જઘન્ય જલિયાંવાલા બાગ કાંડને દેશજનતા હ્રદયની આદ્રતા અને આક્રોશ સાથે શતાબ્દી વરસે યાદ કરે છે. માનવ અધિકારોની પુરસ્કર્તા, લોકશાહી પ્રેમી, સભ્ય અને સંસ્કારી મનાતી અંગ્રેજ પ્રજાની નિમ્નતમ ક્રૂરતાનું પ્રતીક જલિયાંવાલા નરસંહાર છે. શતાબ્દી વરસે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે, જલિયાંવાલા કાંડને અંગ્રેજ સરકાર અને પ્રજા માટે શરમજનક તો ગણાવે છે પણ માફી માંગવાનું મુનાસિબ નથી લેખતાં. સંશોધક અને લેખિકા કિશ્વર દેસાઈના મતે અંગ્રેજ સરકારનું માફીનામું ભારતીય પ્રજા માટે ન માત્ર સહાનુભૂતિનું કારણ છે, પણ હાલની બ્રિટિશ સરકાર અને પ્રજા બદલાઈ ગઈ છે, અને તે કોઈ જાતિ કે રંગના ભેદમાં માનતી નથી તે દર્શાવવા પણ તે જરૂરી છે.
જલિયાંવાલા કાંડના શતાબ્દી વરસે ઘણું ઘણું લખાશે. પણ જલિયાંવાલાની શતાબ્દીના આરંભે એક સર્જક અને એક શહીદને યાદ કરવા જેવા છે. તે માટેનું નિમિત્ત પણ છે. આ બંનેએ જલિયાંવાલા કાંડને સગી આંખે જોયો હતો. પરંતુ તેઓએ તેના પીડિત બની મૌન રહેવાને બદલે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો. સર્જક નાનક સિંહે “ખૂની બૈશાખી” દીર્ઘ કવિતા લખીને તો શહીદ ઉધમ સિંહે જલિયાંવાલા કાંડના હત્યારાઓ પૈકીના એક હત્યારાની તેના ઘરમાં, છેક લંડન જઈને, ઠાર કરી પ્રત્યુત્તર આપ્યો હતો. અંગ્રેજ સરકારે પ્રતિબંધિત કરેલ નાનક સિંહની “ખૂની બૈશાખી”નો તાજેતરમાં અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે તો દિગ્દર્શક શુજિત સરકાર ક્રાંતિવીર ઉધમ સિંહની બાયોપિક બનાવી રહ્યા છે.
રોલેટ એકટનો દેશમાં ભારે વિરોધ થઈ રહ્યો હતો. પંજાબનો વિરોધ તીવ્ર જ નહીં હિંસક પણ હતો. અમૃતસરના જલિયાંવાલા બાગમાં ૧૩મી એપ્રિલ ૧૯૧૯ના રોજ રોલેટ એકટના વિરોધમાં હજારો લોકોની સભા મળી હતી. અંગ્રેજ અફસરો ખાસ કરીને પંજાબના તત્કાલીન લેફટનન્ટ ગવર્નર માઈકલ ઓડ્વાયર અને બ્રિગેડિયર રેજિનાલ્ડ ડાયરે ભારતીયોને વિરોધની ખો ભૂલવી દેવા અમાનવીય હિંસા આચરી હતી. ડાયરે જલિયાંવાલાની વિરોધસભામાં એકઠા થયેલા નિ:શસ્ત્ર અને નિર્દોષ એવાં હજારો લોકો પર કશી પૂર્વ ચેતવણી સિવાય જ બેરહેમ ગોળીઓ ચલાવી હજારોની લોથ ઢાળી દીધી હતી. ૧૯ વરસના ઉધમ સિંહ અને ૨૨ વરસના નાનક સિંહ પણ જલિયાંવાલા બાગમાં હાજર હતા. નાનક સિંહ તેમના ચાર મિત્રો સાથે સભામાં ગયેલા. બાકીના ત્રણ દોસ્તો દૈત્ય ડાયરની ગોળીઓનો ભોગ બન્યા હતા પણ નાનક સિંહ બચી ગયા હતા. ઉધમ સિંહ ગોળીઓ વરસવી શરૂ થતાં એક ઝાડ પર ચઢી ગયેલા અને હેમખેમ રહેલા.
પાંચ ચોપડી ભણેલા અને આધુનિક પંજાબી નવલકથાના જનક તરીકે ઓળખાતા નાનક સિંહ(૧૮૯૭-૧૯૭૧)ના લેખનની શરૂઆત શિખ ગુરુઓની સાખીઓના પુસ્તકથી થઈ હતી. ૧૯૬૨ના સાહિત્ય અકાદમી એવોર્ડથી પુરસ્કૃત આ લેખકે ૫૫ નવલકથાઓ, ૨ નાટકો અને ૪ કાવ્યસંગ્રહોનું સર્જન કર્યું હતું. આઝાદી આંદોલનમાં સક્રિય અને તે માટે જેલવાસ વેઠી ચૂકેલા આ લેખકના સર્જનનો પ્રમુખ ભાવ આઝાદીની ઝંખના, સામાજિક સુધારા અને સામાજિક નિસબત રહ્યા હતા. યુવાન નાનક સિંહે જલિયાંવાલાનો સંહાર નજરે જોયો અને ઝેલ્યો હતો. “ખૂની બૈસાખી” દીર્ઘ કવિતામાં તેમણે અંગ્રેજોની તીવ્ર આલોચના સાથે નજરે જોઈ દાસ્તાંન વર્ણવી હતી. સંહાર પછીની રાજકીય ઘટનાઓ અને અંગ્રેજ હકુમતની ટીકા સરકારે સહન ન કરી અને આ કાવ્ય સંગ્રહને પ્રતિબંધિત કર્યો. તેની હસ્તપ્રત પણ ગુમ થઈ ગઈ. નાનક સિંહના અવસાન પછી છેક ૧૯૮૦માં તે હાથ લાગી અને તેનું પ્રકાશન થઈ શક્યું. જલિયાંવાલાની શતાબ્દીએ નાનક સિંહના પૌત્ર અને યુ.એ.ઈ.માં ભારતના રાજદૂત એવા નવદીપ સૂરી અનૂદિત “ખૂની બૈશાખી”નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો છે. જલિયાંવાલાનો આ સર્જક પ્રતિભાવ એ રીતે હવે વિશ્વમાં પ્રસર્યો છે.
