Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375735
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેડૂતોનું આંદોલન બિલકુલ રાજકીય નથી

મણિલાલ એમ. પટેલ|Opinion - Opinion|20 June 2017

તાજેતરમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ખેડૂતોની લડતે આખા દેશનું ધ્યાન ખેંચ્યું. લડત થોડી હિંસક પણ બની. થોડા સમય અગાઉ દિલ્હીમાં એકાદ માસ સુધી ધરણાં-પ્રદર્શન કરી રહેલા તામિલનાડુના ખેડૂતોના આંદોલને પણ દેશભરમાં ચર્ચા જગવી હતી. બીજાં બધાં આંદોલનો યા લડતો ક્યાંક રાજકીય બળો પ્રેરિત હોય છે, પણ ખેડૂતોનાં આંદોલનો તેમના વાજબી પ્રશ્નનો માટે જ હોય છે. દરેક રાજકીય પક્ષની કિસાન પાંખ છે અને દરેક રાજકીય પક્ષ સમયાંતરે એક યા બીજી રીતે કેન્દ્ર કે રાજ્યોની સરકારોમાં સત્તારૂઢ થયા છે, છતાં ખેડૂતોના મૂળભૂત પ્રશ્નો આઝાદીનાં આટલાં બધાં વર્ષો પછી પણ ઠેરના ઠેર છે. ખેડૂતો એક મોટી વોટ બૅન્ક હોવા છતાં અન્ય શ્રમિક સંગઠનોની જેમ સંગઠિત નહીં હોવાથી તેમના પ્રશ્નનો પ્રત્યે પણ પૂરતું ધ્યાન અપાયું નથી. ખેતરના શેઢાની પણ ખબર ન હોય તેવા લોકો આપણા દુર્ભાગ્યે દેશની કૃષિનીતિ નક્કી કરે છે. આવડા મોટા વર્ગ માટે અલાયદું બજેટ હોવું જોઈએ. તે અંગે પણ કોઈ વિચારતું નથી. ખેડૂતો પાસે રાષ્ટ્રીય કક્ષાના બિનરાજકીય નેતાઓ પણ નથી. ચૂંટણીઓ આવે ત્યારે ઢગલાબંધ વચનો અપાય છે પછી બધું ભૂલી જવાય છે. જે સરકારી યોજનાઓ ખેડૂતો માટે બને છે તે અધિકારીઓ દ્વારા એવી અટપટી બની હોય છે કે ખેડૂતોમાં ભાગ્યે જ તેનો સુચારુ અમલ થાય છે અને તેનો લાભ લઈ શકે છે. પરિણામે કિસાનોની કઠણાઈ ઘટવાને બદલે વધતી જાય છે. કિસાનોની લડતને સરકારી કર્મચારીઓ, બૅન્કો જેવા સંગઠિત વર્ગોની લડતની જેમ ન જોવી જોઈએ.

