાં નિયમિતતા, કોલ્ડ સ્ટોરેજની અછત, ડુંગળી મેળવવા માટે બેફામ પ્રક્રિયાઓને અનુસરવી અને ડુંગળીનાં મર્યાદિત ઉત્પાદન જેવા પ્રશ્નો ખડા થયા અને આપણે આ સ્થિતિમાં મુકાયા છીએ. માત્ર ડુંગળીના ઉત્પાદનને ધ્યાનમાં લઇએ તો ભારત વર્ષે અંદાજે ૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે અને માંગ લગભગ ૨૦૦ લાખ ટન ડુંગળીની હોય છે. કેન્દ્ર સરકારની સબસીડીથી મળતી સ્ટોરેજ ક્ષમતામાં માંડ ૪.૩૦ લાખ ટન ડુંગળીનો જ સંગ્રહ થઇ શકે છે. ૨૦૧૭ની સાલમાં મધ્યપ્રદેશ સરકારે ડુંગળીનો પાક મેળવવામાં તથા તેનાં સસ્તા દરે થયેલા વેચાણને પગલે ૨૦૧૭ની સાલમાં ૭૮૫ કરોડની ખોટ વેઠવી પડી હતી. સ્ટોરેજ કૅપેસિટી વધારવામાં જો રોકાણ થાય તો દર વર્ષે વરસાદ પછી વેઠવી પડતી ખોટ ઘટાડી શકાય.
લાંબા ગાળાના પડકારો સામે લડત આપવા માટે નિકાસની કિંમતો લઘુતમ રાખવી, નિકાસ પર પ્રતિબંધ મૂકવો, પુરવઠાની મર્યાદા નિયત કરવી જેવા રસ્તાઓ કામ ન કરી શકે. આ વર્ષે વરસાદની અનિયમિતતા અને અણધાર્યા વરસાદને કારણે સંઘરેલા રવિ પાક અને ખેતરમાં ઊભેલા ખરીફ પાકને પણ નુકસાન થયું છે. એમ કહેવામાં વાંધો નથી કે કુદરતી સંજોગોને કારણે ભાવ વધારો થાય તો સરકારનો વાંક ન કાઢી શકાય પણ કુદરતી સંજોગો માટે પૂર્વ તૈયારીઓ કરવામાં સરકાર પાછી પડી છે એ તો સ્વીકારવું જ રહ્યું. ગ્રાહક અને ખેડૂતની વાત આવે ત્યારે ગ્રાહક જો કશું પણ ખરીદવા માટે વધારે ભાવ ચૂકવતો હોય તો તેનો તસુભાર લાભ પણ ખેડૂતો સુધી તો પહોંચતો જ નથી. વચેટિયાઓ અને વેપારીઓનાં ગજવા ચોક્કસ ભરાઇ જાય છે. ડુંગળીનાં ભાવ અધધધ વધ્યાં હોય તેવી પરિસ્થિતિ દર ત્રણ-ચાર વર્ષે ખડી થાય છે, છતાં ય તે માટેની કોઇ પૂર્વતૈયારીઓ માટે કવાયત થતી હોય તેવું સાંભળવા નથી મળ્યું.
આ તો થઇ ડુંગળીની વાત પણ, આપણા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી થતી જાય છે. ખેતી અને ખેડૂતોની જે પણ સ્થિતિ છે તેમાં ખેતી સાથે સંકળાયેલા રાજકારણ અને અર્થતંત્રનો સહિયારો ફાળો છે. ૨૦૧૯માં કરેલી જાહેરાત અનુસાર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ – એમ.એસ.પી. દ્વારા અમુક ચોક્કસ પાક માટે તેના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢ ગણી કિંમત આપશે જેમાં બિયારણ, ખાતર અને મજૂરીની કિંમત પણ ગણાશે. એમ.એસ.પી. મારફતે ખેડૂતોના કલ્યાણ માટે ૧.૩૮ લાખ ખર્ચ્યા હોવા છતાં ય ખેડૂતોની આત્મહત્યાનો આંકડો નથી ઘટ્યો. એમ.એસ.પી. જેવી વ્યવસ્થા દ્વારા સરકાર ખેત ઉત્પાદનોની કિંમતને વધારી રહી છે અને તે ખેડૂતો માટે તો નહીં જ પણ એગ્રીટેકની ઇકોસિસ્ટમ માટે પણ ગેરફાયદો જ કરે છે. આપણી સરકાર ખેત ઉત્પાદનોની કિંમતોનાં મિકેનિઝમનો ઉપયોગ ખેડૂતોના કલ્યાણ માટે કરવા માંગે છે.
