ફિલ્મઉદ્યોગના ડ્રગકાંડ કે હિન્દુત્વતરફી–વિરોધી વિવાદો અને ચીન-પાકિસ્તાનના અળવીતરા કે અમેરિકાના પ્રમુખની તબિયત જેવા સમાચારોની વચ્ચે દેશની આર્થિક સ્થિતિના સમાચારો પણ વાંચતા રહેવું અને આંકડાઓ તથા સમાચારોની વચ્ચે લખાયેલી વાર્તાઓ સમજવાનો પ્રયત્ન કરવો. વળી છેલ્લા મહિનાઓમાં છપાયેલા આર્થિક સમાચારોને ક્રમશ: એક સાથે વાંચી લેવા. શકય છે દેશની વાસ્તવિક આર્થિક હાલત સમજવામાં મદદ મળે! કોરોનાની મહામારીએ આપણી સ્થિતિ વિકટ બનાવી છે. સાથે સાથે દેશનાં સામાજિક આર્થિક માળખાંને નહીં સમજનારા આર્થિક સલાહકારો, સરકારી બાબુઓ પણ આ વિકટ સ્થિતિ માટે જવાબદાર બનવા લાગ્યા છે. ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે સાવ સાદી બાબતો જે આપણને સમજાય છે, તે આ દેશના નીતિ નિર્ધારકો-સત્તાવાળાઓને નહીં સમજાતી હોય?
થોડા સમાચારો યાદ કરો. કોરોના કાળમાં દેશનું અર્થતંત્ર ખાડે ગયું, જી.ડી.પી. માઇનસ થઈ, કરોડો લોકોએ ધંધા-રોજગાર-આવક ગુમાવ્યાં, ત્યારે દેશના થોડાક ઉદ્યોગપતિઓની સંપત્તિમાં અબજો રૂપિયાનો વધારો થયો. સરકારે પહેલાં રૂપિયા વીસ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યું અને સુપ્રિમ કોર્ટે લોનના હપ્તા ન ભરનારને વ્યાજ પરના વ્યાજ ચુકવવામાંથી મુક્તિ આપવાનું સુચવ્યું, તો આર.બી.આઇ.એ તેને બોજો વધારનારું ગણાવ્યું. આંતર-રાજ્ય સંસ્થાઓએ ભારતની જી.ડી.પી. ચાલુ વર્ષે ૧૦ ટકા માઇનસ થશે તેવો અંદાજ આપ્યો અને સાથે જ આવતા વર્ષે તે ૮ ટકા વધશે તેવું અનુમાન પણ આપ્યું છે. વળી સરકારે કરેલી છેલ્લી જાહેરાત મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને દસ હજાર રૂપિયા એડવાન્સ તહેવારમાં વાપરવા માટે મળશે અને કર્મચારી તેને હજાર રૂપિયાના દસ હપ્તામાં પાછા ભરશે. વળી એલ.ટી.સી.ના સ્લેબ વધાર્યા છે અને વાપરવા માટે કેશ વાઉચર આપવામાં આવશે! આ તમામ સમાચારો ધ્યાનથી જુઓ તો એમાં દેખાય છે, દેશમાં વ્યાપ્ત આર્થિક અસમાનતા અને બીજું દેખાય છે એ કે આ અસમાનતા દિવસે ને દિવસે વધતી જવાની છે.
કોવિડ-૧૯ પછી સર્જાયેલી આર્થિક સ્થિતિ માટે સરકારે લીધેલાં મોટાં ભાગનાં પગલાંઓ ‘ઉછીના આપવા’ જેવાં છે. લોન હોય કે તહેવારમાં વાપરવાના એડવાન્સ, તમારે તે પાછા તો ભરવાના જ છે! બરાબર છે. સરકારે આર્થિક દયાદાન શા માટે કરવું જોઇએ? પણ લોનના આધારે અર્થતંત્રમાં રીકવરીની આશા રાખનારાએ વિચારવું જોઇએ કે અર્થતંત્રમાં રીકવરીની આશા હોય, નફાની અપેક્ષા હોય તો લોકો લોન લે કે લોકો લોન લે પછી રીકવરી આવે? સરકાર રૂપિયા વીસ લાખ કરોડ ઉછીના આપવા તૈયાર છે, પણ આ નિરાશામાં લોકો એ લેવા તૈયાર છે ખરા?
