"સૌથી સુંદર લોકો એ છે જેમણે શિકસ્ત જોઈ છે, જેમણે પીડા જોઈ છે, જેમણે સંઘર્ષ જોયો છે, જેમણે આચકો ખાધો છે અને જેમણે એ તળિયામાંથી એમનો રસ્તો શોધ્યો છે. આવા લોકોમાં કદર, સંવેદનશીલતા અને જીવનની સમજ હોય છે, જે તેમને કરુણા, ભલમનસાઈ અને ગહેરી પ્રેમાળ સહાનુભુતિથી છલોછલ ભરી દે છે. સુંદર લોકો એમ જ નથી બનતા."
— એલિઝાબેથ કુબલર-રોસ,
[ડેથ: ધ ફાઈનલ સ્ટેજ ઓફ ગ્રોથ’]
કાંતિભાઈ છદ્મ હતા. ગાયબ થઇ ગયેલા હતા. કેવી રીતે?
હું કાંતિ ભટ્ટને સિદ્ધાર્થ શાહ તરીકે ઓળખું છું, અથવા ઓળખતો હતો. કાંતિ ભટ્ટને અલગ-અલગ નામે લખવાનો શોખ હતો. શોખ કહો કે અખબારો-સામયિકોની અંદરોઅંદરની હરીફાઈ સામેની ગોઠવણ કહો, કાંતિભાઈને છદ્મ નામો એવાં ફાવી ગયેલાં કે તે નિત નવાં નામો શોધી કાઢતા અને ખુદ એ નામોમાં માનતા થઇ ગયેલા. અમુક નામો તો મને યાદ છે: પ્રેમસ્વરૂપ ભટ્ટાચાર્ય, પ્રિયકાન્ત ભાટિયા, ચંદ્રગુપ્ત મૌર્ય અને નીલેશ કંપાણી. એમાં બે 'સ્ત્રી' કાંતિ ભટ્ટ પણ હતા: મયૂરી શાહ અને પૌલોમી.
મુંબઈમાં 'ગુજરાત સમાચાર'માં કાંતિભાઈ 'આસપાસ' નામની રોજ કોલમ લખતા, એમાં સિદ્ધાર્થ શાહનું નામ આવે. આ ૧૯૯૦ની આસપાસની વાત છે. રોજબરોજની ઘટનાઓ પર, સમાચાર પત્રમાં રોજ કોલમ લખવાની શરૂઆત કાંતિભાઈએ 'આસપાસ'માં કરેલી. જેને સક્રિય પત્રકારત્વ કહે છે અથવા ફિલ્ડ રિપોર્ટીંગ કહે છે, તેમાંથી કાંતિભાઈ 'નવરા' પડ્યા અને કોલમ લખવામાં પરોવાયા, તેમાં આ 'આસપાસ' કોલમનો બહુ મોટો ફાળો.
'ચિત્રલેખા'માં ત્યારે તે કાંતિ ભટ્ટના નામે લખતા અને 'ગુજરાત સમાચાર'માં સિદ્ધાર્થ શાહના નામે. સાતે સાત દિવસ કોલમ આવે. દેશ-દુનિયાના દિવસના સૌથી મોટા સમાચાર હોય, કાંતિભાઈ એમાં પુરક માહિતીઓ ઉમેરીને સાંજે 'આસપાસ' લખે. વાચકોને એ જ દિવસના છાપામાં, એ જ સમાચારનું, તાબડતોબ વધારાનું વાંચન મળતું. પાછળથી આ 'આસપાસ' કોલમ એટલી લોકપ્રિય થઇ કે સિદ્ધાર્થ શાહને પદભ્રષ્ટ કરીને કાંતિ ભટ્ટ એમાં આવી ગયા!
