સરકારમાં ઉચ્ચ સ્થાને કામ કરી ચુકેલા અધિકારીઓનાં સંસ્મરણો મજેદાર હોય છે. તેઓ નિવૃત્ત થઈ ગયા હોય અને જેની સાથે તેમણે કામ કર્યું હોય, એ સ્વર્ગવાસી થઈ ગયા હોય એટલે તેઓ ડર્યા વિના જે તે શાસકોની સમજદારી (કે બેવકૂફી), કાર્યશૈલી, તેમનાં વળગણો વગેરે વિષે લખી જતા હોય છે. જેમ કે અટલ બિહારી વાજપેયી વિષે હવે જાણવા મળી રહ્યું છે કે તેમને વાંચવાનો અને વિગતોમાં ઊંડા ઉતરવામાં કંટાળો આવતો હતો. તેમના અંગત મિત્ર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બ્રજેશ મિશ્રા પર તેમનો ભરોસો હતો. જ્યારે પણ કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય કે દસ્તાવેજ પર સહી કરવાની હોય ત્યારે તેઓ બ્રજેશ મિશ્રાની સલાહ લેતા કે આ બાબતે શું કરવું? સહી કરતા પહેલાં તેઓ બ્રજેશ મિશ્રાને પૂછતા : “પંડિતજી જેલ મેં તો નહીં જાના પડેગા ને?” બ્રજેશ મિશ્રા જ્યારે કહે કે મેં બધી બાબતોનો અભ્યાસ કરી લીધો છે અને સહી કરવામાં કોઈ જોખમ નથી ત્યારે તેઓ સહી કરતા. પણ આ જ કવિહ્રદયી અટલ બિહારી વાજપેયી પક્ષ અંતર્ગત રાજકીય કાવાદાવામાં અને હરીફોને હાંસિયામાં ધકેલવામાં સૌથી વધુ ચતુર અને દક્ષ હતા.
ભારતની વિદેશ સેવામાં કામ કરી ચુકેલા ચિન્મય ઘારેખાનનાં સંસ્મરણોનું પુસ્તક ‘સેન્ટર્સ ઑફ પાવર; માય યર્સ ઇન ધ પ્રાઈમ મિનીસ્ટર્સ ઑફિસ ઍન્ડ સિક્યુરિટી કાઉન્સિલ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે અને તેમણે પી.એમ.ઓ.માં કામ કર્યું હોવાથી દેખીતી રીતે મહત્ત્વનું છે. તેમની પી.એમ.ઓ.માં એ સમયે નિમણૂક થઈ હતી જ્યારે ઇન્દિરા ગાંધીનાં વડાં પ્રધાન તરીકેનાં છેલ્લાં વર્ષો હતાં અને ભારતમાં તેમ જ દુનિયામાં અનેક પ્રકારની નવાજૂની થઈ રહી હતી. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા થઈ અને તેમની જગ્યાએ રાજીવ ગાંધી વડા પ્રધાન બન્યા હતા. ચિન્મય ઘારેખાને તેમની સાથે પણ કામ કર્યું હતું. અહીં એક વાત નોંધવી જોઈએ. તેમને જ્યારે પી.એમ.ઓ.માં ટ્રાન્સફર કરવામાં આવ્યા ત્યારે તેઓ થોડા નર્વસ હતા. ઇન્દિરા ગાંધીની ઈમેજ દૃઢ સંકલ્પધારી ટફ વ્યક્તિ તરીકેની હતી. તેમણે એ સમયના વિદેશ સચિવ એસ.કે. સિંહની સલાહ લીધી કે પી.એમ.ઓ.માં મારે મેડમની નારાજગીનો ભોગ ન બનવું પડે અને ટકી રહેવા માટે શું કરવું જોઈએ? તેમણે માત્ર ચાર શબ્દોમાં સલાહ આપી : બી વ્હોટ યુ આર.
બી વ્હોટ યુ આર. ચિન્મય ઘારેખાનનાં પી.એમ.ઓ.માંનાં વર્ષોમાં તેમની બી વ્હોટ યુ આરવાળી ખુદવફાઇ જોવા મળે છે. તેમનામાં પ્રમાણિકતા, પારદર્શકતા અને સત્યનિષ્ઠા નજરે પડે છે. દેશહિતમાં વડા પ્રધાનને પણ જો ચેતવવાના હોય કે આગળ વધતા રોકવાના હોય તો તે કામ તેઓ કરતા. મોટાભાગે સિનિયરોની મદદ લઈને અને વ્યવસ્થિત રીતે દલીલો દ્વારા રજૂઆત કરીને. આમ કરવામાં જેની પણ મદદ લીધી હોય તેનો નામોલ્લેખ કરવામાં અને શ્રેય આપવામાં તેમણે કંજુસાઈ કરી નથી. નિવૃત્તિ પછીના લાભો માટે હામાં હા મેળવતા કે ખુશામત કરતા તેમને આવડતું નથી.
એક ઘટના (એક ઘટના નહીં, આમ તો ઘટનાઓની શ્રુંખલા) અહીં નોધવા જેવી છે. રાજીવ ગાંધી ૧૯૮૪ના અંતમાં ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન બન્યા પછી તેમણે તેમના પહેલા જ પ્રવચનમાં કહ્યું કે ભારત આધુનિકતાનો માર્ગ અપનાવશે અને વિજ્ઞાન અને ટેકનોલોજી દ્વારા ૨૧મી સદીમાં વૈશ્વિક સ્તરે પોતાનું સ્થાન બનાવવા પ્રયત્ન કરશે વગેરે. રાજીવ ગાંધીએ આધુનિકતાની, વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવવાની, કોમ્પુટરાઈઝેશનની વાત અનેક પ્રસંગે અનેકવાર દોહરાવી હતી.
