૨૦૧૪માં દેશમાં સારા દિવસો બેસવાના હતા એના પાંચ મહિના પહેલાની આ ઘટના છે :
જાન્યુઆરી ૭, ૨૦૧૪.
૧૩ વર્ષની દલિત બાળા હરિદ્વારના રોષનાબાદ ખાતે ધોરણ છમાં અભ્યાસ કરતી હતી. શિયાળુ વેકેશન શરૂ થતાં તે ઉત્તરાખંડના રામખેરા જિલ્લાના ફેરપુર ગામે પોતાનાં માબાપ પાસે આવી હતી.
તારીખ ૭ જાન્યુઆરી ૨૦૧૪ના રોજ તે સવારે કુદરતી હાજતે ગઈ. ઘણીવાર થઈ, છતાં તે પરત ના આવતાં, ગામના લોકો શોધવા નીકળ્યા. માબાપને પોતાની દીકરીની લાશ શેરડીના ખેતરમાંથી મળી. તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. પોલીસ આરોપીઓને શોધી ન શકી. આખરે દલિતો સી.બી.આઈ.ને તપાસ સોંપાય તે માટે ધરણાં પર બેઠા. લગભગ ત્રણ મહિના બાદ આ કેસની તપાસ સી.બી.આઈ.ને સોંપવામાં આવી.
(‘આઉટલૂક’: જાન્યુઆરી ૧૪, ૨૦૧૪ અને ‘ટ્રીબ્યુન’: માર્ચ ૨૫, ૨૦૧૪)
જ્યારે સારા દિવસોનો પહેલો પડાવ પૂરો થવામાં હતો ત્યારે છાપાઓમાં આ ઘટના જોવા મળે છે:
એપ્રિલ ૨૯, ૨૦૧૮:
પોલીસ સેવામાં ભરતીમાં શારીરિક તપાસ પ્રક્રિયાનો અગત્યનો ભાગ છે. પ્રક્રિયા સામે કોઈને વાંધો ન હોઈ શકે.
પરંતુ મધ્ય પ્રદેશના ધાર ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલમાં આ તપાસ ચાલી રહી હતી ત્યારે જોવામાં આવ્યું કે આદિવાસી, દલિત અને ઓ.બી.સી. ઉમેદવારોની છાતી પર એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. એવાં લેબલ સરકારી અધિકારીઓએ માર્યાં હતાં. ભોંઠા પડેલ રાજ્યના મુખ્યપ્રધાને આની તપાસનો હુકમ કર્યો પણ ઘોડા નાસી છૂટ્યા પછી તબેલાને તાળાં મારવા જેવી આ વાત હતી.
(‘સ્ક્રોલઈન’: એપ્રિલ ૨૯, ૨૦૧૮; ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’: એપ્રિલ ૨૯, ૨૦૧૮)
૨૦૧૮ની આ છેલ્લી ઘટના નથી, પરંતુ સામાજિક ચહેરો બતાવનારી આ ચોંકાવનારી ઘટના છે એટલે પસંદ કરવામાં આવી છે. હવે કલ્પના કરો કે આ બે ઘટનાઓની વચ્ચે આવી કેટલી ઘટનાઓ ઘટી હશે? એને માટે તમારે માર્ટિન મૅકવાન દ્વારા સંપાદિત ‘૨૦૧૪થી ૨૦૧૮ : દલિત-આદિવાસી માટે ભેદભારત’ નામનું પુસ્તક વાંચવું જોઈએ.
સંપાદકીયમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ક્રાઈમ બ્યુરોના અહેવાલ અનુસાર ૨૦૧૪, ૨૦૧૫ અને ૨૦૧૬ દરમ્યાન દલિતો પર ૧,૧૯,૮૭૨ અને આદિવાસીઓ પર ૧૯,૬૭૧ અત્યાચારની ઘટનાઓ બની છે. આ તો સરકારી ચોપડે નોંધાયેલી ઘટનાઓ છે. મોટી સંખ્યામાં દલિતો અને આદિવાસીઓ બીકના માર્યા ફરિયાદ કરતા નથી. ફરિયાદ કરવા જાય છે તો પોલીસ ફરિયાદ નોંધતી નથી. પીડિતો પાસે અરજી લખાવીને રવાના કરે છે. પીડિતને બિચારાને એમ લાગે કે તેની ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય ભારતમાં દલિતોએ માથે મેલું ઊંચકવું પડે છે તેના આંકડાં તો નોંધવામાં પણ નથી આવતા. દર વરસે સો-બસો દલિતો ગટરમાં ઉતરતા ઝેરી ગેસના કારણે મરે છે તેને અકસ્માત ગણવામાં આવે છે, પરંતુ એ વહીવટીતંત્રો દ્વારા કરવામાં આવતાં ખૂન છે.
જો નરેન્દ્ર મોદીનાં સારાં વર્ષોની સરેરાશ કાઢવામાં આવે તો દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારની ૨,૩૫,૦૦૦ ઘટનાઓ થાય. આ દરે રોજની કેટલી ઘટના થઈ? ૧૨૮. યસ, ૧૨૮. ૨૦૧૪ના એક વરસમાં ૯૦૧ દલિત-આદિવાસીઓનાં ખૂન થયાં હતાં અને ૩,૧૫૮ દલિત-આદિવાસી સ્ત્રીઓ પર બળાત્કારની ઘટનાઓ બની હતી. રોજની સરેરાશ કાઢી જુઓ. આપણે કેટલા મહાન છીએ એનો આ અરીસો છે.
