બહુધ્રુવીય વિશ્વની વાત આવે એટલે પશ્ચિમી સત્તાઓએ એ માનવાનું છોડી દેવું પડે કે વિશ્વ વ્યવસ્થા, અન્ય રાષ્ટ્રોનાં મૂલ્યો કેવાં હશે અને કેવાં હોવાં જોઇએની શરતો માત્ર એ લોકો જ નક્કી કરી શકશે. આમ આ એક મેરિટ આધારિત સત્તા સ્પર્ધા બની જાય છે
સત્તા જ્યારે કોઇપણ એકના હાથમાં હોય ત્યારે તેને સરમુખત્યારીમાં ફેરવાતા વાર નથી લાગતી. લોકશાહીમાં સત્તાનું સંતુલન હોય, હોવું જોઇએ. વૈશ્વિક સ્તરે સત્તા પર ટોચ પર હોવું એટલે રાજકારણ અને, અર્થતંત્ર પર સાર્વત્રિક રીતે અસર કરતાં વ્યૂહાત્મક નિર્ણયો પર એક રાષ્ટ્રની પકડ અથવા તો આડકતરો પણ ઊંડો પ્રભાવ હોવો. જ્યારથી G20 સમિટ થયું છે ત્યારથી એક શબ્દ આંતરરાષ્ટ્રીય રાજકારણની દૃષ્ટિએ સતત ચર્ચાઇ રહ્યો છે અને તે છે – મલ્ટીપોલર વર્લ્ડ – બહુધ્રુવીય વિશ્વ – જેની ધરી એકથી વધુ હોય તેવી દુનિયા. આ બહુધ્રુવીય વિશ્વ એટલે એવી સ્થિતિ જ્યાં વિવિધ દેશો એકબીજા સામે શક્તિ અને પ્રભાવ માટે સંઘર્ષ કરે, પણ વ્યૂહાત્મક રીતે. આ સંજોગોમાં પશ્ચિમી સત્તાઓએ એ માનવાનું છોડી દેવું પડે કે વિશ્વ વ્યવસ્થા, અન્ય રાષ્ટ્રોનાં મૂલ્યો કેવાં હશે અને કેવાં હોવાં જોઇએની શરતો માત્ર એ લોકો જ નક્કી કરી શકશે. આમ આ એક મેરિટ આધારિત સત્તા સ્પર્ધા બની જાય છે અને જે યોગ્ય રીતે વ્યૂહરચનાની ત્રિરાશી માંડે એ જ રાજકીય-ભૌગોલિક સ્પર્ધામાં આગળ રહે.
G20 સમિટમાં આમ તો ઘણું બધું થયું પણ એક ઘટના આંખે ઉડીને વળગી. G20 સમિટ દરમિયાન જે સંયુક્ત ઘોષણા પત્ર રજૂ થયું તેમાં અન્ય બાબતો સાથે યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વાત પણ હતી. પરંતુ એ વાત એ રીતે મુકવામાં આવી હતી કે પશ્ચિમી રાષ્ટ્રો અને રશિયાએ આ નિવેદન પર સાથે હસ્તાક્ષર કર્યા. આ નિવેદનમાં મોસ્કોએ યુદ્ધ છેડ્યું હોવાની કોઇ વાત ન કરાઇ અને યુક્રેનમાં યુદ્ધ એવો શબ્દપ્રયોગ કરાયો નહીં કે યુક્રેન વિરુદ્ધ યુદ્ધ કારણ કે આ પહેલાં બાલીમાં G20 સમિટમાં એ રીતે વાતની રજૂઆત થઈ હતી. પશ્ચિમી દેશોને આમ તો આ પસંદ નહોતું પણ જે દેશ G20 સમિટનો યજમાન હોય તેનાથી અળગા રહેવાનું પણ ન પોસાય એટલે તેમણે પણ આ ઘોષણા પત્રમાં યુક્રેન-રશિયાના સંઘર્ષને જે રીતે રજૂ કરાયો હતો તે સ્વીકાર્યું. મૂળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘નરોવા, કૂંજ રોવા’વાળી કૂટનીતિ અપનાવી અને રશિયા યુક્રેનને મામલે સંતુલન જાળવ્યું. પુતિન અને ઝેલેન્સ્કી બન્નેને મોદીએ સાચવી લીધા. નિવેદનના શબ્દો ભવિષ્યમાં થનારા વૈશ્વિક વાટાઘાટોની એક બ્લૂ પ્રિન્ટ સાબિત થાય એમ પણ બને.