રાજીવ ગાંધીનાં વક્તવ્યો પરથી અમેરિકનોને લાગ્યું કે ભારતને રશિયાની પાંખમાંથી બહાર કાઢવાનો અને આપણી પાંખમાં લેવાનો અવસર આવી ગયો છે. રાજીવ ગાંધી યુવાન છે, યુવાનીવશ આધુનિકતાનું આકર્ષણ છે, ઉત્સાહી છે અને રાજકીય રીતે બિનઅનુભવી તેમ જ અપરિપક્વ છે. ખાસ કરીને કોપ્યુટર અને ટેલિકોમ્યુનિકેશન માટેની રાજીવ ગાંધીની ઘેલછાનો લાભ ઉઠાવવો જોઈએ. રશિયા આ બાબતે અમેરિકાથી ક્યાં ય પાછળ છે. અને પછી અમેરિકનોનાં ધાડાં દિલ્હી આવવા લાગ્યા. સત્તાવાર અને બિન સત્તાવાર એમ બન્ને પ્રકારનાં. આઇ.બી.એમ. જેવી કંપનીઓ માટે લોબિંગ કરનારા સેનેટરો અને કાઁગ્રેસમેન આવવા લાગ્યા. દરેકનો ઈરાદો રાજીવ ગાંધીને પલાળવાનો હતો. તેઓ રાજીવ ગાંધીનાં વખાણ કરતા થાકતા નહોતા. એક ભાઈએ કહ્યું કે ભારતને આઝાદી ભલે ચાર દાયકા પહેલાં મળી, પણ સૂર્યોદય તો હવે થઇ રહ્યો છે. ભારત આવતીકાલના વિશ્વમાં પ્રવેશી રહ્યું છે. અમેરિકન સેનેટર ચાર્લ્સ પર્સીએ રાજીવ ગાંધીને કહ્યું કે જો વડા પ્રધાન ઈચ્છતા હોય અને અનુમતી હોય તો તેઓ અહીંથી સીધા ઇસ્લામાબાદ જવા તૈયાર છે અને ત્યાં જનરલ ઝિયાને મળીને તેમને મોઢા પર કહી દેશે કે બહુ થયું, હવે ભારતના માર્ગમાં અવરોધ પેદા કરવાના નથી. પાકિસ્તાને નવી વાસ્તવિકતા સ્વીકારવી જ રહી. તેમણે રાજીવ ગાંધીને અમેરિકાની મુલાકાતે આવવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે તેમનું ત્યાં એવું ભવ્ય સ્વાગત કરવામાં આવશે કે આજ સુધી કોઈનું નહીં થયું હોય. પાકિસ્તાનને અને જગતને એ દ્વારા બતાવી આપવામાં આવશે કે ભારત અને રાજીવ ગાંધી અમેરિકા માટે કેટલું મહત્ત્વ ધરાવે છે.
રાજીવ ગાંધીને થયું કે જો અમેરિકા પાકિસ્તાનને ખખડાવીને સખણા રહેવાની સલાહ આપતું હોય તો અનુમતી આપવામાં શો વાંધો છે. તેમણે ત્યાં હાજર ઘારેખાન સામે જોયું અને ઘારેખાને હિન્દીમાં કહ્યું કે ભારત આ વિષે વિચારશે એમ કહીને પર્સીને રજા આપો. એ પછી ઘારેખાને અને ઘારેખાનના કહેવાથી બીજા અધિકારીઓએ રાજીવ ગાંધીને સલાહ આપી કે આ અમેરિકાની રમત છે અને તેમાં પડવા જેવું નથી. રાજીવ ગાંધીને હજુ પણ એમ લાગતું હતું કે અમેરિકનો ભારત વતી પાકિસ્તાન ઉપર દબાવ લાવતા હોય અને ઠપકો આપતા હોય તો એમાં શું ખોટું છે? તેમણે ઘારેખાન અને બીજા અધિકારીઓને કહ્યું કે આ વિષે પી.વી. નરસિંહરાવ સાથે વાત કરો અને તેમનો શું અભિપ્રાય છે એ મને જણાવો. પી.વી. નરસિંહરાવે પણ સાવધાન રહેવાની સલાહ આપી અને એ વાત ત્યાં પૂરી થઈ. જો કે પૂરી નહોતી, અમેરિકન એલચી કચેરી વારંવાર ચાર્લ્સ પર્સીને ઇસ્લામાબાદ મોકલવાની અનુમતી માગતી હતી.
આના પરથી તમે કલ્પના કરી શકો છો કે દુનિયામાં વિદેશ વહેવાર કઈ રીતે ચાલે છે. જે તે નેતાની કમજોરી કે વળગણ નજરે પડે કે તરત તેનો ઉપયોગ કરવામાં આવે. જેને જે ગમે તે આપવાનું. કોઈને વખાણ ગમતાં હોય તો બેશુમાર વખાણ કરવાનાં, કોઈને આધુનિક ટેકનોલોજીનું વળગણ હોય તો તેનો મારો કરવાનો, જેવો ઘરાક. માટે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે દેખાય છે એ સત્ય નથી હોતું.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2023