આમાં સવર્ણ હિંદુ સમાજમાં અને અન્ય ધર્મોની સ્ત્રીઓ તેમ જ બાળકો પર કરવામાં આવતા અત્યાચારોનો સમાવેશ જ નથી કરવામાં આવ્યો. અને સૌથી મહત્ત્વની વાત. ગુનો કરનારાઓમાંથી કેટલા ગુનેગારોને સજા થઈ? આ સવાલ અત્યારે નહીં પૂછવાનો, કારણ કે અત્યારે દાયકા દોઢ દાયકા પહેલાં થયેલા અત્યાચારોના ખટલા ચાલી રહ્યા છે અને મોટા ભાગના આરોપીઓ પૂરવાના અભાવે નિર્દોષ છૂટી રહ્યા છે. ‘ભેદભારત’માં વર્ણવવામાં આવેલા ખટલાઓ હાથ ધરવાને હજુ પાંચેક વરસની અને કદાચ એનાથી પણ વધુ વરસની વાર છે. ‘ભેદભારત’ પુસ્તકમાં ૨૫મી જાન્યુઆરી ૧૯૯૯ના રોજ બિહારમાં શંકરબીઘા ગામમાં જમીનદારોની ‘રણવીર સેના’એ ૨૩ દલિત સ્ત્રીપુરુષોની તેઓ રાતે ઊંઘતા હતાં ત્યારે હત્યા કરી હતી. એ ૨૩ હત્યાના હત્યારાઓ ૧૬ વર્ષે નિર્દોષ છૂટી ગયા હતા. એટલે ગુનેગારોને સજાની તો વાત જ નહીં કરવાની.
અહીં સારા દિવસોનો ઉલ્લેખ કર્યો છે એનો અર્થ એવો નથી કે નરેન્દ્ર મોદી એકલા આને માટે જવાબદાર છે. આનો અર્થ એવો પણ નથી કે તેઓ આને માટે જવાબદાર નથી. એ કઈ રીતે એ સમજવાનો પ્રયાસ કરીએ.
આ ઘટનાઓ આખા ભારતમાં બની છે. એવાં રાજ્યોમાં પણ બની છે જ્યાં બી.જે.પી. શાસનમાં નથી અને એમાં પશ્ચિમ બંગાળ, ઓડીશા, તામીલનાડુ, કેરળ જેવાં રાજ્યો પણ છે જ્યાં બી.જે.પી.એ ક્યારે.ય શાસન કર્યું નથી. બીજું અત્યાચારોની સંખ્યા આપવામાં આવી છે એમાં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી બહુ મોટો ઉછાળો આવ્યો છે એવું પણ નથી. લગભગ આ જ સરેરાશે દરેક વર્ષમાં અત્યાચાર થઈ રહ્યા છે. હા, એક ફરક છે. આજકાલ ધરાર માણસ નહીં બનવાને ભૂષણ સમજવામાં આવે છે. એવું પહેલાં નહોતું. પહેલાં માણસ માણસાઈ છોડતો ત્યારે શરમાતો. આજે ‘ગર્વ સે કહો હમ દાદા (પછી એ દાદો દેશભક્ત હોય, ધર્મભક્ત હોય, રાષ્ટ્રભક્ત હોય, જ્ઞાતિભક્ત હોય કે બીજો કોઈ પણ હોય) હૈ’ના દિવસો છે. દરેક બીજા સમક્ષ જીવવાની શરતો મૂકે છે. નરેન્દ્ર મોદીના પ્રાગટ્ય પહેલાં આવું ઓછું હતું. પરંતુ આને કારણે દલિતો અને આદિવાસીઓ પરના અત્યાચારમાં પ્રચંડ વધારો થયો છે અને પહેલાં કાયદાનું રાજ હતું એવું નથી. આ દ્રષ્ટીએ નરેન્દ્ર મોદી જવાબદાર નથી.
પણ નરેન્દ્ર મોદી જવાબદાર છે પણ. તેમણે ભારતની તમામ પ્રજા માટે વગર ભેદભાવે અચ્છે દિન લઈ આવવાનો દાવો કર્યો હતો. હવે તેમને એટલી તો જાણ હશે જ કે સુશાસન વિના અચ્છે દિન આવતા નથી અને સુશાસનનો અર્થ જ છે કાયદાનું રાજ જેમાં સક્ષમ ન્યાયતંત્રનો પણ સમાવેશ થાય છે. આ મોરચે સુધારો કરવા માટે સાહેબે પાંચ વરસમાં કોઈ પ્રયાસ કર્યા? શા માટે નથી કર્યા? અચ્છે દિનનો અનિવાર્ય અને એક રીતે એક માત્ર માર્ગને કેમ અપનાવવામાં નથી આવતો? જરૂર કોઈક એવા સ્થાપિત હિતો છે જે ભારતને માનવીય બનતું અટકાવે છે. જે એને ઓળખી કાઢે અને તેને નિરસ્ત કરે એ મહાન નેતા. નરેન્દ્ર મોદી આ કરી શક્યા નથી એટલે તેઓ મહાન નેતા તો નથી જ, પણ તેમના કાર્યકાળમાં બનેલી ઘટનાઓ માટે સીધી અને આડકતરી રીતે જવાબદાર છે.
(‘૨૦૧૪થી ૨૦૧૮ : દલિત-આદિવાસી માટે ભેદભારત’. સંપાદક – માર્ટિન મૅકવાન; પ્રકાશક – દલિત શક્તિ પ્રકાશન. કિંમત, ૩૦૦/- રૂપિયા. Email:martin.macwan@gmail.com)
16 જુલાઈ 2019
સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 18 જુલાઈ 2019