જે નવોદિત પત્રકારો કે લેખકો, પ્રસિદ્ધિના અર્થમાં અને કોપીરાઇટના અર્થમાં, પોતાના નામનો મોહ રાખે છે, તેમને આમાંથી શીખવા જેવું એ છે કે તમે શું લખો છો તે અગત્યનું છે, કોણ લખે છે, તે નહીં. આ સમજવા જેવું છે. લખાણ લેખકથી ઓળખાવું ના જોઈએ, લેખક લખાણથી ઓળખાવો જોઈએ. મોટાભાગના કિસ્સાઓમાં થાય છે ઊંધું. લેખકો પોતાના પ્રેમમાં એટલા પડી જાય છે કે નીચે પોતાની સહી કરીને લખાણને મહાન બનાવવા પ્રયાસ કરે છે.
વાચકો એટલા બબુચક છે નહીં, જેટલા આપણે ધારીએ છીએ. લેખક પ્રસિદ્ધ છે, તેનો મતલબ એ નથી કે એ જે ગાંડુંઘેલું લખે, તે બધું લોકો પસંદ કરે છે. જે દિવસે લેખક એના લખાણ કરતાં મોટો થઇ જાય, ત્યારે એનું લખાણ નાનું થઇ જાય. કાંતિ ભાઈછેક સુધી એમના નામને બદલે એમના લખાણને વફાદાર રહ્યાં. એમને નામનો નહીં, લખાણનો મોહ હતો!
ગુજરાતીમાં આવા અનેક મહાન લેખકો અને પત્રકારો છે, જે તેમના લખાણોના કારણે નાના થઇ ગયેલા છે!
કાંતિ ભટ્ટે લખાણને કાયમ પહેલા નંબરે રાખ્યું. લખનાર કાંતિ ભટ્ટ હોય કે સિદ્ધાર્થ શાહ, શું ફરક પડે છે? તેમના અવસાનના ચાર દિવસ પહેલાં, તેમના ૮૮મા જન્મદિવસની ઉજવણી અને તેમના સન્માનનો એક કાર્યક્રમ ગોઠવાયેલો, તેમાં કાંતિભાઈએ પત્રકારત્વની બહુ સાદી (હવે જે દુર્લભ છે) વાત કરી હતી, "લોકોને માહિતી આપો, તમારા વિચાર નહીં." કાંતિભાઈ સમાચારના, માહિતીના પત્રકાર હતા. આજે પત્રકારો માહિતી નહીં અભિપ્રાય આપે છે, અને એટલે નીચે 'લખનાર હું પોતે' એવી સહી કરે છે. પત્રકાર પોસ્ટમેન જેવો હોય છે. તે ટપાલ પહોંચાડે. ટપાલ શું છે, તે અગત્યનું છે, ટપાલી કોણ છે, તે નહીં. એટલા માટે જ કાંતિ ભટ્ટ એમના લેખ નીચે કોઈ પણ નામ લખી દેતા હતા.
ઉપર લખ્યું તેમ, કાંતિભાઈને છદ્મ નામો ફાવી ગયેલાં. એનું કારણ વ્યવસાયીક મજબૂરી તો હશે જ, હું એને એમની એક આંતરિક મજબૂરીમાં જોઉં છું.
કાંતિ ભટ્ટને કાંતિ ભટ્ટ સામે સમસ્યા હતી. એક રોષ હતો, એક ક્રોધ હતો. એ કાંતિ ભટ્ટને બદલવા માંગતા હતા. તેમનું બચપણ અને યુવાની કંકાસવાળા ઘરમાં પસાર થઇ હતી. તેમના પિતા અત્યંત ક્રોધિત વ્યક્તિ હતા. "પત્રકાર તરીકે નહીં પણ કાંતિલાલ હરગોવિંદ ભટ્ટ તરીકે પણ મેં એકે ય સારી દિવાળી જોઇ નથી. અમુક દ્રષ્ટિએ મારું આખું કુટુંબ શાપિત કુટુંબ હોય તેવું લાગે છે. માત્ર હું પત્રકાર બન્યો અને કાંતિ ભટ્ટ તરીકે લોકો જાણે છે એ એક નાનકડું આશ્વાસન છે, પણ અંગત રીતે મને એ આશ્વાસન ગમતું નથી," એવું કાંતિભાઈએ લખેલું છે.