અસ્પૃશ્ય દલિત કુંટુંબમાં જન્મેલા ઉધમ સિંહ (૧૮૯૯-૧૯૪૦) જલિયાંવાલા કાંડ વખતે ૧૯ વરસના હતા. નરસંહાર પછી ઠેર ઠેર લાશો અને આક્રંદ જોઈ હલબલી ગયેલા ઉધમ સિંહની નજરે પતિના શબ પાસે બેઠેલાં અને તેને કૂતરાંથી બચાવવા મથતાં રતનદેવી પડ્યાં હતાં. એ ક્ષણે જ ઉધમ સિંહે જલિયાંવાલાનો બદલો લેવાનો સંકલ્પ કર્યો હતો. નાનપણમાં જ માતાપિતા અને ભાઈ ગુમાવી ચુકેલા ઉધમ સિંહે રતન દેવીને ધર્મનાં બહેન માન્યા હતાં. અનાથાલયમાં ઉછરીને મોટા થયેલા અને પછી સ્વરોજગાર થકી જીવન ટકાવી રહેલા યુવાન ઉધમ સિંહ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવ્યા હતા. ભગત સિંહના તેઓ સિનિયર હતા અને બંને સાથે મળી બદલો લેવાના આયોજનો કરતા હતા. હંટર કમિશને દોષિત ઠેરવેલા જલિયાંવાલાના ડાયર સહિતના હત્યારાઓને સરકારે પાણીચું આપી દેતાં તેઓ બ્રિટન ચાલ્યા ગયા હતા. એટલે ઉધમ સિંહનું કામ મુશ્કેલ બન્યું હતું.
દેશમાં અને વિદેશમાં રાન અને પાન થઈ ઉધમ સિંહ ભટકતા રહ્યા. નામ અને વેશ પલટો કરતા રહ્યા. છતાં અંગ્રેજ સરકાર અને તેના જાસૂસોથી બચી ન શક્યા. પાંચ વરસની જેલની સજા ભોગવી. આફ્રિકા, અમેરિકા અને ઇંગ્લેન્ડમાં જઈ ભારે મુસીબતો વેઠીને ડાયરની હત્યાના પ્લાન ઘડતા રહ્યા. ૧૯૨૭માં પેરેલિસિસ પછી ડાયરનું અવસાન થયું પણ ઉધમ સિંહ તેથી ડગ્યા નહીં. બાકીના હત્યારાઓને મારી તેમણે બદલો લેવાનું નક્કી કર્યું. ૧૯૩૩માં તે લંડનમાં ગયા. ટેક્સી ડ્રાઈવર બની માઈકલ ઓડ્વાયરના ઘર સુધી પહોંચ્યા. તેમનાં જર્મન સ્ત્રી મિત્ર મેરી પણ તેમના લક્ષ્યને પૂર્ણ કરવામાં સહાયક હતાં. ૧૩મી માર્ચ ૧૯૪૦ના રોજ લંડનની એક સભામાં ઓડવાયર વક્તા તરીકે આવવાના હતા. એ જાણીને ઉધમ સિંહે એ સભામાં જ બદલો લેવાની યોજના ઘડી. વક્તવ્ય આપી પરત પોતાના સ્થાને જઈ રહેલા ઓડવાયર પર ઉધમ સિંહે પોતાની પિસ્તોલથી ધડાધડ ત્રણ ગોળીઓ છોડી ત્યાં જ ઠાર કરી દીધા અને ૨૦ વરસે જલિયાંવાલાનો બદલો લીધો. ઉધમ સિંહે ગુનો કબૂલી લીધો અને તેમને ફાંસીની સજા થઈ. ૩૧મી જુલાઈ ૧૯૪૦ના દિવસે તેમને ખાનગી રાહે ફાંસી આપી દેવામાં આવી. તેમનો મૃતદેહ પણ આપવામાં ન આવ્યો.
આઝાદી આંદોલનના ઇતિહાસમાં અસ્પૃશ્ય ઉધમ સિંહનું બલિદાન વરસો સુધી વણનોંધ્યું જ રહ્યું હતું. બલિદાનના સાડાત્રણ દાયકે એમના અસ્થિ ભારતમાં લાવી શકાયા હતા. માયાવતીના મુખ્યમંત્રીત્વ કાળમાં અખંડ ઉત્તરપ્રદેશ(હવે ઉત્તરાખંડ)ના નૈનિતાલ જિલ્લાને ઉધમસિંહ નગર જિલ્લાનું નામકરણ મળ્યું હતું. તો દોઢેક દાયકા પૂર્વે અમૃતસરના સુવર્ણ મંદિર અને જલિયાંવાલા બાગ પરિસરમાં ઉધમ સિંહની પ્રતિમા સ્થાપિત કરી શકાઈ છે. જો કે ગુજરાતમાં કચ્છ માંડવીના શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિ કેન્દ્રના ક્રાંતિવીરોમાં ક્યાં ય ઉધમ સિંહની તસવીર તો ઠીક નામ પણ જોવા મળતું નથી.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, “સંદેશ”, 24 ઍપ્રિલ 2019