મિનિમમ સપોર્ટ પ્રાઇઝ વધારીને બીજી ચીજોને સબ્સિડાઇઝ કરી દેવાય ત્યારે કૃત્રિમ રીતે જ ઉત્પાદનનો ભાવ વધે છે પણ નિવિષ્ટની કિંમતો ઘટે છે. આ સંજોગોમાં નિવિષ્ટ વધે છે અને અતિ-ઉત્પાદન થાય છે જે અંતે ભાવ વધુ પડતા જ ઉપર જાય છે. સરકારે જાહેર કરેલી નીતિઓ, યોજનાઓથી ચકાચોંધ થયેલા ખેડૂતોને બજારનાં સંકેત સમજવાનો મોકો નથી મળતો. સરકારી યોજનાઓ ખેડૂતો સુધી ચોક્કસ પહોંચે છે પણ તેનો ફાયદો ખેડૂતોને નથી મળતો કારણ કે સરકાર કિંમત અને બજારનો વહેવાર પોતાના જ હાથમાં રાખે છે. આપણે ત્યાં ખેત ઉત્પાદનમાં વધારો થતો હોય પણ ખેતીની આવક ઘટતી હોય તેવી સ્થિતિ કેટલાંક વર્ષોથી યથાવત્ છે. ખાધ્ય પદાર્થોમાં થયેલા ફુગાવો, બિન-ખાદ્ય ફુગાવામાં વધારો થવાને કારણે બિન-અસરકારક સાબિત થયો છે. એમ.એસ.પી. પ્રોક્યોરમેન્ટ નીતિ નિષ્ફળ રહી છે તે તો છે જ પણ રવિ પાક આગલા વર્ષનાં એપ્રિલ મહિના પહેલાં મળવા મુશ્કેલ છે અને તે ભાવ વધારામાં કોઇ ફાળો આપશે તેવું લાગતું નથી. આમ થવાનું એક મહત્ત્વનું કારણ એ પણ છે ખેત ઉત્પાદનોની કિંમતોનાં ઘટાડા પાછળ ગ્રામીણ અર્થતંત્રમાં માંગનો ઘટાડો કામ કરે છે, નહીં કે ખેત-ઉત્પાદનોનો વધુ પડતો પુરવઠો. ગ્રામીણ અર્થતંત્રમાં ખેત-ઉત્પાદનો કે ખાદ્ય ઉત્પાદનોની માંગ ઘટવા પાછળ મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને સર્વિસિઝી જેવાં ક્ષેત્રોનું પતન કારણભૂત છે. આવા બિન-ખેતી ક્ષેત્રોમાં રોજગારીની ઘટતી તકો ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવે છે કારણ કે બેરોજગારીને પગલે ખેત-ઉત્પાદનોની માંગ આપમેળે ઘટતી જાય છે. આ રીતે ગરીબીનો પ્રશ્ન પણ વધુ ઘુંટાય છે.
નોટબંધી અને જી.એસ.ટી.નું ઉતાવળિયું અમલીકરણ આ કટોકટીનાં પાયામાં ચોક્કસ છે પણ ખેતીમાં અનિવાર્ય રોકાણને મામલે જે બેદરકારી રાખવામાં આવી છે તેને કારણે પણ ખેડૂતો અને ખેતી બજારમાં સંજોગો તંગ બન્યા છે. મોસમનાં બદલાવ અણધાર્યા હોવા છતાં, વરસાદની અનિયમિતતા છતાં પણ ખેત ઉત્પાદનોમાં કોઇ ઘટાડો નથી થયો. ધાર્યા કરતાં વધુ ઉત્પાદનની જાળવણી, નિકાસ, વેચાણ વગેરેને મામલે યોગ્ય પ્લાનિંગ કરવામાં સરકાર પાછી પડી છે જેને કારણે ખેતીમાંથી પૂરતી આવક નથી થઇ શકી. સરકારે ખેડૂતોનાં ભલા માટે અઢળક યોજનાઓ ચોક્કસ જાહેર કરી છે પણ તેનાં અમલીકરણની સાથે બજાર ભાવ અને ફુગાવા પરનાં નિયંત્રણમાં સંતુલન ન રહી શક્યું હોવાને કારણે ખેડૂતો હાથ ઘસતા રહી ગયા છે.