કાંતિભાઈ તેમના અંગત જીવનમાં અત્યંત ક્રોધિત વ્યક્તિ હતા, એવું કહું તો એમાં નકારાત્મકતાના ભાવ કરતાં, તેમને સમભાવથી જોવાનો પ્રયાસ વધુ છે. કદાચ એ વારસામાં હતું. કદાચ એ જીનેટિક હતું. કાંતિભાઈના એ ક્રોધને બેચેની કે રેસ્ટલેસનેસનું નામ આપી શકાય. આ રેસ્ટલેસનેસ જ એમનો સમુદ્રી કંપાસ બની ગયો અને એમને ગુજરાતી પત્રકારત્વના છેલ્લા મહાન પત્રકારોમાંથી એક બનાવી ગયો. એ ગમે તે નામે લખવા તૈયાર હતા, કારણ કે અંદર જે બેચેની, ક્રોધ અને ફરિયાદ હતી, તે તેમણે લખવા-વાંચવામાં ડુબાડી દીધી હતી. મેં એકવાર એમને સૂચન કરેલું (જયારે એ લખવામાં થોડા પેન-છુટ્ટા થઇ ગયેલા ત્યારે) કે જથ્થાબંધ લખવાની ઓછું કરીને અઠવાડિયે એક મસ્ત લેખ લખોને!
આમતેમ ઉડાઉ જવાબ આપીને મને એમણે કહેલું, "લખીશ નહીં, તો મરી જઈશ." આ સાચું છે. લોકો રાતે ઊંઘ ના આવે તો અલ્પ્રાઝોલમની ગોળીઓ ખાય કે દારૂનો પેગ બનાવે. કાંતિભાઈ લખવા બેસે. મને કહેલું, "રાતે બે વાગે ઊઠીને લખવા બેસી જાઉં છું."
આ બધું વાંચવામાં કે સાંભળવામાં બહુ રોમેન્ટિક લાગે, પણ આ ઘવાયેલા આત્માનાં તરફડિયાં છે, જેને અંગ્રેજીમાં રેસ્ટલેસનેસ એટલે કે બેચેની કહે છે. રેસ્ટલેસનેસ એટલે વ્યાવસયિક અને અંગત જિંદગી પ્રત્યે એક પ્રકારનો અભાવ. "બસ આ જ? બસ આટલું જ?" એ રેસ્ટલેસનેસનો પાયાનો પ્રશ્ન. બહારથી જીવન ભર્યુંભાદર્યું લાગતું હોય, પણ અંદરથી અસંતોષ હોય. તમે વ્યસ્ત હો અને સફળ હો, પણ અંદર ખાલીપણાનો અહેસાસ હોય. આ બેચેની, આ સતહીપણું, આ અવસાદ અને આ ખીજ તમે તમારા બોસ, તમારા દોસ્તો કે તમારા પરિવાર પર ઠાલવી ના શકો. તમને આવા ભાવ કોરી ખાતા રહે કારણ કે જીવનમાં તમે જે વિકલ્પો પસંદ કર્યા છે, તે તમને જોડાવાને બદલે જાત સાથેથી ડિસ્કનેક્ટ કરે.
માણસની સર્જનાત્મકતા આ રેસ્ટલેસનેસમાંથી આવે છે. આપણા જીવનની જે શ્રેષ્ઠતમ ક્ષણો છે, તે ત્યારે આવે છે, જયારે તમે ગહેરાઈમાં અસુખ, અધુરપ અને અસંતોષનો અહેસાસ કરતા હો. તમે જ્યારે અસુવિધા અનુભવો, ત્યારે જ તમે ચીલામાંથી ખુદનો કાંઠલો ઝાલીને બહાર નીકળો અને અસલી જવાબો શોધવાના બીજા રસ્તા અપનાવો.
