મહાભારતના કથાવસ્તુથી પરિચિત દરેક વ્યક્તિને ભગવદ્ ગીતા વાંચતી વખતે એક પ્રશ્ન અચૂક થતો હશે કે મહાભારતમાં ગીતા જેવી છે એવી શા માટે? મહાભારતમાં જે કથા અને ઉપકથાઓ છે એમાં ચિક્કાર રાજકારણ છે. ઉર્દૂ શાયર નિદા ફાઝલી કહે છે એમ મહાભારતના એક એક પાત્રની અંદર હજાર માણસ વસતા હોય છે. માણસના દિમાગની સંકુલતા તાગ ન મળે એવી છે. મહાભારતની મુખ્ય કથા ઉપ-કથાઓના સહારે ચાલે છે અને ઉપ-કથાના મુખ્ય કથા સાથે છેડા મળતા રહે છે. કમાલની ગૂંથણી છે અને એટલે તો મહાભારત નામનું મહાકાવ્ય વિશ્વસાહિત્યમાં સર્વોચ્ચ સ્થાને છે.
પાંડવોએ, પરિવારના વડીલોએ અને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ નિવારવા માટેના દરેક પ્રયત્નો કરી જોયા, પણ એ ટળતું નથી. કૌરવોની નાગાઈ એવી હતી કે ત્યાં વિવેક માટે કોઈ જગ્યા જ નહોતી બચી. આ બાજુ અન્યાય સહન કરવાની પણ એક હદ આવી ગઈ હતી. આમ યુદ્ધ અટલ હતું તો કરવાનું હતું અને એવા ઈરાદા સાથે તો પાંડવો રણમેદાનમાં ઉતર્યા હતા. એની વચ્ચે અર્જુન થોડો વિષાદગ્રસ્ત થઈ જાય છે તો ભગવાન અર્જુનને ટપારી શક્યા હોત કે, ‘ગાંડો થા’મા. ખબર નથી એ લોકો કેવા છે અને તમારી ઉપર શું વીત્યું છે? જેને તું પૂજનીય કહે છે તેમની સામે ધર્મ જાળવવાનો કસોટીનો પ્રસંગ આવ્યો ત્યારે તેઓ પાણીમાં બેસી ગયા હતા.’ કથાપ્રવાહ મુજબ અર્જુનના સારથિ કૃષ્ણે અર્જુનનો કાન આમળ્યો હોત, જૂના ઘા તાજા કર્યા હોત અને સાન ઠેકાણે લાવી હોત તો ચાલી જાત. એની જગ્યાએ આખી ભગવદ્ ગીતા ગાઈ સંભળાવવાની શી જરૂર પડી?
ના, ભગવદ્ ગીતા મહાભારતમાં પ્રક્ષેપણ એટલે કે પાછળથી કોઈએ ઉમેરણ કર્યું હોય એમ નથી લાગતું. ભગવદ્ ગીતા કૃષ્ણના મોઢે મહાભારતના રચયિતા વ્યાસે સંભળાવી છે અને તેની પાછળ હેતુ છે. ગીતા વ્યાસની જરૂરિયાત છે. મહાભારતમાં વ્યાસ ધર્મ અને અધર્મ (સ્વભાવ અથવા ફરજના અર્થમાં) સાથે કામ પાડે છે અને સોનીના ત્રાજવાની જેમ નાનકડો એક ગ્રામ જેટલો પણ અધર્મ કઈ રીતે ફળ આપ્યા વિના રહેતો નથી એ બતાવવાનું વ્યાસ ચુકતા નથી. કથા અને ઉપ-કથાઓમાં ધર્મ-અધર્મનું આટલું ઝીણું વણાટકામ કર્યા પછી પણ વ્યાસને શંકા થઈ હોવી જોઈએ કે વાચક આખું મહાભારત વાંચી લીધા પછી પણ ધર્મ-અધર્મ વચ્ચે વિવેક કરી શકશે ખરો? વાસનાઓ અને પૂર્વગ્રહોથી મુક્ત થવું બહુ અઘરું છે. તેમણે પોતે જ માણસની વિવેક કરવાની અ-ક્ષમતા વિષે કહ્યું છે: ऊर्ध्वबाहु र्विरौम्यैष न च कश्चित् शृणोति मे । અર્થાત્ હાથ ઊંચા કરી કરીને કહું છું, પણ મારું કોઈ સાંભળતું નથી. ગાંધીજી પણ તેમની જિંદગીનાં છેલ્લાં બે વરસમાં આમ જ કહેતા હતા : ‘મારું કોઈ સાંભળતું નથી.’ વ્યાસ અને ગાંધીજીની એક સરખી નિસબત હતી; વિવેક. જ્યારે આસક્તિ અને દ્વેષના પડળો આંખ પર ચડી જાય છે ત્યારે વિવેકનો ખો નીકળે છે. એટલે તો ગાંધીજીએ તેમના ગીતા પરના ભાષ્યને ‘અનાસક્તિ યોગ’ કહ્યું છે.
તો વ્યાસને એમ થયું હોવું જોઈએ કે માણસ આખરે માણસ છે એટલે તેને આખી માહાભરતની કથા વાંચ્યા પછી પણ જે પલ્લે પડવું જોઈએ તે પડશે કે કેમ એની ખાતરી નથી. એટલે કદાચ તેમણે રણમેદાનની વચ્ચે વિષાદગ્રસ્ત થયેલા અર્જુનને નિમિત્ત બનાવીને ધર્મ-અધર્મનું માનવીય તત્ત્વજ્ઞાન કહી દેવાની જરૂરિયાત અનુભવી હશે. આટલી ભૂમિકા દ્વારા એટલું તો સમજાઈ ગયું હશે કે મહાભારતના રચયિતા વ્યાસને અથવા ગીતાને પરલોક સાથે સંબંધ નથી, આલોક સાથે સબંધ છે. ગીતા એ મુમુક્ષુઓ માટેનો ગ્રંથ નથી, સત્યનો રાહ શોધનારા ધર્માર્થીઓ માટેનો ગ્રંથ છે અથવા એમ કહી શકાય કે માનવીમાંથી માણસ ઘડવા માટેનો ગ્રંથ છે.
અહીં એક સરખામણી કરવાની લાલચ હું રોકી શકતો નથી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી તેમની વિખ્યાત નવલકથા ‘સરસ્વતીચંદ્ર’માં કથાના પ્રવાહમાં વેદાંતને વણીને વેદાંતનું દર્શન લોકસુલભ કરી આપવા માગતા હતા. તેમણે ‘સરસ્વતીચંદ્ર’ની પ્રસ્તાવનામાં કહ્યું છે કે તેઓ મૂળમાં વેદાંત પર પુસ્તક લખવા માગતા હતા, પરંતુ પછી થયું કે જો તેને વાર્તામાં વણીને કહેવામાં આવશે તો વધારે સહેલાઈથી લોકો સુધી પહોંચાડી શકાશે. જેમણે ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ખંડ વાંચ્યા હશે તેમને અનુભવ થયો હશે કે ત્રીજા અને ચોથા ખંડમાં વેદાંતના ભાર હેઠળ વાર્તા મરી જાય છે. મહાભારતમાં આવું બનતું નથી એનું એક કારણ વ્યાસનું સર્જન-સામર્થ્ય તો છે જ પણ બીજું એના કરતાં વધારે મોટું કારણ તેઓ માણસની સંકુલતાને અને માનવીય વહેવારોની જટિલતાને વેદાંતની જગ્યાએ ધર્મને ત્રાજવે તોળે છે.
મનુભાઈ પંચોળીએ એક વાર નાનાભાઈ ભટ્ટને પૂછ્યું હતું કે કૃષ્ણ થયા જ ન હોત અને એ માત્ર વ્યાસ ભગવાનની કવિકલ્પના જ હોય તો ગીતાનો મહિમા કેટલો? નાનાભાઈએ કહ્યું હતું કે ‘ભગવાને અર્જુનના રથ પર સારથિ રૂપે બેસીને આ ગીતા ગાઈ હોય કે ન હોય, હું તો મારા જીવન-રથના સારથિ તરીકે શ્રી કૃષ્ણ મને ગીતા સંભળાવતા હોય તેવું ગીતામાંથી પામું છું. પછી મને એ ગીતા ક્યાં અને ક્યારે કહેવાઈ, કોણે કોને કહી તે પ્રશ્ન જ રહેતો નથી.’
ગાંધીજીએ પણ કહ્યું હતું કે જ્યારે હું નિર્ણય લેવામાં મૂંઝવણ અનુભવું છું ત્યારે ગીતાને શરણે જઉં છું. હું એમ કહેવાની હિંમત કરું છું કે ગીતા કહેવાઈ એ પછીથી આજ સુધી જે જે લોકોએ પૂરી નિષ્ઠાથી ગીતાને જીવવાનો પ્રયાસ કર્યો છે એમાં ગાંધીજી પહેલા ક્રમે આવે.
09 મે 2019
સૌજન્ય : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 મે 2019