ભારતમાં ૫૮ ટકા વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્ઝ, બ્લોક ચેઇન અને રોબોટિક્સ જેવી ટેક્નોલોજી આખા તંત્ર પર અસર કરે છે. ભારતમાં ખેતી લક્ષી ટેક્નોલોજીકલ (એગ્રીટેક) સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થયા છે જે ખેતીનાં અર્થતંત્રને મજબૂત બનાવવા માગે છે પરંતુ આ માટે તેમણે છેવાડાનાં ખેડૂત સુધી પહોંચવું રહ્યું. અત્યારે તેઓ માત્ર મધ્યમ અને મોટા કદના ખેડૂતો સુધી પહોંચી શકે છે અને નાના ખેડૂતો ટેક્નોલોજીનો ફાયદો ઉપાડી નથી શકતા. જે હાંસિયામાં ધકેલાઇ રહ્યા છે તેને પણ ગણતરીમાં લેવાય તેવી તકેદારી સરકારે રાખવી રહી. એગ્રીટેકને કારણે ખેડૂતો સુધી માહિતી મોટા પ્રમાણમાં અને ઝડપથી પહોંચે છે તે ખરું પણ ઘટી રહેલાં પાણીનાં સ્રોત, ખેતીલાયક જમીનનું ઘટતું પ્રમાણ, ભૂગર્ભ જળનાં તળિયા વધારે ઊંડા જેવા જેવી સમસ્યાઓનો ઉકેલ પણ હજી શોધવાનો છે. માત્ર યોજનાઓનાં અમલીકરણથી સમસ્યાનો સર્વાંગી ઉકેલ નથી મળી શકતો, પરંતુ ટેક્નોલોજી, પરંપરા, બજારભાવ, ખેડૂતોની ક્ષમતા અને માંગ તથા પુરવઠા જેવી સમાન બાબતોને ગણતરીમાં લઇને પછી ઘડાતી નીતિઓને પગલે જ ખેતીનું રાજકારણ તેનાં અર્થતંત્રને મજબૂત બનાવનારું સાબિત થઇ શકશે.
બાય ધી વેઃ
સરકારને મોટાં પરિવર્તનો કરવામાં બહુ રસ છે, એ કેબ હોય કે પછી ૩૭૦ કે કંઇક બીજું. મોટાં પરિવર્તનોનાં ઘોંઘાટમાં જે સાચી સમસ્યાઓ છે તે દબાઇ જાય છે. ખેતી પ્રધાન દેશમાં કૃષિનું અર્થતંત્ર સંભાળવામાં સારા લાગતા રાજકારણને પગલે પાંગળું બની રહ્યું છે. ખેતરોમાં પાક લહેરાતો જોઇને ય ખેડૂતોનાં ખિસ્સા ખાલી રહે છે. સરકારે માળખાકીય રોકાણ કરીને એવી સવલત ઊભી કરવી જોઇએ જ્યાં ખેડૂતો લણેલા પાકનો સંગ્રહ કરીને તેને બજારમાં ફરી મૂકી શકે. વધારાની ડુંગળી બગડે છે તો ઘઉં ઊગાડવા માટે ભૂગર્ભજળ ઘટી ગયું છે. દરેક પ્રદેશ, દરેક પાકની જરૂરિયાતો જુદી છે એ સમજીને એ પ્રમાણે નીતિઓ ઘડાશે તો ખેડૂતની પણ આવક થશે અને તેને બળબળતા તાપમાં લાંબી રેલીઓ નહીં કાઢવી પડે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2019