ખેડૂત પોતાનું મહામૂલું દૂધ, ટામેટાં, બટાટાં, રીંગણાં, શેરડી કે મરચાં મહામહેનતે પકવે છે તે તેને રસ્તા પર ફેંકી દેવાનું હરગીજ ગમે નહીં પણ કમને – અનિચ્છાએ તેને પોતાની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન દોરવા કરવું પડે છે. એક બાજુ શહેરીજનોને દૂધ, શાક, તેલ કે ખાંડના વધતા ભાવો પોષાતા નથી. તો બીજી બાજુ ખેડૂતને પૂરતા ભાવ મળતા નથી. એક બાજુ સરકાર જી.ડી.પી.નો દર વધતાં કૃષિક્ષેત્રના હિસ્સાને બિરદાવે છે, તો બીજી બાજુ ખેડૂતોની મહત્ત્વની માંગ પોષણક્ષમ ભાવોની છે. પૂરતા ભાવો મળશે, તો ખેડૂતો લોન ભરી શકશે અને દેવાંનાબૂદીની માગણી નહીં આવે તથા ખેડૂતોની આત્મહત્યાનું પ્રમાણ પણ ઘટશે, ખેડૂત સંગઠિત નથી અને ધીરજવાન પણ છે. નાના-નાના પ્રશ્નોનો અંગે તે કદી રસ્તાઓ પર આવતો નથી. વળી, હવે પહેલાં જેવો અભણ ગામડિયો ખેડૂત નથી. તે ધોતિયું-ઝભ્ભો કે પાઘડીવાળો નથી રહ્યો. તેનામાં શિક્ષણ વધ્યું છે અને તેના પ્રશ્નો પ્રત્યે વધુ ને વધુ જાગૃત બનતો જાય છે. ઉત્તમ ખેતી હવે ખોટનો ધંધો બની રહી છે. એટલે તે હવે જમીનો વેચીને શહેરો ભણી વળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ૧૨ હજાર ખેડૂતોએ આત્મહત્યાઓ કરી હોવા છતાં તે ચૂપ છે, ત્યારે સરકારે તાકીદે ઉદાસીનતા ખંખેરીને સંવેદનશીલ બનવાની જરૂર છે. ઉત્તરપ્રદેશમાં દેવાંનાબૂદીનો નિર્ણય થયો પણ હજુ અમલ થયો નથી, તો મહારાષ્ટ્રમાં ખેડૂતોએ દેવાંનાબૂદીની માગણીને બુલંદ બનાવી છે. (આ લખાણ પ્રેસમાં જઈ રહ્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે વિધાયક સંકેત આપ્યો છે.) આજે ખેડૂતોની આવક ડબલ કરવાની વાત તો દૂર રહી, પણ જે છે તે પણ જળવાઈ રહે તે માટેનાં પગલાં લેવાની ખાસ જરૂર છે. કેટલાંક રાજ્યોમાં ખેડૂતોની માસિક આવક રૂપિયા બે હજાર જેટલી છે. દેશભરના ખેડૂતો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. વેપારીઓ કે દલાલોને કોઈ નફો ઓછો કરવાનું કહેતું નથી. કર્મચારીઓને કોઈ પગાર વધારાની માગણી ન કરવાનું કહેતું નથી, તો બીજી બાજુ ખેડૂતોને ઉત્પાદન વધારવાની રોજ સલાહ આપવામાં આવે છે, પણ કઠોળ, કપાસ, શેરડી, ડુંગળી, બટાટાં, મરચાં કે શાકભાજીના વધેલા ઉત્પાદનને કારણે પૂરતા ભાવો ન મળતાં તેને ફેંકી દેવાં પડે તે અંગે કોઈ વિચારતું નથી. એક બાજુ ઘઉં, ડુંગળી કે કઠોળનું ઉત્પાદન વધે છતાં બીજી બાજુ આયાત કરવાનું ચાલુ હોય તે કેવી કૃષિનીતિ છે?

કૉર્પોરેટગૃહો લોન લઈને લોન ભરે નહીં, તેને કોઈ પૂછતું નથી. ઉપરથી તેમને બોલાવીને બૅન્કો લોન આપે છે, જ્યારે ખેડૂત લોન ન ભરે તો બૅન્કો પુનઃ આપતી નથી. પરિણામે ખેડૂતે ખાનગી શરાફો પાસે જવું પડે છે અને બોજો સહન ન થતાં જીવન ટૂંકાવવું પડે છે.

