તાજેતરમાં, હોળી-ધૂળેટી નિમિત્તે આમિર ખાનની પહેલી ફિલ્મ (‘કયામત સે કયામત તક’ નહીં) ‘હોલી’ (1984) વિશે લખ્યું હતું. આ ફિલ્મનું નિર્દેશન કેતન મહેતાએ કર્યું હતું. એ લેખમાં લખ્યું હતું કે કેતન મહેતા સાહિત્યના માણસ છે અને સાહિત્યિક કૃતિઓ પરથી ફિલ્મો બનાવે છે (‘હોલી’ ફિલ્મ મહેશ ઈલ્કુંચવરના મરાઠી નાટક પરથી બનાવામાં આવી હતી) અને તેમની પહેલી જ ફિલ્મ ‘ભવની ભવાઈ’ ગુજરાતી લેખિકા ધીરુબહેન પટેલના નાટક પરથી બનાવામાં આવી હતી.
આ લેખ છપાયો તેના બીજા જ દિવસે સમાચાર આવ્યા કે 96 વર્ષનાં ધીરુબહેનનું અવસાન થયું છે. કેતન મહેતા આમ તો તેમની હિન્દી ફિલ્મો(મિર્ચ મસાલા, મી. યોગી (ટી.વી. સિરિયલ), હીરો હીરાલાલ, માયા મેમસાબ, સરદાર, મંગલ પાંડે, રંગ રસિયા)થી ઓળખાય છે, પરંતુ તેમની પહેલી ફિલ્મ ‘ભવની ભવાઈ’ ગુજરાતીમાં હતી.
પત્રકાર દિવ્યાશા દોશી સાથે એક ઇન્ટરવ્યૂમાં મહેતાએ કહ્યું હતું, “ગુજરાતી મારી માતૃભાષા છે અને પિતાજી ગુજરાતીના પ્રોફેસર હતા એટલે ઉમાશંકર જોષી જેવા અનેક ગુજરાતી સાહિત્યકારોના સહવાસનો લાભ મળ્યો છે. મેં પણ ગુજરાતી સાહિત્ય પછીથી ખૂબ વાંચ્યું છે. ફિલ્મ સંસ્થામાંથી પાસ થયા બાદ મેં થોડો સમય અમદાવાદની ઇસરો સંચાલિત સેટેલાઈટ ચેનલ માટે કામ કર્યું હતું. એ માટે મારે ખેડા જિલ્લામાં પુષ્કળ રખડવાનું થતું હતું. ગ્રામીણ પ્રજા માટે અમે કાર્યક્રમો બનાવતાં એટલે ગ્રામીણ સમસ્યાઓ મારા ધ્યાનમાં આવી. ખાસ કરીને અછૂતોનો પ્રશ્ન મને મૂંઝવતો. એ જ સમય દરમિયાન મને ભવની ભવાઈની વાર્તા મળી જે અછૂતનો વેશ તરીકે ભવાઈમાં ભજવાતી હતી.”
વડોદરામાં જન્મેલાં, મુંબઈમાં ઉછરેલાં અને મુંબઈમાં જ ભણી-ગણીને અધ્યાપક થયેલાં ધીરુબહેનને, ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં પ્રચલિત ભવાઈની લોકકળાનો આધાર લઈને અસ્પૃશ્યતા અને અંધશ્રદ્ધા પર ‘ભવની ભવાઈ’ નામનું નાટક લખવાનો વિચાર કેવી રીતે આવ્યો હશે, તેનું કોઈ બયાન મળતું નથી, પરંતુ તેમાં તેમણે દલિત-પછાત સમુદાયનો જે પ્રશ્ન છેડ્યો હતો તે જલદ અને યથાર્થ હતો.
એટલા માટે જ, કેતન મહેતાએ તેના પરથી ફિલ્મ બનાવી તો તેને વિવેચકોએ ખૂબ વખાણી હતી. તેને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રાષ્ટ્રીય એકતા માટેનો નરગિસ દત્ત પુરષ્કાર મળ્યો હતો, તેને મ્યુઝિયમ ઓફ મોડર્ન આર્ટના ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદ કરવામાં આવી હતી અને થ્રી કોન્ટીનેન્ટ્સ ફેસ્ટીવલમાં યુનેસ્કો ક્લબ હ્યુમન રાઈટ્સનો પુરસ્કાર મળ્યો હતો.