પશ્ચિમી રાષ્ટ્રો જે હંમેશાં અગ્રણી રહ્યા છે તેમને હવે આખા વિશ્વના બદલાઇ રહેલા સમીકરણોનો નજરે ચઢી રહ્યા છે. BRICSમાં નવા છ સભ્યો ગયા મહિને જ ઉમેરાયા. ભારતની વ્યૂહરચના એવી છે જેમાં તે પોતાની જાતને ગ્લોબલ-સાઉથના નેતા રાષ્ટ્ર તરીકે રજૂ તો કરે છે પણ છતાં ય તે રશિયા કે ચીન કેમ્પ્સ સાથે સજ્જડ નથી ઊભો. આ એક એવું ઇમેજ-બિલ્ડિંગ છે જેને કારણે ભારતનો હાથ હંમેશાં ઉપર રહે કારણ કે બે ખેપાની રાષ્ટ્રો જેની આપણને જરૂર તો છે પણ અન્ય પશ્ચિમી દેશો સાથેના તેમના અરાજકતાભર્યા સંબંધો અને આપણી સાથે ક્યારેક તંગ (ખાસ કરીને ચીન સાથેના સંબંધો) હોવાને કારણે એક દેશ તરીકે આપણે તેમની સીધી તરફેણ કરી જ ન શકીએ. G20 સમિટમાં બીજાં પણ કેટલાંક એવાં પગલાં લેવાયાં જે નોંધપાત્ર છે તે પણ ખાસ કરીને મલ્ટી-પોલર વર્લ્ડ ઓર્ડર માટે. જેમ કે આફ્રિકી યુનિયન – 1999ની સાલમાં અસ્તિત્વમાં આવેલું 55 સભ્યોવાળો સમૂહ – પણ હવે G20નો હિસ્સો છે, આ જે રીતે EU પોતાના સભ્ય રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરે છે એવી જ વ્યવસ્થા છે. આફ્રિકી સંગઠનને G20માં ઉમેરવાનું સૂચન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં આપ્યું હતું. વર્લ્ડ બૅંક આર્થિક રીતે મધ્ય અને નિમ્ન સ્તરના દેશોને વધુ ટેકો આપી શકે તે રીતે તેની ક્ષમતા અને નીતિમાં ફેરબદલ કરવાની વાત પણ સમિટમાં થઇ. જેમાં દિશા સૂચન હતું કે વર્લ્ડ બૅંકે પોતાની દૃષ્ટિમાં પરિવર્તન લાવવાની જરૂર છે. વર્લ્ડ બૅંકે ઑગસ્ટની શરૂઆતમાં ઘાનાને નાણાં ધીરવાની ના પાડી હતી કારણ કે સજાતીયતા વિરોધી ઘાનાના વિચારો સાથે વર્લ્ડ બૅંકનાં મૂલ્યો મેળ નથી ખાતા. પરંતુ હવે આવા વલણ બદલાય તે જરૂરી છે એવી હાકલ ભારત તરફથી કરાઈ છે જેથી નબળા અને સંવેદનશીલ દેશો અને પ્રદેશોને આર્થિક ટેકો મળી રહે અને વિકાસનો પ્રભાવ વૈશ્વિક સ્તરે વર્તાય.
ભારત બહુધ્રુવીય વિશ્વ બને તે દિશામાં ધીમા અને મક્કમ પગલાં ભરે છે એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. ભારત પશ્ચિમી દેશો સાથે અને BRICS+ રાષ્ટ્રો સાથે સંબંધ એ રીતે સાચવે છે કે તે ગ્લોબલ સાઉથના હિતમાં જેટલી સત્તા અને સહકાર મેળવી શકાતા હોય તે મેળવી લે. પશ્ચિમી દેશોને આ બહુ ગમે એવી વાત નથી પણ જો તેઓ આ મામલે સહકાર નહીં આપે તો ભારત અને આફ્રિકી સંગઠનના દેશો BRICS+માં જોડાવા ચાલ્યા જશે તો તેમની પાસે કોઈ મજબૂત ટેકેદારો નહીં બચે. ભારત પૂરી રીતે પશ્ચિમી દેશો તરફ થાય એ પણ શક્ય નથી કારણ કે ચીન સાથે ભલે સરહદે સંઘર્ષ ચાલતો હોય પણ વેપાર-વાણીજ્યને મામલે ભારત અને ચીનના સંબંધો બહુ જ સારા છે અને એટલે જ તાઇવાનના મુદ્દે ચીનને ટપારવામાં ભારતને કોઈ રસ નથી.
આર્થિક બાબતોને ગણતરીમાં લઈએ તો મોર્ગન સ્ટેનલીના એશિયા એન્ડ ઇમર્જિંગ માર્કેટ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ જોનાથન ગાર્નરે કહ્યા મુજબ રૂપિયાનું મૂલ્ય વધી રહ્યું છે, મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઇન્ડસ્ટ્રી પણ બહેતર થઇ રહી છે, તે જોતાં એશિયાઇ માર્કેટમાં ભારતમાં લાંબા ગાળાની તેજી આવી શકે છે. તેમના મતે ભારતનું ભવિષ્ય ચીનના ભૂતકાળ જેવું છે એટલે કે વર્તમાન સંજોગો અનુસાર ભવિષ્યમાં ભારત ચીનને પાછળ પાડી દઈ શકે છે.
વિશ્વમાં સલામતી અને સુરક્ષાને મુદ્દે પણ યુ.એન. સિક્યોરિટી કાઉન્સિલમાં સુધારા માગનારા દેશોમાં ભારત આગળ પડતો છે.
બહુધ્રુવીય વિશ્વ ઘડાય તે માટે ભારતના જે પણ પ્રયાસો અગત્યના છે કારણ કે વિશ્વમાં સલામતીના પ્રશ્નો પણ મોટા છે, જેમ કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતો સંઘર્ષ તથા ઇન્ડો-પેસિફિકમાં ચીનનું વર્ચસ્વ. વળી ઇન્ડો-પેસિફિક એવો વિસ્તાર છે જે જાપાનના પૂર્વીય કિનારાથી માંડીને આફ્રિકાના પૂર્વીય કિનારા સુધી વિસ્તરેલો છે. ભારત ક્વૉડનો પણ હિસ્સો છે જેમાં યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા જેવા રાષ્ટ્રો બેઇજિંગની લડાઈને ધ્યાનમાં લઇને મુક્ત ઇન્ડો-પેસિફિકની દિશામાં કામ કરી રહ્યા છે.
અંદરખાને જે ચાલતું હોય એ પણ G20 સમિટમાં દિલ્હીમાં સતત એ દૃષ્ટિકોણ પર ભાર મુકાયો જેમાં કહેવાયું કે, ‘આજનો યુગ યુદ્ધનો ન હોવો જોઇએ.’
બાય ધી વેઃ
ભારત વસ્તીને મામલે આગળ છે, આપણો વિકાસ દર પણ અંદાજે 6 ટકાની આસપાસ છે. દેખીતી રીતે બધું સારું છે પણ ઊર્જાસ્રોતોને મામલે આપણે સદ્ધર નથી. ગરીબો અને ધનીકો વચ્ચેનું અંતર ઊંડું અને પહોળું છે, જાતિવાદ અને કોમવાદની જાળમાંથી આપણે મુક્ત નથી, ક્લાઇમેટ ચેન્જની સમસ્યાઓ પણ ઘેરી બની રહી છે, વૈશ્વિક સ્તરે આપણે જ્યાં પહોંચવા માગીએ છીએ તે માટે આપણી શૈક્ષણિક વ્યવસ્થાઓમાં બહુ મોટા ફેરફાર કરવાની જરૂર છે. આપણો સોફ્ટ-પાવર હજી નબળો છે, આપણે ભાષાઓને મામલે અંદરોઅંદર લડ્યાં કરીએ છીએ, કલા-સાહિત્યમાં આપણે વૈશ્વિક સ્તરે જેટલો પ્રભાવ પેદા કરવો જોઇએ એટલો કરી નથી શક્યા. પેકેજિંગ સારું હોય એટલે બધું જોશીલું લાગે એ સાચું પણ નક્કરતા અંદરથી આવે ત્યારે તેનો પ્રભાવ પણ કાયમી નહીં તો કમ સે કમ લાંબા ગાળાનો તો હોઈ જ શકે છે. આપણે બહુધ્રુવીય વિશ્વની રચનામાં ભાગ તો ભજવી જ શકીએ છીએ અને ભજવવો જ જોઈએ કારણ કે આપણે ખૂબ સમૃદ્ધ રાષ્ટ્ર છીએ. બસ આપણા આંતરીક ધ્રુવોને ઓઇલિંગ કરીને સ્થિરતા આપવાનું રહી ન જાય તે જરૂરી છે.
એક સરતૂચક વાળું બાય ધી વે એ કે ઇન્ડિયા સંદતર કાઢીને ભારત કરવાનો ખર્ચો 14,000 કરોડ થશે હં, આ જરા ગયા અઠવાડિયે આંકડામાં લોચા પડી ગયેલા તો ચોખવટ કરી દીધી.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 સપ્ટેમ્બર 2023