સરકાર કહે છે કે અત્યારે તમામ કર્મચારીને તહેવારમાં વાપરવા રૂપિયા દસ હજાર એડવાન્સ મળશે. પણ તેમણે દર મહિને રૂપિયા એક હજાર પાછા ભરવાના છે. મતલબ આ મહિને દસ વાપરો, પછી આખું વરસ દસ પાછા ભરો. તો કોઇ સમજાવો, ભાઈ, કે વરસના અંતે હિસાબમાં શું ફેર પડે! બીજું, સરકારની હાલની બન્ને જાહેરાત સરકારી અને તે પણ કેન્દ્રના કર્મચારીઓ માટે છે, જે હાલમાં દેશની કુલ રોજગારીનો નાનો હિસ્સો છે. એમની ખરીદશકિત ઑલરેડી સ્થિર છે. કોવિડ-૧૯ની સ્થિતિમાં સૌથી સલામત અને સ્થિર આવક જો કોઇની રહી હોય તો તે છે સરકારનો પગારદાર વર્ગ! એને તો ઉપરથી લૉક ડાઉનમાં ખર્ચ બચ્યો છે.
હાલ દેશના સામાન્ય વર્ગની ખરીદશકિતમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. પહેલાં ત્રણ-મહિના ધંધા રોજગાર બિલકુલ બંધ રહ્યા અને બીજા ત્રણ મહિનામાં તે અંશત: ચાલુ થયા. ખાનગી ક્ષેત્ર એક તો લોકોને પગાર ચૂકવતું નથી. એમાં તે લાંબો સમય બંધ રહ્યું. હવે અડધા પગાર સાથે અડધી નોકરીઓ શરૂ થઇ છે. દેશમાં શહેરી રોજગારીનો મોટો આધાર સેવાક્ષેત્ર-એમાં એન્ટરટેનમેન્ટ આજે પણ બંધ છે. એટલે લોકોની પાસે આવકો નથી. જે મોટા બિઝનેસ ગૃહોની આવકો અબજો રૂપિયા વધી છે, તે દર્શાવે છે કે લૉક ડાઉન અને તે પછીના સમયમાં ઑનલાઇન બિઝનેસ વધ્યો છે, શેરસટ્ટા વધ્યા છે, સોનામાં રોકાણ વધ્યું છે. મતલબ થોડા ધનિકોની આવક વધી છે. કરોડો ગરીબોએ આવક ગુમાવી છે.
દેશના મધ્યમ વર્ગની આવકો સ્થિર અને મર્યાદિત છે. લૉક ડાઉન ખૂલી ગયું એટલે ખર્ચા ખૂલી ગયા છે. શાળાની ફી, વીજળીનાં બિલ, પેટ્રોલ – ડીઝલના ઊંચા ભાવ અને જીવનજરૂરી ચીજોનો ફુગાવો … બધી આવક આમાં જ વપરાઇ જાય છે. ધ્યાનથી જુઓ તો સરકાર પ્રજાને રાહત પૅકેજમાં આપે છે એ શકયતા છે. ઘણી વાર તો કલ્પના છે. પણ ટોલ ટેક્સમાં, પેટ્રોલ ડિઝલના ભાવમાં, ટેક્સમાં લઇ લે છે તે હકીકત છે. હવે પ્રજા પાસે વાપરવા માટે કશું બચતું જ નથી! તો વાપરે શું?
માટે જ આપણે તો સરકારને એટલું જ કહીએ કે આપો નહીં તો કંઈ નહીં … વિવિધ ટેક્સ દ્વારા લઇ તો ના લો!
e.mail : bhattkartikey@yahoo.in
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 07-08