ઇંગ્લિશ કવિ વિલયમ વર્ડ્ઝવર્થે તેની કવિતા 'ધ રેઈનબો'માં એક યાદગાર લાઈન લખી છે કે 'બાળક એ માણસનો પિતા છે.' એક માણસની ૨૫-૩૫ વર્ષની વયે આંતરિક તંદુરસ્તી કેવી હશે, તેના ચાસ બાળપણમાં જ પડી જાય છે. સ્વીસ મનોવૈજ્ઞાનિક સિગ્મંડ ફ્રોઈડે પહેલીવાર તારણ કાઢ્યું હતું કે વયસ્ક વયે માણસનું માનસિક સ્વસ્થ્ય કેવું હશે, તે તેના બાળપણના અનુભવો પર આધાર રાખે છે.
કાંતિભાઈનો આ ચીલો બચપણમાં અંકિત થઇ ગયો હતો. એ ક્યાંક રેસ્ટલેસ હતા, ક્યાંક ડિસ્કનેક્ટ હતા.
પિતા હરગોવિંદ ભટ્ટ શિક્ષક અને કવિ હતા, પરંતુ કાંતિભાઈની માતા પ્રત્યે અતિ ક્રૂર હતા. કાંતિભાઈની માનસિકતા અહીંથી ઘડાઈ હતી. તેમણે લખ્યું છે કે, "હું મારા પિતાનો પ્રશંસક રહ્યો નથી. પિતા મારા પ્રત્યે ખૂબ પ્રેમાળ, ભોળા અને ઉદાર હતા, પણ મારી માતા પ્રત્યેની તેમની ક્રૂરતા એ મારું કમનસીબ હતું."
કાંતિભાઈ ઘરકામથી ત્રાસેલી માતા અને પિતાના ઝઘડાના સાક્ષી હતા. "બચપણમાં મેં માતા-પિતા વચ્ચેના કમેળને જોયો છે," કાંતિભાઈ લખે છે, "મારા હૃદયમાં એ કમેળ, ખટરાગ અને વિસંવાદના દાઝકા પડયાં છે. પત્રકાર નહોતો ત્યારે જવાનીમાં એ દાઝકાએ મને બળવાખોર બનાવ્યો હતો. મારી બળવાખોરીનું તમામ પરિણામ નાસીપાસીમાં આવ્યું."
એક તો ઘરનો આ માહોલ, એમાં ન ગમતાં પહેલાં લગ્ન અને ઉપરથી આંતરડાની બીમારી. આ ત્રણે બાબતો કાંતિભાઈને કઠતી હતી, અને એમને એમાંથી રસ્તો જોઈતો હતો. એ પત્રકાર ના બન્યા હોત, તો સાધુ થઇ ગયા હોત. આંતરડાની બીમારીથી ત્રાસીને એ ઉરૂલીકાંચનના ગાંધી આશ્રમમાં ઉપચાર માટે ગયા હતા. ત્યાંથી તેમણે હિમાલય જતા રહેવાનું નક્કી કર્યું હતું. ના જવાયું, અને મુંબઈ આવીને પત્રકાર બની ગયા. કાંતિભાઈ જો હિમાલય જતાં રહ્યા હોત અને પાછા આવ્યા હોત, તો તેમનું નામ કાંતિ ભટ્ટ ના હોત.
કાંતિભાઈ એમની પીડાના સમાધાન માટે હિમાલયમાં જઈને સાધુ ના થયા, તે સારું જ થયું. નહીં તો ગુજરાતને એક બહેતર પત્રકાર ના મળ્યો હોત. સાધુઓ નવાં નામ ધારણ કરતા હોય છે, એટલે જ કાંતિભાઈ બીજા નામે લખતા હશે!
કદાચ છદ્મ નામો રાખીને તેમને 'બીજા કોઈક' હોવાનો ક્ષણિક સંતોષ થતો હશે. લખવાનો અને વાંચવો જે શોખ હતો, તે મૂળભૂત રીતે રેસ્ટલેસનેસમાંથી અને ખુદને તલાશવામાંથી આવ્યો હતો. કાંતિ ભટ્ટ 'સિદ્ધાર્થ શાહ' કે 'ચંદ્રગુપ્ત મૌર્ય'ને વાંચે, તો કદાચ એમને પેલા રેસ્ટલેસ કાંતિભાઈના ખોળિયામાંથી બહાર નીકળીને બેઘડી બીજા કોઈ હોવાનો આનંદ આવતો હશે!
કાંતિભાઈએ ખુદને પુસ્તકો વચ્ચે ડુબાડી દીધા હતા. એ ખૂબ લખતા તો હતા, ખૂબ વાંચતા પણ હતા. આમ 'અ-સામાજિક' કહેવાય તેવા કાંતિભાઈને ખાવા-પીવા, હરવા-ફરવાનો શોખ ન હતો એટલે પુસ્તકો, સામયિકો અને સમાચારપત્રોમાં ખૂબ પૈસા વાપરતા. તેમને મળવા જનારા ચાહકો પાછા આવીને, કાંદિવલીમાં 'ક્ષિતિજ' બિલ્ડીંગના ૭માં માળે ફ્લેટમાં દરેક રૂમમાં પથરાયેલાં પુસ્તકોની અધધધ સંખ્યાનાં ગુણગાન ગાતા. કાંતિભાઈને ય મઝા આવતી. એ ચાહકોને પુસ્તકો જોવા બોલાવતા.
ગુજરાતી વાચકો ભલે કાંતિભાઈને માહિતીના પત્રકાર તરીકે જાણતા હોય, પણ મને લાગે છે કે પત્રકારત્વથી દૂર, એક માણસ કાંતિભાઈ તરીકે તેઓ તેમની ચિંતનની કોલમોમાં ખુદની બેચેનીનો રસ્તો શોધતા હતા. ગુજરાતીમાં ચિંતનનાં લખાણોના નામે બહુ મોટી છેતરપીંડી ચાલે છે, પણ કાંતિભાઈમાં એક અસલી અધ્યાત્મિક ખોજ હતી. મૂળે જે હિમાલયમાં પલાયનવાદનો આશરો લેવાની પેલી વર્ષો પહેલાં વૃત્તિ હતી, તેણે માહિતીના પત્રકારત્વમાંથી પોરો ખાધા બાદ, ચિંતનાત્મક લખાણોમાં માથું ઊંચક્યું હતું.
એ લગભગ તમામ વિષયો પર લખી શકતા હતા અને તે માટે તેમની પાસે તમામ પ્રકારનાં પુસ્તકો હતાં, પણ એમનો અંગત પ્રેમ અધ્યાત્મ અને મનોવિજ્ઞાનનાં પુસ્તકોમાં હતો. આમ પણ મનોવિજ્ઞાન અધ્યાત્મનું જ આગલું કદમ છે, જે માણસના વૈચારિક અને ભાવનાત્મક જીવનને સમજવાનો પ્રયાસ કરે છે. કાંતિભાઈને પોતના વિશેના અમુક સવાલોના જવાબ જોઈતા હતા અને એટલે એ પુસ્તકોમાં માથાં મારતા હતા. એવું કહી શકાય કે હિમાલયમાં જઈ ના શક્યા, એટલે ઘરમાં પુસ્તકોનો હિમાલય ખડકી દીધો. એ માત્ર લખવા માટે જ નહીં, પણ સમજવા માટે અને સમજણના માધ્યમથી ખુદને બદલવા પણ માંગતા હતા.
એ એમનો મોહ બની ગયું. એ પુસ્તકોમાં અટવાઈ ગયા. એક અનુભવ કહું.