એક જમાનામાં ખેડૂત હળ-બળદથી ખેડતો. બળદને ગાય તથા ભેંસને કારણે ખાતર મફત મળતું. બિયારણ જાતે બનાવતો. સિંચાઈ માટે બળદ, કૂવો ને કોશ હતાં. આમ, ખેતી બિનખર્ચાળ હતી. આજે ખેતી ખર્ચાળ બની છે. જમીનના ટુકડા થયા છે. બિયારણો મોંઘાં થયાં છે અને બનાવટી પણ મળે છે, જેથી પાક નિષ્ફળ જાય છે. ખાતરોના ભાવો વધ્યા છે. ખાતર સબસિડીનો લાભ સીધો ખેડૂતને બદલે કંપનીને મળે છે. સિંચાઈની વ્યવસ્થા જે ઝડપે વધવી જોઈએ, તે ઝડપે વધતી નથી. નર્મદા જેવી ત્રણ રાજ્યોને સ્પર્શતી યોજના આઝાદીનાં આટલાં બધાં વર્ષો પછી પણ પૂર્ણ થઈ નથી. અનેક રાજ્યોમાં નદી જળવિતરણના પ્રશ્નો વણઉકલ્યા છે. આધુનિક વિમાનઘરો પણ બન્યાં. ખેતપેદાશોના સંગ્રહની ગોદામોની પૂરતી વ્યવસ્થા નથી અને ખેતી માટે મૂડીની અપૂરતી વ્યવસ્થા છે. છતાં ખેડૂત ખેતી કરે છે, કેમ કે જેને ખેતી સિવાય બીજી કોઈ આવક નથી, તેના માટે ખેતી આવશ્યક છે. કોઈ પણ સરકાર આવે, પણ તેણે ખેડૂતોના પ્રશ્નોને રાજકારણ પ્રેરિત ગણી તેની અવગણના કરવાના બદલે વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પાક વીમાયોજના શરૂ કરી છે. પણ ૨૦૧૭માં ૮૩ ટકા ખેડૂતોનાં વીમાના દાવા કંપનીઓએ મંજૂર કર્યા નથી. માંડ ૧૭ ટકા દાવા જ મંજૂર થયા છે. આવી યોજનાઓનો અર્થ શું? ખેડૂત બજારમાં માલ વેચી દે પછી મોડી ટેકાના ભાવે ખરીદી શરૂ થાય છે. ગયા વર્ષે કપાસની ખરીદીમાં આવું થયું હતું. આ વર્ષે તુવેરની ખરીદી વહેલી બંધ કરી દેવાઈ, જેની પાછળથી મુદત વધારવી પડી. ટેકાના ભાવ પણ ઉત્પાદનખર્ચ પર આધારિત નથી. બજારમાં બીજી ચીજોની કિંમત ઉત્પાદકો ઉત્પાદનખર્ચ ઉપરાંત નફો ઉમેરીને નક્કી કરીને વેચે છે જ્યારે દૂધ અને ખેતપેદાશોના ભાવો વેપારીઓ નક્કી કરે છે તે ઉત્પાદનખર્ચ પર આધારિત નથી. જે વર્ષે જે પેદાશના ભાવ સારા હોય, તેનું બીજા વર્ષે ખેડૂત વાવેતર કરે છે, તો બીજા વર્ષે તેનું ઉત્પાદન વધતાં ભાવો ગગડી જાય છે. વળી, ખેડૂત માલ વેચવા આવે, ત્યારે ભાવો ઘટે છે અને ખેડૂતનો માલ વેચાઈ ગયા પછી ભાવો એકદમ વધી જાય છે. ખેતપેદાશોના ભાવો ઓછા હોય છે, પણ તેને આધારિત ઉત્પાદિત ચીજ-વસ્તુઓના ભાવો અનેકગણાં હોય છે. ખેતીના પ્રશ્નો જમીન, પાક, સિંચાઈની વ્યવસ્થા વગેરે જિલ્લે-જિલ્લે જુદા હોય છે. એટલે એક જ નીતિ આખા દેશમાં ઉપયોગી નીવડતી નથી. કૃષિખાતાનું નામ બદલીને કૃષિકલ્યાણ મંત્રાલય કરવાથી ખેડૂતોના પ્રશ્નનો ઉકલી જતા નથી. સૉઇલ હેલ્થકાર્ડ આપવાથી ખેડૂત સમૃદ્ધ બની જતો નથી. હેલ્થકાર્ડ તો જમીનની ખામીઓ સૂચવે છે. પછી તે દૂર કરવા ખેડૂતને જે પ્રકારની સગવડો જોઈએ, તે પૂરી પાડવી જોઈએ.

ચીન અને ભારત બંને દુનિયાના સૌથી વધુ વસતિ ધરાવતા દેશો છે. તેમને ખેતી વિના ચાલવાનું નથી. અનાજ અને દૂધ કારખાનામાં બનાવી શકાતાં નથી. એની આયાત મોટા પાયે કરવી પડે, તો હૂંડિયામણની મોટી રકમ ખર્ચાઈ જતાં વિકાસકાર્યોને વિપરીત અસર થાય.

લાખો ખેડૂતોની આત્મહત્યા છતાં તે નિવારવાની સરકારની દિશા ખોટી છે યા તે અંગે નક્કર નીતિ નક્કી કરવી જોઈએ, તેવું તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું. આપણા દેશમાં આગ લાગે, ત્યારે જ કૂવો ખોદવાની બેહૂદી પ્રથા છે. દેવાનાબૂદી શ્રેષ્ઠ વિકલ્પ નથી. તે તો ધૂળ પર લીંપણ જેવો વિકલ્પ છે. પોષણક્ષમ ભાવો મળે, તો ખેડૂતોએ લોન ન જ લેવી પડે, દેવું જ ન કરવું પડે, તેવી સ્થિતિ સર્જાય અને દેવાંનાબૂદીનો પ્રશ્ન જ પેદા ન થાય.                 

Email : manilalpatelgramgarjana@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2017; પૃ. 04-05 

Loading

20 June 2017 મણિલાલ એમ. પટેલ
← જોડણીવિષયક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર રામનાથ કોવિંદ દલિત છે ફુલસ્ટૉપ →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved