રિવાજ પડે એટલે એ શા માટે છે એ વિચારવાનું લગભગ બનતું નથી. કોઈને પૂછો કે, “આમ કેમ છે?” તો જવાબ મળશે કે, “રિવાજ છે.” એટલે કે આગળથી ચાલ્યું આવે છે માટે છે. એની યોગ્યાયોગ્યતા વિષે ભાગ્યે જ વિચાર થાય છે. સંગીતના, ખાસ કરીને લોકડાયરાના, કાર્યક્રમોમાં નોટો ઉછાળવાનો રિવાજ શરૂ થયો છે. એ ખરું કે ગૌશાળા, સદાવ્રત, આરોગ્ય કે બીજા લોકોપયોગી કાર્યો માટે એ રકમ વાપરવામાં આવે છે. પરંતુ જો રકમ આપવાની ભાવના જ છે તો રકમ આપી પહોંચ મેળવી લો. તમે ઉત્તમ કાર્યમાં સહભાગી થયા તેનો આનંદ લો. નોટો જાહેરમાં ઉછાળીને શું બતાવવું છે?
જો ઓસમાણ મિર સરસ રીતે ગાતા હોય તો તેની ગાયકી, સૂરની ખૂબીઓ, સૂરને ઊંચે ખેંચવાની શક્તિ, તાન પલટા, સૂરસાધના, ગીત કે ગજલની ઉત્તમતા, સાજિંદાઓનો સાથ આ બધું માણવાનું હોય. ઉત્તમ સંગીતકાર આપણા હૃદયને ડોલાવી દે, આનંદથી ઊભરાવી દે એની કદર આમ રૂપિયા ઉડાડીને કરવાની હોય કે એના સંગીતની ખૂબીઓને પારખીને વાજબી દાદ આપવાની હોય એ વિચારવાની જરૂર છે. આ તો સંગીતની કદર સિવાયનું ભળતું દાખલ થઈ ગયું છે. જેમને ત્યાં કાર્યક્રમ હોય તેઓને વીડિયોમાં જોઈએ ત્યારે લાગે કે તેઓ સંગીતમાં નહીં, રૂપિયામાં રાજી હોય છે.
સંગીતની કદર અને રૂપિયા ઉડાડવાને કોઈ સંબંધ નથી. સાચા સંગીતકારને તો સુગ્ન શ્રોતાઓની ઉચિત દાદની ખેવના હોય છે. પરંતુ સંગીતકારો પણ આ કુરિવાજ વિષે બોલવાની હિમ્મત કરતા નથી. હાસ્યકલાકારોમાં પણ નોટોનો ઢગલો મોટો કરવાની જાણે હોડ લાગી છે. પૈસાનું આ જાહેર પ્રદર્શન અને હાસ્યના કાર્યક્રમને કોઈ સંબંધ નથી. એ નિમિત્તે દાન આપવાનું હોય તો યોગ્ય જગ્યાએ જઈને નોંધાવો. કલાકારની આગળ આવીને નમ્રપણે નોટોની થપ્પી મૂકી દેવાતી નથી, નોટો ઊડાડાય છે. એ પ્રદર્શન છે, કલા કે કલાકારનું ગૌરવ નથી.
એટલે રિવાજને તપાસતા રહેવાની જરૂર હોય છે. રિવાજને તપાસવાનું ત્યારે બને જ્યારે પ્રજા મૌલિક અને બિનંગત રીતે વિચારવાની ટેવ પાડે. તો જીર્ણ રિવાજના કળણમાંથી બહાર આવી શકે. ભારતમાં શિક્ષણમાં મૌલિક અને બિનંગત રીતે વિચારવાનું શીખવાતું નથી, એટલે પ્રજા રિવાજોને ગળે વળગાડીને ઘેનમાં રહી શકે છે. આવા રિવાજો સામે પ્રશ્નાર્થ કરનારને નાસમજ કે ઊંધી ખોપરીના ગણાવાય છે. એ બદલાવું જોઈએ. વિચારવાન પ્રજા જ ટકી – વિકસી શકે, અંધાનુકરણવાળી પ્રજા નહીં.
e.mail : mansukhsalla@gmail.com