વિચારક જે. કૃષ્ણમૂર્તિને મે વાંચેલા હતા અને મને એમના જીવનને સમજવામાં રસ પડ્યો હતો. મેં તે સમયે પુસ્તકો વાંચવાનાં બંધ કરી દીધાં હતા (આજે ય નથી વાંચતો). વ્યવસાયના ભાગ રૂપે ખપ હોય, તે વાંચું પણ 'ઉછીના જ્ઞાન'થી મહાન હોવાના ભ્રમમાંથી બહાર નીકળી ગયો હતો. પુસ્તકો વાંચેલા બૌદ્ધિકો અંગત જીવનની વાસ્તવિકતાઓથી દૂર થઇ જાય છે અને પોતે ય દુઃખી થાય છે અને આજુબાજુવાળાઓને પણ દુઃખી કરે છે, એવા એક હજાર કિસ્સાઓ મને ખબર છે. મેં સેક્સથી લઈને સુપરકોન્સિયસનેસ અને પીડાથી પરમેશ્વર સુધીનું બધું જ વાંચ્યું છે અને એનાથી મારી અંદર એક તસુનો ય ફરક પડ્યો નથી. હા, 'બહુ જાણું છું' એવો અહંકાર જરૂર ઉપલબ્ધ થયો છે! હું પુસ્તકો ખરીદતો નથી અને કોઈ લઇ જાય, તો પાછું માંગતો નથી!
હું માનતો થયો છું કે પુસ્તકો વાંચવાથી તમારી હોંશિયારીને અને આવડતને વધુ ધાર નીકળે અને તમે તમારા વ્યવસાયમાં બધું પ્રગતિ કરી શકો, પણ તમે જો એમ માનતા હો કે એનાથી તમે બહેતર ઇન્સાન બની જાવ છો કે તમારી અંદરની જે જંગલી વૃત્તિઓ ગાયબ થઇ જાય છે, તો એ ભ્રમ છે. પુસ્તકો વાંચવાથી માણસ જો સુધરી જતો હોત, તો આ પૃથ્વી બહુ પહેલાં સ્વર્ગ બની ગઈ હોત!
બહરહાલ, જે. કૃષ્ણમૂર્તિના આંતરિક પરિવર્તનને લઈને કોઈ શક નથી અને વીસમી સદીના ધુઆંધાર વિચારકોમાં એમનું સ્થાન છે. એમના વિશે મેં લગભગ બધું જ વાંચ્યું હતું. એક રહી ગયું હતું. એ વિવાદાસ્પદ હતું, એટલે મને રસ હતો, કારણ કે એ મને એમના આંતરિક જીવનની ઝાંખી કરાવતું હતું. કૃષ્ણમૂર્તિના અનુયાયી કે સાથીદાર હતા, રાજગોપાલાચાર્ય દેસીકાચાર્ય અને તેમની પત્ની રોઝાલિન્ડ રાજગોપાલાચાર્ય. ચાર દાયકા સુધી કૃષ્ણમૂર્તિ ફાઉન્ડેશનના કામ આ બંને પતિ-પત્નીએ કરેલું.
બંનેની દીકરી રાધા રાજગોપાલ સ્લોસે, આ ચાર દાયકાના જીવન પર એક પુસ્તક લખ્યું હતું; Lives in the Shadow with J. Krishnamurti. ૧૯૯૧માં આ પુસ્તક પ્રગટ થયેલું. એ પુસ્તકમાં રાધાએ જે. કૃષ્ણમૂર્તિને ખુબસુરત રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. પાછળથી જેનો બહુ વિવાદ થયો એવી એક વાત એમાં એ હતી કે રાધાએ તેમાં એની માતા રોઝાલિન્ડ અને કૃષ્ણમૂર્તિ વચ્ચેના અંતરંગ સંબંધને પણ અત્યંત સુંદર રીતે દુનિયા સામે મુક્યો હતો. છાપાંઓએ આને 'કૌભાંડ' તરીકે પેશ કરેલું. મને આ વિવાદની ખબર હતી, પણ પુસ્તકમાં વાસ્તવમાં કેવી રીતે શું લખેલું છે, તેની ખબર ન હતી, કારણ કે આ પુસ્તક (ભારતમાં) અપ્રાપ્ય હતું. હું એ પુસ્તક શોધતો હતો. મળતું ન હતું.