ફિલ્મને દિલ્હીમાં આઠમા ફિલ્મ મહોત્સવમાં રજૂ કરવામાં આવી હતી. એ ઉપરાંત, તેને અમેરિકા, કેનેડા, ફ્રાંસ, જર્મની, હોલેન્ડ, ચેકોસ્લોવાકિયા અને ઇંગ્લેન્ડમાં પણ વાહવાહી મળી હતી. ‘ભવની ભવાઈ’ને પાછળથી ‘અંધેર નગરી’ નામે હિન્દીમાં ‘ડબ’ કરવામાં આવી હતી.
વિધાર્થી ચેટરજી નામના ફિલ્મ વિવેચકે આ ફિલ્મ જોયા પછી લખ્યું હતું, “ભવની ભવાઈ બનાવ્યા પછી કેતન મહેતા નિવૃત્ત થઇ ગયા હોત તો પણ એક અગ્રણી નિર્દેશક તરીકે તેઓ લાંબો સમય યાદ રહ્યા હોત, તેવી આ ફિલ્મમાં તેમની તાકાત અને પ્રતિભા હતી.”
ફિલ્મનું સ્વરૂપ વાર્તા સ્વરૂપે હતું. હરિજનોની એક ટોળી શહેરમાં સ્થળાંતર કરી રહી છે એને એક રાતવાસો દરમિયાન, એક વૃદ્ધ (ઓમ પૂરી) હરિજન રાજા ચક્રસેન(નસીરુદ્દીન શાહ)ની વાર્તા કહે છે. તેની બે રાણી છે. તેમાંથી નાની રાણી (સુહાસિની મૂલે) તેના પ્રેમી અને મંત્રી (બેન્જામિન ગિલાની) સાથે મળીને મોટી રાણીના નવજાત પુત્રને મારી નાખવાનું ષડ્યંત્ર કરે છે, પણ જે સિપાહીને આ કામ સોંપાયું હતું તેને દયા આવે છે અને રાજકુમારને લાકડાની પેટીમાં મૂકીને નદીમાં તારી દે છે.
આ પેટી માલા ભગત નામના હરિજનના હાથમાં આવે છે. તે અને તેની પત્ની ધોળી (દીના પાઠક) બાળકને ‘જીવા’ (મોહન ગોખલે) નામથી મોટો કરે છે. બીજી બાજુ, વારસદાર માટે રાજ જ્યોતિષના કહેવાથી રાજા પાણીની વાવ બનાવે છે, પણ તેમાં પાણી નથી આવતું. રાજ જ્યોતિષને ખબર પડી ગઈ હોય છે કે જીવો રાજકુમાર છે, એટલે તે રાજાને કહે છે કે બત્રીસ લક્ષણા પુત્રનો બલી ચઢાવશો તો વાવમાં પાણી આવશે.
આખા રાજ્યમાં એવો પુત્ર તો માત્ર જીવો જ છે. જીવાની ખોજ શરૂ થાય છે. જીવો જીવ બચાવવા માટે વણઝારા કોમની તેની પ્રેમિકા ઉજમ (સ્મિતા પાટિલ) સાથે ભાગી છૂટે છે. નાસતો-ફરતો જીવો રાજા પાસે શરતી સમર્પણની યોજના મૂકે છે; રાજા જો રાજ્યમાંથી અસ્પૃશ્યતા દૂર કરે તો તે આત્મ સમર્પણ કરશે, અને નહીં તો આત્મહત્યા કરી લેશે. રાજા તેની વાત માને છે, પરંતુ સમર્પણ કરનાર જીવો બલિદાનના દિવસે જ જેલમાંથી નાસી છૂટે છે. જો કે અણીની પળે રાજાને જાણ થાય છે જે જીવો તેનો જ રાજકુમાર છે એટલે બલિ અટકાવી દે છે. એ જ સમયે વાવમાંથી પાણી નીકળે છે.
