તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?
૧૯૩૧માં બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડન ગયા ત્યારે બ્રિટનના રાજાએ ગાંધીજીને ચા-પાણી માટે બકિંગહૅમ પૅલેસમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણના પત્રમાં મહેમાને કેવાં કપડાં પહેરવાં (ડ્રેસ-કોડ) વિશે નિર્દેશો આપવામાં આવ્યા હતા. ગાંધીજીએ આમંત્રણનો સ્વીકાર કરતાં લખ્યું કે તે કપડાં તો એ જ પહેરશે જે ભારતમાં પહેરે છે. ગોઠણ સુધીની ધોતી જે ઉપર છાતી પર વીંટાળેલી હશે અને લંડનમાં ઠંડી છે એટલે શાલ ઓઢી હશે. કહેવાની જરૂર નથી કે પગમાં ચંપલ હશે. બકિંગહૅમ પૅલેસમાં આ પહેલાં કોઈએ આવાં ફટીચર કપડાંમાં રાજાની મુલાકાત લીધી નહોતી અને તેને રાજાનું અપમાન માનવામાં આવતું હતું. અપવાદ કરવા માટે ગાંધીજીને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ ગાંધીજીએ યજમાને સુચવેલા ડ્રેસ-કોડને અપનાવવાની ના પાડી દીધી. છેવટે રાજાએ ઝૂકવું પડ્યું અને ગાંધીજી જેવાં કપડાંમાં આપણે તસવીરમાં જોઈએ છીએ એવાં કપડાંમાં બકિંગહૅમ પૅલેસમાં રાજાને મળવા ગયા હતા.
આ તો જાણીતી વાત છે, પરંતુ અજાણી વાત એ છે કે વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજી સાથે અપવાદ કરવામાં આવે એનો વિરોધ કર્યો હતો. ચર્ચિલે કહ્યું હતું કે એક અર્ધનગ્ન ફકીર એવી તે કઈ તાકાત ધરાવે છે કે બ્રિટિશ સામ્રાજ્યના રાજાએ અપવાદ કરવો પડે. નથી તેની પાસે કોઈ સત્તા, નથી સામ્રાજ્ય કે નથી સંપત્તિ. એક ફટીચર માણસ છે જેને ભાવ આપવાની કોઈ જરૂર નથી. વિન્સ્ટન ચર્ચિલને જવાબ આપતાં કોઈકે કહ્યું હતું (નામ મને મળતું નથી) મિ. ચર્ચિલ, તમે જે કહો છો એ જ ગાંધીની તાકાત છે અને એ એવી તાકાત છે જેને છીનવી શકાતી નથી. ગાંધી એક એવો માણસ છે જેને પૈસાથી ખરીદી શકાતો નથી, સત્તાની લાલચ આપીને મોહિત કરી શકાતો નથી અને કોઈ સ્ત્રી તેને ચલિત કરી શકતી નથી. આ ત્રણ ચીજ એવી છે જેના દ્વારા માણસને ઝુકાવી શકાય છે અને જે માણસ આ ત્રણ ચીજથી મુક્ત છે તેની સમક્ષ દુનિયાની ગમે એવી તાકાત હોય એને ઝૂકવું પડે છે.
આજનો યુગ જુદો છે. આજે તાકાત, ઐશ્વર્ય, પ્રભુત્વ, વગ વગેરેની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ ભારતના ગવર્નરનો સલામતીનો તામજામ જોઈને કહ્યું હતું કે ભારતમાં લોકોની વચ્ચે ફરવામાં જો આટલો બધો ડર લાગતો હોય તો તમારે વતન પાછા જતા રહેવું જોઈએ. ડરીને જિંદગી જીવવી એ અભિશાપ છે અને સહજ મુક્ત જિંદગી વરદાન છે. પાંચ દાયકા પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી કે એવા પણ દિવસો આવશે જ્યારે ડરીને જીવવામાં લોકો પ્રતિષ્ઠા સમજશે. આજુબાજુમાં ગનધારી કમાન્ડોઝ હોય તો કેવો વટ પડે. જેટલો વધારે ડર એટલી વધારે પ્રતિષ્ઠા. આપણે પણ એવા લોકોનું ઐશ્વર્ય ફાટી આંખે જોતાં રહીએ છીએ. કેટલાક લોકો તો મનોમન સપનાં પણ જોતા હશે કે આપણા આવા દિવસો ક્યારે આવશે, જ્યારે ડરવા મળશે. ટૂંકમાં ડરપોક લોકો આજે પ્રતિષ્ઠિત છે.
વગદાર કોણ છે? વગદાર એ છે કે જે કાયદો તોડવાની ક્ષમતા ધરાવે છે. કાયદાની મર્યાદામાં રહીને જીવે એ ભીરુ સામાન્ય જણ અને કાયદો તોડી શકે, કાયદાઓની ઐસીતૈસી કરી શકે એ વગદાર. કાયદાનું પાલન કરનારાઓએ દરેક જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. કાયદાનું પાલન કરનારા ભીરુ નાગરિકે કાલે આવજો એવો એક-બે વાર નહીં, વારંવાર જવાબ સાંભળવો પડે છે. કાયદાનું પાલન કરનારાઓએ રૂમ-રસોડામાં જિંદગી વિતાવવી પડે છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. સંતાનના સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માટે કોઈ વગદારની ચિઠ્ઠી લેવા તેના દરબારમાં જવું પડે છે અને ખોટી-ખોટી ભાટાઈ કરવી પડે છે. મનમાં તો ગળું ઘોંટી દેવા જેટલો ગુસ્સો આવે છે, પરંતુ પછી સમજાય છે કે વ્યવસ્થા (સિસ્ટમ) તો આ લોકોના હાથમાં છે અને વ્યવસ્થા તેમના માટે જ કામ કરી રહી છે એટલે ગુસ્સો ઠંડો કરીને તેમના જેવા કેમ બનાય અને જો ન બની શકાતું હોય તો કમસે કમ તેમની નજીક કેમ જવાય એના ઓરતા જોવા માંડે છે.
બોલો, તમને આવો અનુભવ થયો છે કે નહીં? તમે જો પ્રતિષ્ઠિત અને વગદાર નહીં હો તો જરૂર તમને આવો અનુભવ થયો હશે. આમ પણ મારી કૉલમ પ્રતિષ્ઠિત અને વગદાર લોકો નહીં વાંચતા હોય અને એવા બનવાના બેત રચનારાઓ પણ નહીં વાંચતા હોય. આ કૉલમ મૂલ્યોની ખેવના કરનારાઓ માટે અને છેલ્લા માણસની ચિંતા કરનારાઓ માટેની છે. પ્રતિષ્ઠિત અને વગદાર લોકોએ વ્યવસ્થા એવી બનાવી છે કે દાયકા પહેલાં પગમાં પહેરવાં સ્લિપર નહોતાં એ આજે અડધો કિલો સોનું પહેરીને ચાર બંગડીની આઉડી કારમાં ફરે છે. કમાન્ડોઝ હોય તો-તો પૂછવું જ શું? ઘાટકોપરમાં ૧૭ જણને ભરખી જનારો સુનીલ શિતપ આવો એક માણસ છે. આજે ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે, પરંતુ એનો શું ઉપયોગ? લખી રાખજો, તેનો વાળ પણ વાંકો થવાનો નથી. તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 જુલાઈ 2017