૨૦૧૦માં હું મુંબઈમાં હતો, ત્યારે કાંતિભાઈને મળવા દર અઠવાડિયે જતો. એમની સાથે સંબંધ તો ૧૯૯૨માં 'સિદ્ધાર્થ શાહ'ના સમયથી હતો, પણ તેમના ફ્લેટની ગેલેરીમાં બેસીને વાતો કરવાનું ૨૦૧૦ની આસપાસ વધ્યું હતું. એમના પુસ્તકાલયમાં મને રસ ન હતો, પણ કાંતિભાઈની ઉપર કોકનો ફોન આવે તો હું આમતેમ ડાફોળિયાં મારતો. એમાં એક દિવસ એમના પુસ્તકોની એક રેકમાં સૌથી તળિયેની લાઈનમાંથી 'કૃષ્ણમૂર્તિ' શબ્દ લખેલું પુસ્તક મે બહાર ખેંચ્યું. ધૂળ ચઢેલી હતી. ખંખેરી તો નામ વંચાયું; Lives in the Shadow with J. Krishnamurti.
સ્વાભાવિક રીતે જ, મને રોમાંચ થયો કે હાશ, હવે અસલી વાંચવા મળશે. મે કાંતિભાઈને કહ્યું કે આ મને મળતું ન હતું, હું લઇ જાવ છું, વાંચીને પાછું આપી દઈશ. કાંતિભાઈએ ના પાડી દીધી! એ બોલ્યા, અહીં બેસીને વાંચવું હોય, તો વાંચો, લોકો લઇ જાય છે પછી પાછું નથી આપતા. મે કહ્યું કે કાંતિભાઈ, લોકોની તો ખબર નથી, પણ હું પોતે પુસ્તકોના મોહમાંથી બહાર આવી ગયો છું અને ઘણાં વખતથી ખરીદતો ય થઇ, પણ આ પુસ્તકમાં મને એકેડમીક દિલચસ્પી જ છે, શેલ્ફમાં સજાવવામાં કોઈ રસ નથી. ના માન્યા. મેં આમતેમ થોડાં પાનાં ઉથલાવીને, હતું ત્યાં પાછું મૂકી દીધું.
મને ત્યારે વિચાર આવેલો કે કાંતિભાઈ મૃત પુસ્તકોનાં, ઉછીના, સેકંડ-હેન્ડ વિચારોના મોહમાંથી બહાર આવી ગયા હોત, તો ચિંતનના નામે ઘણું મૌલિક આપી શક્યા હોત, પરંતુ માહિતીના લખાણોની જેમ જ, ચિંતનમાં પણ તે પુસ્તકોમાંથી રીસાઇકલ કરતાં રહ્યા. તેમાં કાંતિભાઈનું ખુદનું, જાત અનુભવનું ચિંતન ના આવી શક્યું. મેં એકવાર એમને 'આત્મકથા' લખવાનું કહેલું. મને કહે, છાપામાં લખવાની ડેડલાઈન માથા ઉપર હોય, તો લખાય. છાપામાં આત્મકથાની કોલમ શરૂ કરો, તો લખું. પછી બોલ્યા, પણ કોકને ના ગમે એવું ય એમાં આવે તો, ક્યાં જવું? એમણે લખ્યું હોત, તો તેમની આંતરિક જિંદગી વિશે ઘણો પ્રકાશ પડ્યો હોત, બાકી એમના પત્રકારત્વ વિશે લખનારા તો બહુ છે!
તેમનામાં ખૂબ પીડા હતી અને એ તેને સમજવા માંગતા હતા. સમજ્યા પણ હશે, પરંતુ સંદર્ભ ટાંકવાની અસલી પત્રકારની એમની આદતના કારણે તેઓ પીડા જેવા સૌથી મૌલિક અહેસાસમાં પણ તેમની ચિંતનની કોલમમાં દેશ-વિદેશના અધ્યાત્મિક ગુરુઓ અને મનોવિજ્ઞાનીઓને ખેંચી લાવતા હતા. એમાં કાંતિભાઈ ખોવાઈ ગયા.