કેતન મહેતાએ પ્રયોગ કરીને ફિલ્મના બે અંત રાખ્યા હતા અને દર્શકો પર એ છોડ્યું હતું કે તેઓ કયો અંત પસંદ કરે છે. બલિ અટકાવી દેવાના નિર્ણય સાથે માલા ભગત વાર્તા પૂરી કરે છે ત્યારે બીજો એક હરિજન ત્યાં આવીને કહે છે કે ભગત ‘સુખદ અંત’ સંભળાવીને લોકોને ભ્રમિત કરે છે. તે કહે છે કે અસલમાં તો જીવાનો બલિ ચઢે છે અને છતાં પાણી નથી આવતું. પુત્રનું મૃત્યુ સહન ન થતાં માતા ધૂળી મૃત્યુ પામે છે. પુત્ર અને પત્ની બંનેને ગુમાવનાર માલો ભગત રાજાને શ્રાપ આપીને એ જ વાવમાં આત્મહત્યા કરે છે. માલાનું મૃત્યુ થતાં વાવમાં પાણી આવે છે.
કેતન મહેતાની ફિલ્મથી ધીરુબબહેનને ગુજરાત બહાર ખ્યાતિ મળી તે સાચું પણ જેમ ઘણી બધી સર્જનાત્મક જુગલબંધીમાં બને છે તેમ, ‘ભવની ભવાઈ’ના નિર્માણ પછી ધીરુબહેનને આનંદની સાથે આધાત પણ મળ્યો હતો. 2019માં, બી.બી.સી.નાં અસ્મિતા દવે સાથે મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે એક લેખકના હક્ક માટે લડાઈ પણ કરવી પડી હતી.
તેમની વાત પરથી એવું લાગે છે કે ધીરુબહેને આ ફિલ્મ માટે વાર્તા લખી હતી, પણ તેમાં તેમને ક્રેડિટ આપવામાં આવી નહોતી. બંને વચ્ચે શું નક્કી થયું હતું તે ખબર નથી, પરંતુ ફિલ્મમાં ધીરુબહેનનું નામ સંવાદ લેખક અને ગીતકાર તરીકે છે, જયારે સ્ક્રિપ્ટમાં કેતન મહેતાનું નામ છે. આ સ્ક્રિપ્ટ પુસ્તક રૂપે પ્રગટ થઇ હોવી જોઈએ અને તેમાં પણ ધીરુબહેનનું નામ નહોતું તેવું નીચેની વાત પરથી લાગે છે.
‘ભવની ભવાઈ’ પુસ્તકની પ્રસ્તાવનામાં ધીરુબહેન લખે છે;
“મને નહોતી ખબર આ લેખકના ‘ભવની ભવાઈ’ થવાની છે. 22-10-87ના રોજ સવારે મિત્ર ડૉ. સુરેશ દલાલના ફોનની ઘંટડી રણકી. એમણે સીધી વાત કરી, ધીરુબહેન, સ્ટ્રેન્ડબુક સ્ટોરમાં તમારું પુસ્તક જોયું, પણ ખૂબીની વાત એ છે કે ક્યાં ય તમારું નામ ન જડ્યું … મને અત્યંત આશ્ચર્ય થયું … ફિલ્મ -કેતન મહેતા, સ્ક્રિપ્ટનું પુનર્નિર્માણ અને અનુવાદ – શંપા બેનરજી. 23 નવેમ્બર 87ના રોજ કેતન મહેતા મળવા આવ્યા. કહ્યું કે, હું દિલગીર છું, રૉયલ્ટી પણ તમે લઈ લો અને લેખક તરીકે પણ તમારું નામ મુકાવી દઉં … પંદર દિવસમાં કાગળ તો તૈયાર થઈને આવ્યો પણ રૉયલ્ટી અને કૉપીરાઈટની વાત અંતરથી ગુલ. આવા કાગળનો શો અર્થ? … ગુજરાતી લેખકોની આંખ ઉઘાડવા અને કૉપીરાઇટ બાબતે સજાગ કરવા માટે આ પુસ્તક પ્રકાશિત કરું છું. આ અન્યાય સામેનો મારો મારી રીતનો પ્રતિકાર છે.”
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 22 માર્ચ 2023)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર