4 જુલાઈ 1776ના રોજ, 13 અમેરિકન વસાહતોને ગ્રેટ બ્રિટનથી સ્વતંત્ર જાહેર કરવામાં આવી હતી. USમાં, 4 જુલાઈના રોજ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
4 જુલાઈ 2025ના રોજ અમે Springfield ખાતે, USના 16મા પ્રેસિડન્ટ Abraham Lincoln – અબ્રાહમ લિંકન(12 ફેબ્રુઆરી 1809-15 એપ્રિલ 1865)ના નિવાસસ્થાનની બીજી વખત મુલાકાત લીધી. અગાઉ 2016માં આ સ્થળ જોયું હતું. આ વખતે કેનેડા નિવાસી જગદીશ બારોટ તથા શિકાગોના ડો. દિનેશ ધાનાણી સાથે હતા. શિકાગોથી સ્પ્રિંગફીલ્ડનું અંતર 199 માઇલ છે. સ્પ્રિંગફીલ્ડ એ ઇલિનોઇસ રાજ્યનું પાટનગર પણ છે.
અબ્રાહમ લિંકને USના પ્રમુખ તરીકે 1861 થી 1865 સુધી સેવા આપી હતી. તેમણે અમેરિકન ગૃહયુદ્ધ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સનું નેતૃત્વ કર્યું; અમેરિકાના કન્ફેડરેટ સ્ટેટ્સને હરાવ્યા અને ગુલામી નાબૂદીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેઓ 1837 થી 1861 સુધી સ્પ્રિંગફીલ્ડમાં રહ્યા હતા. લિંકનનો જન્મ કેન્ટુકીમાં થયો હતો. ઘરની નબળી આર્થિક પરિસ્થિતિનાં કારણે શરૂઆતનું જીવન ખૂબ જ સંઘર્ષભર્યું રહ્યું. 1816માં તેમનો પરિવાર કેન્ટુકી રાજ્ય છોડી ઇન્ડિયાના રાજ્યમાં સ્થળાંતરિત થયો. બાળપણથી જ પરિવારના હાડમારીભર્યા જીવનને કારણે તેમનું પ્રાથમિક શિક્ષણ તૂટક અને અવ્યવસ્થિત રહ્યું. 1830માં તેમનો સમગ્ર પરિવાર ઇન્ડિયાના રાજ્ય છોડી ઇલિનૉઇસ રાજ્યમાં સ્થાયી થયો. અહીં તેમણે છૂટક મજૂરી અને નાની-મોટી નોકરીઓ કરીને પરિવારને મદદરૂપ બન્યા. લિંકને સૌ પ્રથમવાર ઇલિનૉઇસ રાજ્યના પ્રતિનિધિસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. પ્રથમ પ્રયાસમાં તેઓ પરાજીત થયા. 1834માં ફરીવાર આ બેઠક પરથી ઉમેદવાર બન્યા અને ચૂંટણીમાં વિજય મેળવ્યો. 1836માં ઇલિનૉઇસ બેઠકના પ્રતિનિધિ તરીકે તેઓ બીજી વાર ચૂંટાયા. આ દરમિયાન તેઓએ ગુલામી પ્રથાનો વિરોધ કર્યો. 1836માં કાયદાશાસ્ત્રી તરીકેની કારકિર્દીનો તેમણે આરંભ કર્યો. ‘ઇલિનૉઇસ સેન્ટ્રલ કેસ’, ‘એફી આફટન કેસ’, ‘સેન્ડબાર કેસ’ જેવા નોંધપાત્ર કેસો જીતી તેમણે શ્રેષ્ઠ વકીલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. 1842માં લિંકનના લગ્ન મેરી ટોડ સાથે થયાં. 1860માં પ્રમુખની ચૂંટણીમાં તેઓ વિજયી બન્યા. લિંકને લશ્કરી કાર્યવાહી અને રાજકીય નિર્ણયો દ્વારા ગુલામી પ્રથા નાબૂદ કરી.
ઉમાશંકર જોશીએ 15 એપ્રિલ 1965ના રોજ લિંકન વિશે કહ્યું હતું : સમાજજીવનનો રોગ લિંકને બરોબર પારખ્યો હતો. નાનપણમાં ગુલામોની હરરાજીનું એક કારમું દૃશ્ય એમણે જોયેલું. એક નિગ્રો યુવતીને ઘરાકોની આગળ આમથી તેમ ફેરવવામાં આવી રહી હતી. યુવક લિંકનના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી ગયો : “If ever I get a chance to hit that thing, I’ll hit it hard – આ વસ્તુ પર પ્રહાર કરવાની કદી મને તક મળશે તો હું એની ઉપર સખ્ત પ્રહાર કરીશ.” લાકડાની નાનકડી ખોલીમાં જિંદગી શરૂ કરીને 1860માં, એકાવન વર્ષની ઉંમરે, અમેરિકાના પ્રમુખનું પદ પોતે પામ્યા. એમનાં બે સૂત્રો માનવઇતિહાસનાં કંઠાભરણ બનવા સર્જાયાં છે : “In giving freedom to the slave, we assure freedom to the free – ગુલામને સ્વતંત્રતા આપીને, આપણે મુક્તને સ્વતંત્રતાની ખાતરી આપીએ છીએ.” અને એ જ વાત પલટાવીને બીજી રીતે અમર શબ્દોમાં એ મૂકે છે : “As I would not be a slave, so I would not be a master – જેમ મને ગુલામ થવું ન ગમે, તેમ માલિક થવું પણ મને ન ગમે.”
14 એપ્રિલ 1865ના રોજ અબ્રાહમ લિંકન પરિવાર સાથે નાટક-કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા, ત્યારે જૉન વિલ્ડ્સ બુથ નામની વ્યક્તિએ અબ્રાહમ લિંકનને ગોળી મારી દીધી. 15 એપ્રિલ 1865ના રોજ તેમનું અવસાન થયું. તેઓ ઇન્ડિયાનામાં મોટા થયા હતા અને વોશિંગ્ટનમાં પ્રમુખ તરીકે રહ્યા, તેમ છતાં તેમને ઇલિનોઇસમાં દફનાવવામાં આવ્યા હતા. તેમની હત્યાના બે વર્ષ પહેલાં તેમણે લખ્યું હતું : “સ્પ્રિંગફીલ્ડ મારું ઘર છે, અને ત્યાં મારા જીવનભરના મિત્રો છે.”
લિંકનના નિવાસસ્થાનની વિઝિટ કર્યા બાદ 23 મિનિટની ફિલ્મ Abraham Lincoln: A JOURNEY TO GREATNESS જોઈ. પછી થોડે દૂર Lincoln Tombની મુલાકાત લઈ લિંકનને આદરાંજલિ પાઠવી.
મનમાં સવાલ થયો : માનવસમાજની સર્વોત્તમ સેવા આપનાર અબ્રાહમ લિંકન / માર્ટિન લ્યૂથર કિંગ / ગાંધીજીની હત્યા કેમ?
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર