રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે દશેરાને દિવસે નાગપુરમાં આપેલા ભાષણમાં સવાલ કર્યો હતો કે દેશમાં મજબૂત સરકાર હોવા છતાં મણિપુરની આગ કેમ નથી બુઝાતી? આજે છ મહિના થઈ ગયા પણ મણિપુરની સ્થિતિ થાળે નથી પડતી. તેમણે માત્ર ઈશારો નહોતો કર્યો, પણ ફોડ પાડીને કહ્યું હતું કે આમાં વિદેશી હાથ છે. સરહદની પારના ત્રાસવાદી જૂથો ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે.
પહેલી વાત તો એ કે મોહન ભાગવતે પ્રશ્નનો જવાબ આપવાની જગ્યાએ પ્રશ્નો પેદા કર્યા છે. જે પ્રશ્ન તેમણે પૂછ્યો છે એ તો આખું જગત પૂછી રહ્યું છે અને નરેન્દ્ર મોદીની સરકાર પાસે જવાબ માગી રહ્યા છે. આ લખનારે છ મહિનામાં અનેકવાર આ પ્રશ્ન પૂછ્યો છે અને ચેતવણી આપી છે કે મણિપુર સરહદી રાજ્ય છે, ભારતની અસ્થિરતામાં ચીનને રસ છે એ જોતાં સરકારે મણિપુરનો પ્રશ્ન પ્રાથમિકતાના ધોરણે હાથ ધરવો જોઈએ. બીજાની કયાં વાત કરીએ સંઘપરિવાર જેનાં શબ્દોને વેદવાક્ય માને છે એ લશ્કરનાં સર્વોચ્ચ નિવૃત્તિ અધિકારીઓએ સામૂહિક નિવેદન બહાર પાડીને ચેતવણી આપી છે અને એમાં ભારતનાં નિવૃત્ત લશ્કરી વડા જનરલ વેદ પ્રકાશ મલિકનો પણ સમાવેશ થાય છે. અને છતાં ય આપણે જાણીએ છીએ કે વડા પ્રધાને એક વાર પણ મણિપુરની મુલાકાત લીધી નથી અને ત્રીસ સેકન્ડથી વઘારે બોલ્યા નથી.
તો પછી આપણે મોહન ભાગવતને પ્રશ્ન પૂછવો જોઈએ કે કોણે ગંભીર થવાની જરૂર છે? ભારત સરકારે કે ભારતની જનતાએ? તેમની ચેતવણી કે સલાહ કોના માટે છે, જનતા માટે કે સરકાર માટે? સરકાર તો તેમની પોતાની છે. શું છ મહિના દરમિયાન એકેય વાર તેમણે તેમની સરકારને સલાહ કે ચેતવણી આપી નહોતી કે પછી સરકાર સાંભળતી નથી? બન્ને સ્થિતિ ગંભીર છે. મોહન ભાગવતે પ્રશ્ન પૂછવા કરતાં પ્રશ્નનો ઉત્તર આપવો જોઈએ.
બીજો પ્રશ્ન. શું મજબૂત સરકારની મજબૂતી ઓછી પડે છે? કે પછી એ આપણે ધારીએ છીએ એટલી મજબૂત નથી. અથવા એવું તો નથી કે વધારે પડતી મજબૂતી મણિપુરનું કારણ છે? આપણને તો ૨૦૧૪માં અને ૨૦૧૯માં કહેવામાં આવ્યું હતું કે ભારત સાથે દુ:શ્મની ધરાવતા પાડોશીઓ સાથે લળી લળીને વાતો કરનારા અને તેમની સાથે બિરયાની ખાનારા શાસકોના હાથમાં દેશ સુરક્ષિત નથી. દેશને તો એવા શાસકોની જરૂર છે જે દુ:શ્મન સાથે આંખમાં આંખ પરોવીને વાત કરે. પ્રજાએ ભરોસો મૂક્યો અને નરેન્દ્ર મોદીને જોઇતી હતી એવી મજબૂતી આપી. પણ પરિણામ આપણી સામે છે. ૫૬ ઇંચની છાતી ધરાવનારા વડા પ્રધાન ચીનનો ચ બોલતા નથી અને મણિપુરનો મ બોલતા નથી. ચીન ભારતની ભૂમિ કબજે કરીને ચાર વરસથી બેઠું છે એ આખી દુનિયા જાણે છે, પણ વડા પ્રધાન મૌન છે.
તો પછી સમસ્યા શું છે? મજબૂતી ઓછી પડે છે કે પછી સરકાર ધારીએ છીએ એટલી મજબૂત નથી કે પછી વધારે પડતી મજબૂતી પોતે એક સમસ્યા છે? મોહન ભાગવતે આ પ્રશ્ન પૂછવો જોઈતો હતો અથવા આપણે આ પ્રશ્ન મોહન ભાગવતને પૂછવો જોઈએ.
આ સવાલનો સાચો જવાબ એ છે કે પ્રજાએ મજબૂતી આપવામાં કોઈ ઉણપ નથી રાખી, પણ એ છતાં ય સરકાર ધારીએ છીએ એટલી મજબૂત નથી. ચીને, નેપાલે (તેનાં નકશા બદલીને અને ભારતની ભૂમિ પોતાની બતાવીને), ભૂતાને (ભારતને બાજુએ રાખીને ચીન સાથે સીધી વાટાઘાટો કરીને), શ્રીલંકાએ (ભારતને વિશ્વાસમાં પણ લીધા વિના ચીનને પોતાનું બંદર આપીને) અને પાકિસ્તાને ભારતની કોઈ તમા રાખી નથી. કેન્દ્રમાં યુ.પી.એ.ની નબળી સરકાર હતી એ વખતે પાડોશી દેશો સાથે સંબંધો સારા હતા. કમ સે કમ સંવાદ હતો. અત્યારે તો સંવાદનો શૂન્યાવકાશ છે.
આનો બીજો સાચો જવાબ એ છે કે કેન્દ્ર સરકાર મજબૂતીનો અર્થ કેવળ ચૂંટણીકીય રાજકીય મજબૂતી કરે છે, શાસકીય મજબૂતી નથી. મણિપુરની સળગતી સમસ્યાને ઉકેલવામાં સરકારને રસ નથી, કારણ કે મણિપુરમાં મેદાનમાં વસતા અને હિન્દુ વૈષ્ણવ સંપ્રદાયને પાળતા મૈતીઓને સરકાર મદદ કરે છે. પહાડો પર વસતી અને ખ્રિસ્તી ધર્મ પાળતી કૂકી અને બીજી આદિવાસી જનજાતિઓને સતાવવામાં આવે અને તેમ જ તેમને ત્યાંથી ખદેડીને પહાડો પરની જમીન પર કબજો કરવામાં આવે એવી મૈતીઓની યોજનાને સરકાર મદદ કરે છે. ટૂંકમાં કેન્દ્ર સરકાર મણિપુરમાં કોમવાદી નીતિ અપનાવી રહી છે અને માટે મણિપુરની આગ ઠારવામાં નથી આવતી, એ શું મોહન ભાગવત નથી જાણતા? તેમના પોતાનાં સ્વયંસેકો મણિપુરમાં શું કરી રહ્યા છે એની તેમને જાણ નથી?
તો આનો અર્થ એ થયો કે કાં તો સરકાર રાજકીય રીતે નિર્બળ હોવી જોઈએ કે જેથી તે બધાને સાથે લઈને ચાલે. સમસ્યાને વકરવા ન દે. થાય એ કરી લો એવું ગુમાન ન રાખે અને જનમાનસને સાંભળે. અથવા શાસકીય રીતે મજબૂત હોય જેની પ્રાથમિકતા શાસકીય હોય ચૂંટણીકીય રાજકીય ન હોય. શાસનનાં કેન્દ્રમાં દેશ હોય; પક્ષ, પક્ષીય વિચારધારા, ચૂંટણી અને સત્તા કેન્દ્રમાં ન હોય. મોહન ભાગવત આ સાદી વાત નથી જાણતા? ખ્રિસ્તી કૂકીઓ અને બીજાઓને પોતાનાં ગણો અને પછી જુઓ હૃદય અને દૃષ્ટિ બન્ને વિશાળ થઇ જશે.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 ઑક્ટોબર 2023