માહિતીઓની કોલમમાં તો ખેર એમના અસલી હસ્તાક્ષર ના હોય, તો ચાલી જાય, પણ ચિંતનનાં એમનાં લખાણોમાં એ એમના જીવનભરના અહેસાસોને કોઈ પુસ્તક કે કોઈ ગુરુ કે કોઈ નિષ્ણાતને ટાંક્યા વગર રજૂ કરી શક્યા હોત. આ એક એવો એરિયા હતો, જેમાં કાંતિભાઈ ખુદ પુસ્તક કે ગુરુ કે નિષ્ણાતની ઓથોરિટી ધરાવતા હતા.
આ લેખ, એ ખોવાઈ ગયેલા કાંતિભાઈને તલાશવાનો (નિષ્ફળ) પ્રયાસ છે. કદાચ એ છદ્મતા જ એમની અસલી પહેચાન હતી.
તેમની દીકરી શક્તિનું યુવાન વયે અવસાન થયું, ત્યારે મેં કાંતિભાઈને સવારે ૧૧ વાગે ફોન કર્યો હતો. એક મિનીટ વાત કરી. મને કહ્યું, "ચાર કલાકમાં હું આમાંથી બહાર આવી જઈશ." ત્રણ વાગે એમનો પાછો ફોન આવી ગયો. પોતાની દીકરીના અકાળ મૃત્યુના ગમમાંથી બહાર આવતાં કાંતિ ભટ્ટને ચાર કલાક લાગ્યા હતા.
થોડા દિવસ પછી તેમણે એક લેખ પણ લખ્યો હતો. એ લખવા માટે તેમણે એશિયાટિક લાઇબ્રેરીમાંથી (લેખની શરૂઆતમાં મેં જેને ટાંકી છે તે) એલિઝાબેથ કુબલર-રોસ નામની, મૃત્યુ પર ઓથોરિટી કહેવાય તેવી, સ્વીસ-અમેરિકન સાઇકિયાટ્રીસ્ટનું પુસ્તક Death: The Final Stage of Growth મંગાવ્યું હતું. એ લેખમાં કાંતિભાઈએ લખ્યું હતું, "માણસે મૃત્યુને સ્વીકારી લેતાં શીખી લેવું જોઇએ, મૃત્યુ પછી શાંતિનો અનુભવ કરવો, કકળાટ નહીં. મૃત્યુ ડરવા જેવી કે શોક કરવા જેવી નહીં, પણ સ્વીકારી લેવા જેવી ચીજ છે. મૃત્યુ એ કોઇ અકસ્માત કે ચાન્સની વાત નથી, માણસ જન્મે ત્યારે જ મૃત્યુ એના શરીરમાં પ્રોગ્રામ્ડ હોય છે, એક શિડ્યુઅલ પ્રમાણે શરીરના અંદરના ભાગ અને કોષો ક્રમશ: મરતા જાય છે. એક અદ્રશ્ય ફોર્સ તેને મૃત્યુ તરફ આકર્ષતો હોય છે."
અસલી કાંતિભાઈ કદાચ આવા જ કોઈક અદ્રશ્ય ફોર્સની આસપાસ હતા. મારે એ કાંતિભાઈને જાણવા-સમજવા હતા.
લોકો કાંતિભાઈને પત્રકાર અને લેખક તરીકે ઓળખે છે. હું તેમને એક restless soul, બેચેન જીવ તરીકે ઓળખું છું. એ સતત બેચેનીમાં જીવ્યા. એમનું લખવાનું, એમની આકસ્મિકતા (એ આકસ્મિક ફોન કરે અને તમે વધારે બોલો તે પહેલાં ફોન અણધાર્યો મૂકી દે), એમનું એકાંત, એમની જીદ, એમનો ક્રોધ, એમની સફળતા, એમની નિષ્ફળતા અને એમનું સ્વાવલંબન આ બેચેનીમાંથી આવ્યું હતું. એ પુસ્તકોમાં આ બેચેનીમાંથી બહાર નીકળવાનો રસ્તો શોધતા રહ્યા.
પણ કાંતિ ભટ્ટને આ બેચેનીમાંથી બહાર નીકળતાં ૮૮ વર્ષ લાગ્યાં.
(પ્રગટ : “કોકટેલ જિંદગી”, સપ્ટેમ્બર 2019)